ખ્યાતનામ કિડની ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિકસ્ટ ડૉ. એચ.એલ. ત્રિવેદીનું 90 વર્ષની વયે નિધન
વિશ્વ વિખ્યાત કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એચ.એલ ત્રિવેદીનું લાંબી બિમારી બાદ 90 વર્ષની ઉંમરે નિધન થયેલું છે. ડોક્ટર ત્રિવેદી છેલ્લા ત્રણ મહિનાથી કીડની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. મોટી ઉંમરના કારણે તેમની તબિયત સતત બગડતી જઈ રહી હતી. છેલ્લા થોડા સમયથી તેમની તબિયત પણ ઘણી નાજૂક થઈ ગઈ હતી.
વધારે ઉંમરના કારણે તેમના મગજના જ્ઞાનતંતુઓ સુકાઈ ગયા હતા. તેમજ તેમને પાર્કિન્સનની બીમારી ઉપરાંત લીવરની તકલીફ પણ રહેતી હતી. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ ગંભીર રીતે બિમાર હતા પણ બે દિવસ પહેલાં તબિયત લથડતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બપોરે નિધન થયું હતું. તેમના નશ્વર દેહને દર્શનાર્થે કીડની ઇન્સ્ટીટ્યુટના પ્રાંગણમાં રાખવામાં આવશે જેને દર્શનાર્થીઓ ગુરુવારે સવારના 8થી 11 વચ્ચે દર્શન કરી શકશે.
ડોક્ટર ત્રિવેદીએ 1990માં અમદાવાદમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરી હતી. અને ત્યાર બાદ 1992થી તેમણે તેજ હોસ્પિટલમાં કીડનીના ઓપરેશન શરૂ કર્યા હતા જેમાં તેમણે સમય જતાં મહારથ હાંસલ કરી હતી. અને પોતાની સ્પેશિયાલીટીથી દાક્તરી જગતમાં નામના મેળવી હતી. વિશ્વના દાક્તરી જગતમાં તેમણે કીડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાતને પ્રસિદ્ધ કરી મુક્યું હતું.
દાક્તરી જગતમાં તેમના આ ઉત્તમોત્તમ યોગદાનને બિરદાવવા માટે તેમને 2015માં પદ્મશ્રી અવોર્ડથી પણ નવાજમાં આવ્યા હતા. અને 2014માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘નગર રત્ન’ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. 1960થી 1962 દરમિયાન તેઓ અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક રહી ચુક્યા હતા. ત્યાર બાદ 1970-1977 દરમિયાન તેમણે કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં પણ અધ્યાપક અને સંચાલક તરીકે ફરજ બજાવી હતી.
અને ફરી પાછી વતનની યાદ આવતા તેઓ ગુજરાત પાછા ફર્યા અને તેજ બી.જે મેડિકલ કોલેજમાં ફરી અધ્યાપક તરીકે 1977થી 1981 દરમિયાન પોતાના જ્ઞાનથી ઓજસ પાથર્યું હતું. ત્યાર બાદ 1981માં અમદાવાદ ખાતેની ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચમાં તેમણે સંચાલક તેમજ અધ્યાપકની ફરજ નીભાવી.
ડોક્ટર એચ.એલ ત્રિવેદી તેમની કારકીર્દી દરમિયાન 5 હજાર કરતાં પણ વધુ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરી ચુક્યા છે. તેમણે જ 1990માં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરી હતી. તેમનો જન્મ 31 ઓગસ્ટ 1932ના રોજ થયો હતો. તેમણે 1953માં રાજકોટની ધરમેન્દ્ર સિંહજી કોલેજમાં પ્રિમેડિકલ પુર્ણ કર્યું હતું
ત્યાર બાદ, અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં એમ.બીબી.એસની ડીગ્રી મેળવી હતી. અને ત્યાર બાદ ઇ.સી.એફ.એમ.જી પણ થયા હતા. 1963થી 1969 દરમિયાન તેમણે વિદેશમાં તબીબી તાલીમ લીધી હતી.
તેમણે પોતાની બુદ્ધિમતા તેમજ પોતાની તબીબી આવડતથી હજારો લોકોને જીવતદાન આપ્યું છે. તેમની વિદાયથી ભારતના તબીબી જગતને એક મોટી ખોટ વર્તાશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ