દીપાવલીએ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં સૌથી મહત્વનો અને ખાસ તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર એકાદ દિવસ માટે નથી હોતો તે એક આખા સપ્તાહથી વધુ દિવસો દરમિયાન ઉજવાય છે તેમાં પણ ખાસ કરીને આ પાંચ દિવસ જે ધનતેરસથી શરૂ થઈને છેક ભાઈ બીજ સુધી ચાલુ રહે છે. ચાલો જાણીએ પાંચ દિવસ સુધી ચાલનારા આ મહાપર્વ વિશે વિષે માહિતી…
ધનતેરસ
ધનવંતરીની પૂજા ધનતેરસ એટલે કે કાર્તિક કૃષ્ણ ત્રયોદશીના દિવસે થાય છે. દિવાળીના મુખ્ય તહેવારોમાં આ પહેલો તહેવાર છે. જે દિવસે ધનતેરસ આવે છે જેમાં ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ધનવંતરીને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. માત્ર ધન અને વૈભવ જ જરૂરી નથી, આપણાં જીવનમાં ખરેખર જો આપણું શરીર નિરોગી હશે તો આપણે દુનિયાના તમામ સુખ વૈભવને માણી શકવા માટે સમર્થ હોઈશું.
તેથી આ દેવતાની સૌથી પહેલાં પૂજા કરવી જોઈએ જેથી તેઓ પ્રસન્ન થઈને અપણને નિરામય રહેવાના આશીર્વાદ આપે. આ દિવસે કિંમતી વસ્તુઓની ખરીદી કરવાનીની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ ખરીદી કરવામાં આવે છે, તેમાં તેર ગણો વધારો થાય છે. તેથી વધારે પ્રમાણમાં લોકો ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ખરીદે છે અથવા ગાડી કે મકાન, જમીન જેવી કિંમતી ખરીદી કરે છે.
કાળી ચૌદસ
નરકચતુર્દશી કે કાળી ચૌદસ તરીકે ઓળખાતો આ પર્વ કાર્તિક કૃષ્ણ પક્ષની ચતુર્દશી જે પાંચ દિવસીય દીપાવલી મહાપર્વના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરના ઉંબરા ઉપર અને દિવાલની પાળીઓ પર દીવા પ્રગટાવવામાં આવે છે. વધુમાં વડાં, લાપસી અને પુરીનો પ્રસાદ ધરાવીને ચાર રસ્તે કુંડાળું કરીને મૂકી આવવાની પણ પ્રથા છે. જેને કકળાટ કાઢ્યો કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આ રીતે પ્રસાદ ધરાવવાથી ઘરની નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે.
દિવાળીએ થાય છે લક્ષ્મી ગણેશ પૂજા
એ પ્રકાશ પર્વ કે દીપાવલી જેવા નામથી ઓળખાય છે. તેનો અર્થ જે છે કે આ તહેવારે ચોમેર દીવડાઓ પ્રગટાવાય છે જેથી પ્રકાશ ફેલાય અને અંધકાર દૂર થાય. દિવાળી પર ખાસ કરીને ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મી અને મંગલમૂર્તિ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની જમણી બાજુ માતા લક્ષ્મીજીની મૂર્તિને સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે.
કેટલાક લોકો ડાબી તરફ સરસ્વતી દેવીની છબી કે મૂર્તિ પણ રાખવાનું પસંદ કરે છે. જેથી કળા, સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો પણ દિવાળીના પર્વ પર સરસ્વતીની ઉપાસના પણ કરી શકે. એક માન્યતા અનુસાર આખા વર્ષમાં એકવાર દિવાળીના દિવસે દેવી લક્ષ્મી સમમ્સ્ત પૃથ્વી પર ચક્કર લગાવવા આવે છે, જે તમારા ઘરમાં પણ પગલાં પાડી જશે. જેથી કહેવાય છે જ્યાં સ્વચ્છતા જળવાય ત્યાં લક્ષ્મીનો વાસ હોય. તેથી સૌ ઘરની સફાઈ કરે છે અને ઘર શણગારે છે.
નવું વર્ષ કે પ્રતિપદા
કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પહેલી તિથિને નૂતન વર્ષ પણ કહેવાય છે. આ પર્વના દિવસે ગોવર્ધન ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે બલી પૂજા, અન્નકૂટ, માર્ગપાલી વગેરે પ્રથાઓ પણ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી ખૂબ ધાંધલધૂમથી ઉજવવામાં આવે છે. ગોધન એટલે ગોવર્ધન પૂજામાં ગાયની પૂજા કરવામાં આવે છે. હિન્દુ માન્યતા મુજબ ગાયને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની પાછળ હેતુ એવો છે કે જે રીતે ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના પૂજનથી આપણાં જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, તેવી જ રીતે, ગૌમાતા આપણને આરોગ્યની સંપત્તિ પૂરી પાડે છે.
ભાઈ બીજ
કારતક માસના શુક્લ પક્ષની બીજી તિથિએ ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો કંકુ અને અક્ષતને તેમના ભાઈઓના કપાળે લગાવીને તેનાથી તિકલ કરે છે. સાથે તેમના ભાઇઓના ઉજ્જવળ ભવિષ્ય, આરોગ્ય અને આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. જેના બદલામાં તેનો ભાઈ તેની બહેનને પ્રેમથી મનગમતી ભેટો આપે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ