ધ ઊટી – નવલકથા ભાગ 15 અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે…

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

(અખિલેશ મીટિંગરૂમમાં ગભરાયેલી હાલતમાં દોડતાં- દોડતાં ઝડપથી આવે છે, અખિલેશ ખુબજ ડરી ગયેલ હતો, તેના શ્વાસો શ્વાસ અને હૃદયનાં ધબકારા એકદમ વધી ગયેલાં હતાં, ત્યારબાદ અખિલેશ મીટિંગરૂમમાં હાજર રહેલાં લોકોને પોતાની સાથે ખરેખર શું ઘટનાં બની તે વિસ્તારપૂર્વક જણાવે છે, જે સાંભળી મીટિંગરૂમમાં હાજર રહેલાં તમામ લોકોની આંખો પહોળી થઇ જાય છે, એ બધાં ના રુવાટા ઉભાં થઈ જાય છે, ત્યારબાદ બધાં જ લોકો રૂમ નં – 110 પાસે જાય છે, ત્યાતબાદ ડૉ. અભય યુનિવર્શલ એનર્જી ડિટેક્ટરની મદદથી પોતે હાલમાં જે જગ્યાએ ઉભા છે, ત્યાં કોઈ ને કોઈ પ્રકારની એનર્જી હાજર છે, એવું સાબિત કરી આપે છે, અને તેને હાજર થવાં માટે ચેલેન્જ સાથે વિનંતિ કરે છે, આથી થોડીવારમાં ધુમાડા સાથે બધાં પોતાની નજર સામે શ્રેયાને ઉભેલી જોવે છે, જેને લીધે બધાનાં શરીરમાં પરસેવો વળી જાય છે, ડરને લીધે બધાનાં રુવાટાઓ ઊભાં થઈ જાય છે, અને આશ્ચર્યથી આંખો પહોળી થઇ જાય છે, ત્યારબાદ શ્રેયા પોતાની વાસ્તવિકતા જણાવે છે…પોતાની તકલીફ જણાવે છે……..)

“તમારાં માંથી અમુક લોકો માટે હું શ્રેયાં છું, તો અમુક લોકો માટે હું નિત્યાં છું….પરંતુ હકીકતમાં હું શ્રેયાં નહીં પણ નિત્યાં જ છું…!” – પોતાની વાત શરૂ કરતાં નિત્યાં જણાવે છે. “તો ! પછી ! તે અખિલેશને તારું નામ શ્રેયાં શાં માટે જણાવ્યું….અને તું અને અખિલેશ જ્યારે ઊટીમાં દસ દિવસ રોકાયેલાં હતાં, એ દરમ્યાન અખિલેશ તને આ જ હોટલ (સિલ્વર સેન્ડ) નજીક ડ્રોપ કરતો હતો, તો તે સમયે આ હોટલનાં રજીસ્ટરમાં તારું નામ શાં માટે લખેલ નથી….?” – ડૉ. અભયે પોતાનાં મૂળ મુદ્દા આવતાં શ્રેયાને પૂછ્યું.

“સાહેબ ! તમારી વાત સાચી છે, હું અને અખિલેશ જ્યારે ફરીને હોટલ પર પરત ફરતાં હતાં, ત્યારે અખિલેશ મને હોટલની નજીક ડ્રોપ કરીને જતો રહેતો હતો, અખિલેશને મનમાં એવું હતું કે હું હોટલ સિલ્વર સેન્ડમાં રોકાયેલ હોઇશ….પરંતુ સાહેબ તમને એક વાત જણાવી દઉં કે હું માત્ર એ દસ દિવસ પૂરતી જ નહીં પરંતુ છેલ્લાં ત્રીસ – ત્રીસ વર્ષોથી આ જ હોટલમાં અને આ જ રૂમ પાસે રહીને, મારા નિસર્ગની રાહ જોઈ રહી છું…અને રહી વાત રજીસ્ટરમાં મારા નામની એન્ટ્રીની તો એ એન્ટ્રી તો હું આજથી ત્રીસ વર્ષ પહેલાં જ કરી ચુકી છું, બાકી સાહેબ મારાં જેવી અધૂરી ઈચ્છા ધરાવતી ભટકતી આત્માને રજીસ્ટરોમાં પોતાનાં નામની એન્ટ્રી કરવાંની જરૂર જ ક્યાં છે….?” – નિત્યાં પોતાની વાત આગળ વધારતાં બોલે છે.

“હું અને નિસર્ગ એકભીંજાને સાચા દિલથી પ્રેમ કરતાં હતાં, અમે બે જાણે બે શરીર અને એક પ્રાણ હોય તેમ એકબીજા સાથે જોડાયેલ હતાં, અમારી પ્રેમ કહાની શરૂ થઈ હતી નિસર્ગના કોમ્પ્યુટર કલાસીસથી, હું નિસર્ગનાં કોમ્પ્યુટર કલાસમાં કોમ્પ્યુટર વિષય શિખવા માટે જતી હતી, ધીમે – ધીમે હું અને નિસર્ગ દરરોજ એકબીજાનાં કોન્ટેકટમાં આવવાં લાગ્યાં, અમારા બનેવનાં મન મળી ગયાં, ધીમે-ધીમે એ લાગણી પ્રેમનું સ્વરૂપ લેવાં માંડી, અને અમે બનેવ પ્રેમનાં ધોધમાં સંપૂર્ણપણે ભીંજાય ગયાં, એ એકબીજાને મળવા માટેની બેચેની,

એકબીજા સાથે રાત – રાતનાં ઉજાગરા કરીને વાતો કરવાની ઉત્સુકતા, નાની નાની બાબતોમાં પણ સેલિબ્રેશન કરવાની આતુરતા, એકબીજાને પોતાની સુખ અને દુઃખની વાતો કરવાથી મનમાં અનુભવાતી હળવાશ, રજાનાં દિવસે બાઇક પર લોંન્ગ ડ્રાઈવ કરવાની મજા, એની સાથે હોટલમાં જમવાના ટેસ્ટની મીઠાસ, ઘરનાં ભોજનની મીઠાસ ભુલાવી દે, સાવ સામાન્ય એટલે કે શરદી – ઉધરસ થઈ હોય તો પણ પાંચ – પાંચ મિનિટે વારંવાર કોલ કરીને ખબર પૂછવી…સાહેબ મારા માટે જો લાઇફનો કોઈ પ્રિસિયસ કે ગોલ્ડન મેમરી હોય તો તે નિસર્ગ સાથે વિતાવેલ તે દરેક પળ કે જે મારાં માટે જાણે ખુલી આંખોએ જોયેલાં સપનાં સમાન જ હતાં….દરેક યુવતી આવી મોમેન્ટનની રાહ જોતી જ હોય છે…..પણ…!” – નિત્યા થોડુંક ખચકાતાં બોલી.

“પણ…પણ…શું નિત્યાં…?” – સાક્ષીએ નિત્યાની આંખોમાં રહેલાં આંસુઓ સામે જોઇને પૂછ્યું. “પણ ! સાક્ષી ! જેવી રીતે દિવસ પછી રાત આવે, સુખ પછી દુઃખ આવે, તેવી જ રીતે મારી લાઈફમાં પણ જાણે અજવાસ પછી ઘોર અંધકાર છવાઈ ગયું હોય તેવું મને લાગ્યું, કારણ કે મારા જ કલાસમાં આવતી એક યુવતી દિવ્યા પણ નિસર્ગને મનોમન ચાહતી હતી, આથી હું અને નિસર્ગ એકબીજાને પ્રેમ કરી રહ્યાં હતાં, આ બાબત તેની આંખોમાં કણાંની માફક ખૂંચી રહી હતી…આથી દિવ્યાંએ મારા અને નિસર્ગની રિલેશનશિપ વિશે મારા પિતા રાઘવ કેશવાણીને ફોન કરીને જાણ કરે છે….

આથી મેં અને નિસર્ગે પોત-પોતાનું ઘર છોડીને ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું, આ દરમ્યાન હું અને નિસર્ગ આ જ હોટલનાં આ જ રૂમ એટલે કે રૂમ નં 110 માં રોકાયેલાં હતાં, એ આખી રાત મેં અને નિસર્ગે ખૂબ જ ભયભીય અને ડરી ગયેલી હાલતમાં વિતાવી છે, એ સમયે અમે બનવે જે ડર મહેસુસ કર્યો હતો, તે આજે યાદ આવે તો ગમે તેટલી હિંમતવાન વ્યક્તિનાં શરીરનાં રુવાટાઓ ઊભાં થઈ જાય, કારણ કે આ સમયે મારા પિતાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચેલો હતો, તેના માથે અમને બનેવને મારી નાખવાનું ખૂન સવાર થઈ ગયું હતું….

બીજે જ દિવસે અમે વહેલી સવારે એટલે કે 8 વાગ્યાની આસપાસ આ હોટલમાંથી ચેક આઉટ કર્યું, અને ટાઇગર હિલ પર ગયાં, ત્યાં સાહેબ મારી આંખોએ જે ઘટનાં જોયી તેનાં પર મને વિશ્વાસ નહોતો આવી રહ્યો, નિસર્ગ પોતાના શરીરમાં જેટલું જોમ હતું, ત્યાં સુધી હિંમત કરીને એ લોકો સાથે લડતો રહ્યો, ત્યારબાદ તે ઘાયલ થઈ ગયો, અને જમીન પર બેસી ગયો, ત્યારબાદ મારા પિતાએ પોતાની જ ગનથી મને શૂટ કરી….અને ત્યારબાદ પેલા એમ.એલ.એ જયકાન્તે મારા વ્હાલા અખિલેશની ડોક પર નિર્દયતાથી તેજ ધારદાર તલાવરથી હુમલો કર્યો, અને એક જ ઝાટકામાં મારા નિસર્ગનું માથું ધડથી અલગ કરી નાખ્યું…અને મારા નિસર્ગનું પ્રાણ- પંખેરું ઊંડી ગયું…અને ત્યારબાદ તે કપટી જયકાન્તે છળથી મારા પિતાનું પણ ઠંડા કલેજે ખૂન કરી નાખ્યું….!”- નિત્યાં પોતાની આપવીતી જણાવતાં બોલે છે.

“એક મિનિટ ! નિત્યાં ! તે હમણાં અમને જણાવ્યું કે તારા પિતાએ પહેલાં તને ગોળી મારીને તારું ખૂન કરી નાખ્યું….તો પછી તારા મૃત્યું પછી તે સ્થળે શું બન્યું એ તને કેવી રીતે ખબર પડી…!” – ડૉ. રાજને પોતાનાં મનમાં રહેલ શંકાનું સમાધાન કરતાં પૂછ્યું.

“સાહેબ ! જ્યારે મારા પિતાએ મને ગોળી મારી એની થોડીક જ ક્ષણો બાદ હું જે જગ્યાએ હતી, ત્યાંથી નિસર્ગને બચાવવા માટે ઉભી થઈ અને દોડીને જયકાન્તભાઈ પાસે ગઈ અને તેને આવું ન કરવા માટે આજીજી કરી…પરંતુ જયકાન્ત ભાઈ જાણે મને સાંભળી કે જોઈ ન રહ્યાં હોય એવું મને લાગ્યું, જોત-જોતામાં તો એ ઘાતકી જયકાન્તે મારાં પ્રાણથી પણ વધુ વ્હાલા નિસર્ગનું માથું ધડથી અલગ કરી નાખ્યું….

આથી હું હિંમત હારીને પાછું ફરીને ચાલવાં લાગી…..ત્યારબાદ મેં જે જોયું તે જોઈને તો મારા હોશ ઉડી ગયાં….મને એક જોરદાર આઘાત લાગ્યો કારણ કે મારી નજર સમક્ષ મારો જ નિષ્પ્રાણ મૃતદેહ લોહી-લુહાણ હાલતમાં પડેલ હતો, આથી મને સમજાય ગયું….કે શાં માટે મારો અવાજ પેલા જયકાન્તને સંભળાતો ન હતો, અથવા શાં માટે એ મને જોઈ શકતો ન હતો….કારણ કે હું હવે નિત્યાં માંથી માત્ર એક અધૂરી ઈચ્છા ધરાવતી ભટકતી આત્મા બની ગઈ હતી….કે જેનો પ્રેમ તેને આ જન્મમાં તો મળ્યો જ નહીં…કદાચ નિસર્ગનો પ્રેમ મારા નસીબમાં જ લખેલ નહીં હોય…

હું મારા નસીબને કોશવા લાગી…..હાલમાં હું હજારો રહસ્યોથી ભેરલ આ અગોચર વિશ્વમાં એવાં તબબકા પર આવી ગઈ હતી કે ના તો હું ફરીથી અન્ય અવતાર ધારણ કરી શકુ….કે નાતો મારા આત્માને મુક્તિ મળી શકે….મારા નસીબમાં જાણે સાચો પ્રેમ મેળવવાં માટે ભગવાને હજુપણ ધણું ભટકવાનું લખેલુ હશે…..ત્યારથી માંડીને આજ દિવસ સુધી હું આવી જ રીતે ઊટીનાં એ દરેક સ્થળે ભટકતી ફરું છું કે જયાં હું અને નિસર્ગ અવારનવાર ફરતાં હતાં, અને દિવસનાં અંતે હું અહીં રૂમ નં – 110 પાસે આવી જાવ છું અને મારા નિસર્ગને યાદ કરતાં કરતાં સુઈ જાવ છું.” – નિત્યાં એક પછી એક રહસ્યો ખોલતી જતી હતી, જ્યારે તેની સામે ઊભેલાં બધાં જ લોકો સ્તબ્ધ બનીને નિત્યાં જે કંઈપણ જણાવી રહી હતી, તે આંખો પહોળી કરીને અને કાન ખુલ્લા રાખીને સાંભળી રહ્યાં હતાં…!

ધીમે – ધીમે ડૉ. અભય, ડૉ. રાજન, દીક્ષિત, સાક્ષી, હનીફ, સલીમચાચા અને ખુદ અખિલેશનાં મનમાં જે કંઈપણ પ્રશ્નો હતાં, એ બધાં જ પ્રશ્નોના જાણે ધીમે – ધીમે જવાબો મળી રહ્યાં હોય તેવું બધાં અનુભવી રહ્યાં હતાં, અને નિત્યાં જાણે અખિલેશનાં જીવન સાથે જોડાયેલ રહસ્યો એક – પછી -એક એમ ઉકેલી રહી હોય, તેવું લાગી રહ્યું હતું.

ત્યારબાદ ડૉ. અભયને જાણે અખિલશેનો કેસ સોલ્વ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, અને નિત્યાં પણ જાણે પોતાને આ લોકો પાસેથી કોઈને કોઈ મદદ મળી રહેશે તેવાં આશય કે ઈરાદાથી બધું જ સાચે – સાચું અને પૂરેપૂરું જણાવી રહી હતી….નિત્યાં આગળ જણાવતાં બોલે છે કે….

“સાહેબ ! હું માત્રને માત્ર નિસર્ગને મેળવવા માટે, કે તેનાં પ્રેમને મેળવવા માટે આવી રીતે ભટકું છું…..અને જ્યારે હું સિલ્વર સેન્ડ હોટલનાં રૂમ નં – 110 પાસે આવીને સૂવું છું…..તો મને એક એવો અહેસાસ કે અનુભવ થાય છે કે જાણે હું નિસર્ગનાં ખોળામાં મારું માથું નાખીને સુતેલ હોય, અને નિસર્ગ મારી આંખોમાં આંખ પોરવીને મારા ચહેરા તરફ પ્રેમથી તાકી – તાકીને જોઈ રહ્યો હોય, અને પ્રેમથી મારા માથાં પર હાથ ફેરવી રહ્યો હોય તેવું મને લાગે છે, આથી આખા દિવસ દરમ્યાન હું ભલે ગમે ત્યાં ભટકતી હોવ પરંતુ રાતે તો હું છેલ્લાં ત્રીસ વર્ષથી અહીં આવીને જ સૂવું છું.” – નિત્યાં આગળ જણાવતાં બોલે છે.

” તો ! તે અખિલેશસરને તારું નામ નિત્યાને બદલે શ્રેયા શાં માટે જણાવ્યું…? તું અખિલેશ સરને પહેલીવાર જે જગ્યા એટલે કે લવડેલમાં મળી હતી…એ પાછળનું શું રહસ્ય છે…?” – સાક્ષીએ પોતાનાં મનમાં રહેલ પ્રશ્ન નિત્યાને પૂછ્યો. “સાક્ષી ! હું અખિલેશને મારું સાચું નામ નિત્યાં છે તેવું ચોક્કસપણે જણાવવા માંગતી હતી, હું પોતે પણ મારી સાચી ઓળખાણ છુપાવવાં માંગતી ન હતી….પરંતુ અમુક કારણોસર મારે મારી સાચી ઓળખાણ છુપાવવાની જરૂરિયાત જણાય આથી મેં અખિલેશને મારું નામ નિત્યાં ને બદલે શ્રેયા એવું જણાવ્યું હતું…!” – નિત્યાં સ્પષ્ટતા કરતાં બોલે છે.

“પરંતુ ! નિત્યાં ! એવું તે શું કારણ હતું કે તારે તારી સાચી ઓળખાણ છુપાવવાની જરૂર પડી…!” – ડૉ. રાજને નિત્યાને પૂછ્યું.

“સાહેબ ! આ સોસાયટીમાં સ્ત્રી જાત એવી છે કે જેનાં ચારિત્ર પર લોકો સાચું ખોટું શું છે એ જોયા વગર જ “ખરાબ ચારિત્ર” નું લેબલ લગાવી દેતાં હોય છે, જ્યારે વાસ્તવમાં તો ઘણીવાર એ સ્ત્રી અગ્નિ જેટલી પવિત્ર હોય છે, સાહેબ આપણી સોસાયટીમાં જો પુરુષ ઘરે મોડો આવે તો તે ગર્વ કે વટની વાત ગણવામાં આવે છે….પરંતુ જો સ્ત્રી કોઈપણ આકસ્મિક કારણો સર ઘરે માત્ર થોડીક જ મોડી આવે તો તરત જ પહેલો પ્રશ્ન તેનાં ચારિત્રને લઈને ઉઠે છે…..!,

“સાહેબ ! આપણાં સમાજમાં રામ ભગવાનને પૂજવા વાળા લોકો પણ રહેલાં છે, અને સીતા માતાં પર ખરાબ ચારિત્ર હોવાની શંકા કરનારા માણસો પણ આપણાં જ સમાજમાં રહે છે, જો સીતા માતાને પણ પોતાની પવિત્રતા સાબિત કરવાં માટે અગ્નિ પરીક્ષા આપવાની જરૂર પડી હોય…તો પછી આપણી તો શું હેસિયત છે કે આપણાં સમાજમાં રહેલા આવાં લોકો સામે લડી શકીએ…!” – આંખોમાં આંસુ સાથે લાચારી ભરેલાં અવાજમાં નિત્યાં બોલી.

નિત્યાની આ વાત સાંભળીને નિત્યાની સમક્ષ ઊભેલાં દરેક વ્યક્તિઓનાં આંખોનાં ખુણા દુઃખ સાથે ભીનાં થઈ ગયાં, અને એ બધાને નિત્યા પ્રત્યે હમદર્દી જાગવા માંડી…! નિત્યાં સાક્ષીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં જણાવે છે કે, ” સાક્ષી ! મારા, નિસર્ગ અને મારા પિતાના મૃત્યુ બાદ પેલાં હેવાન જયકાન્તે મારા, નિસર્ગના અને મારા પિતાનાં મૃતદેહને પોતાનાં માણસોની મદદથી ટાઇગર હિલની ઘાટી એથી નીચે ઊંડી ખાયમાં ફેંકાવી દે છે….કે જયાં હું અને નિસર્ગ થોડા સમય પહેલાં બેઠેલાં હતાં, ત્યારબાદ તે હેવાન પોતાની તાકાતથી તમામ વર્તમાન પત્રોમાં એવી હેડલાઈન છપાવે છે…કે “

ટાઇગર હિલ પરથી એક પ્રેમી પંખીડાં એટલે કે નિસર્ગ અને નિત્યાં એ પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી, જ્યારે નિત્યાનાં પિતા એટલે કે આર.કે બીલ્ડર્સનાં માલિક રાઘવ કેશવાણીએ પણ પોતાની ઈજ્જત ગુમાવવાની કે બદનામી થવાની બીકથી તેણે પણ આત્મહત્યા કરી લીધી….ત્યારબાદ ઊટીમાં રહેતાં દરેક વ્યક્તિ, અને અમારા સગાસંબંધીઓ પણ મારા ચારિત્ર્યને લઈને મનફાવે તેવી વાતો કરવાં લાગ્યાં, આથી અખિલેશને ને જો મેં મારું સાચું નામ નિત્યાં છે એવું જણાવ્યું હોત તો…ઊટીનાં કોઈને કોઈ વ્યક્તિ પાસેથી મારી હકીકત અખિલેશ જાણી જશે….અને મને ક્યારેય પણ અપનાવશે નહીં…અને અખિલેશને હું ગુમાવી બેસીશ એ બીકને લીધે…મેં અખિલેશને મારું નામ નિત્યાને બદલે શ્રેયા એવું જણાવ્યું…આમ હું અને શ્રેયા બનેવ એક જ છીએ…શ્રેયા પણ હું જ છું…અને નિત્યાં પણ હું જ છું….?” – નિત્યાં સ્પષ્ટતા કરતાં બોલી.

ત્યારબાદ થોડીવાર માટે અટકીને નિત્યાં આગળ જણાવતાં બોલે છે કે… “હું ! અખિલેશને પહેલીવાર લવડેલ રેલવે સ્ટેશને ટોય ટ્રેનમાં મળી હતી….હું જ્યારે લવડેલ રેલવેસ્ટેશને પહોંચી તો ટોય ટ્રેન ઊપડી અને પટરી પર આગળ ચાલવાં લાગી…એવામાં અખિલેશે ટ્રેનનાં ડબ્બામાંથી પોતાનો હાથ મને મદદ કરવાં માટે લાંબાવ્યો….આ જોઈ મને આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો, કારણ કે નિસર્ગને ગુમાવ્યાના ત્રીસ – ત્રીસ વર્ષો બાદ અખિલેશ એક માત્ર એવો વ્યક્તિ હતો કે જે મને જોઈ શકતો હતો….બાકી તો મને કોઈ જોઈ શકતું જ ના હતું….

આથી મને થયું કે ભગવાને મારી મદદ કરવાં માટે એક ફરીસ્તો મોકલેલ હશે….કદાચ એવું પણ બની શકે કે અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ મારા જ નિસર્ગનો બીજો જન્મ એટલે કે પુનર્જન્મ પણ હોઈ શકે….પરંતુ હાલમાં તો હું ખુશીઓથી સમાય નહોતી રહી કારણ કે વર્ષો બાદ કોઈ મને જોઈ શક્યું, મને સાંભળી શક્યું , કોઈ મને અનુભવી શક્યું હોય એવું મને લાગી રહ્યું હતું…આથી મેં કંઈપણ વિચાર કર્યા વગર જ અખિલેશનાં હાથમાં મારો હાથ આપ્યો, જ્યારે મેં મારો હાથ અખિલેશનાં હાથમાં આપ્યો ત્યારે મારા હાથમાં એક પ્રકાર કરંટ લાગ્યો હોય તેવું મેં અનુભવ્યું, અને એ કરંટ મારા પુરે – પુરા શરીરમાંથી પસાર થઈ ગયો……અખિલેશનાં હાથમાં મારો હાથ આપવાથી લાગેલ કરંટ અનુભવ્યા બાદ મને એવું લાગ્યું કે જાણે ભગવાને મારી મુક્તિ કે મદદ માટે અખિલેશને મારી પાસે મોકલેલ હોય….ત્યારબાદ હું ટ્રેનમાં ચડી ગઈ…

અને થોડીવારમાં આગળનું સ્ટેશન આવતાં હું એ સ્ટેશને ઉતરી ગઈ….ખરેખર હું એ સમયે નિસર્ગ ના ગામ એટલે કે ઉડગમંડલ્મ જઈને પાછી ફરી રહી હતી….કારણ કે નિસર્ગ ઉડગમંડલ્મમાં જ રહેતો હતો, પરંતુ હાલમાં તો ઉડગમંડલ્મમાં નિસર્ગનાં પરિવારનો એકપણ સભ્ય રહેતો ન હતો, નિસર્ગે આત્મહત્યા કરી એ સમાચાર મળતાં જ તેની માતાને એટલો આઘાત લાગ્યો કે તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું…તેની માતાની તમામ અંતિમવિધિ પુરી કર્યા બાદ નિસર્ગની બહેન કાયમિક માટે તેનાં મામાના ઘરે રહેવા માટે ચાલી ગઈ….મને કદાચ નિસર્ગ તેનાં ઘરની આસપાસ ક્યાંક મળી જશે એવી આશાથી હું તેનાં ઘરની આસપાસ ભટકતી રહુ છું….!.” – શ્રેયાએ જાણે હજારો રહસ્યોથી ભરેલ એક પુસ્તક બધાની નજરો સમક્ષ ખોલી નાખ્યું હોય તેવું બધાને લાગી રહ્યું હતું.

ત્યારબાદ નિત્યાએ જણાવેલ વાત સાંભળી અખિલેશ પણ પોતાની જાતને રોકી ના શક્યો અને નિત્યાને પૂછ્યું કે…”ચાલ ! અમે માની લઈએ કે તું શ્રેયા નહીં પરંતુ નિત્યા જ છો…પરંતુ તે મારી સાથે પ્રેમ હોવાનું નાટક શાં માટે કર્યું….? જો તે મને એમ જ મદદ માટે પૂછ્યું હોત તો પણ મેં તારી મદદ કરી જ હોત….?”

અખિલેશ દ્વારા બોલાયેલાં દરેક શબ્દો નિત્યાનાં હૃદયની આરપાર સોંસરવા નીકળી ગયાં……ત્યારબાદ નિત્યાએ આંખોમાં આંસુ સાથે અખિલેશે પોતાને પુછેલ પ્રશ્નનો જવાબ આપતા આગળ જણાવે છે….! “અખિલેશ ! હું ખરેખર તને સાચો પ્રેમ જ પ્રેમ કરતી હતી, પરંતુ આત્મા અને મનુષ્યનો પ્રેમ ક્યારેય પણ સંભવ ન હોવાથી આપણો પ્રેમ પણ અધુરો જ રહી ગયો….પરંતુ મને એક વાતનો ખુબ જ આનંદ હતો….!” – નિત્યાં બોલે છે.

“એવી કંઈ બાબતનો આનંદ હતો તને…!” – અખિલેશે નિત્યાને પૂછ્યું. “અખિલેશ ! તું ખરેખર બીજું કોઈ નહીં પરંતુ મારા નિસર્ગનો જ પુનર્જન્મ છો…!” – આંખોમાં ચમક સાથે નિત્યાં બોલી. “શું ! આવી એકદમ વાહિયાત અને પાયા વગરની વાત કરી રહી છો તું નિત્યાં…?” – અખિલેશ થોડાક ગુસ્સા સાથે બોલ્યો. “ના ! અખિલેશ મારી આ વાત પાયા વગરની કે વાહિયાત નથી મને પણ આ બાબત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો, પરંતુ કુદરતે મને તારામાં એવાં અમુક સંકેતો દેખાડ્યાં કે જેણે મને તું નિસર્ગનો જ પુનર્જન્મ છો તે માનવા માટે મજબૂર કરી દીધેલ હતી…!” – નિત્યાં ધીમે – ધીમે પોતાની મૂળ વાત પર આવી રહી હતી.

“તે ! મારામાં એવાં તો શું સંકેતો જોયા કે તને પાકી ખાતરી થઈ ગઈ કે હું જ નિસર્ગનો પુનર્જન્મ છું…?” – અખિલેશે આશ્ચર્ય સાથે નિત્યાને પૂછ્યું. “જો ! અખિલેશ પહેલો સંકેત એ કે હું છેલ્લાં ત્રીસેક વર્ષથી મારા નિસર્ગને મળવાની આશા સાથે ભટકયાં કરુ છું….આ દરમ્યાન એકપણ વ્યક્તિ મને જોય, સાંભળી કે મહેસુસ કરી શકતી ન હતી….પરંતુ લવડેલ રેલવેસ્ટેશ પર માત્રને માત્ર તું જ મને જોઈ શકતો હતો, અને તે મારી મદદ કરવાં માટે હાથ પણ લાંબાવ્યો હતો….તો શાં માટે હું તેને એક જ ને દેખાય રહી હતી….? અન્ય કોઈને નહીં…?

આ બાબત મને એ વિચારવા માટે મજબૂર કરી રહી હતી કે તારી સાથે મારે જરૂરને જરૂર કોઈ ખુબ જ જૂનો સબંધ હશે…! આ ઉપરાંત જ્યારે લવડેલ સ્ટેશન પર મેં મારો હાથ, મદદ માટે લબાવેલા તારા હાથમાં આપ્યો તો મારા પુરેપુરા શરીરમાં જાણે એક કરંટ પસાર થયો હોય તેવું મહેસુસ થયું….આ બીજો સંકેત કે જે મને એ માનવાં માટે મજબૂર કરે કે તારી સાથે ચોક્કક્સથી મારે કોઈને કોઈ જૂનો સંબધ તો હશે જ તે…આ ઉપરાંત જ્યારે આપણે બોટેનિકલ ગાર્ડનમાં બેઠાં હતાં ત્યારે મેં તારી બર્થ ડેટ પૂછી હતી….અને મેં તને જણાવ્યું હતું કે તારા આવતાં બર્થ – ડે પર બરાબર 12 વાગ્યાનાં ટકોરે બધાં કરતાં હું તને પહેલાં બર્થ – ડે વિશ કરીશ….

ત્યારબાદ તે મને તારી બર્થ ડેટ જણાવી તે સાંભળીને મને પાક્કી ખાતરી થઈ ગઈ કે તું બીજું કોઈ નહીં પરંતુ મારા જ નિસર્ગનો પુનર્જન્મ છો….કારણ કે તારી જે બર્થ ડેટ છે, બરાબર એ જ દિવસે એટલે કે આજથી ત્રીસેક વર્ષ પહેલાં જ હું અને નિસર્ગ એકબીજાથી અલગ પડેલાં હતાં…..જેનો અર્થ એ થાય કે મારા અને નિસર્ગના મૃત્યુ બાદ નિસર્ગની આત્માએ તારા જ સ્વરૂપે નવો જન્મ લીધો, પરંતુ હું આવી રીતે ભટકતી રહી….!” – આંખમાં આંસુ સાથે નિત્યા બોલી.

આ સાંભળી અખિલેશનાં શરીરમાં એક પ્રકારનો ઝટકો લાગ્યો, નિત્યાં જે વાત કે રહસ્ય જણાવી રહી હતી….તેનાં પર અખિલેશને વિશ્વાસ નહોતો આવી રહ્યો…અખિલેશ તો ઠીક પરંતુ તેની આજુબાજુમાં ઊભેલાં તમામ લોકોની આંખો નિત્યાએ જણાવેલ રહસ્ય સાંભળીને નવાઈ સાથે પહોળી થઇ ગઇ…! “પણ ! હું કેવી રીતે વિશ્વાસ કરી લવ કે તું જે જણાવે છો એ સાચું જ છે….આ એક જોગાનુજોગ પણ હોઈ શકે…?” – અખિલેશે નિત્યાને પૂછ્યું.

“સારું ! ચાલ ! આપણે માની લઈએ કે આ બધાં સંકેતો જોગાનુજોગ હોઈ શકે…પરંતુ તું વિચાર કે શાં માટે આપણે ટાઈગર હિલે ફરવાં ગયાં હતાં, ત્યારે ત્યાં પહોંચીને તને એવું મહેસુસ થઈ રહ્યું હતું કે ટાઇગર હિલ સાથે જાણે તારો કોઈ જૂનો સબંધ હોય…? શાં માટે તારા પગલાંઓ ટાઇગર હિલ પર આવેલાં પેલાં કબ્રસ્તાન પાસે પહોંચતા જ અટકી ગયાં હતાં, શાં માટે તને ટાઇગર હિલમાં આપણે જે બાંકડા પર બેસેલા હતાં, ત્યાં બેસ્યાં બાદ તને શાંતિનો અહેસાસ કે અનુભૂતિ થઈ….? કારણ કે જ્યારે મારાં પિતાં ટાઇગર હિલ પર પહોંચ્યા ત્યારે બરાબર એ જ સમયે હું અને નિસર્ગ એ જ બાંકડા પર બેસેલાં હતાં, અને નિસર્ગે પોતાનું માથું મારા ખોળામાં રાખેલ હતું, આમ એ બાંકડા સાથે આપણો જૂનો સંબધ છે, આથી એ સમયે તારા ઝડપથી ચાલતાં પગલાંઓ એકાએક આ જ કારણો સર અટકી ગયાં….કારણ કે તારા અચેતન મગજને એ બાંકડો કે એ જગ્યા જાણીતી લાગી….!” – નિત્યાં અખિલેશને વિશ્વાસ અપાવતાં જણાવે છે.

“હા ! એ તારી વાત સાચી કે જ્યારે ટાઇગર હિલ પર ફરવાં ગયેલાં હતાં, ત્યારે ટાઇગર હિલ સાથે મારે કોઈ જૂનો સંબધ હોય તેવું મને લાગી રહ્યું હતું….પરંતુ હજુપણ મારું મન એ બાબત પર વિશ્વાસ નહીં કરી શકતું કે હું પોતે જ નિસર્ગનો પુનર્જન્મ છું….!” – અખિલેશ થોડાક મૂંઝાયેલાં અવાજમાં બોલ્યો.

નિત્યાં અખિલેશને પોતાનો પુનર્જન્મ યાદ આવે, અથવા અખિલેશ એ બાબતનો સ્વીકાર કરી શકે કે પોતે વાસ્તવમાં નિસર્ગનો જ પુનર્જન્મ છે…આ મનાવવા કે યાદ કરવાં માટે નિત્યાં અથાક પ્રયત્નો કરે છે….પરંતુ નિત્યાનાં તમામ પ્રયત્નો કે પ્રયાસો નિષ્ફળ નીવડે છે…આથી નિત્યાં ધીમે – ધીમે હિંમત હારી રહી હતી…..એવામાં નિત્યાં ને એકાએક કંઈક યાદ આવ્યું હોય તેમ અખિલેશની નજીક આવે છે…અને અખિલેશને પોતાની બંને આંખો બંધ કરવાં માટે જણાવે છે…આથી અખિલેશ નિત્યાની વાત માનીને પોતાની બનેવે આંખો બંધ કરે છે, ત્યારબાદ નિત્યાં અખિલેશની આંખો પર પોતાનો હાથ ફેરવે છે….આ દરમ્યાન અખિલેશની બનેવે આંખો પર એક હળવી એવી સફેદ રોશની ચમકવા લાગે છે, નિત્યાં પૂછે છે….કે

“અખિલેશ ! તને હાલમાં શું દેખાય રહ્યું છે…?” આટલું સાંભળતાની સાથે જ અખિલેશ ફરીથી ખૂબ જ ગભરાય ગયો, તેનાં કપાળ પર પરસેવો થવાં લાગ્યો, તેના હૃદયનાં ધબકારા અને શ્વાસોશ્વાસ એક્દમથી વધી ગયાં, ડરને કારણે તેનાં હાથ-પગ ધ્રુજવાં માંડ્યાં, ત્યારબાદ અખિલેશ પહેલાની માફક જ ચીસ પાડીને બોલી ઉઠ્યો. “કોઈ ! મને ! બચાવો….કોઈ મારી મદદ કરો…! એ મને મારી નાખશે….! એ મને જીવતો નહીં છોડે…!” – અખિલેશ એકાએક બુમ પાડી ઉઠ્યો.

“અખિલેશ ! ગભરાઈશ નહીં….ડરીશ નહીં….આજે જો તું હિંમત હારી ગયો…તો પછી કાયમિક માટે તારું જીવન અંધકારમય બની જશે….અને જો આજે તે ડર્યા કે ગભરાયા વગર હિંમત બતાવીશ….તો થોડીજ વારમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી એમ તારી સાથે જોડાયેલા તમામ રહસ્યો પણ એકસાથે ઉકેલાય જશે…અને તને કાયમિક માટે આ તકલીફમાંથી છુટકારો મળી જશે…..ત્યારબાદ નિત્યાં ફરી પાછો પોતાનો હાથ અખિલેશની આંખો પર ફેરવે છે…ફરી પાછી એક આછેરી રોશની અખિલેશની આંખો પર ચમકવા લાગે છે…!

થોડીવાર બાદ અખિલેશ એકાએક પોતાની આંખો ખોલે છે, અને નવાઈ કે આશ્ચર્ય સાથે નિત્યાં સામે જોઇને પોતાનાં બંને હાથ જોડીને માફી માંગે છે….અને નિત્યાં અગાવ જે બાબત અખિલેશને સમજાવવા માંગતી હતી કે પોતે બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે, એ વાત સાથે અખિલેશ સહમત થઈ જાય છે….!”

આ જોઈ અખિલેશની બાજુમાં ઉભેલાં બધા જ લોકોનાં મનમાં એક જ પ્રશ્ન ઉદ્દભવેલ હતો કે નિત્યાએ અખિલેશની આંખો પર બીજી વાર હાથ ફેરવ્યો ત્યારબાદ અખિલેશે એવું તો શું જોયું હશે…કે તેને એ બાબત પર વિશ્વાસ બેસી ગયો કે પોતે જ નિસર્ગનો પુનર્જન્મ છે..આથી ડૉ. રાજને પોતાનાં મનમાં રહેલ પ્રશ્ન પૂછતાં બોલ્યાં.

“અખિલેશ ! નિત્યાએ તારી આંખો પર જ્યારે બીજીવાર હાથ ફેરવ્યો ત્યારબાદ તે એવું તો શું જોયું કે તને એ બાબત પર પાક્કો વિશ્વાસ બેસી ગયો કે તું પોતે જ નિસર્ગનો પુનર્જન્મ છો..!” – ડૉ. રાજને અખિલેશને પૂછ્યું.

“સાહેબ ! મેં જ્યારે નિત્યાના કહેવા પ્રમાણે જયારે મેં પહેલીવાર મારી આંખો બંધ કરી અને નિત્યાએ મારી આંખો પર હાથ ફેરવ્યો ત્યારબાદ મેં હું અત્યાર સુધી જે ડરામણું સપનું જોતો આવેલ છું એ જ સપનું મેં જોયું…..પરંતુ જ્યારે નિત્યાંએ બીજીવાર મારી આંખો પર હાથ ફેરવ્યો ત્યારે મને એવું લાગ્યું…કે નિત્યાનાં એકમાત્ર સ્પર્શથી મારી લાઈફમાં રહેલાં દરેક પ્રશ્નનાર્થ ચિન્હો હવે પૂર્ણવિરામમાં ફેરવાર ગયાં હોય…તેમ એક પછી એક મારા મનમાં રહેલાં બધાં જ પ્રશ્નોનાં જવાબ મળી ગયાં હોય તેવું મને લાગી રહ્યું હતું….!” – અખિલેશ એક પ્રકારની હળવાશ અનુભવતા બોલ્યો.

“પણ ! અખીલેશ ! તે વાસ્તવમાં શું જોયું એ અમને તો જણાવ…!” – અખિલેશની પાસે ઊભેલાં બધાં જ લોકોએ એકસાથે અખિલેશને પૂછ્યું. “મેં જ્યારે પહેલીવાર આંખો બંધ કરી તો મેં પેલું ભયંકર સપનું જોયું જેથી મેં ગભરાઈને ચીસ પાડી, ત્યારબાદ નિત્યાએ મને હિંમત આપતાં મારી આંખો પર જ્યારે બીજી વાર હાથ ફેરવ્યો એ પછી મેં જોયું કે મારું એ ડરામણું સપનું જાણે આગળ વધી રહ્યું હોય તેવું મને લાગ્યું….મારા સપનામાં જે વ્યક્તિ તલવાર લઈને મને મારવાં માટે મારી તરફ આગળ વધી રહી હતી એનો ચહેરો હવે મને એકદમ સ્પષ્ટપણે દેખાય રહ્યો હતો, એ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ ઊટીનાં એમ.એલ.એ જયકાન્ત જ હતો, જે મને મારવાં માટે આગળ વધી રહ્યો હતો,

જ્યારે મારી નજર થોડીક આગળ પડી તો મેં જોયું તો નિત્યાં લોહી લુહાણ હાલતમાં જમીનદોસ્ત થઈને પડેલ હતી, ત્યારબાદ મેં હું ખરેખર કઇ જગ્યા પર છું એ બાબતની ખાતરી કરવાં માટે હું આજુ – બાજુમાં ડાફોળીયા મારવાં લાગ્યો, ત્યારબાદ મને ખ્યાલ આવ્યો મને જે પેલું ભયંકર સપનું આવી રહ્યું હતું, હું જે જગ્યાએ ગોઠણીયા ભરીને બેસેલ હતો એ કોઈ બીજુ સ્થળ કે જગ્યા ન હતી પરંતુ તે ટાઇગર હિલ જ હતું….જે મને નિત્યાએ મારી આંખો પર બીજી વખત હાથ ફેરવ્યો એ પછી જ દેખાયું, હું ખરેખર ટાઇગર હિલ પર જ આવી હાલતમાં પેલાં જયકાન્ત સામે ગોઠણિયા ભરીને બેસેલ હતો….

આમ જોવો તો નિસર્ગ અને નિત્યાં સાથે જે ઘટનાં આજથી વર્ષો પહેલાં ટાઇગર હિલ પર બની હતી એ જ ઘટનાં મારા સપનામાં દેખાય રહી હતી ફર્ક માત્ર એટલો જ રહ્યો કે આ ઘટનાનાં બધાં જ પાત્રો એનાં એ જ હતાં પરંતુ નિસર્ગની જગ્યાએ હું ખુદ મારી જાતને જોઈ રહ્યો હતો….અત્યાર સુધી મને માત્ર અધૂરું જ સપનું આવી રહ્યું હતું…આથી કઈ સ્પષ્ટ થઈ રહ્યું ન હતું….પરંતુ આજે નિત્યાએ મારી આંખો પર હાથ ફેરવીને પોતાની દિવ્ય શક્તિથી જાણે વર્ષોથી હજારો રહસ્યો લઈને બેઠેલ એક બંધ ટ્રેનને જાણે એકાએક ગતિમાન કે દિશાસૂચન કર્યું હોય તેવું લાગી રહ્યું હતું.

“તો ! અખિલેશ ! તું આટલાં વિશ્વાસથી કેવી રીતે કહી શકે છો કે તને તારા સપનામાં ધારદાર તલવાર સાથે તેને મારવાં માટે આગળ વધી રહેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ઊટીનાં એમ.એલ.એ જયકાન્ત જ છે…!” – ડી.સી.પી. અભિમન્યુએ ખાતરી કરતાં અખિલેશને પૂછ્યું. “સાહેબ ! જેવી રીતે નિત્યાએ જણાવ્યું કે કુદરત તેને હું પોતે નિસર્ગનો પુનર્જન્મ હોવાં માટેનાં અલગ – અલગ સંકેતો આપી રહ્યાં હતાં, તો આવો જ એક સંકેત મને પણ કુદરતે આપેલ હતો, પરંતુ તે સંકેત મને આજે જ સમજાયો….!” – અખિલેશ કઈક યાદ કરતો હોય તેવી રીતે બોલ્યો.

“એવો ! તો તને કુદરતે કેવો સંકેત આપેલ હતો કે જે તને અત્યારે જ સમજાયો…” – ડૉ.રાજને અખિલેશને પૂછ્યું. “સાહેબ ! અમારી ડિજિટેક સોફ્ટવેર કંપનીના “મેગા – ઈ” સોફ્ટવેર લોન્ચિંગના છેલ્લાં દિવસે અમારી કંપનીનાં અન્ય કંપનીઓ સાથે “મેગા – ઈ” સોફ્ટવેર માટેનાં એમ.ઓ.યુ થઈ ગયાં, ત્યારબાદ અમારી કંપની દ્વારા આ સોફ્ટવેર લોન્ચિંગ ઈવેન્ટને સફળ બનાવનાર દરેક વ્યક્તિઓનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવેલ હતું…પરંતુ જ્યારે હું ઊટીનાં એમ.એલ.એ જયકાન્ત ભાઈનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરી રહ્યો હતો….એ સમયે મને થોડુંક અજુગતું ફિલ થઈ રહ્યું હતું…

મને થોડીક ગભરામણ જેવું લાગી રહ્યું હતું….મારો જીવ મૂંઝાઈ રહ્યો હતો, અને હું બેચીની મહેસુસ કરી રહ્યો હતો…અને મારા હૃદયનાં ધબકારા અને શ્વાસોશ્વાસ એક્દમથી વધી ગયાં…આથી મેં ઝડપથી જયકાન્તને પુષ્પગુચ્છ આપીને સ્ટેજ પર રહેલ ખુરશી પર બેસી ગયો, અમે મેં માઈકની કમાન અમારી કંપનીનાં અન્ય કર્મચારીને સોંપી…પછી મેં પાણી પીધું…અને પાંચ કે સાત મિનિટ ખુરશી પર જ બેસી રહ્યો….

મારી સાથે ખરેખર આ શું બની રહ્યું હતું….એ કાંઈ મને સમજાતું ન હતું….આથી આ પ્રશ્નો ઘણા સમયથી મારા મનમાં જ દબાવી રાખ્યા હતાં…પરંતુ હવે મને સમજાય ગયું કે એ સમયે મારી જે હાલત હતી, એ ખરેખર કુદરત મેં ભગવાનનો જ એક સંકેત હતો….જે મને હાલમાં સમજાય ગયો….મારા મનમાં રહેલાં બધાં જ પ્રશ્નોના જવાબ અત્યારે મળી ગયાં….હું હકીકતમાં નિસર્ગનો જ પુનર્જન્મ છું, આથી મેં જ્યારે જયકાન્ત સાથે હાથ મેળવ્યો, ત્યારે મારા અચેતન મને જયકાન્તને સારી રીતે ઓળખી લીધો હતો, જે મને પણ આવા સંકેતો દ્વારા જણાવવા માંગતું હતું… પરતું અફસોસ કે એ સમયે હું આ સંકેતોને સમજી ના શક્યો….પરંતુ આજે મને એ બધાં જ સંકેતો સમજાય ગયાં.

“નિત્યા ! અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે…એ સાબિત કરવાં માટે તેને એવી કોઈ બાબત યાદ છે કે જેનાં વિશે અખિલેશ જાણતો ન હોય અને માત્ર ને માત્ર તું જ જણાતી હો…!” – સાક્ષીએ નિત્યાને પૂછ્યું. “હા ! ચોક્કસ !સાક્ષી ! અખિલેશને કદાચ આ બાબતની જાણ નહીં હોય…કે નિસર્ગની ડોકની નીચે પીઠનાં ભાગે લાખું આવેલ હતું….જે આજેપણ અખિલેશની પીઠનાં ભાગે મોજુદ છે……જેનાં વિશે ખુદ અખિલેશ પણ જાણતો નહીં હોય.. ” – નિત્યાં રહસ્ય ઉકેલતાં બોલી.

આટલું સાંભળતાની સાથે જે અખિલેશે પોતાના શર્ટના ઉપલા બે બટન ખોલ્યાં અને શર્ટ થોડોક નીચે ઉતર્યો… ત્યારબાદ હાજર તમામ લોકો અખિલેશની પીઠનાં ભાગે જોવા લાગ્યાં….આ જોઈ બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ કારણ કે અખિલેશની પીઠનાં ભાગે હાલમાં પણ એવું જ લાખું હતુ….આથી હવે બધાને ખાતરી થઈ ગઈ કે અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે….!

આથી હાજર રહેલા તમામ લોકોએ નિત્યાને જણાવ્યું કે “નિત્યા ! તું ચિંતા ના કરીશ….! તારી સાથે અત્યાર સુધી ખુબજ અન્યાય થતાં આવ્યાં છે…પછી તે તારા પિતા…તારા પરિવાર જનો…તારી સોસાયટી અને ખુદ ભગવાને પણ તારી સાથે તારો પ્રેમ અધુરો રાખીને અન્યાય કર્યો છે…પરંતુ કહેવાય છે કે “ઉપરવાલે કે ઘરમેં દેર હે લેકિન અંધેર નહીં…!” એ જ પ્રમાણે ભગવાને કે કુદરતે ફરી પાછી તને તારા અધુર રહેલાં પ્રેમને લીધે…તારા પ્રેમી નિર્સગના પુનર્જન્મ એટલે કે અખિલેશને તારી સામે ઉભો રાખી દીધેલ છે.. માટે તું ચિંતા ના કરીશ અમે બધાં તારી મદદ કરીશું….અને તારા જે ગુનેગારો છે એ બધાને અમે સખતમાં – સખત સજા અપાવીને જ જપીશું….!”

“પણ ! નિત્યાં ! તારે એક જ વાર હું જ્યારે કહું ત્યારે માત્રને માત્ર તારી હાજરી હોવાનો પુરાવો આપવા માટે કોર્ટમાં હાજર થવું પડશે…! બાકી આ તારો આખો કેસ હું ફરીથી રી-ઓપન કરાવીને તને સો ટકા ન્યાય અપાવીશ…!” – ડી.સી.પી અભિમન્યુએ નિત્યાને જણાવ્યું.

“હા ! ચોક્કસ ! સાહેબ…!” – આટલું બોલી નિત્યાએ પોતાની સામે હાજર રહેલાં દરેક વ્યક્તિ સામે હાથ જોડીને આભાર માન્યો, અને જાણે વર્ષો પછી નિત્યાની ભટકતી આત્માને થોડીક રાહત મળી હોય તેવું નિત્યા અનુભવી રહી હતી….પોતાની આંખોમાં એક તરફ ખુશીનાં આંસુ હતાં કારણ કે છેલ્લાં ત્રીસ – ત્રીસ વર્ષોથી નિત્યાં એકલી-અટૂલી આ અગોચર વિશ્વમાં આત્મા સ્વરૂપે ભટકી રહી હતી, કોઈ તેને જોઈ કે સાંભળી શકતું હતું નહીં..

જાણે આ સ્વાર્થી દુનિયામાં પોતાનું કોઈ હોય જ નહીં એવું પોતે મહેસુસ કરી રહી હતી….પરંતુ આજે નિત્યા ખૂબ જ ખુશ હતી કારણ કે તેને પોતાનો પ્રેમ એટલે કે નિસર્ગ અખિલેશનાં રૂપમાં મળ્યો, અને સાથે – સાથે તેને પોતાનો એક પરિવાર પણ મળ્યો કે જેમાં ડૉ. રાજન, ડૉ. અભય, સાક્ષી, દિક્ષિત અભિમન્યુ, હનીફ, અને સલીમચાચાનો સમાવેશ થયેલ હતો…જે બધાં સાથે પોતાને કોઈપણ પ્રકારનો સંબધ ન હોવા છતાંપણ પોતાની મદદ કરવા તૈયાર થઈ ગયાં હતાં.

ત્યારબાદ નિત્યાં પોતાનાં બનેવે હાથ જોડીને આંખોમાં ખુશીઓનાં આંસુ સાથે થોડીવારમાં ધુમાડામાં ફરી પાછી અદ્રશ્ય થઈ ગઈ…!” જ્યારે આ બાજુ બધાં આગળ શું કરવું તેના વિશે વિચારે છે.. અને ત્યારબાદ બધાં એકબીજાથી છુટ્ટા પડે છે, અખિલેશ, દીક્ષિત, ડૉ. રાજન, ડૉ. અભય પોતાનાં રૂમ તરફ ચાલવા લાગે છે….જ્યારે હનીફ, સલીમભાઈ અને ડી.સી.પી અભિમન્યુ પોત-પોતાનાં ઘરે જવાં માટે સિલ્વર સેન્ડ હોટલની બહાર નીકળે છે.

શું ! ડૉ. અભય અને રાજન માટે આ કેસ સંપૂર્ણપણે સોલ્વ થઈ ગયો હતો કે પછી હજુ પણ કોઈ રહસ્યો ઉકેલાવના બાકી હશે….? શું અભિમન્યુ નિત્યા કે નિસર્ગનાં ગુનેગારોને સજા અપાવવામાં સફળ રહેશે….? શું નિત્યાંની ભટકતી આત્માને કાયમિક માટે છુટકારો મળી જશે… ? આ વગેરે પ્રશ્નો ના જવાબો તો હજુ મેળવાના બાકી જ હતાં….જે આવનાર સમય જ જણાવી શકે તેમ હતો….!

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ