આપણે જ્યારે ક્યારેય પણ બિમાર પડીએ એટલે ડોક્ટર દ્વારા આપણને પહેલી સલાહ શુ આપવામાં આવે છે ? તો તે સલાહ એ હોય છે કે તીખો અને તળેલો ખોરાક ખાવાનું થોડા દિવસ બંધ કરી દો. કારણ કે ડોક્ટર એ સારી રીતે જાણે છે કે મોટા ભાગની બિમારીઓનું મૂળ આપણી આહારની કુટેવમાં જ સમાયેલું હોય છે.
અને એ વાતમાં કોઈ જ બે મત નથી કે વધારે પડતો તૈલી પદાર્થ આરોગવાથી માત્ર એક નહીં પણ સેંકડો બિમારીઓ થઈ શકે છે. તેના કરણે જ આજે દુનિયામાં મેદસ્વિતા એક બીમારી બની ગઈ છે તો વળી દરેક કુટુંબમાં પહેલી-બીજી કે ત્રીજી પેઢીમાં તમને કોઈને કોઈ હાર્ટ પેશન્ટ તો મળી જ જશે.
આ બધી જ કડવી હકીકતો સતત આપણી આંખ સામે જ હોય છે તેમ છતાં આપણી જીભ અને આપણું મન તીખા, તળેટા, ચટપટા ખોરાક ખાવાનું ટાળી નથી શકતાં. ચલો દાળ-શાક વિગેરેમાં તો આપણે તેલનું પ્રમાણ ઘટાડી શકીએ પણ ભજીયા જેવી વસ્તુ કે જેને તળ્યા સિવાય આપણે બનાવી જ ન શકીએ તેને કેવી રીતે તેલથી દૂર રાખવા ?
પણ આજે અમે તમારી સમક્ષ એક એવી ટેક્નિક લઈને આવ્યા છીએ કે જેમાં તમે ભજીયાને તળ્યા વગર એટલે કે તેલનો ઉપયોગ કર્યા વગર જ બનાવી શકશો અને માણી શકશો. તો ચાલો જાણીએ તેલના ઉપયોગ વગર કેવી રીતે ભજીયા બનાવી શકાય.
તેલ વગર ભજીયા બનાવવા માટેની સામગ્રી
1 કપ ચણાનો લોટ
1 બાફેલું મધ્યમ કદનું બટાટુ
1 જીણી સમારેલી ડુંગળી
1 જીણું સમારેલું લીલુ મરચુ
½ કપ બારીક સમારેલી કોથમીર
½ ટી સ્પુન હળદર
½ સ્પુન ધાણાજીરુ પાઉડર
½ ટી સ્પુન ગરમસાલા પાઉડર
1 ચપટી હીંગ
½ ટી સ્પુન લાલ મરચુ પાઉડર
સ્વાદ પ્રમાણે મીઠુ
તેલ વગર ભજીયા બનાવવા માટેની રીત
– સૌ પ્રથમ એક બોલ લેવો તેમાં ઉપર જણાવ્યું છે તે પ્રમાણે ચણાનો લોટ લેવો.
– હવે તેમાં એક મધ્યમ કદનું બાફેલું બટાટુ મેશ કરીને ઉમેરી દેવું.
– ત્યાર બાદ તેમાં એક મધ્યમ કદની ડુંગળી જીણી સમારીને ઉમેરી દેવી.
– હવે તેમાં ધોઈને સ્વચ્છ કરીને જીણી સમારવામાં આવેલી અરધો કપ કોથમીર તેમજ જીણું સમારેલું લીલુ મરચું ઉમેરી દેવું.
– હવે તેમાં ઉપર જણાવેલા મસાલા એટલે કે હીંગ, મરચુ પાઉડર, હળદર, ધાણાજીરુ પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવા.
– હવે ઉપરની બધી જ સામગ્રીને બરાબર હાથ વડે મિક્સ કરી લેવી. જો તમે ભજીયામાં ખાટો-મીઠો-તીખો ત્રણે સ્વાદ ઇચ્છતા હોવ તો તમે તેમાં લીંબુ તેમજ થોડી ખાંડ પણ ઉમેરી શકો છો.
– હવે તેના ભજીયા પાડવા માટે તેને થોડું ઢીલુ બનાવવું પડે છે માટે તેમાં જરૂર પુરતું અને ભજીયા પડે તેટલું પાણી ઉમેરી જાડુ ખીરુ તૈયાર કરી લેવું.
– હવે ગેસ પર તમે જેમ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમ તેલની જગ્યાએ કડાઈમાં જ પાણી ગરમ કરવા મુકવાનું પણ તેલની જેમ પાણી ઓછુ ન લેવું વધારે લેવું.
– હવે પાણી ઉકળે એટલે તેમાં તૈયાર કરેલા ખીરાના ભજીયા પાડવા લાગવા. ભજીયા તરત જ જેમ તેલમાં ઉપર આવી જાય તેમ ઉકળતા પાણીમાં પણ ઉપર આવી જશે. આમ એક-એક કરીને ભજીયા ઉમેરતા જવા.
– આ ભજીયાને બોઈલ થતાં માત્ર 5-7 મિનિટનો જ સમય લાગે છે. પાંચ-સાત મિનિટ બાદ ઉકળતા પાણીમાંથી ભજીયાને જારાની મદદથી કાઢી લેવા. આવી જ રીતે બાકીના ભજીયા પણ તળી લેવા.
– આ ભજીયાને તમે રેગ્યુલર ભજીયાની જેમ સોસ, કોથમીરની ચટની વિગેરે સાથે અને ચા સાથે પણ ખાઈ શકો છો.
તો તૈયાર છે સ્વાદિષ્ટ બોઈલ્ડ ભજીયા. જો કે આ ભજીયામાં તમને તેલમાં તળો તેવી ક્રીસ્પીનેસ નહીં મળે પણ જો તમે ક્રીસ્પી બોઈલ્ડ ભજીયા ઇચ્છતા હોવ તો તમારે તેના માટે બોઈલ્ડ ભજીયા થોડા ઠંડા થઈ ગયા બાદ પાંચ મિનિટ માટે ઓવનમાં મુકી દેવા.
image sourceઅને જો ઓર વધારે ક્રીસ્પી ભજીયા ખાવા હોય તો ઓવનમાં મુકતા પહેલાં ભજીયા પર સાવ જ નજીવું પીંછીની મદદથી ઓઈલીંગ કરી લેવું અને ત્યાર બાદ પાંચ મીનીટ માટે ભજીયાને ઓવનમાં મુકી દેવા. આમ કરવાથી તમારા પેટમાં વધારે તેલ નહીં જાય અને ભજીયા પણ તમને એકદમ હેલ્ધી અને ક્રીસ્પી મળશે.
આ ભજીયામા તમે અવનવા ટ્વીસ્ટ લાવી શકો છો. અહીં ડુંગળી તેમજ બટાટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તમે તેના વગર પણ સાદા ભજીયા પણ બનાવી શકો છો. આ સિવાય તમે ખીરામા અજમા, તલ વિગેરે પણ નાખી શકો છો.
હેલ્થ અને ટેસ્ટ બન્નેનું યોગ્ય બેલેન્સ જાળવતા આ ભજીયાની રેસીપી તમારા મિત્રો સાથે પણ શેર કરો અને તમારા ઘરમાં જો કોઈને તેલ ખાવાની મનાઈ હોય તો તેમના ટેસ્ટબડ્સને સંતોષ આપવા માટે પણ આ અત્યંત હેલ્ધી ભજીયા તમે થોડા જ સમયમાં બનાવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ