રમા એકાદશીનું મહત્વ દિવાળી કરતાં ઓછું નથી. મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાનું છે ઉત્તમ વ્રત…
દિવાળી પર લક્ષ્મીની પૂજા કરવાથી ધન વધે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દિવાળી પહેલાં એક વ્રત છે કે જેને તમે રાખી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.
ધાર્મિક ગ્રંથો અનુસાર, જો ભગવાન વિષ્ણુની પૂજા કર્યા વિના જ દિવાળીના તહેવાર ઉપર માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, તો પૂજાનું પૂણ્યશાળી પરિણામ મળતું નથી. કાર્તિક માસ શરૂ થવા પહેલાંની કૃષ્ણ એકાદશીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની સાથે દિવાળીના તહેવારના શુભ દિવસોની શરૂઆત થાય છે. શાસ્ત્રોમાં આ એકાદશી ખૂબ મહત્વની હોવાનું કહેવાય છે, કેમ કે તે ચતુર્માસની છેલ્લી એકાદશી છે. દેવી લક્ષ્મી, જેના અનેક નામ પૈકી એક નામ રમા પણ છે, તેઓ આ એકાદશીને સૌથી વધુ ચાહે છે, તેથી આ એકાદશીનું નામ રમા એકાદશી છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશીએ કરાતી પૂજા અને ઉપાસનાના ફળ દ્વારા વ્યક્તિ સુખ અને આનંદ પ્રાપ્ત કરે છે. આ વર્ષે દિવાળી પહેલાં આ એકાદશી ૨૪મી ઓક્ટોબર, ગુરુવારે છે.
રમા એકાદશીએ તુલસીજીનું છે અધિક મહત્વ…
પુરાણો અનુસાર, જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત રાખે છે અને લક્ષ્મી નારાયણનું ધ્યાન ધરે છે, તેઓના પાછલા જન્મના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે અને તેઓ વૈંકુંઠમાં જવાના હકદાર બને છે. આ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજામાં અને તુલસીના પાન ધરાવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જે લોકો આ વ્રત રાખ્યું નથી તેમ છતાં તેઓ આ દિવસે વિષ્ણુના તુલસીના પાનને પ્રસાદ સમજીને ખાય છે, તો તેમને પણ યોગ્યતા મુજબ પૂણ્ય ફળનો લાભ મળે છે.
રમા એકાદશીની કથા પતિ – પત્નીના લગ્નજીવનનું સમજાવે છે મહત્વ…
રામ એકાદશીની દંતકથા અનુસાર, એક વખત રાજકુમાર ચંદ્રસેન શોભન તેમના શ્વસુર પક્ષના ઘરે પત્ની ચંદ્રભાગા સાથે ગયા, જ્યાં તેમનું વાજતેગાજતે સ્વાગત થયું. એ દિવસ આસો વદ દસમ હતી અને તેમના સસરાએ એમના સહિત સૌને બીજે દિવસે એકાદશી કરવાનું સૂચવ્યું. બીજે દિવસે ઘર – પરિવારમાં દરેક એકાદશીનો ઉપવાસ કરી રહ્યા હતા. સાસુ-સસરાના કહેવા પર, તેઓએ પણ આ ઉપવાસ રાખ્યો, પરંતુ ભૂખ અને તરસ ન સહન થતી હોવાને કારણે તેમનું મૃત્યુ થયું પણ એ દિવસે એમણે એકાદશી રાખી હતી જેના ફળ રૂપે, તેઓને સુંદર અપ્સરાઓ સહિત દેવાંગનાઓની સેવા પ્રાપ્ત કરીને સુંદર દેવનગરીમાં તેમનો વાસ થયો.
તે જ સમયે, બીજી તરફ પોતાના પતિના મૃત્યુથી દુઃખી થયેલી, તેમની પત્ની ભગવાન વિષ્ણુની ઉપાસનામાં લીન થઈ જવા લાગી. તે સતી થવા તત્પર થઈ હતી. તેને પિતાએ આવું કરતાં રોકી. તેના પિતાનું માન મુચુકુંદ હતું અને તેઓ પૂર્વે રાજા હતા. જેમની દેવરાજ ઇન્દ્ર, ભગવાન શ્રી વિષ્ણુ અને વિષ્ણુ ભક્ત કુબેર, યમ અને અન્ય દેવતાગણોના મિત્ર હતા. એમણે એક ઉપાય સૂઝાડ્યો. તેમણે મુનિવર્ય પાસે પોતાની સમસ્યા કહી અને ચંદ્રસેનની પત્ની ચંદ્રભાગાને ખબર પડી કે તેમના પતિને રમા એકાદશીના ગુણથી સર્વશ્રેષ્ઠ નગરીમાં સ્થાન મળ્યું છે, પરંતુ આપ પુણ્યનો જથ્થો પૂરો થવા આવ્યો છે અને તેના અભાવને લીધે જલ્દીથી તેને આ નગરી છોડવી પડશે. ચંદ્રભાગાએ ઋષિ વામદેવની સહાયથી રમા અગિયારસનું વ્રત ખૂબ શ્રદ્ધાથી કર્યું અને તેને મળેલાપુણ્યનો ભાગ તેના પતિને આપ્યું અને તે પણ પતિ સુધી પહોંચી. બંનેને દેવીય આશીર્વાદ સાથે સુખી થયાં.
સ્ત્રી શક્તિ અને બલિદાનનું આ કથામાં છે મહત્વ…
યત્ર નારી પૂજ્યતે તત્ર રમંતે દેવતા… જ્યાં સ્ત્રી સન્માનની ભાવના છે ત્યાં દેવતાઓનો વાસ છે. એ ઉક્તિ એમજ નથી કહેવાઈ. રમા એટલે સ્ત્રીનું સ્વરૂપ, જે સર્વગુણ સંપન્ન છે અને પતિ તેમજ પરિવાર માટે દરેક પ્રકારના બલિદાન આપવા માટે સર્જાયેલ છે. ચંદ્રભાગાએ પતિ માટે પોતાના ભાગના પૂણ્યનું બલિદાન આપ્યું અને બંને વૈકુંઠ નગરીએ પહોંચ્યાં. આ પૌરાણિક કથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી એમ બંનેનું મહત્વ એકસાથે વર્ણવીને પૂણ્યમાં સહભાગી હોવાની વાત કહે છે.
અપાર ધન સંપત્તિની કામના છે? તો દિવાળી પહેલાં જ આ દિવસથી માતા લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કરી દેશો… જાણી લો તેની વિધિનું શુભ મુહૂર્ત…
રમા એકાદશી પર માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ ધન, વૈભવ, સમૃદ્ધિ અને તમામ શુભ લાભ મળે છે. રમા એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીની ઉપાસના મહત્વપૂર્ણ છે કારણ કે ભગવાન વિષ્ણુની પત્ની માતા લક્ષ્મી જીનું નામ પણ રમા રાખવામાં આવ્યું છે અને આ એકાદશી તેમના નામે છે. એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીજીનું આ નામ વિષ્ણુજીને અતિ પ્રિય છે.
ઉપવાસની પદ્ધતિ
આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની છબી કે મૂર્તિને ફળો, ફૂલો, ધૂપ, દીપ, અગરબત્તી વડે પૂજા કરવામાં આવે છે અને પૂજા દરમિયાન તેમને તુલસી અચૂક ચડાવવા જોઇએ અને ત્યારબાદ આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં ઉપવાસ પણ રાખવા આવે છે અને આ દિવસે ઘરે વિષ્ણુ સહસ્ત્રનામ, સુંદરકાંડ, ભજન અને ગીતાનો પાઠ કરવાથી સર્વ પાપોનો પણ નાશ થાય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી જીની એક સાથે પૂજા કરવાથી ભગવાન ભક્તોથી પ્રસન્ન થાય છે અને ભક્તોને તમામ સુખ મળે છે.
પૂજાની રીત
જે લોકોએ આ એકાદશીનું વ્રત રાખ્યું છે તેઓએ સવારે લક્ષ્મી નારાયણની પૂજા કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની તુલસી અને લાલ ફૂલથી લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. બીજા દિવસે, દ્વાદશીએ બ્રાહ્મણને જમાડવું જોઈએ અને પછી પોતે વ્રતનું પારણું કરીને જમવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ