કોરોના વાઈરસ હોવાની સંભાવના અને લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા દર્દીઓને કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ઓક્સિજન સહિત જરૂરી તાત્કાલિક સારવાર આપીને તેનો જીવન બચાવવા વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં રાજ્યનું સૌથી મોટું કોવિડ ટ્રાએજ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં 5થી 7 જેટલા વેન્ટિલેટર અને 22 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં ગોલ્ડન અવર તાત્કાલિક સારવારના સિદ્ધાંત પ્રમાણે કોરોનાના લક્ષણો સાથે અને ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓની જરૂરી ત્વરિત સારવાર માટે કરવામાં આવશે. સારવાર માટે દર્દીને નહીં જોવી પડે કોરોના રિપોર્ટની રાહ. કોરોના રિપોર્ટ આવતા પહેલા જ તાત્કાલિક સારવાર શરૂ કરાશે. કોરોના હોવાની સંભાવના હોય અને તેના જેવા લક્ષણો હોય તેવા દર્દીઓ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગના ભોંયતળીયે કોવિડ ટ્રાયેજ સેન્ટર શરૂ કરાયું છે. જ્યાં કોવિડ ગાઇડ લાઇન અનુસાર, ઓક્સિજન સહિતની જરૂરી તાત્કાલિક સારવાર આપવામાં આવશે. કોરોના રિપોર્ટ કર્યા પહેલા જ તેની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય વોર્ડમાં દર્દીને સારવાર માટે ખસેડાશે. 22 બેડની સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટી કોવિડ ટ્રાયેજ સુવિધા સેન્ટર શરૂ કરાયું છે. જેનો મધ્ય અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને પણ લાભ મળશે. જોકે આ હોસ્પિટલમાં સારવારનો લાભ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ પણ લે છે. કોવિડ ટ્રાયેજ સેન્ટર માટે
9313361099 નંબર પણ કાર્યરત થશે.
કોરોનાનો ટેસ્ટ ના થયો હોય અને લક્ષણો જણાતા હોય તો તેને અહીં તાત્કાલિક સારવાર અપાશે આ અંગે સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડૉ.બેલીમ ઓ.બી.એ જણાવ્યું હતું કે, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ આ સુવિધા માટે ખૂબ પ્રયત્નશીલ હતા અને તેમના માર્ગદર્શન હેઠળ આ સુવિધા કાર્યરત કરવામાં આવી રહી છે.
વધુમાં ડૉ.બેલીમે જણાવ્યું હતું કે, અકસ્માત હોય કે શારીરિક ગંભીર બીમારી, પ્રથમ એક કલાકમાં જરૂરી સારવાર મળે તો દર્દીની જીવન રક્ષામાં ખૂબ મદદ મળે છે, જેને ગોલ્ડન અવર પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહેલા પોઝિટિવ તેમજ કોવિડના લક્ષણો જણાતા હોય તેવા અને પ્રમાણમાં જેમની હાલત નાજુક જણાતી હોય તેવા દર્દીઓને આ સુવિધા ખાતે ઓકસિજન સહિત જરૂરી સારવાર તાત્કાલિક આપવામાં આવશે. તેની તબિયતમાં સ્થિરતા આવે ત્યારબાદ જો કોવિડ ટેસ્ટ ના થયો હોય તેવા દર્દીનો કોવીડ ટેસ્ટ કરાશે અને પોઝિટિવ દર્દીઓને કોવીડ વોર્ડમાં ખસેડવામાં આવશે.
જો દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવે તો?
જો દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવે તો દર્દીને તેની તબિયતની ગંભીરતા પ્રમાણે નોન કોવિડ ICU અથવા રોગ પ્રમાણેના વોર્ડમાં રિફર કરાશે. આવા દર્દીઓને તેના પરિવારજનો ઈચ્છે તો સારવાર માટે અન્ય મફત સારવાર આપતાં દવાખાનાઓમાં લઈ જઈ શકશે. સારવારના દરેક તબક્કે દર્દીને કોરોના સંક્રમણથી મુક્ત રાખવા મહત્તમ કાળજી લેવામાં આવશે. આ સુવિધા ખાતે 24 કલાક નિષ્ણાંત અને કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ, નિપુણ નર્સિંગ સ્ટાફ અને પેરા મેડિકલની સેવાઓ ઉપલબ્ધ રહેશે.
વડોદરામાં કોરોના વેક્સિન માટે તૈયારીઓ શરૂ
બીજી તરફ કોરોનાના સંકટ વચ્ચે રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં કોરોનાની વેક્સિનના ઈમરજન્સી ટ્રાયલ માટે મંજૂરી માગવામાં આવી છે. તેવામાં અમદાવાદ અને વડોદરામાં વેક્સિન માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. વેક્સિન માટે રેફ્રિઝરેટર પણ લાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે સૌની નજર વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મળનારી મંજૂરી પર છે. મંજૂરી મળતાની સાથે જ વેક્સિનનો ઉપયોગ શરૂ કરવામાં આવી શકે છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ પણ લાભ મળશે
ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કોવિડ દર્દીઓ સારવાર માટે આવે છે. આ દવાખાનાનો લાભ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ પણ લે છે. એટલે આ સુવિધાથી ખુબ મોટા જન સમુદાયને લાભ મળશે.