તમને કદાચ માહિતી ન હોય તો જણાવી દઈએ કે ભારતનું રેલવે તંત્ર એશિયાનું બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક છે અને દેશમાં કુલ 7612 રેલવે સ્ટેશન છે.
આ પૈકી કેટલાય રેલવે સ્ટેશનો એવા છે જેની કોઈ વિશેષ ખાસિયત છે અને તેના કારણે તે અવાર નવાર સમાચાર માધ્યમોમાં ચમકતા પણ રહે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે ભારતના અમુક રેલવે સ્ટેશન તો એવા છે જેનું કોઈ નામ જ નથી.
તમને થશે એ વળી કેવી રીતે શક્ય બને ? જો રેલવે સ્ટેશનનું નામ જ ન હોય તો મુસાફરોને કેવી અગવડતા પડે ?
તો તમારી વાત સાચી છે નામ વગરના રેલવે સ્ટેશનથી મુસાફરોને કદાચ અગવડતા પડતી હશે પરંતુ નામ વગરના રેલવે સ્ટેશનનું અસ્તિત્વ છે એ હકીકત છે. ભારતમાં આ પ્રકારના બે રેલવે સ્ટેશનો છે જે પૈકી એક રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં તો બીજું ઝારખંડના રાંચી શહેરમાં.
ગ્રામજનોને રેલવે સ્ટેશનનું નામ પસંદ ન આવ્યું
વર્ષ 2008 માં પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લાના બર્ધમાન ટાઉનથી 35 કિલોમીટર દૂર બાંકુરા-મેસગ્રામ રેલવે લાઈન પર એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ રેલવે સ્ટેશનના નિર્માણ બાદ જ તેના નામને લઈને વિવાદ શરુ થઇ ગયો. કારણ એ હતું કે આ રેલવે સ્ટેશનનું નામ રૈનાગઢ રાખવામાં આવ્યું હતું પરંતુ રૈના ગામના ગ્રામજનોને આ નામ પસંદ ન આવ્યું.
આ રેલવે સ્ટેશન રૈના ગામની જમીન પર જ બનાવવામાં આવ્યું હોવાથી ગ્રામજનોએ આ રેલવે સ્ટેશનના નામ બાબતે રેલવે વિભાગને ફરિયાદ કરી અને ત્યારથી આ મામલો જેમની તેમ સ્થિતિએ લટકી રહ્યો છે. આવી પરિસ્તિથીમાં નામ ન હોવાને કારણે અહીં આવતા મુસાફરોએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઝારખંડના આ રેલવે સ્ટેશનની પણ છે આવી જ સ્થિતિ
ઝારખંડ રાજ્યની રાજધાની રાંચીથી ટોરી જવા માટેની ટ્રેન જયારે લોહરદગાથી આગળ વધે છે ત્યારે નેક્સ્ટ સ્ટોપ એવું રેલવે સ્ટેશન આવે છે જેનું કોઈ નામ નથી. સમાચાર સંસ્થા બીબીસીના રિપોર્ટ અનુસાર આ રેલવે સ્ટેશન પર જે યાત્રીઓ ટ્રેનમાં ચઢે છે તેમની પાસે બડકીચાંપીની ની ટિકિટ હોય છે પરંતુ આ રેલવે સ્ટેશન પર નામનું કોઈ સાઈનબોર્ડ નથી.
રિપોર્ટ અનુસાર વર્ષ 2011 માં આ રેલવે સ્ટેશનેથી પહેલીવાર ટ્રેન સેવા શરુ કરવામાં આવી હતી ત્યારે રેલવે વિભાગે આ રેલવે સ્ટેશનનું નામ બડકીચાંપી રાખવાની ઈચ્છા દર્શાવી હતી પરંતુ ગ્રામજનોને આ નામ પસંદ નહોતું.
કમલે ગામના ગ્રામજનોનું એવું કહેવું હતું કે રેલવે સ્ટેશન બનાવવા માટે તેઓએ જમીન આપી છે અને ગ્રામજનોએ પણ રેલવે સ્ટેશન બનાવામાં પોતાનો શ્રમફાળો આપ્યો છે જેથી આ રેલવે સ્ટેશનનું નામ કમલે રેલવે સ્ટેશન હોવું જોઈએ. જો કે રેલવે દસ્તાવેજોમાં આ રેલવે સ્ટેશન બડકીચાંપી રેલવે સ્ટેશન તરીકે જ ઓળખાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ