ધરતી માતાના સાચા પૂજક – પ્રેમજીબાપા માકડિયાનું અવસાન – 1 કરોડ વૃક્ષો વાવ્યા, હજારો ચેકડેમ બનાવ્યા, હજારો વરસાદી ટાંકા બનાવ્યા – આવી દિવંગત આત્માને શત્ શત્ નમન
પર્યાવરણ દિવસ, વિશ્વ ઓઝોન દિવસ, વિશ્વ વૃક્ષ દિવસ આ બધા જ પર્યાવરણ તેમજ પૃથ્વીના જતનના દર્શક એવા દિવસોને મોટા ભાગન લોકો તો માત્ર સ્ટેટસ બદલીને કે પછી સોશિયલ મડિયા અકાઉન્ટ પર એકાદી પોસ્ટ મુકીને સેલિબ્રેટ કરી લે છે. પણ જે લોકો ખરા પર્યાવરણ ચાહકો છે તેમની તો ધરતીમાતાને ચાહવાની આખી રીત જ અલગ હોય છે, આવ લોકો કહેવામાં નહીં પણ કરવામાં માનતા હોય છે. અને સામાન્ય માણસને સાવ જ અશક્ય લાગે તેવું કામ ધરતીમાતા માટે કરી જતા હોય છે અને તેનો દેખાડો પણ નથી કરતા. ઉપલેટાના પ્રેમજીબાપા માકડિયા એક એવા જ ઉમદા વ્યક્તિ હતા. પણ દુઃખના સમચારા એ છે કે તેમનું 25મી ડિસેમ્બરની સંધ્યાએ અમદાવાદમાં 90 વર્ષની વયે અવસાન થયું છે. અને ધરતીમાતાએ તેમનો ખરો પુત્ર ગુમાવ્યો છે.
આવી ઉમદા વ્યક્તિ જ્યારે આ દુનિયાની વિદાઈ લે ત્યારે તો હજારો લાખોનું મહેરામણ તેમની અંતિમયાત્રામાં ઉમટવું જોઈએ પણ કોરોના વાયરસની મહામારીના કારણે તેમના અતિંમ સંસ્કારમાં તેમના પરિવારના મિત્રો જ હાજર રહ્યા હતા.
જતાં જતાં પણ પર્યાવરણની રક્ષાનો વિચાર ન છોડ્યો.
પ્રેમજીદાદાની અંતિમ ઇચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર લાકડુ બાળીને ન કરવામા આવે. માટે તેમની અંતિમ વિધિ માટે તેમણે પોતે જીવતા હતા ત્યારે જ ઉપલેટા ખાતે પોતાની સમાધી માટેની તૈયારી પણ કરી લીધી હતી. તેઓ નહોતા ઇચ્છતા કે તેમણે આજીવન લાખો વૃક્ષો વાવ્યા છે તેમની અંતિમ વિધિમાં લાકડુ બાળવા માટે કોઈ વૃક્ષનો વિચ્છેદ કરવામા આવે. જો કે તેમની અંતિમ વિધિ થઈ ગઈ છે અને તેમના અસ્થિને તેમના વતન ઉપલેટા ખાતે લઈ જવાશે જ્યાં તેમણે નક્કી કરેલી જગ્યાએ જ તેનું વિસર્જન કરવામા આવશે. દાદાએ પોતાનું આખું જીવન પર્યાવરણની રક્ષા તેમજ તેના જતન માટે સોંપ્યું હતું.
અનહદ પર્યાવરણ પ્રેમ માટે ધંધો પણ છોડ્યો
તેમનું મૂળ નામ પ્રેમજીબાપા માકડિયા છે. પણ તેમને લોકો ઝાડવાવાળા પ્રેમજીબાપા તરીકે જ ઓળખતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે 45 વર્ષમાં લગભઘ 1 કરોડ કરતાં પણ વધારે વૃક્ષો વાવ્યા છે. એમ કહો કે આખુંને આખું જંગલ ઉભુ કરી દીધું છે. અને માત્ર આટલું જ નહીં તેમણે પાણીના ભરાવા માટે લગભઘ 2500 જેટલા ચેકડેમ પણ બનાવડાવ્યા છે. તે ઉપરાંત તેમણે 5000 જેટલા વરસાદી પાણીના ટાંકા પણ બનાવડાવ્યા છે.
તેમનું વતન ઉપલેટાનું ભાયાવદર હતું. અહીં તેમનો જન્મ 9મી ઓક્ટોબર 1931ના રોજથયો હતો. તેઓ એક ખેડૂત પુત્ર હતા. 1975ના વર્ષમાં તેઓ રિલાયન્સના ડિસ્ટ્રીબ્યુટર બન્યા અને તેના માટે તેઓ મુંબઈ શિફ્ટ થઈ ગયા. આ બધું ચાલી રહ્યું હતું પણ તેમના મનમાં તો મનુભાઈ પંચોળીના એક નાટકનું પાત્ર જ રમતું રહેતું. તે પાત્ર હતું ગોપાળબાપાનું. અને છેવટે તેમણે નિર્ણય લઈ લીધો અને મુંબઈમાં જમાવેલો ધંધો તેમણે પડતો મુક્યો અને વૃક્ષારોપણ તેમજ જળસંચય માટેનું બીડુ ઝડપી લીધું. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે સમયે તેમની મહિનાની આવક એક લાખ રૂપિયા આસપાસ હતી.
તેમણે મંદિરોના આસપાસના ભાગમાં બીજ રોપણની શરૂઆત કરીને પોતાનું આ અભિયાન શરૂ કર્યું હતું. જો કે તેમણે 1968માં વૃક્ષ પ્રેમ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી લીધી હતી અને હવે તે જ ટ્રસ્ટને તેમણે ઝડપી કાર્યરત કરી દીધું હતું.
ભંગારના સામાનમાંથી બનાવડાવ્યું બ્લોઅર મશીન
પ્રેમજીબાબાપાનો નિત્ય ક્રમ હતો તેઓ સવારના પહોરમાં બીજની થેલી લઈને નીકળી પડતા અને જ્યાં ક્યાંય પણ તેમને ખુલ્લી વૃક્ષ વગરની જમીન જોવા મળતી તે પછી રસ્તા આસપાસની હોય કે પછી મંદીર આસપાસની હોય તેઓ ત્યાં ત્યાં બીજ વાવતા રહેતા. છેવટે તેમણે પોતાના કામનો વિસ્તાર વધારવા માટે એક મોટરસાઇકલ પણ ખરીદી લીધી. તમને આશ્ચર્ય થશે પણ તેમની મોટર સાઇકલ માત્ર 5 જ વર્ષમાં 1.50 લાખ કિલોમીટર ફરી ગઈ હતી. આ ઉપરાંત તેઓ થોડા જ સમયમાં વધારે બીજ વાવી શકે તે માટે તેમણે ભંગારમાંથી એક બ્લોઅર મશીન 12000 રૂપિયાના ખર્ચે બનાવડાવ્યું. તેનાથી તેઓ 15 મીટરના વિસ્તારમાં એક સાથે બીજ પાથરી શકતા હતા. ત્યાર બાદ તે જ બ્લોઅર મશીનથી તેમણે રેલ્વે ટ્રેકના આસપાસના વિસ્તારોમાં પણ બીજ વાવ્યા.
તેમના પર્યાવરણ પ્રેમે તેમને ખૂબ સમ્માન અને પુરસ્કાર અપાવ્યા
તેમને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે સૌરાષ્ટ્રમાં તે સમયે જે પણ વિસ્તાર સાવ વેરાન પડ્યા હતા ત્યાં એક સમયમાં અસંખ્ય વૃક્ષો હતા. તેમણે જૂના જમાનાના લોકોના મોઢે સાંભળ્યું હતું કે જૂનાગઢનો વાંદરો જો દ્વારકા સુધી જાય તો તેને ક્યાંય જમીન પર પગ ન મુકવો પડે તેટલા વૃક્ષો તે વિસ્તારમાં એક સમયે હતા. પણ લોકોની જરૂરિયાતોએ આ વૃક્ષોનો ભોગ લઈ લીધો. તેમને જ્યારે પણ આ વાતનો વિચાર આવતો ત્યારે તેઓ દુઃખી થઈ જતાં પણ તેમણે મનમાં તો નક્કી જ કરી લીધુ હતું કે તેઓ ફરી એકવાર ધરતીમાતાની ઉજ્જડ જમીનને લીલી ઓઢણી ઓઢાડશે અને પછી આખુંએ જીવન વૃક્ષારોપણ અને કૂદરતના જતનમાં સમર્પિત કરી દીધું. આમ તો પ્રેમજીબાપા કોઈ સમ્માન કે પુરસ્કારના મહોતાજ નહતો અને તેમણે જે પર્યાવરણ માટે કર્યું છે તેની તોલે કોઈ પુરસ્કાર કે સમ્માન ન આવી શકે. પણ તેમને અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમને અત્યાર સુધીમાં 12 પુરસ્કારો મળી ચૂક્યા છે.
ધરતી પૂજક પ્રેમજીબાપાની સિદ્ધિઓ
– વરસાદનું અત્યંત કિમતી પાણી વહી જતું અટકાવવા માટે તેમણે 400 જેટલા તો ચેકડેમ બનાવડાવ્યા, તો વળી અન્ય બીજા 2000 ચેકડેમ તેમણે 33 ટકા લોકભાગીદારી સાથે બનાવડાવ્યા.
– આ ઉપરાંત તેમણે 3000 જેટલી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ ડેવલપ કરી.
– તેમણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અધધ 50000 જેટલા કૂવાઓને રિચાર્જ કર્યા એટલે કે તેને પૂનર્જીવિત કર્યા, અને તેના માટે તેમણે લગભઘ 50000 ફૂટ પાઇપની વહેંચણી પણ કરી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ