હાલમાં કોરોનાને લઈ ગુજરાતમાં સતત કેસો ઘટી રહ્યા છે. પરંતુ તેમ છતાં કોરોના જતો તો નથી જ રહ્યો. એટલા માટે સરકારે પણ રાત્રિ કરફ્યૂ જેવા નિયમો લાદીને કોરોનાને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે. કોરોના આવ્યો ત્યારથી જ ડોક્ટરો પોતાની સેવા આપી રહ્યા છે અને તેઓ રાત દિવસ ખડેપગે છે. પરંતુ હાલમાં જે સમાચાર આવ્યા એ જાણીને તમને ડોક્ટરો માટે વધારે માન વધી જશે. તો આવો જાણીએ કે આજના પોઝિટિવ સમાચાર શું છે. હાલમાં એક પ્રકારના કિસ્સા વધારે જોવા મળી રહ્યા છે કે, કોવિડ હોસ્પિટલોમાં દરરોજ 8થી માંડી 12 કલાક સુધી પીપીઈ કિટ પહેરી ફરજ બજાવતા ડોક્ટર્સ અને અન્ય મેડિકલ સ્ટાફને ચામડીની એલર્જી છે.
જ્યારે આ મમાલે ડોક્ટરો સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે લગભગ 20થી 25 ટકા ડોક્ટરને લાલ ફોડલી થવી, ખીલ, શરીરમાં સતત ખંજવાળ, કાળા ડાઘ જેવી સમસ્યાઓ થઈ છે. આઈસીયુ તેમજ કોવિડ કેર સેન્ટરમાં દરરોજ પીપીઈ કિટ સાથે વધુ કલાકો સુધી ડ્યૂટી ચાલતી હોય છે. આ સમય દરમિયાન ડોક્ટરો પાણી પણ પી શકતા નથી. વધારામાં, ચામડીની સમસ્યા થોડા સમય પૂરતી છે એવું પણ નથી. કેટલાક ડોક્ટરે તો મહિનાઓ સુધી દવા લેવાની ફરજ પડી છે. ચામડીની એલર્જી માટેની દવા ન લે તો ફરી સમસ્યા થતી હોય છે. તેમ છતાં આજે ડોક્ટરો રાત દિવસ આમ જનતાની સેવા કરી રહ્યા છે. ખાસ કરીને મહિલા મેડિકલ સ્ટાફમાં નર્સો, ડોક્ટરોની ચામડી સંવેદનશીલ હોવાથી તેમને સ્કીનની એલર્જી વધારે ઝડપી થઈ જતી હોય છે. કેટલાક તો આ એલર્જી સહન કરી શકતા નથી અને તાવ પણ આવી જાય છે. જો કે આ તકલીફની દવા લઈને પણ ડોક્ટર તરીકેની ફરજ બજાવવાનું ચાલુ રાખવાનો બીજો કોઈ વિકલ્પ નથી.
આ વિશે વાત કરતાં કેટલાક ડોક્ટરનું કહેવું છે કે ડ્યૂટી પૂરી થયા પછી પીપીઈ કિટ ઉતાર્યા બાદ વિવિધ એલર્જીની ખબર પડતી હોય છે. ક્યારેક તો આ એલર્જી લાંબો સમય ઘર કરી જાય છે, પરંતુ સમયની જરૂરિયાતને માન આપી દવા લઈ ફરી પીપીઈ કિટ પહેરી ડ્યૂટી પર હાજર થઈએ છીએ. જો વાત કરીએ પર્સનલી તો એપોલો હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફ કિંજલ કોરાટે કહ્યું- પહેલીવાર પીપીઈ કિટ પહેરી ત્યારે સ્કીન પર લાલ ફોલ્લીઓ અને ખંજવાળ થવા લાગી. ચહેરા પર બે માસ્ક પહેરવાથી ખીલ થઈ ગયા, જે બાદ થોડા દિવસોમાં એલર્જી ઘણી વધી. ડૉકટરની મદદથી દવા શરૂ કરી, જે અત્યારે પણ ચાલી રહી છે. જ્યારે કિટ પહેરું ત્યારે તો ચોક્કસપણે દવા લેવી જ પડે છે. દવા લઈને હાજર રહેવું પડે તોપણ એ અમારી આ ફરજ છે.
એ જ રીતે એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સિવિલમાં કામ કરતાં નર્સ રિંકુ ભાવસારે પણ આ વિશે વાત કરતાં કહ્યું કે, પીપીઈ કિટ પહેરનારા 10માંથી 3ને ચામડીના રોગની સમસ્યા છે. પીપીઈ કિટ પહેર્યા પછી સતત બળતરા અને ખંજવાળ આવ્યા કરે છે. ડ્યૂટીના 8થી 12 કલાક દરમિયાન દવા લેવી પડે છે, ટ્યૂબ ઘસવી પડે છે. કિટ ઉતાર્યા બાદ મારે ત્રણ દિવસ દવા ચાલુ જ રાખવી પડી. 5 મહિના પછી પણ હાથ-પગની ચામડી પર ડાઘા દેખાઈ રહ્યા છે.
આગળ વાત કરીએ તો ડર્મેટોલોજિસ્ટ ડૉ.અંશુલ વર્મને કહ્યું- પીપીઈ કિટથી શરીર ઢંકાયેલું હોવાથી બળતરા-દુખાવો થયા કરે છે. પીપીઈ કિટની સમસ્યાથી એપોલોમાં જ 10થી 15 ડોક્ટર-સ્ટાફને એલર્જીની સમસ્યા છે. ગ્લોવ્સ પહેરવાથી કે વારંવાર સેનિટાઇઝ કરવાથી 25 ટકાથી વધુને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ઉપરાંત દાદર, ફંગસ, પરસેવાથી ખંજવાળ આવવી, માથા પર બેલ્ટના પ્રેશરથી હેરલોસની સમસ્યા છે. સાથે જ મેડિલિંક હોસ્પિટલના ડૉ. મનીષ અગ્રવાલે કહ્યું- હું થોડો સમય પીપીઈ કિટ પહેરું છું તોપણ સ્કીન એલર્જી થઈ જાય છે. પીપીઈ કિટ માપની ના હોવાથી ગળા પર પ્રેશર અને સેફ્ટી માટે મોં પર બે માસ્ક રહે છે, જેથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા બરાબર થતી નથી અને અંદર ગરમી થતાં આંખે અંધારા-ચક્કર આવે છે. કેટલાક કિસ્સામાં ડાયાબેટિક ડૉક્ટર પીપીઈ કિટ પહેરે તો ચક્કર આવતાં પડી જાય છે.
ગુજરાતમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે ગઇ કાલ કરતા કોરોનાનાં કેસમાં 10 અંકનો ઘટાડો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1110 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,29,913એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4193એ પહોંચ્યો છે. જ્યારે 1236 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.57 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,883 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ