સ્ત્રી સન્માન સાથે જોડાયેલ છે આ વ્રતનો મહિમા… દિવાળી પહેલાં આવતી રમા એકાદશીનું છે આગવું મહત્વ…
આસો વદ અગિયારસ એટલે રમા એકાદશી. આ અગિયારસ આખા વર્ષની સૌથી અંતિમ અગિયારસ છે. જેનું એક આગવું મહત્વ છે. આ વ્રત સ્ત્રી સન્માન સાથે જોડાયેલ છે વળી, આની પાછળ દાંપત્ય જીવનનું મહત્વ દર્શાવતી એક દંતકથા પણ જોડાયેલી છે. આ વ્રત કરવાથી દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવા જેટલું જ ફળ મળે છે. અને કહેવાય છે કે આ દિવસે વ્રત કરનાર જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેને મૃત્યુ પછી વૈકુંટમાં સ્થાન મળે છે.
જાણીએ શું કહે છે ભગવાન વિષ્ણુ સ્ત્રી સન્માન વિશે…
ભગવાન જ્યારે એમના ઉપદેશમાં રાજા યુદ્ધિષ્ઠિરને જણાવે છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. સ્ત્રીનું એક સ્વરૂપ રમાના નામથી પણ ઓળખાય છે. આ સ્વરૂપ એવું હોય છે જે એક આંખે વિશ્વને ભષ્મીભૂત કરી દેવાની ક્ષમતા ધરાવે છે તો બીજી તરફ સંસારને નવપલ્લવિત કરીને નવજીવન આપવાની પણ તેનામાં શક્તિ રહેલી છે. તેથી નારાયણીનું પૂજન નારાયણનું કરીએ ત્યારે સાથે જ કરવું જોઈએ.
બંનેને એકસાથે પ્રસન્ન કરવાથી ઘર – પરિવારમાં સુખ, શાંતિ અને વૈભવનું આહ્વાન થાય છે. દરેક સ્ત્રીમાં સ્વાભાવિક રીતે સમર્પણ, સ્નેહ અને સહનશીલતાના સદગુણો રહેલા છે. આ સાથે સ્ત્રી તેના પતિને સંપૂર્ણપણે વરી ગયેલી હોય છે તેથી તેના પ્રાણની રક્ષા હેતુ એ પોતાનાથી થાય તેવા તમામ બલિદાન આપી દેવા તત્પર રહેતી હોય છે. આ વાતને યથાર્થ કરવા માટે પુરાણોમાંથી એક કથા છે જેના વિશે જાણીએ…
ચંદ્રભાગાએ પોતાના ભાગનું પૂણ્ય આપ્યું પતિ શોભનને…
પૂરાતન કાળના રાજા મુચુકુંદની પુત્રી ચંદ્રભાગા એ રાજકુમાર શોભનને પરણી હતી. દિવાળી પહેલાંના આસો વદ દશમે તે પીયર આવી તેના પતિ સાથે. જ્યાં રાજાએ સમસ્ત રાજ્યને ઢંઢેરો પીટાવીને આવતીકાલે રમા અગિયારસનું વ્રત કરવાની ફરજ પાડી હતી. ઘરે આવેલ જમાઈએ પણ તેમના સસરાની આ આજ્ઞા માન્ય રાખી અને અગિયારસનો ઉપવાસ આદર્યો. આખો દિવસ નિર્જળા રહેવાથી તેમનું ભૂખ અને તરસના અભાવે અકાળે મૃત્યુ થયું. પરંતુ અગિયારસ કરી હોવાથી તેમને વૈંકુંઠમાં સ્થાન મળ્યું. બીજી તરફ દીકરી ચંદ્રભાગા પિતા પાસે વિલાપ કરવા લાગી અને સતી થઈ જવાની જીદ્દ કરી.
પોતાની દીકરીને આ રીતે જોઈ ન શકનારા રાજાએ કોઈ ઉપાય વિચાર્યો અને તેમણે ઋષિમુનિઓની સાથે આ વિશે કોઈ ઉપાય બતાવવા અર્ચના કરી. દેવોને પ્રિય એવી અગિયારસના દિવસે મૃત્યુ થયું છે તેથી તે વૈંકુઠે જ સિધાવ્યા હશે, એવી સમજણ થતાં ચંદ્રભાગાએ પણ અગિયારસ કરી પૂણ્યશાળી થઈ અને દિવ્ય દેહે તે પણ વૈંકુઠે પહોંચી. જ્યાં તેને ખબર પડી કે તેના પતિના પૂણ્યનું પલડું નમવા લાગ્યું છે. ત્યારે પત્નીએ પોતાના ભાગનું પૂણ્ય પણ પતિને આપવાની અરજ કરી… ભગવાન તેની વાતથી પ્રસન્ન થયા અને બંનેને દિવ્ય લોકમાં સ્થાન આપ્યું.
કઈરીતે કરવી આ દિવસે વ્રત અને ઉપાસના…
કહેવાય છે કે માતા લક્ષ્મી અને નારાયણની પૂજા અને ઉપાસના એકસાથે કરવી જોઈએ. જેમને સુખી દાંપત્ય જીવનની મનોકામના હોય તેમણે તો ખાસ. આ અગિયારસના દિવસે તુલસી પત્રનું પણ અધિક મહત્વ છે. જેમનાથી ભૂખ્યા કે તરસ્યા રહીને વ્રત કે ઉપવાસ નથી થઈ શકતા તેમણે પૂજા પાઠ કર્યા પછી ભગવાનને નૈવેદ્ય સાથે તુલસી પત્ર જરૂર ચડાવવા જોઈએ અને તેને પ્રસાદ તરીકે ખાવા જોઈએ.
સ્નાદિક્રિયાઓ પતાવીને સવારે ધૂપ, દિપ, નૈવેદ્ય સાથે લક્ષ્મીજી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. જેમા નારાયણને તુલસી અને માતા લક્ષ્મીને લાલ ફૂલ ચડાવવાથી ખૂબ લાભ થાય છે. આખો દિવસ ઉપવાસ કે એકટાણું કરીને બીજે દિવસે બારસના બ્રાહ્મણને જમાડીને પારણાં કરવા જોઈએ.
જ્યારે પણ આપ ધન, સંપત્તિ અને સમૃદ્ધિની કામના કરો છો ત્યારે ન તો એકલાં લક્ષ્મીજીને પૂજવા જોઈએ કે ન કદી પણ નારાયણને… વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના એકસાથે કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ