ચહેરો દર્શાવી શકે છે તન અને મનની તંદુરસ્તી.
ફેસ રીડિંગ વિશે તો તમે સાંભળ્યું જ હશે . ફેસ રીડિંગ આપણું ભવિષ્ય બતાવે છે , તો ચહેરો આપણી લાગણીઓ પણ દર્શાવે છે.આપણે ઘણીવાર કહીએ છીએ ને કે એના ચહેરા પરથી જ એના મનમાં શું છે એ ખબર પડી જાય છે . જેમ ચેહરા પરથી મનની વાત કળી શકાય છે તે જ રીતે ચહેરા પરથી વ્યક્તિનું સ્વાસ્થ્ય કથળેલું છે એનો અંદાજ પણ લગાવી શકાય છે.
ચાલો,આજે આપણે ફેસ રીડિંગ વિશે થોડી એવી માહિતી જાણીશું જેનાથી આપણા સ્વાસ્થ્ય વિશે આપણે જાતે જ જાણવા માટે સક્ષમ થઈ જઈશું.શું તમે જાણો છો કે ચહેરા પરથી સ્વાસ્થ્ય અંગેની જાણકારી પણ મેળવી શકાય છે ?
માથું.
વ્યક્તિના માથા પરથી ખાસ કરીને કપાળ પરથી વ્યક્તિની પિત્તાશય ,લીવર અને પાચનક્રિયાની સમસ્યા અંગે જાણકારી મેળવી શકાય છે. માથું નર્વસ સિસ્ટમ અને પાચનતંત્ર સાથે જોડાયેલું હોય છે ,તેથી માનસિક તણાવ અથવા તો પાચનક્રિયામાં થતી સમસ્યાની સીધી અસર માથા પર એટલે કે કપાળ પર આડી રેખાઓ અને ચહેરા ઉપર પિમ્પલ્સ ના સ્વરૂપે નજર આવે છે.
આંખો.
એવું કહેવાય છે ને કે આંખો બહુ બોલતી હોય છે. જો વાંચતા આવડે તો આંખો પરથી જ માણસના મનમાં ચાલતા વિચારો ને સમજી શકાય છે .આજ આંખોનો રંગ ,એમાં આવતા બદલાવ, એમાં દેખાતા ડાઘા ખાસ માણસને પોતાના સ્વાસ્થ્ય પરત્વે જાગૃત કરે છે.
આંખો આતરડા ,સાંધા ,લીવર ,કિડની તથા થાઇરોઇડ ને લગતી સમસ્યાની ચાડી ખાય છે.
જો આંખોની પૂતળી સાંકડી થવા લાગે તો તેનું મુખ્ય કારણ સાંધામાં આવતા અંતરાયો છે. આંખોની કીકીમાં સફેદ ધબ્બા દેખાય તો તે શરીરમાં વિટામીનની ઉણપ દર્શાવે છે. આંખોની કીકીની આજુબાજુમાં સફેદ રીંગ બનતી દેખાય તો ચોક્કસ જાણજો કે આ રીંગ આપણને બ્લડશુગર અને કોલસ્ટ્રોલ વધી રહ્યું હોવાનું જોખમ દર્શાવે છે. આવું જણાય ત્યારે તરત જ ભોજનમાં મીઠું અને ખાંડની માત્રા ઓછી કરી દેવી જોઈએ.
આંખોનો બદલાતો રંગ પણ વિવિધ પ્રકારના રોગની છડી પોકારતો હોય છે. લાલ રંગની આંખ ઓટો ઇમ્યુન ડિસીઝ નો ઈશારો કરે છે અથવા તો તે ડિપ્રેશનની નિશાની છે. આંખોનો પીળો રંગ નબળું લીવર અથવા લીવર સંબંધી કોઈપણ બીમારીનો સંકેત આપે છે. આંખોનો પીળો રંગ કમળો એટલે કે હિપેટાઇટિસનો પણ સંકેત કરે છે.
આંખો નીચે થયેલા કાળા કુંડાળા પણ અપૂરતી ઊંઘ, ખોરાકમાં આયર્નની ઉણપ, તથા કિડનીને લગતા રોગ અંગે ચેતવણી આપે છે. આંખોના બદલાતા રંગ પરત્વે જાગૃત બનીને તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સૂજી ગયેલી ભારે થઇ ગયેલી આંખની સારવાર માટે ખૂબ પાણી પીવું જોઈએ. ઉપરાંત માત્ર આંખોની જ નહિ પરંતુ સમગ્ર સ્વાસ્થ્યની જાળવણી માટે ખોરાક પણ ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ અને છ થી આઠ કલાકની ઊંઘ પણ સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. આંખોની નીચે સર્જાયેલા ડાર્ક સર્કલને દૂર કરવા થોડો સમય ડેરી પ્રોડક્ટ્સ અને ઘઉં નો ત્યાગ કરવો.
ગાલ
ગાલ પરની લાલી કેવળ લજ્જાની જ હોય એવું જરૂરી નથી. ગાલનો બદલાતો રંગ પણ પાચન સંબંધી સમસ્યા ઉપરાંત ન્યુટ્રીશનની ખામી તથા હદય અને ફેફસાની બીમારી તરફનો જોખમી અણસાર આપે છે.
ગાલ પર નીકળેલા ખીલ અથવા તો ગાલ પર સર્જાયેલા સફેદ ધબ્બા મેટાબોલિઝમ ધીમું પડી રહ્યું હોવાનું જણાવે છે. આયર્ન અને ફોલિક એસિડની ઉણપથી પણ ગાલ ઉપર ચાઠા પડેલા જોવા મળે છે. હેવી વર્કઆઉટ કરવાથી જો ગાલ લાલ થઈ જતા હોય તો તે ફેફસા અને હૃદયમાં કોઈ ગરબડ હોવા તરફનો ઈશારો છે.
ફેફસાની નબળાઈ, હોર્મોન્સનો બદલાવ, ચામડી તથા શરીર પરની કોઈ પણ પ્રકારની એલર્જી ,અનિયમિત પાચનતંત્ર અને બ્લડ પ્યોરિફીકેશનની ખામી ગાલ પર થતા ખીલ માટે જવાબદાર છે. વાત કરતી વખતે ગાલને અડતો અસ્વચ્છ મોબાઈલ, અસ્વચ્છ ઓશીકા અને ચાદર પણ ખીલ માટે જવાબદાર પરિબળ છે.
ગાલ શરીરના બહુ જ મહત્વના તંત્ર ફેફસાનું સ્વાસ્થય પણ દર્શાવે છે .માટે ગાલોની ગુલાબી રંગત સતત ચકાસતા રહેવી જોઈએ. ગાલને સ્વસ્થ રાખવા માટે પ્રાણાયામ તથા ખોરાકમાં ગુડ ફેટ જરૂરી છે .ઉપરાંત ઉપયોગમાં લેવાતા ટુવાલ ,ને ઓશિકાના કવર અને ચાદર પણ સ્વચ્છ રાખવા જોઈએ જેથી ગાલોની સુરખી બની રહે.
નાક
શ્વસન તંત્ર સાથે સીધું જ જોડાયેલું અંગ એટલે નાક. ફેફસા અને હૃદય સંબંધી સમસ્યા તેમજ લિવ૨ સંબંધી બીમારી નાક પર થતા ખીલ અને ચાઠા દ્વારા જલ્દી પકડી શકાય છે. વારંવાર લાલ થઈ જતું નાક અને એમાંથી સતત નીકળતું રહેતું પાણી હાર્ટ પ્રોબ્લેમ ,હાઈ બ્લડપ્રેશર તથા લીવરમાં ગરબડી હોવાનો સીધો સંકેત કરે છે.
સમય પારખીને ખોરાકમાં ફેટી એસિડ ધરાવતાં એવોકાડો, અળસી તથા ઓલિવ-ઓઇલ ને સામેલ કરી દેવું જોઈએ. હેલ્ધી ફૂડ શરીરને પણ હેલ્ધી રાખે છે. હૃદય અને ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આલ્કોહોલ , તમાકુ, તથા ચટાકેદાર અને મસાલેદાર ખોરાકથી દૂર રહેવું જોઈએ.
જીભ
જીભ પરના સફેદ ડાઘ શરીરમાં ટોક્સિન ની વધી રહેલી માત્રા દર્શાવે છે, ઉપરાંત જીભ ફેફસાની બીમારીની પણ ઉદઘોષક છે. શરીરમાં વધતી ટોક્સિનની માત્રા શરીરના હોર્મોન્સમાં અસંતુલન પેદા કરે છે. મહિલાઓને માસિક સમય દરમિયાન પણ હોર્મોન્સમાં ઉપસ્થિત અસંતુલન જીભ ઉપર ચાંદાની સમસ્યા ઊભી કરે છે.
જીભની અસ્વસ્થતા ધ્યાનમાં આવે કે તરત જ માનસિક તણાવ ખાળવાનો પ્રયત્ન કરવો . રોજિંદી જીવનશૈલી માં કસરતને સ્થાન આપવું ,પોષણયુક્ત આહાર ,પૂરતી ઊંઘ અને પૂરતા પ્રમાણમાં પાણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે એ વાત સતત યાદ રાખવી.
સવારમાં નરણે કોઠે પીધેલું ગરમ લીંબુ પાણી તેમજ દિવસ દરમિયાન એક બે વખત અજમાવાળુ ગરમ પાણી પીવાથી શરીરમાં ડિટોક્સીફિકેશન થાય છે. વિપુલ માત્રામાં પાણી પીવાથી પણ યુરીન દ્વારા વધારાનું ટોક્સિન શરીરમાંથી નીકળી જાય છે.
હોઠ
પાતળા અને ગુલાબની પાંખડી જેવા કોમળ અને ગુલાબી સૌંદર્યની તો નિશાની છે જ પણ સાથે સાથે શારીરિક સ્વસ્થતાની પણ નિશાની છે. સુજી ગયેલા અને ફિક્કા અને સુકા થઈ ગયેલા હોઠ આંતરડામાં સોજો હોવાનું દર્શાવે છે , ઉપરાંત શરીરમાં લોહીની ઉણપ, વિટામીન બીની ઉણપ , ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ તથા ફેફસા અને હૃદય સંબંધી સમસ્યાનું પણ નિદર્શન પૂરું પાડે છે.
શરીરમાં હિમોગ્લોબીનની ઉણપથી હોઠ પીળા પડવા લાગે છે. સુકાઈ ગયેલા હોઠ નબળા ફેફસાને કારણે હૃદયમાં સર્જાતી ઓક્સિજનની ઉણપ અંગેનો ઈશારો કરે છે.
ફાટી ગયેલા હોઠ કોઈ પ્રકારની એલર્જી, ચામડીમાં તૈલી તત્વોની ઉણપ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સની સાઇડ ઇફેક્ટ્સ દર્શાવે છે.
ઉપર દર્શાવેલી કોઈપણ સમસ્યા જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો આવશ્યક છે ઉપરાંત હોઠને કોમળ,મુલાયમ અને ચમકીલા રાખવા દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ.
મોઢું
મોઢામાંથી આવતી દુર્ગંધ પેટનો બગાડ અને અપચો હોવાની નિશાની છે. દાંતનો સડો પણ મોઢામાંથી આવતી દુર્ગંધ માટે જવાબદાર છે.
વારંવાર મોઢું સુકાઈ જવાની સમસ્યા મોઢામાં ઝરતા રહેતાં સલાઈવાની ઉણપને કારણે સર્જાય છે. સલાઈવાની ઉણપ પાછળ ડિહાઇડ્રેશન, તમાકુ કે દારૂનું સેવન જવાબદાર છે ,ઉપરાંત સલાઈવામા થતો ઘટાડો ડાયાબિટીસની શરૂઆત હોવાનું પણ સૂચન છે.
વારંવાર મોઢામાં પડતા ચાંદા પણ પેટના બગાડની નિશાની છે. તે શરીરમાં વિટામિન બી ની ખામી દર્શાવે છે. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે પણ વારંવાર મોઢામાં ચાંદા પડે છે. વારંવાર મોઢામાં પડતાં ચાંદા તેમજ લાંબો સમય ચાંદામા નહીં આવતી રૂઝ કેન્સર જેવા મહારોગ નું લક્ષણ હોઈ શકે છે.
શ્વાસમાં દુર્ગંધ આવવાની શરૂઆત થાય ત્યારે તરત જ દાંતના ડોક્ટરનો સંપર્ક કરી દાંતના સ્વાસ્થ્ય અંગે ચકાસણી કરાવવી જોઈએ. સાથે-સાથે ફેમિલી ફિઝિશિયન નો પણ સંપર્ક કરી જરૂરી શારીરિક તપાસ તેમજ લોહીની તપાસ પણ કરાવી લેવી હિતાવહ છે.
મોઢામાંથી આવતી દુર્ગંધ તેમજ પડતાં ચાંદા ના નિવારણ માટે આહારમાં ભરપૂર વિટામીન બી વાળા અનાજ, લીલા શાકભાજી, ઈંડાનો તથા અન્ય પ્રોટિનયુક્ત પદાર્થનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ફણગાવેલા કઠોળ, રેશાવાળા શાકભાજી તથા ફ્રુટ, દૂધ , દહીં અને છાશ પણ શરીરને જરૂરી માત્રામાં પ્રોટિન, વિટામીન, મિનરલ્સ અને ફાઇબર્સ પૂરા પાડે છે.
શરીરમાં પાણીની ઊણપ પણ સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ કરે છે.
રોજિંદી જીવનશૈલીમાં સમતોલ આહાર, પૂરતા પ્રમાણમાં પાણી અને કસરતનો સમાવેશ જીવનને સ્વસ્થ અને નિરોગી રાખે છે.
યાદ રાખવું જરૂરી છે કે એક સ્વસ્થ અને આરોગ્યપ્રદ શરીરમાં એક સ્વચ્છતા અને આરોગ્યપ્રદ મન પણ રહેલું હોય છે. અને તન અને મનની સ્વસ્થતા જ જીવનને આનંદમય બનાવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ