બ્રીટેને ફાઇઝર કંપની આપ્યું એપ્રુવલ – આવતા અઠવાડિયાથી રસી આપવાની શરૂઆત થશે
છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી કોરોના વાયરસે આખાએ જગતને પોતાના સકંજામાં જકડી લીધું છે. છેલ્લા કેટલાએ મહિનાઓથી દેશ-દુનિયાની વિવિધ લેબોરેટરીમાં કોરોના વાયરસને ડામવાની રસી શોધવાની તનતોડ મહેનત ચાલી રહી છે. અને લોકો પણ આતુરતાથી કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. કારણ કે કોરોનાની મહામારીના કારણે લોકોના જીવન સાવ જ અસ્તવ્યસ્ત થઈ ગયા છે.
પણ હવે રાહ જોવાનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોરોનાની રસીને લઈ એક મોટા, મહત્ત્વના અને સુખદ સમાચાર મળી રહ્યા છે. કારણ કે મળેલી માહિતી પ્રમાણે કોરોનાની પહેલી વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે બ્રીટેનની સરકારે ફાઇઝરની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. અને વધારે ખુશીના સમાચાર એ છે કે આવતા અઠવાડિયાથી જ તેને આપવાની શરૂઆત થાય તેવી પૂરી શક્યતા રહેલી છે.
તમને જણાવી દઈએ કે ફાઇઝરની આ વેક્સિનને બ્રિટેનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે ફાઇઝરની વેક્સિને સુરક્ષાના બધા જ માપદંડોને પાસ કર્યા છે, અને તે અસરકારક પણ જણાઈ રહી છે. ફાઇઝર વેક્સિનને મંજૂરી આપનાર બ્રિટેન પ્રથમ દેશ બન્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આવતા અઠવાડિયાથી વેક્સિનને બ્રિટનમાં આપવામાં આવશે. બ્રિટેનની ગર્વર્નમેન્ટે આ વેક્સિન દેશના લોકોને સરળતાથી મળી રહે તે માટે ડોક્ટરોને પણ સ્ટેન્ડ બાય રાખ્યા છે.
95 ટકા અસરકારકતા ધરાવે છે ફાઇઝરની વેક્સિન
ફાઇઝર વેક્સિન અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેકનું જોઇન્ટ વેન્ચર છે તેમણે સાથે મળીને આ વેક્સિન તૈયાર કરી છે. કોરોના વેક્સિનના ફેઝ 3ના ટ્રાયલમાં તે 95 ટકા અસરકારક સાબિત થઈ છે. કંપનીએ જણાવ્યું છે, તેમની વેક્સિન ઉમરલાયક લોકો પર પણ અસર કરી રહી છે. અને તેની કોઈ પણ જાતની ગંભીર આડઅસર પણ જોવ મળી નથી. ફાઇઝર કંપનીએ ડિસેમ્બર મહિનામાં 5 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના બનાવી છે.
તમને જણાવી દઈએ કે ફાઇઝરેપોતાની વેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલમાં લગભગ 44 હજાર લોકોને વોલેન્ટિયર તરીકે લીધા હતા. તેમાંથી 170 લોકો કોરોના પોઝિટિવ હતા. તેમાંથી 162 કોરોના દર્દી એવા હતા જેમને વેક્સિનની જગ્યાએ પ્લેસિબો આપવામાં આવ્યું હતું.
ફાઇઝરનો લાભ ભારતને મળતા હજુ વાર લાગશે
બ્રીટેન માટે આ સારા સમાચાર છે પણ ભારતે હજુ આ વેક્સિન માટે રાહ જોવી પડશે. કહેવાય છે કે વેક્સિનને ભારતમાં લાવવા માટે કેટલીક અડચણો નડી રહી છે. તમને જણાવી દઈ કે આ વેક્સિનને અત્યંત ઠંડા તાપમાન પર રાખવામાં આવે છે જેની વ્યવસ્થા હજુ સુધી ભારત પાસે ઉપલબ્ધ નથી. દેશમાં આ રસી રાખવા માટે તેમજ તેના લોજિસ્ટિક માટે સુપર કોલ્ડસ્ટોરેજની સુવિધા નથી. માટે આ વ્યવસ્થા ઉભી કરાવ્યા વગર રસીનું ભારતમાં આવવું શક્ય નથી. બીજી બાજુ ફાઇઝર વેક્સિનની કીંમત પણ ઘણી વધારે છે. જે ભારતીય લોકોને પોસાય નહીં.
ભારત સરકાર વાતચીત માટે તૈયાર
ભારત સરકાર પણ ઇચ્છે છે કે ભારતના લોકોને પણ ફાઇઝરની રસીનો લાભ મળે માટે તેઓ ફાઇઝર કંપની સાથે વાત કરવા પણ તૈયાર છે. અને વેક્સિન માટે કેવી કેવી તૈયારી કરવી પડે તે વિષે પણ માહિતી ભેગી કરી રહી છે. હાલ આ વેક્સિન માટે ભારત માટે સૌથી મોટો પડકાર દેશમાં કોલ્ડસ્ટોરેજનું ઇફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનો છે. ભારતના મોટા ભાગના મેટ્રો કે મોટા શહેરોમાં આ પ્રકારની સુવિધા માટે કોઈપણ જાતનું માળખુ ઉપલબ્ધ નથી.
તમને જણાવી દઈએ કે ચીન બાદ કોરોના વાયરસના સૌથી વધારે કેસ યુરોપ તેમજ બ્રિટેનમાં જોવા મળ્યા હતા ત્યાર બાદ તે દુનિયાના અન્ય ભાગોમાં જોવા મળ્યા હતા. દુનિયામાં કોરોના સંક્રમણના કારણે સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં બ્રિટેન સાતમો દેશ છે. અત્યાર સુધીમાં બ્રિટેનમાં 16,43,086 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, બીજી બાજુ 59 હજાર કરાતાં વધારે લોકોએ અહીં જીવ ગુમાવ્યો છે. આજે પણ બ્રિટેનમાં 1415 લોકો ગંભીર છે. બ્રિટેનમાં અત્યાર સુધીમાં 4.37 કરોડ કોરોના ટેસ્ટ થયા છે.
1.3 અબજ ડોઝ બનાવવાનું લક્ષ ધરાવે છે કંપની
ફાઇઝર કંપની જણાવે છે કે તેઓ 2020ના અંત સુધીમાં એટલે કે આ ડિસેમ્બર મહિનો પુરો થાય ત્યાં સુધીમાં રસીના 5 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. અને 2021ના અંત સુધીમાં કંપની 1.3 અબલ વેક્સિન ડોઝ તૈયાર કરવા માટે સક્ષમ છે. હાલ માંગ પ્રમાણે તેમણે તૈયાર કરેલી રસી 30 દિવસની અંદર ઉપયોગમાં લેવાઈ જશે માટે તેને સ્ટોર કરવાની કોઈ જ સમસ્યા નહીં રહે. તમને જણાવી દઈએ કે ફાઈઝરની કોરોના વેક્સિનને સ્ટોર કરવા માટે -70 ડિગ્રીનું તાપમાન આવશ્યક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ