ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજના દિવસનું છે અધિક મહત્વ… જણો શું છે તેની પાછળની અજાણી વાતો…
વાઘબારસની સાથે ગૌ પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે. દિવાળી એટલે માતા લક્ષ્મીને રીઝવવાના તહેવારની ઉજવણી પહેલાં ગાય માતા અને સરસ્વતી માની સેવા પૂજા કરીને ઉજવાય છે આ દિવસને. વળી, વેપારી વર્ગ અને એ લોકો જેમને પોતાના ધંધા ઉદ્યોગમાં બરકતની કામના રહે છે, તે લોકો માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વનો રહેતો હોય છે. અગાઉનું તમામ દેવું અને બધીજ લેતી – દેતી ચૂકવીને હિસાબ પૂરો કરીને જે તે ચાલુ વર્ષના ચોપડાનું લખાણ પૂરું કરવાનો આ દિવસ હોય છે. ત્યાર બાદ ધનતેરસ અને દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરીને નવા ચોપડાની શરૂઆત કરે છે. આ પ્રથા મુખ્યત્વે ભારતના બે બહુ બધી રીતે સામ્યતા ધરાવતા રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જ પ્રચલિત છે. આવો જાણીએ શું છે મહત્વ આ બંને રાજ્યોમાં અને કઈરીતે ઉજવે છે આ મહત્વની બારસની તિથિ…
ગુજરાતમાં વાઘ બારસ એ દિવાળી પહેલાં આવતો બીજો મહત્વનો દિવસ છે…
આ દિવસે ધાર્મિક વિધિના ભાગરૂપે લોકો ગાય અને વાછરડાની એક સાથે પૂજા કરે છે. ગાયનું પૂજન કરવું ખૂબ જ શુભ મનાય છે. કહેવાય છે કે સમુદ્રમંથનમાંથી કામધેનુ ગાય બહાર આવી હતી, જે આરોગ્ય અને આજીવિકાને માટે આપણને આશીર્વાદરૂપ બને છે.
આ દિવસે ગોવાળો અથવા તો જેઓ પશુપાલન કરે છે અને દૂધનો વ્યવસાય કરે છે તેમણે શ્રીનાથજી કે ઠાકોરજીની છબી તેમના વ્યવસાયના સ્થાને રાખવી જોઈએ અને તે કાળજી રાખવી જોઈએ કે પશુધન જ્યાં રખાયેલા હોય ત્યાં સ્વચ્છતા રાખવી જોઈએ. એક પરંપરા મુજબ આ વ્રત ગુજરાતના ધોડીયા આદિવાસી ગામોમાં નંદિની વ્રત તરીકે ખૂબ જાણીતું છે.
વળી, આ દિવસ અંગે વ્યાપકપણે એવું પણ માનવામાં આવે છે કે શ્રી વલ્લભ જે ભગવાન દત્તાત્રેયના અવતાર હતા તેઓ આ દિવસે પૃથ્વી છોડીને સ્વધામ સિધાવ્યા હતા. આથી કેટલીક જગ્યાએ ગુરુદ્વાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં વેપારી વર્ગ પણ વધારે હોવાથી વાઘબારસે ચોપડાઓનો હિસાબ પૂરો કરીને દિવાળીના તહેવારોની શરૂઆત કરાય છે. રમા એકાદશીએ વ્રત કરતા લોકો બારસના ભ્રાહ્મણ પણ જમાડતા હોય છે. તેથી ગુજરાતમાં દિવાળીના દિવસોની શરૂઆત તો અગિયારસથી જ થઈ જતી હોય છે. તહેવારોની હરોળનો આ બીજો દિવસ કહેવાય છે.
મહારાષ્ટ્રમાં પણ છે તેનું મહત્વ…
મહારાષ્ટ્રમાં દિવાળીની ઉજવણીનો પ્રથમ દિવસ વસુ બારસ કહેવાય છે. તે પરંપરાગત મરાઠી કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાના કૃષ્ણપક્ષના ૧૨મા દિવસે તેને ઉજવવામાં આવે છે. આ ઉત્સવ ગાયની પૂજા અર્ચના માટે સમર્પિત કરાયેલો છે.
વસુ બારસ દરમિયાન વિવાહિત મહિલાઓ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ગો પૂજા અને શ્રી કૃષ્ણનું પૂજન કરે છે. આ દિવસને ભારતના ઘણા ભાગોમાં ગોવત્સત્તા દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય પરંપરામાં, ગાય માતાનું પ્રતીક છે અને તેથી આ દિવસે, પરિણીત મહિલાઓ વાછરડાવાળી ગાયની પૂજા કરે છે. આ પરંપરા મુજબ મહિલાઓ અને તેમના બાળકોની સેવા માટેના પ્રત્યેના કૃતજ્ઞતાનું પ્રતીક છે. કારણ કે ગાયના દૂધથી આપણને પૌષ્ટિક ખોરાક મળે છે અને આપણું આરોગ્ય પણ સારું રહે છે. આ દિવસે મરાઠી મહિલાઓ ઘરમાં સુંદર રંગોળી કરીને ઘર પણ સજાવતી હોય છે.
વસુબરાસનું મહારાષ્ટ્રમાં ઉજવણી કરવાનું મહત્વ પણ ખૂબ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે દિવાળી દરમિયાન વાતાવરણમાં ઘણી બધી ઊર્જાઓ અને શક્તિઓ ઉત્પન્ન થાય છે અને તેને કારણે વાતાવરણામાં અસ્થિરતા સર્જાય છે અને તાપમાનમાં વધારો પણ થાય છે. આથી તેનાથી બચવા માટે, ભગવાનની ઉપાસના કરીને, તેમના દૈવી કિરણો દ્વારા પૃથ્વીની રક્ષા માટે વસુબરાસના દેવી – દેવતાઓની ઉપાસના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયની પૂજા દ્વારા આ સમયગાળા દરમિયાન ભગવાનની દૈવીય કિરણોને પોતાની અંદર શોષવાની મહત્તમ ક્ષમતા ધરાવે છે. અહીં, ગાય કૃષ્ણના રૂપમાં પણ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી આ દિવસે તેની પૂજા કરવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણએ એમના ઉપદેશમાં કહ્યું છે કે સંસારમાં મને જો શોધવો હોય તો એવી જગ્યાએ ભાળજો જ્યાં બહુ બધી ગાયો હોય. મને ગાયો સાથે વિચરવું અને નિવાસ કરવો અતિ પ્રિય છે. સમસ્ત દેવી દેવતાઓનો વાસ ગાયોમાં રહેલો છે એવી વેદો પુરાણોમાં લખાયેલી વાતને સ્વીકારીને સૌ કાયમ ગાય માતાનું પૂજન કરે છે. અને ખાસ કરીને આ વાઘ બારસના દિવસે ગોવર્ધન પૂજાનું મહત્વ અધિક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ