ધ ઊટી – નવલકથા ભાગ 11 શું શ્રેયા જ નિત્યા છે…? કે પછી બનેવે અલગ – અલગ વ્યક્તિ હશે….? જો શ્રેયા જ નિત્યા હોય તો પછી એ અખિલેશને કેવી રીતે મળી શકે…

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

લગભગ ત્રીસેક વર્ષ પહેલાં.

સમય – સવારનાં 8 કલાક

સ્થળ – વિશ્વજીતની હોટલ.

સવાર પુરે-પુરી રીતે ખીલી ઉઠી હતી, વાતાવરણમાં એક પ્રકારની તાજગી ફેલાય ગઈ હતી, પક્ષીઓ પણ પોતાના બચ્ચાને માળામાં એકલા છોડીને, ડિટેકટીવ એજન્ટની માફક પોતાના બચ્ચાં માટે ખોરાકની શોધ કરવાં માટે નીકળી પડ્યાં હતાં, સૌ કોઈ પોત-પોતાનાં કામ- ધંધે જવા માટે નીકળી ગયાં હતાં, અને આ ભાગદોડ ભરેલી જિંદગીની રેસમાં જોડાય ગયાં, વિદ્યાર્થીઓ પણ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવાની હૈયામાં હામ રાખીને સ્કૂલે પહોંચી ગયાં હતાં, સવાર એ પોતાની જાતે જ એવું સૂચવે છે કે તમે તમારી ભૂલને ભૂતકાળમાં મૂકીને તમારી એ ભૂલો તમારા વર્તમાનમાં સુધારી નાખો, વહેલી સવારનું વાતાવરણ જ એટલું આહલાદક હોય છે કે સૌ કોઈના મનમાં સ્ફુર્તિ ભરી દે છે, પરંતુ આ દુનિયામાં અમુક લોકો એવાં હોય છે કે એ લોકો એવું ઈચ્છતાં હોય છે કે તેના જીવનમાં સવાર પડે જ નહીં, આ જ આહલાદક સવાર અમુક લોકોના જીવનમાં તુફાન લઈને આવે છે, જે તેના જીવનને એક ચક્રવાત તરફ ખસેડી જાય છે..

આવું જ એક કપલ હતું નિસર્ગ અને નિત્યા જે વિશ્વજીતની હોટલમાં રાત રોકાણું હતું, હાલમાં તો નિસર્ગ અને નિત્યાને વિશ્વજીતની હોટલમાં સહારો મળી ગયો હતો, પરંતુ અફસોસ કે આ બનેવને તેના પરિવાર કે સમાજ તરફથી કોઈ સહારો કે આધાર મળેલ ન હતો, સવાર પડતાંની સાથે જ નિસર્ગના મનમાં ચાલી રહેલ ટ્રેને એક્સપ્રેસ ટ્રેનની માફક ઝડપ પકડી….હવે બનેવ ક્યાં જશે….? ક્યાં રોકાશે…? કયાં સુધી આવી રીતે ભટકતાં રહેવું પડશે….? કોની પાસે જઈને મદદ માંગવી….? કોણ આગળ ચાલીને તે બનવેની મદદ કરશે….? શું થશે આગળ જતાં ….? શું પરિણામ આવશે…..? શું બનેવનો પ્રેમ સફળ થશે….? શું નિસર્ગ અને નિત્યા બનેવનો સાથ એકબીજા સાથે જીવનનાં અંત સુધી રહશે….? – આવા વગેરે પ્રશ્નો નિસર્ગને ઘેરી રહ્યાં હતાં.

ત્યારબાદ નિસર્ગ અને નિત્યા વિશ્વજીતની હોટલમાંથી ચેક આઉટ કરે છે, આ સમયે નિસર્ગની આંખોમાં હતાશા પ્રસરેલી હતી, પરંતુ તેની આંખોના એક ખૂણામાંથી નિત્યા માટે નો અપાર પ્રેમ પણ ટપકી રહ્યો હતો, જે એવું સૂચવી રહ્યાં હતાં કે નિસર્ગ નિત્યા માટે આખી દુનિયા સામે લડવા તૈયાર હતો, પછી ભલે સામે કોઈ મોટી તોપ કેમ ના હોય…! પછી નિસર્ગ રિસેપશન કાઉન્ટર પર બેસેલા વિશ્વજીતને બિલ ચૂકવીને હોટલની બહાર નીકળે છે.

વિશ્વજીત નિસર્ગ અને નિત્યાને જોઈને સમજી ગયો હતો કે આ બનેવે એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે, જે પોતાનો માળો છોડીને આ ખુલ્લા આકાશમાં એક ઊંચી ઉડાન ભરવા માટે નીકળી પડેલ હતાં, જેનો આપણાં કહેવાતા શિક્ષિત સમાજે તિરસ્કાર કર્યો હશે….આ આવડી મોટી દુનિયામાં હજારો વ્યક્તિઓ હોવાં છતાં પણ બનેવ પોતાની જાતને આ દુનિયામાં એકલા જ મહેસુસ કરી રહ્યાં હતાં.

આપણી દુનિયામાં જાણે પ્રેમ કરવો કોઈ ગુનોહ હોય તેવું નિસર્ગ અને નિત્યા અનુભવી રહ્યાં હતાં, આપણાં સમાજનાં લોકો પોતાના જુનાં રૂઢિચુસ્ત જડ નિયમોને લીધે પોતાનાં સંતાનોના પ્રેમને સમજી શકતાં નથી હોતાં, જેનું પરિણામ એટલું ભયંકર હોય છે કે કદાચ માતાં-પિતાએ પોતાનાં સગા સંતાનોને પણ ક્યારેક ગુમાવવાનો વારો આવતો હોય છે, જો છોકરો અમીર બાપનો વંઠેલ કે કપાતર હોય, આખો દિવસ માત્ર લવારીઓ કરતો ફરતો હોય, બે પૈસા કમાવવાની ત્રેવડ ના હોય તો માતા-પિતા અને તેમના બનાવેલા જડ રૂઢિચુસ્ત નિયમો બરાબર છે, પરંતુ જો છોકરો વ્યવસ્થિત ઘરનો હોય, સારું ભણેલ હોય, સારું કમાતો હોય, પોતાની દીકરીને હરહંમેશ ખુશ રાખવા માટે સક્ષમ હોય…તો આ સમયે દરેક માતાં-પિતાએ પોતાના જડ નિયમોને તોડીને આગ લગાવી દેવી જોઈએ….જ્યારે આ બાબત આપણાં સમાજમાં રહેલ દરેક માતાં-પિતાં સમજતાં થઈ જશે…એ સમયે સાહેબ તમારું સંતાન કાયમિક માટે તમારૂં જ બની રહેશે…!

આવા સમયે માતાં-પિતાને પોતાનાં સંતાન પ્રત્યે અને સંતાનને પોતાના માતા-પિતા પ્રત્યે એટલી નફરત થઈ જાય છે કે જેની કોઈ સીમાઓ નથી હોતી….એક દીકરી કે જે આ આખી દુનિયામાં પોતાનાં પિતાનાં ખોળાને દુનિયામાં સૌથી સુરક્ષિત ગણતી હોય કે માનતી હોય…એ જ પુત્રીને તેના પિતાથી ડર લાગવા માંડે છે, સામે જવાની તો વાત અલગ રહી…પરંતુ એ દીકરી પોતાના પિતા સાથે વાત પણ નથી કરી શકતી.

આમ નિસર્ગ અને નિત્યા બનેવની આવી જ મનોદશા હતી, હોટલની બહાર નીકળીને કયાં જવું એ ખ્યાલ નહોતો આવી રહ્યો, એવામાં એક ટેક્ષી વાળો આવે છે અને પૂછે છે… “સાહેબ ! ક્યાં જવું છે…ટેક્ષી ભાડે કરવી છે…?”- ટેક્ષી ડ્રાઇવરે નિસર્ગની સામે જોઈને પૂછ્યું. “ભાઈ ! ક્યાં જાવું એ મને ખ્યાલ નથી….પરંતુ અહીંથી એકદમ નજીકમાં હોય એવી કોઈએક શાંત જગ્યાએ અમારે જાવું છે…!” – નિસર્ગ મૂંઝાતા બોલ્યો.

“સાહેબ ! તો પછી…અહીંથી માત્ર 6 કિ.મી દૂર એક આવું જ શાંત સ્થળ આવેલું છે….ટાઇગર હિલ…જયાં એકદમ નીરવ શાંતિ હશે…અને તમે ત્યાં એકદમ નિરાંતે બેસી શકો છો, કુદરતી સૌંદર્યથી ભરપૂર, ચારેય બાજુએથી લીલાંછમ વૃક્ષોથી ઘેરાયેલ ટેકરીઓ ત્યાનું મુખ્ય આકર્ષણ છે…” – ટેક્ષી ડ્રાઇવર ટાઇગર હિલની પ્રશંશા કરતાં બોલ્યો.

“બસ..બસ..તો ત્યાં જ અમને લઈ જાવ…મેં તે જગ્યા વિશે ઘણું બધું સાંભળેલ તો છે !” – નિસર્ગે ટેક્ષી ડ્રાઇવરને અધવચ્ચે જ અટકાવતાં કહ્યું. “સારું ! સાહેબ…બેસો ત્યારે..” – ટેક્ષી ડ્રાઇવર ટેક્ષી શરૂ કરતાં બોલે છે. ત્યારબાદ નિસર્ગ અને નિત્યા તે ટેક્ષીમાં બેસી જાય છે, અને ટાઇટર હિલ તરફ જવા રવાનાં થાય છે, થોડીવારમાં તેઓ ટાઇગર હિલે પહોંચી જાય છે, અને નિસર્ગ પેલા ટેક્ષી ડ્રાઈવરને ભાડું ચુકેવે છે, અને તે બનેવે ટાઇગર હિલ તરફ ચાલવા લાગે છે.

ટાઇગર હિલે પહોંચતા જ નિસર્ગ અને નિત્યાને થોડું સારું લાગે છે, તે બનેવનો ડર પણ પહેલા કરતાં ઓછો થયો, બનેવે ટાઇગર હિલ પર ફરે છે, અને ત્યારબાદ તે ટેકરીને કિનારે આવેલ બાંકડા પર નિત્યા બેસે છે, અને નિસર્ગ નિત્યાનાં ખોળામાં પોતાનું માથું રાખીને બાંકડા પર લંબાઈ જાય છે, અને બનેવ એકબીજાની આંખોમાં આંખ પરોવીને વાતો કરવાનું શરૂ કરે છે, અને પોતાની લવ સ્ટોરી જયાંથી શરૂ થઈ હતી….તેના વિશે વિચારવા લાગે છે અને પોતાના પ્રેમની અમૂલ્ય પળોમાં ખોવાઈ જાય છે.

નિસર્ગ એ ઊટીની એકદમ નજીક આવેલ ઉડગમંડલ્મમાં રહેતો હતો, જ્યારે નિત્યાએ ઊટીમાં જ રહેતી હતી, નિસર્ગએ ઊટીમાં એક કોમ્યુટર કલાસ ચલાવતો હતો, જેમાંથી તેને સારી એવી આવાક થઈ જતી હતી…જે તેના પરિવારનું ગુજરાન પૂરું કરવા માટે પૂરતું હતું, નિસર્ગનું આખુ કુટુંબ ખુશીથી રહેતું હતું, તેના પરીવારમાં એક વૃધ્ધ માતા, એક નાની બહેન હતી.

જ્યારે નિત્યાં ઊટીનાં નામાંકિત એવા આર.કે બિલ્ડર રાઘવ કેશવાણીની એકની એક પુત્રી હતી, ગરીબી કોને કહેવાય ? દુઃખ શું હોય…? ભૂખ શું હોય….? મહેનત કોને કહેવાય…? આ બધું તો નિત્યા જાણતી જ ન હતી…. કારણ કે નિત્યાનું આખે-આખું બાળપણ જાહોજલાલીમાં જ વિતેલ હતું, નિત્યાના ઘરે એટલો વૈભવ વિલાસ હતો કે નિત્યા દૂધ માંગે તો ખીર મળે તેવી તેના પરીવારની પરિસ્થિતિ હતી.

એક દિવસ નિસર્ગ જ્યારે પોતાના કોમ્પ્યુટર કલાસમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો, એવામાં નિત્યા તેની એક ફ્રેન્ડ સાથે નિસર્ગના કોમ્પ્યુટર કલાસે આવી, અને તે જ દિવસથી નિત્યાંએ નિસર્ગના કોમ્પ્યુટર કલાસમાં એડમિશન લીધું, ધીમે-ધીમે દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ વીતવા લાગ્યાં, જ્યારે આ બાજુ નિસર્ગ અને નિત્યા એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં, એકબીજાને પોતાનું દિલ આપી બેસેલા હતાં. બનેવે એકબીજા સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર થઈ ગયાં હતાં.

પરંતુ મિત્રો કહેવાય છે કે આ દુનિયામાં તમે ખુશ હો એ તમારું મોટામાં મોટું કમનસીબ ગણાય કારણ કે જે લોકો તમારા સારામાં રાજી નથી કે તમને ખુશ નથી જોઈ શકતાં તે વ્યક્તિઓને આ બાબત આંખમાં કણાંની માફક ખૂંચી રહી હોય છે, આવું જ નિસર્ગ અને નિત્યાના કેસમાં પણ બન્યું, નિસર્ગના જ કલાસમાં આવતી એક સ્ટુડન્ટ દિવ્યા પણ નિસર્ગને મનોમન ચાહતી હતી, આથી અદેખાઈ કે બદલો લેવાની ભાવનાથી દિવ્યાએ આ બધી બાબત નિત્યાના પિતા રાઘવ કેશવાણીને કોલ કરીને જણાવી, આ વાત સાંભળીને નિત્યાનાં પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો, અને દિવ્યાને કહ્યું કે, “હવે… હું નિસર્ગ અને નિત્યાને જીવતા નહીં છોડું…તે બનેવને મારા હાથે જ મારી નાખીશ..!” – આ સાંભળી દિવ્યા ગભરાઈ ગઈ, આથી તેણે આ આખી ઘટનાં નિસર્ગને જણાવી દીધી…..હાલમાં નિત્યાના પિતા સાથે વાતચીત કરવાનું કોઈ જ મતલબ નથી આવું વિચારીને અને પોતાના પરિવારના અન્ય સભ્યો હેરાન ના થાય તેવું વિચારીને નિસર્ગ અને નિત્યા એ જ દિવસે પહેરેલા કપડે જ ભાગી જાય છે, નિસર્ગ ખાસ કરીને નિત્યાને કાઈ થવા દેવા માંગતો ન હતો.

ત્યારબાદ નિસર્ગ અને નિત્યા તે દિવસે રાતે વિશ્વજીતની હોટલમાં નાઈટહોલ્ટ કરે છે, જ્યારે આ બાજુ નિત્યાના પિતા તેના મિત્ર કે જે ઊટીનાં એમ.એલ.એ હતાં તેને અને અન્ય ચાર વ્યક્તિઓ સાથે નિત્યાને શોધતાં- શોધતાં વિશ્વજીતની હોટલ વાળા વિસ્તારમાં આવી પહોંચે છે, આ બધાં ત્યાં રહેલાં હાજર બધાં જ લોકો અને દુકાનદારોને નિત્યા વિશે પુચ્છપરછ કરે છે, પરંતુ નિત્યા વિશેનાં કાંઈ સમાચાર મળતાં નથી, ત્યારબાદ આ બધાં પૂછપરછ કરતાં-કરતાં પેલા ટેક્ષી ડ્રાઈવરને નિત્યા વિશે પૂછપરછ કરે છે, એ ટેક્ષી ડ્રાઇવર નિત્યાનાં પિતાને જણાવે છે કે તે નિસર્ગ અને નિત્યાને પોતાની જ ટેક્ષીમાં થોડીવાર પહેલા જ ટાઇગર હિલે ઉતારીને આવેલ છે.આ સાંભળી નિત્યાના પિતાએ પોતાની સાથે આવેલા અન્ય વ્યક્તિઓને લઈને પોતાની કાળા રંગની સ્કોર્પિયો ટાઇગર હિલ તરફ વીજળી વેગે ભગાવે છે.

આ બાજુ નિસર્ગ હાલમાં પણ નિત્યાના ખોળામાં માથું રાખીને સૂતેલો હતો, અને પોતાના પ્રેમની અમૂલ્ય પળોને યાદ કરીને એકબીજામાં ખોવાયેલા હતાં, એવામાં નિત્યાનું ધ્યાન પોતાની સામેથી ગુસ્સાથી લાલચોળ થઈને તેમની તરફ આવી રહેલા તેના પિતા તરફ ગયું, જેના હાથમાં રિવોલ્વર હતી, અને તેની સાથે રહેલા એમ.એલ.એનાં હાથમાં ખુલ્લી ધારદાર તલવાર હતી, જ્યારે બીજા ચાર વ્યક્તિઓનાં હાથમાં પણ હથિયારો હતાં.

“એ ! રહ્યો પેલો હરામી….મારી દીકરીને ભગાડી જનારો..” – નિત્યાના પિતાએ એક બુમ પાડી, અને તે બધાં નિસર્ગ અને નિત્યા જે બાંકડા પર બેસેલા હતાં, એ તરફ વાયુ વેગે આગળ ધપ્યા.

આ જોઈ જાણે નિસર્ગે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો, નિસર્ગ આમ તો એકદમ શાંત સ્વભાવ ધરાવતો હતો, પરંતુ હાલમાં આવેલ પરિસ્થિતિએ તેને રોદ્ર સ્વરૂપ ધારણ કરવાં માટે મજબૂર કરી દીધો હતો, આથી નિસર્ગ નિત્યાનો હાથ પકડીને ટાઇગર હિલ પર જ આવેલા સ્મશાન બાજુ જાય છે, ત્યાં જ તેના હાથમાં એક લાકડું આવી જાય છે, ત્યારબાદ ખેલાય છે, લોહીની હોળી નિસર્ગ પોતાનાંમાં જેટલી હિંમત હતી એ બધી હિંમત એકઠી કરી અને જ્યાં સુધી તેના શરીરે સાથ આપ્યો ત્યાં સુધી નિસર્ગ આ બધાં લોકો સાથે લડતો રહ્યો, આ દરમ્યાન નિસર્ગના પગમાં ભારે ઇજા થાય છે, જયારે આ બાજુ નિત્યાના પિતાએ નિત્યાના માથાનાં ભાગે બંદૂકની નાળ રાખી હતી જ્યારે એમ.એલ.એ નિસર્ગ તરફ ખુલ્લી તલવાર તાકીને ઉભો હતો, નિસર્ગે ઉભા થવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તેના પગમાં થયેલ ભારે ઈજાને લીધે તે ઉભો નહોતો થઈ શકતો…નિસર્ગે એમ.એલ.એ અને નિત્યાના પિતા પાસે ઘણી આજીજી કરી પરંતુ તેની એકપણ વાત કોઈએ સાંભળી નહીં….

ત્યારબાદ નિત્યાનાં પિતા નિત્યાના માથાનાં ભાગે રાખેલ બંદૂકનું ટ્રિગર દબાવે છે, અને નિત્યા…”નિસર્ગ” એવી એક બુમ પાડીને જ એક જ ઝટકામાં જમીનદોસ્ત થઈ ગઈ, આ બાજુ એમ.એલ.એ એ નિર્સગનાં ગળાના ભાગે તલવાર વડે એક ઘા માર્યો, એટલીવારમાં નિસર્ગે પણ પોતાનો જીવ ગુમાવી દીધો….આમ માત્ર થોડીક જ ક્ષણોમાં નિસર્ગે અને નિત્યાએ પોતાનો જીવ ગુમાવી દીધો. જે થોડીક જ મિનિટો પહેલા પોતાનો નવો સંસાર શરૂ કરવાનાં સપનાઓ સેવી રહ્યાં હતાં, અફસોસ કે તેનો સંસાર શરૂ કરવાનું સપનું કાયમિક માટે સપનું જ બનીને રહી ગયું.

આ બાજુ પોતે એક સમયે જેને પોતાના જીવ કરતા પણ વધારે વ્હાલ કરતાં હતાં એ નિત્યાનાં જમીન પર પડેલ નિષ્પ્રાણ શરીરને જોઈને નિત્યાના પિતાને પોતે ગુસ્સાને લીધે બહુ મોટી ભૂલ કરી બેઠા હતાં, એ વાત સમજાવા લાગી, પરંતુ હવે અફસોસ કરવાનો કોઈ મતલબ કે અર્થ રહ્યો ના હતો, આથી પોતાનો ગુસ્સો શાંત પડતાની સાથે જ નિત્યાના પિતાએ જમીન પર પડેલ નિત્યાનું માથું પોતાનાં ખોળામાં મૂકીને રડવા લાગે છે.

નિત્યાના પિતા જ્યારે નિત્યાનું માથું પોતાના ખોળામાં રાખીને રડી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેના પીઠનાં ભાગે કોઈએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોય તેવી વેદના થઈ, પાછળ વળીને જોયી તો એમ.એલ.એ એ નિત્યાના પિતાની પીઠમાં તલવાર ભોંકી દીધી હતી. નિત્યાના પિતાને ખૂબ જ વેદના થતી હોવાથી તડપી રહ્યાં હતાં, આ સમયે તેને સમજાય રહ્યું હતું તેણે પોતાની ફુલ જેવી દીકરીને જયારે ગોળી મારી ત્યારે નિત્યાને કેટલી વેદના કે પીડા થઈ હશે….?

આ બાજુ એમ.એલ.એ રાક્ષસની માફક ખડખડાટ હસતાં – હસતાં બોલ્યો કે, “તને શું લાગી રહ્યું હતું કે હું તને મદદ કરી રહ્યો હતો એમ…ના રે ના….હું સ્વાર્થ વગર તો મારા સગા બાપની પણ મદદ ના કરું…..તો પછી તારી મદદ તો કેવી રીતે કરું…ખરેખર તો મારી નજર તારી પ્રોપર્ટી પર ઘણાં સમયથી હતી જ તે…પરંતુ જ્યારે મને જાણવા મળ્યું કે તે તારી બધી પ્રોપર્ટી તારી દીકરી નિત્યાના નામે કરેલ છે….ત્યારથી હું તારી પ્રોપર્ટી કેવી રીતે પચાવી પાડવી એ વિશે વિચારી રહ્યો હતો, અને જ્યારે સમય આવ્યો ત્યારે મેં તારા જ હાથે તારી દીકરી નિત્યાને મરાવીને નિત્યાને મારા રસ્તામાંથી દૂર કરી હટાવી દીધી….અને ત્યારબાદ તને…પણ મેં મારા રસ્તામાંથી હટાવી દીધો….

એમ.એલ.એ ની વાત સાંભળીને નિત્યાના પિતાને ખુબ દુઃખ થઈ રહ્યું હતું…..પરંતુ હવે એનો કોઈ અર્થ હતો નહીં….આથી નિત્યાના પિતાએ ડચકા લેતાં-લેતાં, તડપતા – તડપતા અને રીબાતા- રિબાત કહ્યું કે…. “યાર ! તારે મારી પ્રોપર્ટી કે રૂપિયા જોતા છે એવું જણાવ્યું હોત તો તને મેં હસતાં-હસતાં મારી અડધી પ્રોપટી તને આપી દીધી હોત. પરંતુ તે મિત્રતાનાં નામે મારી સાથે કપટ કે દગો કર્યો છે….પરંતુ એ ના ભૂલતો કે તે આ જન્મમાં કરેલા પાપની સજા તારે તારા આ જ જન્મમાં ભોગવવી પડશે….ભગવાન જરૂરને જરૂર કોઈકને તો મોકલશે જ તે તને તારા પાપની સજા દેવા માટે….મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે જેની સજા મને હાલ મળી ગઈ છે….” – આટલું બોલતાની સાથે જ નિત્યાના પિતાએ પોતાનો દમ તોડ્યો, અને છેલ્લો શ્વાસ લીધો.

આમ એક જ સ્થળે ત્રણ – ત્રણ લાશ પડેલ હતી….નિસર્ગ….નિત્યા અને નિત્યાના પિતાની…જેની કોઈએ કલ્પના પણ નહીં કરેલ હોય. ત્યારબાદ એમ.એલ.એ એ તેની સાથે આવેલા અન્ય વ્યક્તિઓની મદદથી આ ત્રણેય લાશને ટાઇગર હિલની ટેકરીથી નીચે ફેંકાવી દીધી…..એમ.એલ.એ નાં માણસોએ આ બધી લાશો થોડીવાર પહેલા નિસર્ગ અને નિત્યા જે બાંકડા પર બેસેલા હતાં, ત્યાંથી જ નીચે ફેંકી દીધી….પછી એમ.એલ.એ એ તેની સાથે આવેલા આ ચારેય વ્યક્તિઓને એક એક લાખ રૂપિયા આપીને પોતાના શહેરમાં જવા માટે સૂચના આપી…અને ભવિષ્યમાં પણ પોતાનું મોં કોઈની સામે ન ખોલવાની ધમકી પણ આપી….ત્યારબાદ એમ.એલ.એ અને આ બધાં વ્યક્તિઓ અલગ – અલગ થઈને પોત-પોતાના રસ્તે ચાલવા લાગે છે….

કોણ હતું આ નિસર્ગ અને નિત્યા…? આ લોકો અખિલેશ સાથે શું સબંધ ધરાવતાં હશે….? નિત્યા અને શ્રેયા સાથે શું સંબધ ધરાવતી હશે….? શું નિત્યાનાં પિતાએ કહ્યું તે મુજબ એમ.એલ.એ ને તેના પાપની સજા મળશે….? અખિલેશને આવતાં ડરામણા અને ભયંકર સપનાનું રહસ્ય આ ટાઇગર હિલમાં જ કયાંક છુપાયેલ હશે….? આ બધાં જ પ્રશ્નોનો જવાબ આવનાર સમય સિવાય કોઈ જણાવી શકે તેમ ન હતું….!

(ડૉ. રાજન જ્યારે પોતાની વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં રાઉન્ડ લઈ લઈ રહ્યાં હતાં, બરાબર એ જ સમયે દિક્ષિત અખિલેશને બેભાન હાલતમાં લઈને આવે છે, આથી ડૉ. રાજન અખિલેશને સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં દાખલ કરીને તાત્કાલિક સારવાર આપવાનું ચાલુ કરી દે છે…..જ્યારે બીજી બાજુ દીક્ષિત સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર બેસે છે, અને તેની આંખોમાંથી દુઃખને લીધે આંસુઓ વહેવા માંડે છે, અને દીક્ષિતનાં મનમાં અનેક વિચારો આવવાં લાગે છે….)

લગભગ એકાદ કલાક બાદ ડૉ. રાજન સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર આવે છે, ડૉ. રાજનને બહાર આવતાં જોઈને દીક્ષિતે ડૉ. રાજનને પૂછ્યું. “સાહેબ ! શું થયું અખિલેશને….? આમ તે એકાએક બેભાન કેવી રીતે થઈ ગયો..? બેભાન થવા પાછળનું કારણ શું છે…? હવે અખિલેશને કેવું છે…? અખિલેશને કઈ થશે તો નહીં ને…? શું અખિલેશ હેમખેમ બચી તો જશેને…? શું અખિલેશને કોઈ ગંભીર બીમારી તો નથી ને..?” – આવા અનેક પ્રશ્નો દીક્ષિતે એક જ સાથે ચિંતાતુર થઈને ડૉ. રાજનને પૂછયાં.

“મિ. દીક્ષિત ! ચિંતા ના કરો…તમે મારી સાથે આવો…!” – પોતાની ચેમ્બર તરફ ઈશારો કરતાં ડૉ. રાજન બોલ્યાં. દીક્ષિત જ્યારે ડૉ. રાજનની ચેમ્બરમાં દાખલ થયો, ત્યારે ડૉ. રાજનની ચેરની સામે ડૉ અભય બેસેલ હતાં, ડૉ. અભય તરફ ઈશારો કરતાં ડૉ. રાજન બોલ્યાં. “દીક્ષિત ! મીટ ધ ડૉ. અભય વુ ઇસ વેલ નોન સાઈકિયાટ્રીસ્ટ ઓફ અવર સીટી…” “હેલો ! સર..!” – દીક્ષિતે પોતાનાં ચહેરા પર સ્મિત સાથે બોલ્યો. “બટ ! સર…! અખિલેશ…?” – થોડાક મૂંઝાતા અવાજમાં દીક્ષિત બોલ્યો.

“યસ ! મિ. દીક્ષિત ! હું અને અભય સાથે મળીને અખિલેશનો કેશ હેન્ડલ કરી રહ્યાં છીએ, જ્યારે તમે અખિલેશને બેભાન હાલતમાં અહીં લઈને આવ્યાં હતાં, ત્યારે જ મારી હોસ્પિટલના કર્મચારીને કહીને મેં ડૉ. અભયને મારી હોસ્પિટલે બોલાવી લીધાં હતાં, ડૉ. અભયને નેશનલ લેવલે એટલે કે ઓલ ઇન્ડિયા સાઈકિયાટ્રિક એસોસિએશન દ્વારા બેસ્ટ સાઈકિયાટ્રીસ્ટનો એવોર્ડ પણ મળેલ છે, જેણે માનવામાં ના આવે તેવા ચિત્ર – વિચિત્ર કેસોને પણ સારી રીતે હેન્ડલ કરેલા છે, અને તેમાં તેમને સફળતાં પણ મળેલ છે.” – ડૉ. રાજન ડૉ. અભયનો પરિચય આપતાં બોલ્યાં.

“સી.! મિ. દીક્ષિત ! મેં અત્યાર સુધીમાં ઘણાં ચિત્ર-વિચિત્ર કેસ હેન્ડલ કરેલાં છે, અને હું અને રાજન છેલ્લા ઘણાં સમયથી અખિલેશની સારવાર કરી રહ્યાં છીએ પણ અખિલેશનો કેસ અત્યાર સુધી મેં હેન્ડલ કરેલા બધાં જ કેસ કરતાં, મને કંઈક અલગ જ લાગે છે, અખિલેશની અમે સારવાર ચાલુ કરી જ દીધી છે…” – ડૉ. અભયે દીક્ષિતને સમજાવતાં કહ્યું. “સાહેબ ! પણ ! અખિલેશને સારું તો થઈ જશેને…?” – દીક્ષિતે હળવા અવાજમાં પૂછ્યું.

“સી.! મિ. દીક્ષિત અખિલેશ હાલમાં તો સંપૂર્ણ રીતે સુરક્ષિત જ છે, એટલે કે આઉટ ઓફ ડેન્જર છે, અને હમણાં થોડી જ કલાકોમાં અખિલેશ પહેલાની માફક ભાનમાં આવી જશે…પરંતુ અખિલેશને અમારે આ હોસ્પિટલમાં 24 કલાક માટે ઓબસર્વેશનમાં રાખવો પડશે…!” – ડૉ. રાજન બોલ્યાં.

“સાહેબ ! એમાં મને કોઈ વાંધો નથી…તમારે અખિલેશને જેટલો સમય હોસ્પિટલમાં દાખલ રાખવો હોય, એટલો સમય દાખલ રાખો…પરંતુ અખિલેશને કાંઇ ના થવું જોઈએ…પછી ભલે ગમે તેટલા રૂપિયાનો ખર્ચ થાય…હું એ ભોગવવા તૈયાર છું… બસ અખિલેશને કોઈપણ કિંમતે કંઈ ના થવું જોઈએ.” – દીક્ષિત ડૉ. રાજન અને અભયને વિનંતી કરતાં બોલ્યો.

“અરે ! કાંઈ નહીં થશે અખિલેશ…તમે ચિંતા ના કરીશો…!” “પણ ! સાહેબ અખિલેશને થયું છે શું…?” – દીક્ષિતે પૂછ્યું. “હાલમાં અખિલેશની કંડીશન અને તમે આપેલ હિસ્ટ્રી જોતા એવું લાગે છે કે અખિલેશ પી.ટી.એસ.ડી (P. T. S. D.) નો ભોગ બન્યો હોય…!” – ડૉ. અભયે દીક્ષિતને જણાવતાં કહ્યું. “સાહેબ ! પી.ટી.એસ.ડી એ વળી શું છે…?” દીક્ષિતે આશ્ચર્ય પામતાં પૂછ્યું.

“પી.ટી.એસ.ડી એ એક મેડિકલ ટર્મ છે, જે ખાસ કરીને સાઈકિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં વપરાય છે જેનો મતલબ થાય…”પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર.” જેમાં વ્યક્તિ સાથે કોઈ દુર્ઘટના અથવા પોતે ધારેલ ન હોય તેવી અણધારી આફત કે મુસીબત આવે…અને આ મુસીબત કે આફત ફરી પાછી આવશે…એનો સતત વધારે પડતો ડર લાગ્યાં કરે કે ચિંતા થયાં કરે તેને પી.ટી.એસ.ડી. કહેવામાં આવે છે…..અખિલેશનાં કેસમાં પણ કોઈ એક એવી ઘટનાં ચોક્કસ બની હશે કે જેને પોતે કે પોતાનું મન કોઈપણ સંજોગોમાં સ્વીકારવા તૈયાર ન હોય, આથી અખિલેશને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો…

જેને લીધે અખિલેશનાં મગજમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું, અને આ સ્ટ્રેસનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે અખિલેશનું શરીર આ આઘાત કે સ્ટ્રેસને સહન ના કરી શકયું….આથી અખિલેશ બેભાન થઈ ગયો… હવે તો સૌ પ્રથમ આપણે અખિલેશ સાથે શું ઘટના બની હશે કે જેને લીધે આટલો ઊંડો આઘાત લાગ્યો હશે…એ આપણે જાણવું જરૂરી છે.” – ડૉ.રાજને અને અભયે દીક્ષિતને સમજાવતાં કહ્યું. પણ હા મને એ તો જણાવો કે અખિલેશની તબિયત બગડી એ તમને કેવી રીતે ખબર પડી…?” – ડૉ. અભયે દીક્ષિતને અધવચ્ચે ચાલુ વાતે અટકાવતાં પૂછ્યું.

” સાહેબ ! આજે સવારે જ્યારે હું મારી કંપનીએ કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં મારા મોબાઈલમાં કોલ આવ્યો, મેં ડિસ્પ્લે પર નજર કરી, તો તેમાં લખેલ હતું, અનનોન નંબર, આથી મેં કોલ રિસીવ કર્યો, તો સામેંથી મને એક છોકરીનો અવાજ સંભળાયો જેણે પોતાનું નામ સાક્ષી જણાવેલ હતું, તેણે મને કહ્યું કે તમે અખિલેશને મદદ કરો, હાલમાં તે કોઈ મોટી મુસીબતમાં હોય એવું મને લાગે છે, મેં તેને પૂછ્યું કે મારો નંબર તમારી પાસે ક્યાંથી આવ્યો….તો તેણે મને કહ્યું કે હું આ બધું તમને પછી શાંતિથી જણાવીશ તમે પહેલા અખિલેશને મદદ કરો અને તેને બચાવો પ્લીઝ…!

આથી મેં એકપણ સેકન્ડ વેસ્ટ કર્યા વગર જ મારી કાર અખિલેશનાં ફ્લેટ તરફ વાળી, અખિલેશનાં નસીબ એ સમયે ખુબજ સારા હતાં કારણ કે એ સમયે હું અખિલેશનાં ફ્લેટથી માત્ર દસ જ મિનિટ દૂર હતો, આથી મેં મારી કારની સ્પીડ વધારી અને એકદમ ઝડપથી અખિલેશનાં ફલેટે પહોચ્યો, ત્યાં જઈને મેં જોયું તો અખિલેશ તેના ફ્લેટની ફ્લોર પર બેભાન થઈને પડેલ હતો, અને તેની આસપાસ ચા અને નાસ્તો ઢોળાયેલ હતો…” – આટલું બોલતાં દીક્ષિતની આંખોમાં આંસુ આવી ગયાં, અને રડવા જેવો થઈ ગયો.

“મિ. દીક્ષિત ! ડોન્ટ વરી…તમે તમતમારે કંઈપણ ચિંતા કર્યા વગર સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર બેસો… અખિલેશ થોડાક જ કલાકમાં ભાનમાં આવી જશે….!” – ડૉ. રાજનએ દીક્ષિતને હિંમત આપતાં કહ્યું. ત્યારબાદ દીક્ષિત પોતાના આંસુઓ લૂછતાં-લૂછતાં, ડૉ. રાજનની ચેમ્બરની બહાર નીકળે છે, અને સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર રાખેલ બેંચ પર બેસે છે, ત્યારબાદ પોતાની સાથે આવેલા કંપનીનાં અન્ય કર્મચારીઓને કંપનીએ જવા માટેની સૂચના આપે છે…..અને પોતે વેદાંત હોસ્પિટલમાં જ રોકાય છે.

આ બાજુ ડૉ. રાજન અને ડૉ. અભય અખિલેશનો કેશ કેવી રીતે સોલ્વ કરવો તેના માટેની સ્ટ્રેટેજી નક્કી કરવાં માંડે છે, અભય રાજનને જણાવે છે કે… “સી ! રાજન ! આપણી પાસે અત્યાર સુધી ઘણાં જ કેસો આવ્યાં હશે..અને એ બધાં કેસ આપણે સારી રીતે સોલ્વ પણ કરેલા છે…..પરંતુ હું એવું માનું છું કે અખિલેશનો કેસ માત્ર હોસ્પિટલ લેવલે સોલ્વ થઈ શકે એમ નથી….” – અભયે કંઈક વિચારીને રાજનને જણાવ્યું. “અભય મને કંઈ સમજાયું નહીં.” – રાજને નવાઈ સાથે અભયને પૂછ્યું.

“જો ! રાજન આપણે અખિલેશનો કેસ સોલ્વ કરવો હોય, કે પછી તેના કેસ સાથે જોડાયેલા રહસ્યોનો ઉકેલ લાવવો હોય તો તેના મૂળ સુધી પહોંચવું પડશે….આઈ મીન કે આ કેસ જયાંથી શરૂ થયો ત્યાં જ પૂરો થશે….એટલે કે આ કેસનું રહસ્ય કે મૂળ.. જરૂરને જરૂર ઊટી સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલું હોય તેવું મને લાગે છે…!” – અભયે પોતાનાં વિચાર જણાવતાં રાજનને કહ્યું.

“તો..તારું શું માનવું છે…? આ બાબતે…?” – રાજને પૂછ્યું. “આ કેસ સોલ્વ કરવાં માટે મારે ઊટી જાવું પડશે…!” – અભય પોતાનો વિચાર રજુ કરતાં બોલ્યો. “ઓકે ! સ્યોર ! એઝ યુ વિશ….તને જે ઠીક લાગે તે કર… આઈ હેવ નો એની ઓબજેક્શન..!” – ડૉ. રાજને અભયનાં વિચાર સાથે સહમતી દર્શાવતા કહ્યું. “ઓકે ! સ્યોર…! આઈ એમ એસેપટિંગ ધીસ ચેલેજ.!” – ડૉ. અભય એક આત્મ વિશ્વાસ સાથે બોલ્યાં. એટલીવારમાં દીક્ષિત ડૉ. રાજનની ચેમ્બરનો દરવાજો ખટ-ખટાવે છે, અને ચેમ્બરમાં આવવાની પરમિશન માંગે છે, અને પોતાનો મોબાઈલ ડૉ. રાજનને આપતાં કહે છે કે…

“સાહેબ ! સાક્ષી…જેણે મને અખિલેશ મુસીબતમાં હતો, અને તેની મને જાણ કરી તેનો ઊટીથી કોલ છે…!” – પોતાનો મોબાઈલ ડૉ. રાજનને આપતાં દીક્ષિત બોલે છે. “હેલો..” “હેલો ! ગુડ મોર્નિંગ ! સર..!” – સાક્ષી વિશ આપતાં બોલે છે. “ગુડ મોર્નિંગ ! સાક્ષી…!” – ડૉ. રાજન બોલ્યાં. “સર ! હું સાક્ષી વાત કરું છું, હું ઊટીની સિલ્વર સેન્ડ હોટલમાં રીસેપનિસ્ટ તરીકે નોકરી કરું છું….!” – સાક્ષી પોતાનો પરિચય આપતાં બોલી.

“ઓકે ! સાક્ષી ! મને તું અખિલેશ વિશે કે તેની સાથે ઊટીમાં જે ઘટનાં બની એના વિશે તું જે કંઈ પણ જાણે છો, એ મને વિસ્તારપૂર્વક જણાવ, જેથી અમે અખિલેશની સારવાર વ્યવસ્થિત અને સારી રીતે કરી શકીએ….હાલમાં તું એક જ એવી વ્યક્તિ છો કે જે અખિલેશ સાથે ઊટીમાં શું ઘટનાં બની તેના વિશે અમને જણાવી શકે….હાલમાં અખિલેશ બેભાન હાલતમાં છે, જેથી તે અમને જણાવી શકે તેવી હાલતમાં નથી…!” – ડૉ. રાજને સાક્ષીને કહ્યું. આ સમયે ડૉ. રાજને દીક્ષિતનો મોબાઈલ ફોન સ્પીકર મોડ પર રાખી દીધો જેથી કરીને ડૉ. અભય અને દીક્ષિત પણ અખિલેશ સાથે ઊટીમાં શું ઘટના બની તેના વિશે જાણી શકે.

ત્યારબાદ સાક્ષીએ અખિલેશ વિશે જે કંઈપણ જાણતી હતી, અથવા અખિલેશે સાક્ષીને પોતાની સાથે જે કંઈપણ બન્યું હતું તે જણાવ્યું હતું, એ જ આખી માહિતી સાક્ષી ડૉ. રાજનને આપે છે. અંતમાં સાક્ષી કહ્યું કે “જે શ્રેયાને અખિલેશ શોધતો-શોધતો અમારી હોટલે આવેલ હતો, એ ખરેખર શ્રેયા નહીં પરંતુ નિત્યા હતી…” – ડૉ. રાજન, ડૉ. અભય અને દીક્ષિત આ વાત સાંભળીને અવાક બની ગયાં.

“બટ ! હાઉ ધેટ ઇઝ પોસીબલ…..?” – ડૉ. રાજન નવાઈ સાથે સાક્ષીને પૂછે છે.

“સર ! અખિલેશ સરે મને અમારી હોટલથી પરત ફરતી વખતે, શ્રેયાનો એક ફોટો અને પોતાની કંપનીનું વિઝીટિંગ કાર્ડ આપેલ હતાં, જે ફોટો મારા બેગમાં હતો, એ જ દિવસે અમારી હોટલનાં માલિક વિશ્વજીત સર આવ્યાં, અને હું તને નમસ્કાર કરવાં ગઈ, ત્યારે મારું પર્સ નીચે પડયું, આથી પર્સમાં રાખેલ બધી વસ્તુઓ ફ્લોર પર ઢોળાય ગઈ, જેમાં શ્રેયાનો ફોટો પણ હતો, અને જોગાનુજોગ અમારી હોટલના માલિકની નજર શ્રેયાનાં ફોટા પર પડી….અને ત્યારબાદ વિશ્વજીત સરે મને શ્રેયા વિશેની આખી માહિતી જણાવી…..

અને જ્યારે મેં આ બાબતે અમારી હોટલનાં રજીસ્ટરમાં વધું તપાસ કરી, તો મને માલુમ પડ્યું કે અખિલેશે જે શ્રેયાનો ફોટો મને આપેલ હતો તે વાસ્તવમાં શ્રેયા નહીં પરંતુ નિત્યા હતી…જેણે વર્ષો પહેલા જ ઊટીનાં ટાઇગર હિલ પર પોતાના પ્રેમી નિસર્ગ સાથે આત્મહત્યા કરી લીધી હતી.” – આ સાંભળી ડૉ. રાજન, ડૉ. અભય અને દીક્ષિતનાં રુવાટાઓ ઉભા થઇ ગયાં, પોતાનાં મગજે જાણે કામ કરવાનું બંધ કરી દીધું હોય તેવું ત્રણેયને લાગી રહ્યું હતું….આ વાત જ એવી હતી કે જેનાં પર વિશ્વાસ આવે તેમ જ ના હતો.

“ધીસ ઇઝ ઈમ્પોસીબલ….!” – ડૉ. રાજન એક ઝટકા કે આઘાત સાથે બોલી ઉઠ્યાં. “સર ! અખિલેશે મને જે ફોટો આપ્યો એ જો શ્રેયાનો જ ફોટો હોય, તો મારું માનવું છે કે તે ફોટામાં જે છે તે શ્રેયા નહીં પરંતુ નિત્યા જ છે….કારણ કે અમારી હોટલનાં જુનાં રજીસ્ટરમાં એ ફોટા સામે નિત્યા એવું જ નામ લખેલ છે….કદાચ માની લો કે અખિલેશે મને જે ફોટો આપ્યો એ શ્રેયાનો હોય, તો પછી નિત્યાએ અમારી હોટલમાં આપલે ઓળખ કાર્ડમાં પણ એ જ ફોટો કેવી રીતે હોઈ શકે….અને એ ઓળખ કાર્ડમાં તો નિત્યાનું સરનામું પણ લખેલ છે.” – આ સાંભળી ડૉ. રાજન, ડૉ. અભય અને દીક્ષિત ખુબ જ આશ્ચર્ય પામ્યાં.

“ઓકે ! સાક્ષી ! તારો ખુબ ખુબ આભાર…..અમને અખિલેશ વિશે અને તેની સાથે ઘટેલ સમગ્ર ઘટનાં વિશે માહિતી આપવા બદલ….! શું તું અમને ભવિષ્યમાં પણ જ્યારે અખિલેશની સારવાર માટે કોઈ માહિતી માટે તારી જરૂર પડશે…તો અમારી આવી જ રીતે મદદ કરીશ…?” – ડૉ. રાજને સાક્ષીને પૂછ્યું. “હા ! સાહેબ ! ચોક્કસ હું તમારી મદદ કરીશ…તમને જ્યારે પણ મારી કોઈ જરૂરીયાત જણાય તો મને કોલ કરી શકો છો…!” – સાક્ષી બોલી. “પણ….તું અખિલેશની આટલી બધી મદદ શાં માટે કરી રહી છો….?” – પોતાનાં મનમાં રહેલ શંકાનું સમાધાન કરતાં ડૉ. અભયે પૂછ્યું.

“સાહેબ ! મને ખબર નહીં કે અખિલેશ જેને પ્રેમ કરે છે, કે કરતો હતો એ શ્રેયા છે કે નિત્યા, પરંતુ મેં અખિલેશની આંખોમાં શ્રેયા પ્રત્યે અપાર અને અખૂટ પ્રેમ જોયેલો હતો, જે તેની આંખોમાં આંસુ હોવા છતાંપણ દેખાય આવી રહ્યો હતો…..આથી મેં મનોમન નક્કી કર્યું કે જો હું બે સાચો પ્રેમ કરનાર પ્રેમી પંખીડાને મેળવવામાં મદદ કરીશ તો એ મારું સદભાગ્ય હશે…આથી મેં અખિલેશને મારાથી બનતી મદદ કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું, આથી હું અખિલેશને મદદ કરી રહી છું….!” – ડૉ. અભયે પૂછેલ પ્રશ્નનો જવાબ આપતાં સાક્ષી બોલી.

“તો ! પછી તારી પાસે મારો મોબાઈલ નંબર ક્યાંથી આવ્યો….?” – દીક્ષિતે મનમાં રહેલ પ્રશ્નનો જવાબ મેળવવા માટે સાક્ષીને પૂછ્યું. “સર ! તમારો કોન્ટેક નંબર મને અખિલેશે આપેલ તમારી ડિજિટેક કંપનીનાં વિઝીટિંગ કાર્ડમાંથી મળ્યો, જેમાં લખેલ હતું દીક્ષિત શાહ…સી.ઈ.ઓ ડિજિટેક સોફ્ટવેર કંપની, મુંબઈ, આથી અખિલેશને મદદ કરવા માટે મેં તમને કોલ કર્યો હતો…!” – સાક્ષી દીક્ષિતે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં બોલી.

“પરંતુ ! આજે તે અખિલેશને આટલાં દિવસ પછી કોલ કર્યો એનું કોઈ ચોક્કસ રિઝન ખરું…?” – ડૉ. અભયે સાક્ષીને પૂછ્યું. “હા ! સાહેબે ! મને અમારાં હોટલ માલિક વિશ્વજીત સર, અને જુનાં રજીસ્ટરમાંથી શ્રેયા વિશે જે વાસ્તવિકતા જાણવાં મળી, તેના વિશે જણવવાં માટે મેં અખિલેશને કોલ કરેલ હતો, પરંતુ અફસોસ કે અખિલેશનાં હૃદયને આ વાત સાંભળીને એટલો આઘાત લાગ્યો કે હું તેને નિત્યા એવું નામ જણાવું તે પહેલાં જ બેભાન થઈ ગયો.” – સાક્ષી જવાબ આપતાં બોલી. “ઓકે ! સાક્ષી ! થેન્ક યુ વેરી મચ…!” – ડૉ. રાજન બોલ્યાં. “ઓલવેઝ ! વેલ કમ સર….મારા લાયક કંઈ જરૂર જણાય તો મને કોલ કરજો..” – સાક્ષીએ પોતાનો નંબર જણાવતાં બોલી.

આ બાજુ ડૉ. રાજનની ચેમ્બરમાં થોડાક સમય માટે એકદમ નીરવ શાંતિ છવાય ગઈ….એક ટાંચણી પડે તો તેનો પણ અવાજ આવે એવો છન્નાટો છવાય ગયો હતો, અખિલેશનો કેસ જાણે અનેક રહસ્યો લઈને બેઠો હોય તેવું ડૉ. રાજન અને અભયને લાગી રહ્યું હતું. અખિલેશનો કેસ માનવામાં ના આવે તેવા નવાં-નવાં વળાંકો લઈ રહ્યો હતો, ડૉ. રાજન અને અભય હજુપણ આ કેસ કેવી રીતે હેન્ડલ કરવો એના વિશે મનોમંથન કરી રહ્યાં હતાં, જ્યારે દીક્ષિત તો આ બધું સાંભળીને એકદમ અવાક જ બની ગયો હતો, અખિલેશ સાથે આ શું થઈ રહ્યું હતું તે તેની સમજમાં નહોતું આવી રહ્યું, અખિલેશનાં નસીબમાં શું લખેલ હશે…તે દીક્ષિતને સમજાતું ન હતું.

એવામાં અચાનક વોર્ડબોય પરેશ ઝડપથી દોડતાં-દોડતાં ડૉ. રાજનની ચેમ્બરમાં આવે છે, અને કહે છે કે… “સાહેબ ! સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં રાખેલ દર્દી અખિલેશ ભાનમાં આવી રહ્યાં છે,….આ સાંભળતાની સાથે જ ડૉ. રાજન, ડૉ. અભય અને દીક્ષિતે સાઈકિયાટ્રિક આઈ.સી.યુ બાજુ પોતાની ખુરશીમાંથી ઉભા થઈને દોટ મૂકી…! ત્યારબાદ ત્રણેય સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં પહોંચે છે…ત્યાં જઈને જુએ છે તો અખિલેશ ધીમે – ધીમે ભાનમાં આવી રહ્યો હતો, અને એ બકવાટ કરી રહ્યો હતો. “પ્લીઝ ! મને કોઈ બચાવો….પ્લીઝ મારી મદદ કરો….તે મને મારી નાખશે….!”

આ સાંભળીને ડૉ. રાજને અખિલેશને હિંમત આપતાં કહ્યું કે “અખિલેશ ! ડરીશ નહીં..તને કાંઈ નહીં થાય….તું અત્યારે હાલમાં મારી હોસ્પિટલે જ છો, અહીં તને કોઈપણ મારવા આવી શકે તેમ નથી….માટે ચિંતા ના કર અને ડરીશ નહીં તને કંઈ નહીં થશે…!” આટલું સાંભળતા જ અખિલેશ એકાએક પૂરેપૂરી રીતે ભાનમાં આવીને પોતાના પલંગ પર સફાળો બેઠો થઈ ગયો, અને નવાઈ સાથે તેણે ડૉ. રાજનને પૂછ્યું. “સાહેબ ! હું તો મારા ફલેટે હતો, હું અહી હોસ્પિટલે કેવી રીતે આવ્યો….? મને અહીં હોસ્પિટલે શાં માટે લાવવામાં આવ્યો છે…? મને શું થયું હતું…? મને અહીં હોસ્પિટલ પર કોણ લઈને આવ્યું..?” – આવા અનેક પ્રશ્નો અખિલેશે ભાનમાં આવતાની સાથે જ પૂછયાં.

ત્યારબાદ દીક્ષિત અખિલેશને આખી વિગત જણાવે છે અને કહે છે કે, “અખિલેશ ! હવે તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી…હું તારી પાસે જ છું, ઉપરાંત ડૉ. રાજન અને ડૉ. અભય પણ અહીં જ છે.” “અખિલેશ ! ઊટીમાં વાસ્તવમાં તારી સાથે શું ઘટના બની હતી તે તું મને જણાવ…!” – ડૉ. અભયે અખિલેશને કહ્યું. ત્યારબાદ અખિલેશ મુંબઈથી ઊટી ગયો, ત્યારથી માંડીને ઊટીથી મુંબઈ પરત ફર્યો, ત્યાં સુધી પોતાની સાથે જે કંઈપણ ઘટના ઘટી કે બની હતી, તેના વિશે વિસ્તારપૂર્વક બધી જ માહિતી આપી. આ માહિતી સાંભળીને ડૉ. અભયને જાણે આ કેસ સોલ્વ કરવાં માટેનું કોઈ કડી મળી ગઈ હોય તેવું લાગતાં બોલ્યાં.

“અખિલેશ ! હવે ! થોડાંક જ દિવસોમાં તને આ ડરામણા કે ભયંકર સપનાઓ માંથી આઝાદી મળી જશે…અને તારા જીવન સાથે જોડાયેલા ઘણાં રહસ્યો પણ ઉકેલાઈ જશે…!” ત્યારબાદ ડૉ. રાજને અખિલેશને આરામ કરવાં માટે જણાવ્યું અને ડૉ.રાજન અને અભય કન્સલ્ટિંગ રૂમ તરફ જાય છે, જ્યારે દીક્ષિત સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં અખિલેશનાં બેડની નજીક રહેલા ટેબલ પર બેસે છે. આ બાજુ ડૉ. રાજન અને અભય કન્સલ્ટિંગ રૂમમાં પહોંચીને ખુરશી પર એકબીજાની સામ-સામે બેસે છે, અને બનેવે વચ્ચે કંઈક ગહન ચર્ચા થાય છે, અને આ ગહન ચર્ચાને અંતે કોઈ મક્કમ નિર્ણય આવેલ હોય તેમ ડૉ. અભય પોતાની ખુરશીમાંથી ઊભાં થતાં- થતાં બોલ્યાં.

“રાજન ! હવે ! જ્યારે આપણે ફરી મળીશું….ત્યારે અખિલેશનો આ કેસ અને અખિલેશનાં જીવન તથા સાથે જોડાયેલા અનેક રહસ્યો પણ…સોલ્વ થઈ ગયાં હશે…” – ત્યારબાદ ડૉ. અભય સાક્ષીનો મોબાઈલ નંબર લઈને પોતાની હોસ્પિટલ તરફ જવા માટે વેદાંત હોસ્પિટલમાંથી બહાર નીકળે છે….અને મનમાં વિચારો કરતાં – કરતાં પોતાની હોન્ડા સીટી કારનો સેલ્ફ મારે છે….અને થોડીક મિનિટોમાં પોતાની હોસ્પિટલે પહોંચે છે….!

મિત્રો ! શું શ્રેયા જ નિત્યા છે…? કે પછી બનેવે અલગ – અલગ વ્યક્તિ હશે….? જો શ્રેયા જ નિત્યા હોય તો પછી એ અખિલેશને કેવી રીતે મળી શકે…કારણ કે નિત્યાએ તો વર્ષો પહેલા જ પોતાના પ્રેમી નિસર્ગ સાથે આત્મહત્યા કરી લીધી હતી…! શું અખિલેશનાં જીવનમાં અજવાસ આવશે કે પછી તેનું ભવિષ્ય આના કરતાં પણ વધારે અંધકારમય બનશે…? શું ડૉ. રાજન અને ડૉ. અભય આ કેસ કે આ કેસ સાથે જોડાયેલા રહસ્યો ઉકેલવામાં સફળ થશે…કે પછી નિષ્ફળતા હાથ લાગશે..? ડૉ. રાજન અને ડૉ.અભય વચ્ચે કન્સલ્ટિંગ રૂમમાં શું ગહન ચર્ચા થઈ હશે…? – આવા વગેરે રહસ્યોનો કે પ્રશ્નોનો ઉકેલ આવશે કે નહીં એ તો આવનારા સમય જ જણાવી શકશે…!

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

લેખક : મકવાણા રાહુલ.એચ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ