રાજકોટમાં રહેતા કુમારગૌરવનું ધોરણ 10નું પરિણામ આવ્યું ત્યારે ઘરેથી બહુ ફટકાર મળેલ કારણકે ગણિતમાં માત્ર 12 માર્ક્સ સાથે બોર્ડની પરીક્ષામાં આ ભાઈ ફેઈલ થયેલા. કુમાર ભણવાનું બંધ કરીને ઓફિસબોય તરીકે મહિને 500 રૂપિયાના પગારમાં નોકરીમાં લાગી ગયો. નોકરી કરતો જાય અને બોર્ડની પરીક્ષા આપતો જાય એમ ત્રણ ટ્રાયલે માંડ માંડ 10માં ધોરણની પરીક્ષા પાસ કરી.

એકવખત કુમાર પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા ગયો. પોતાની નબળાઈની વાતો એને સ્વામીજીને કહી. જે છોકરા પર પરિવારને પણ વિશ્વાસ નહોતો એવા છોકરાને હિંમત આપીને સ્વામીજીએ અભ્યાસ આગળ ચાલુ રાખવા અને મહેનત કરવા માટે પ્રેરણા આપી. માત્ર થોડી ક્ષણોની એ મુલાકાતે કુમારને જીવનમાં આગળ વધવા નવું જોમ અને જુસ્સો પૂરો પાડ્યો.
જે કુમાર 10માં ધોરણમાં ગણિતમાં માત્ર 12 માર્ક્સ લાવ્યો હતો એ ધો.12 કોમર્સમાં ગણતરીના વિષયમાં 92 માર્ક્સ લાવ્યો. પછી તો અભ્યાસ આગળ વધતો રહ્યો.બી.કોમ, એમ.કોમ, એમ.બી.એ., બી.જે.એમ.સી. અને થોડા દિવસ પહેલા પીએચડીની પદવી પણ મેળવી.
ત્રણ ટ્રાયલે માંડ માંડ પાસ થયેલો આ છોકરો 2011માં ભારત સરકારની સંસ્થા FCIમાં અધિકારી તરીકે જોડાઈ ગયો જ્યાં રોજના 1 કરોડથી 40 કરોડ સુધીની રકમના ચેક પર સહી કરતો. 2016માં ગુજરાત સરકારના જ એક નિગમમાં મુખ્ય નાણાકીય અધિકારી તરીકે પસંદ થયો અને ક્લાસ-1 અધિકારી તરિકે જોડાયો.
વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા છોકરાઓનું સપનું હોય છે કે મારે આઈઆઈટીમાંથી મારું એન્જીનીયરીંગ કરવું છે. 2017માં કુમારગૌરવ ભારતની પ્રસિદ્ધ આઈઆઈટી ઇન્દોરમાં ક્લાસ 1 અધિકારી તરીકે જોડાઈ ગયા અને અત્યારે આઈઆઈટી ઇન્દોરમાં એમની સેવાઓ આપે છે.
જો યોગ્ય દિશા મળે તો જીવનમાં કશું જ અઘરું નથી. નિષ્ફળતા મળે ત્યારે નિરાશ થવાને બદલે યોગ્ય દિશામાં નિષ્ઠાપૂર્વકના પ્રયાસો થાય તો સફળતા અવશ્ય મળે છે.
સાભાર : શૈલેષ સગપરીયા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ