આપણાંમાંથી અનેકને આ સમસ્યા એક યા બીજા સમયે થતી હોય છે. એ છે, અડધી રાતે ભર નિદ્રામાંથી અચાનક જાગી જવું. કોઈની ઊંઘ મધ્યરાતે એટલે રાતના ૧૧થી ૧ની વચ્ચે ખૂલે છે તો કોઈની ૩થી ૫ના સમયે બ્રહ્મ મુહૂર્તમાં. તો કોઈનાથી પાંચ વાગ્યા પછી એક નીંદર થયા પછી સૂઈ જઈ નથી શકાતું. આ સમસ્યના લોકો અનેક તારણો કાઢે છે.
ડોક્ટર્સ અને નિષ્ણાંતોને પૂછે છે. અહીં, કોઈ તો લાંબી ઊંઘની દવા ખાય છે અથવા તો મનોચિકિત્સકને બતાવીને સારવાર કરાવે છે. અધૂરી નીંદરમાંથી અચાનક જાગી જવા વિશે વળી કોઈ જ્યોતિષ કે તંત્ર – મંત્રનો સહારો લઈને જાણકાર પાસે પૂછપરછ કરવા મથે છે. આ બધી જ મથામણ છે તમારા રાતના સમયે સૂવાના અને નિરાંતની ઊંઘ લેવાના. એમાંય જો આપને બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચેના સમયગાળામાં અચાનકથી ઊંઘ ઊડી જાય ત્યારે આપણને ખરું કહીએ તો કંઈક જુદી જ રીતે ડર લાગે છે.
રાતના ૩થી ૫નો સમય સૌથી નિરવ હોય છે. કહેવાય છે કે આ સમયમાં નદીના નીર પણ શાંત થઈને તરંગો રહિત સ્થિર હોય છે. અલૌકિક પ્રકારનો શૂનકાર આ સમયે વાતાવરણમાં પ્રવર્તે છે. ખરેખર જો આવું બનતું હોય તો ગભરાવવાની બીલકુલ જરૂર નથી. આ સમયે અચાનક જો ન આંખ ખુલી જાય તો એને કોઈ ઇશ્વરીય સંકેત સમજવું જોઈએ. આ બાબતથી ડરવાની જરૂર નથી. આને શુભ બાબત સમજવી જોઈએ. એવો અણસાર જેમાં ઇશ્વરનો કોઈ અંશ આપને જગાડવા ઇચ્છે છે, કહેવા માગે છે કે જાગો, તમારે કંઈક એવું અગત્યનું કાર્ય પરિપૂર્ણ કરવાનો ઇશારો હોઈ શકે. બની શકે આ ક્ષણ ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણ હોય. આવા સમયે ડરી જઈને કે પછી મૂંઝાઈને ફરી સૂઈ જવાનું નથી.
જો તમારી ઊંઘ રાતના ૩થી ૫ની વચ્ચે ખૂલી જાય ત્યારે શું કરવું જોઈએ એ પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ તો જ્યોતિષવિદો અને જેઓ આંતર મને વિદ્વાન થયેલ છે એવી અનેક વ્યક્તિઓના મત મુજબઃ આવા સમયે તરત જ બેઠું થઈ જવું. મૂંઝાયા વિના જ શાંત મને ઈશ્વરનું સ્મરણ કરવું. તમે જે કોઈ પણ ઇષ્ટ દેવ કે આરાધ્યને માનતા હોવ, કોઈ પણ ધર્મ, જ્ઞાતિ કે જાતિ સાથે સંબંધિત હોય તમે તમારા ભગવાનનું નામ સ્મરણ કરો. ઈશ્વરનો આભાર માનવો, આજ સુધી જે કંઈ પણ પ્રાપ્ત થયેલ છે સમસ્ત સુખાકારી માટે કૃતજ્ઞતા પ્રગટ કરવી. વિનમ્ર ભાવે આંતર મનને પૂછવું કે એવો તો શું ઇશારો હોઈ શકે જે પરમતત્વ મારી પાસે કરાવવા ઇચ્છે છે. એવી કઈ આજ્ઞા હોઈ શકે જેનું મારે પાલન કરવાનું હોય.
આ સમયે જરા સ્વસ્થ થઈને, પાણી પીવું કે બાથરુમ જઈને ફ્રેશ થઈ જવું. પથારી પર ફરી સૂઈ જવાની તૈયારી સાથે સતત મનમાં એવો પ્રશ્ન રાખવો કે મારા જન્મનો કોઈ ઉદ્દેશ હશે? શું મારે કોઈ એવું કાર્ય કરવાનું હશે જે મારે જ પૂરું કરવાનું હશે? કોઈ એવો સંકલ્પ કે કોઈ સત્કર્મ મારી પાસેથી ઈશ્વરીય તત્વ ઇચ્છે છે?
આ સમયે બ્રહ્મ મુહૂર્તમાં પ્રવર્તતી સકારાત્મક ઊર્જાનો તમારામાં પ્રવેશનો અનુભવ કરો. એવો કોઈ સાત્વિક ઓરા આપની સાથે હરહંમેશ છે જે આપનું ભલું ઇચ્છે છે. કોઈ મંત્ર જાપ કે સ્તુતિ શ્ર્લોક પણ આપ બોલી શકો છો. કંઈ જ ન સૂઝે તો ઓમકાર જપી શકાય. ફરીથી પરમતત્વ સાથે કનેક્ટ થઈને સૂવા પ્રયત્ન કરી લઈ શકાય. અથવા તો કોઈ કામ સૂઝે જેમ કે કોઈ અધૂરું પુસ્તક વાંચવું કે કોઈ કામ પૂરું કરી લેવા જેવું લાગે. અથવા ધ્યાન પ્રાણાયમ કરી લેવાનું મન થાય તો ચોક્કસ એવું કરવું જોઈએ.
ક્યારેય ગભરાઈને કે ઊંઘને આધિન થઈને પડખું ફરીને ઓઢી ન લેવું. ક્ષણિક પણ જાગી, ઈશ્વરનો આભાર માનીને ભાગ્યશાળી ક્ષણને વધાવીને જ સૂવું જોઈએ. નહીં તો એ ઈશ્વરના કોલનો અનાદર સમજી શકાય. ધન્યતાની અનુભૂતિનો અવસર છે. જેને પોતાની જાત સાથે મનન કરીને આગળ વધવું જોઈએ. એવું કોઈ અગત્યનું કામ જે તમારા વરદ હસ્તે થવાનું છે એ તરફ પૂરતો ન્યાય આપવા પ્રયત્નશીલ થઈ જવું જોઈએ.
કહેવાય છે દુનિયામાં જેટલા પણ મહાપુરુષો થઈ ગયા અને જે પણ આજની તારીખોમાં વિશ્વવિખ્યાત વ્યક્તિઓ છે તો પરોઢે બ્રહ્મ મુહૂર્તમાં જ જાગે છે. સવારના સાત કે આઠની વચ્ચે પોતાની આખી દૈનિક ક્રિયાઓ પતાવી લે છે અને આખા દિવસમાં આટોપવાના કાર્યો તેઓ સ્ફૂર્તિથી કરી શકે છે. આ એક એવું ગૂઢ રહસ્ય છે કે જેન કોઈએ ક્યારેય નકાર્યું નથી.
આગળના વડીલો પણ આજ વાતને સમર્થન આપે છે. તેઓ પણ જો કોઈની નીંદર ઊડી જાય તો ભગવાનને યાદ કરીને ફરી સૂઈ જવાની કે પરોઢે અમૃત કાળમાં જાગી જવાની સલાહ આપતાં હોય છે. આજ કારણ છે કે સવાર વહેલી પાડવા માટે રાતે વહેલાં સૂઈ જવાનું પણ રહે છે. પરંતુ આજની આધુનિક જીવનશૈલીમાં આ બહુ શક્ય નથી હોતું અને આખો દિવસ અતિ વ્યસ્ત રહેવાથી દિવસને અંતે ખૂબ થાક લાગે છે.
અપૂર્તી ઊંઘને લીધે બીજો દિવસ પણ કંટાળાજનક અને સૂસ્તીમાં વીતે છે. આ રીતે જો અચાનકથી નીંદર ઊડી જાય તો પણ મન અનેક સારાનરસા વિચારોએ ચડી જાય છે જેને લીધે આપણી કાર્યદક્ષતા પર માઠી અસર પડે છે. આવું ન થાય એ માટે પણ સૂવા પહેલાં સાવ ખાલી મન કરીને સૂવું જોઈએ.
નિર્વિચાર અને શાંત મન સાથે ઇશ્વરનો આભાર માનીને જ્યારે પણ ઊંઘવાનો પ્રયત્ન કરશો તરત નીંદર આવી જાશે અને અધૂરી કે તૃટક ઊંઘની પણ ફરિયાદ નહીં રહે. ઈશ્વરીય તત્વ સાથે કનેક્ટ થવાની વાત છે. મળેલ સફળતાઓ અને સુખ સંપત્તિ માટે આભાર માનીને આવનાર દિવસોમાં પણ હે ઈશ્વર મારું ધ્યાન રાખજો કહીને સૂવાથી આપ સરળતાથી એ કૃપાને આધિન થઈ શકશો. અને જ્યારે આ રીતે અમૃતકાળે આંખ ખુલે ત્યારે ફરી સાક્ષાત્કાર કરવામાં પણ સહજ પ્રયત્નોથી જ આપ શાંત મને એકાકાર થઈ શકશો.
હવે પ્રશ્ન થશે કે જો અગિયારથી એકની વચ્ચે અચાનક આંખ ખુલી જાય તો? આ સમય એવો છે જ્યારે તમે થોડા જ સમય પહેલાં સૂવા પ્રયત્ન કર્યો છે. મનમાં ભમતા અનેકવિધ વિચારો અને મૂંઝવણોના તથા આખા દિવસમાં બનેલ બનાવો વિશે સતત કરાતી ચિંતાઓના ગૂંચવાડામાં આપ જાતને સ્વસ્થ નથી કરી શક્યા. આવા સમયે સવારે પૂજા – પાઠ કે મંત્ર જાપ સાથે દસ કે પંદર મિનિટ રોજ ધ્યાનમાં બેસવાની અને મનને સ્થિર રાખીને કોઈ જ જાતના વિચારો વિના દિવસ શરૂ કરવાની અને પૂરો કરવાની પ્રયત્નપૂર્વક ટેવ પાડવી રહી. જેમ મોબાઈલમાં કે લેપટોપમાં ડિસ્ક્લિનઅપ છે એજ રીતે શરીરને પણ સ્વસ્થ થવાનો થોડો સમય આપવો જોઈએ જેથી તે રિફ્રેશ થઈને બમણી સ્પીડથી બીજે દિવસે કામ કરવા સજ્જ થઈ શકે.
બ્રહ્મકાળ પછીના સમયમાં કે એથી ય મોડી અચાનકથી આંખ ખૂલે અને આપને લાગે કે કંઈક અજૂગતું બની રહ્યું છે ત્યારે ચેતી જાવ. આ સમય એવું બની શકે કે તમારી સાથે કંઈ અયોગ્ય બનાવ બનવાનો સંકેત હોઈ શકે. કોઈ એવું એંધાણ જેમાં તમે બેજવાબદારી કે અણસમજણ પૂર્વક નુકસાન કરી શકવાની સંભાવના હોય. આ સમયે ફરી સૂઈ જવાનું નથી. ડર્યા વિનાજ નિત્યક્રમ આટોપીને, સ્વસ્થ થઈ ધ્યાન કરવા બેસવાનું છે. આ સમયે પહેલી આંગળી જેને તર્જની કહેવાય છે એ અને અંગૂઠાને અડાડીને ધ્યાનમુદ્રામાં બેસવાનું રહેશે.
જાત સાથે સંવાદિત થઈને કુદરતી ઊર્જાનો અનુભવ કરવાનો રહેશે અને એ સમયે આપને નિશ્ચિતરૂપે ચોક્કસથી એ બાબતનો જવાબ મળશે જેની તમને ખરેખર મૂંઝવણ હશે. આવનાર કોઈપણ ગંભીર મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપ આ રીતે અર્જિત કરી શકશો અને સજ્જ થઈ કોઈ પણ સમસ્યાનું નિવારણ પણ સહજ રીતે કરી શકશો. જરૂર છે માત્ર કુદરતી ઊર્જાને સ્વીકારવાની અને પરમતત્વના સંકેતોને સમજવાની.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ