શું તમે ફ્રીઝમાં આવતી દુર્ગંધથી પરેશાન છો ? તો મેળવો તેમાંથી છુટકારો આ ઉપરાંત પણ કેટલીક ટીપ્સ મેળવી તમારા ફ્રીઝને ઓર વધારે કાર્યક્ષમ બનાવો
આજે ભારતના દરેક ઘરમાં પછી તે મુંબઈની ઝૂપડ પટ્ટીનું ઘર હોય કે પછી અમિતાભનો બંગલો હોય. આ બધા જ ઘરોમાં રેફ્રિજરેટર એ કોઈ લક્ઝરી નથી રહી પણ જરૂરિયાત બની ગયું છે. ફ્રીઝ વગર આપણે એક દિવસ પણ ચલાવી નથી શકતા. ટુંકમાં ફ્રીઝ એ ઘરનું મસ્ટ હેવ સાધન છે. તેનો ઉપયોગ ચોવીસ કલાક કરવામાં આવે છે તેના કેટલાક ફાયદા છે તો કેટલાક નુકસાન પણ છે જેમ કે ફ્રીઝની અંદરની દુર્ગંધ, અપુરતી સાંચવણીના કારણે ફ્રીઝમાં શાક બગડી જવું વિગેરે વિગેરે તો આ બધી જ સમસ્યાઓની કેટલીક હાથવગી ટીપ્સ અમે તમારા માટે લાવ્યા છીએ.
ફ્રીઝને સામાન્ય રીતે ઘરની ગૃહિણી દર પંદર દિવસે સાફ કરતી હોય છે. તેમ છતાં ફ્રીઝની અંદર એક પ્રકારની દુર્ગંધ આવતી હોય છે તે જતી નથી. ભલે તેમાંથી જુની શાકભાજી કાઢીને નવી ભરી હોય તો પણ તે દૂર નથી કરી શકાતી. જો તમારા ફ્રીઝમાં એકધારી ગંધ આવતી હોય તો જેને તમે ખોરાક સુરક્ષિત રાખવાનું સાધન ગણો છો તેવું ફ્રીઝ પણ તમારા ભોજનને નુકસાન કરી શકે છે.
દુર્ગંધ દૂર કરવા ફ્રીઝને કેવી રીતે સાફ કરવું
– લીંબુઃ તમે લીંબુનો ઉપોયગ કરીને પણ ફ્રીઝની દુર્ગંધ દૂર કરી શકો છો અને ખાસ કરીને તો તેમાંથી બેક્ટેરિયાને દૂર કરી શકો છો. તેના માટે તમે બે રીત અજમાવી શકો છો એક તો તમે અરધી વાટકી પાણીમાં 5-6 ટીપાં લીંબુના ઉમેરીને તેને એક-બે કલાક માટે ફ્રીઝમાં મુકી શકો છો અથવા તો અરધુ કાપેલું લીંબુ તમે ફ્રીઝમાં ખુલ્લુ જ મુકી દો.
– નારંગી-ફુદીનોઃ જો તમે ફ્રીઝને સાફ કરતી વખતે નારંગી અથવા તો ફુદીનાનો ઉપયોગ કરશો તો તમારું ફ્રીઝ સોડમથી ભરાઈ જશે. તેના માટે તમારે તેને જે પાણીથી ફ્રીઝ સાફ કરતા હોવ તેમાં નારંગી કે ફુદીનાના જ્યુસના કેટલાક ટીપાં ઉમેરી દેવા. આ ઉપાય તમે કાયમી ધોરણે પણ અજમાવી શકો છો.
– કોફી બીન્સઃ જો તમે કોફીના શોખીન હોવ અને આખી કોફી લાવીને તેને ઘરે વાટીને પીતા હોવ તો તે કોફી બીન્સ તમને ફ્રીઝને સ્વચ્છ, દુર્ગંધ રહીત તેમજ બેક્ટેરીયા રહિત રાખવામાં મદદ કરી શકે છે. તેના માટે તમારે ફક્ત એક કટોરીમાં કોફી બીન્સ લઈને ફ્રીઝમાં મુકી દેવા તેમ કરવાથી ફ્રીઝની દુર્ગંધ તો દૂર જતી જ રહેશે પણ ફ્રીઝમાંથી એક સુંદર મજાની સોડમ પણ આવવા લાગશે.
– ન્યુઝપેપરઃ જો તમને એમ લાગતું હોય કે છાપું વાંચ્યા બાદ તેનો માત્ર પસ્તી તરીકે કે પછી ક્યાંક પાથરવા માટે જ ઉપયોગ થતો હોય તો આ નવો ઉપયોગ પણ તમારી યાદીમાં ઉમેરી દો. છાપું પણ ફ્રીઝમાં રહેલી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. છાપામાં માત્ર ભજીયા કે ફાપડા જ પેક નથી થતાં પણ જો તમે ફ્રીઝમાં રાખવાનો ખોરાક જેમ કે શાકભાજી, ફળો વિગેરેને પેપરમાં લપેટીને રાખશો તો ફ્રીઝમાં દુર્ગંધ નહીં ફેલાય અને જો તમે તેમ ન કરવા માગતા હોવ તો તેની જગ્યાએ તમારે બે-ત્રણ છાપા વાળીને ફ્રીઝમાં મુકી દેવા છાપા ફ્રીઝની બધી જ દુર્ગંધ શોષી લે છે.
– બેકીંગ સોડાઃ લીંબુની જમ બેકીંગ સોડાનો ઉપયોગ પણ તમે તેમાંથી દૂર્ગંધ દૂર કરવા માટે કરી શકો છો. જ્યારે ક્યારેય તમારા ફ્રીઝમાં ગંધ આવવા લાગે ત્યારે તેને સાફ કર્યા બાદ ફ્રીઝના એક ખુણામાં એક વાટકી બેકીંગ સોડા ભરીને મુકી દેવો. ગણતરીના કલાકોમાં ફ્રીઝની દુર્ગંધ દૂર થઈ જશે. અને આ ઉપાયને તમે કાયમી ધોરણે પણ અજમાવી શકો છો.
જાણો ફ્રીઝની સાંચવણી તેમજ તેને વધારે કાર્યક્ષમ બનાવવાની ટીપ્સ વિષે
– જો તમારું ફ્રીઝ જુનુ થઈ ગયું હોય અને નવા જેવું કુલીંગ ન આપતું હોય તો સૌ પ્રથમ તમારે તેના ડોરનું સીલ ચેક કરવું જોઈએ. જો તે લૂઝ હશે તો ફ્રીઝમાંની ઠંડી હવા સરળતાથી બહાર નીકળી જશે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારે વર્ષમાં ઓછામાં ઓછા બેવાર ફ્રીઝના ડોરપરના તે રબ્બરના સીલને ટુથબ્રશ અને બેકીંગ સોડા અને પાણીના મિશ્રણની મદદથી સાફ કરવા જોઈએ.
– ફ્રીઝની પાછળની કોઈલ્સ ધૂળ ન જામવા દેવી જોઈએ. જો તમે ઇચ્છતા હોવ કે તમારું ફ્રીઝ નવા જેવું જ કામ કરે તો તમારે વર્ષમાં બે વાર ફ્રીઝને દીવાલેથી ખસેડીને તેની પાછળ નીચેની બાજુએ જે કોઈલ લાગેલી હોય તેના પર જામેલી ધૂળને ફ્રીઝની સ્વિચ ઓફ કરીને સાફ કરવી જોઈએ.
– ફ્રીઝનું તાપમાન યોગ્ય રાખવાથી પણ તમે ફ્રીઝની એફિશિયન્સી વધારી શકો છો. તેના માટે તમારે ફ્રીઝનું તાપમાન 5-6 ડીગ્રી સેલ્સિય રાખવું જોઈએ જ્યારે ફ્રીઝરનું તાપમાન -17 ડીગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ.
– તમારા ફ્રીઝને હંમેશા ભરેલું રાખો. હા, જો તમારા ઘરમાં ફ્રીઝ હોય અને તેનો વપરાશ તમે રોજ કરતા જ હોવ તો તેમાં તમારે વસ્તુઓ ભરી રાખવી પડશે. ભલે તમે ઘરે ઓછું ખાતા હોવ અથવા ફ્રીઝની જરૂર માત્ર દૂધ પુરતી જ રહેતી હોય તેમ છતાં જો તમે ફ્રીઝની અંદરના નીચા તાપમાનને જાળવી રાખવા માગતા હોવ તો તમારે તેમાં સામાન ભરી રાખવો પડશે. જો તમારું ફ્રીઝ મોટું હોય અથવા તેનો વપરાશ ઓછો હોય તો તેના ટેમ્પ્રેચરને નીચુ રાખવા માટે તમે તેમાં પાણીની બોટલો ભરેલી રાખો. તમે જ્યારે ક્યારેય દિવસ દરમિયાન ફ્રીઝનો દરવાજો ખોલો છો ત્યારે જે બહારનો ગરમ પવન ફ્રીઝમાં પ્રવેશે છે તેને ફ્રીઝમાંનો ઠંડો સામાન શોષવામાં ફ્રીઝને મદદ કરે છે.
– જો તમારે ત્યાં પાવર કટ રહેતો હોય એટલે કે અઠવાડિયામાં એક દિવસ તમારે ત્યાં લાઈટ જતી જ રહેતી હોય તો તેવા સંજોગોમાં તમારે તમારા ફ્રીઝને ખોલવું નહીં તેને બંધ જ રાખવું. પાવર કટ હોય ત્યારે ફ્રીઝને વારંવાર ખોલવાથી તેની અંદરની વસ્તુઓ ખરાબ થઈ જાય છે.
જો તમે ઇલેક્ટ્રીસીટી ગયા બાદ ફ્રીઝરને ખોલશો નહીં તો તેની અંદરનું ટેમ્પ્રેચર પછીના 48 કલાક સુધી મેઇન્ટેન કરી રાખશે પણ શરત એ છે કે ફ્રીઝર ફુલ ભરેલું હોવું જોઈએ.
– ઘણીબધી એવી વસ્તુઓ છે જેંને રેફ્રીજરેશનની કોઈ જ જરૂર નથી હોતી તેમ છતાં પણ લોકો તેને ફ્રીઝમાં મુકતા હોય છે. તમારે તમારા ફ્રીઝમાં, હોટ સોસ, બ્રેડ, ટામેટા, કોફી, વિવિધ જાતના સ્ક્વોશ, મધ, કેક, કાપ્યા વગરની ટેટી, કેળા, કેચઅપ, પીનટ બટર, સફરજન, પીચ, બબુકોશા જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. બ્રેડને જો તમે ફ્રીઝમાં રાખતા હોવ તો હવેથી ન રાખતાં કારણ કે બ્રેડ હંમેશા રૂમ ટેમ્પ્રેચર પર સારી રહે છે. ફ્રીઝમાં મુકવાથી તેમાંનો ભેજ શોશાઈ જશે અને તે વાપરવા લાયક નથી રહેતી. આ સિવાય ટામેટા પણ ફ્રીઝ કરતાં બહાર વધારે ફ્રેશ રહે છે.
– ફ્રીઝમાં ક્યારેય ફ્રુટ કે પછી વેજીટેબલ્સ પ્લાસ્ટિકની થેલી સાથે ન મુકી દેવા. તેમ કરવાથી તે જલદી બગડી જશે. બીજી વાત એ કે તે તમારી નજરમાં નહીં આવતા તમારી પાસે ફ્રીઝમાં શું પડ્યું છે તે તમે ભુલી જશો.
– ફ્રીઝમાં તમે જે કોઈ પણ રાંધેલી કે ખાતા વધેલી વસ્તુઓ મુકો તેને તમારે ઢાંકણાવાળા કન્ટેનરમાં જ મુકવી. કોઈ પણ વસ્તુ ખુલ્લી ન મુકવી. આમ કરવાથી તમે એકબીજી ખાદ્યવસ્તુમાં ફેલાતી વાસને રોકી શકશો.
– એક કન્ઝુમર અહેવાલ પ્રમાણે ફ્રીઝની ઉપની છાજલીઓ કરતાં નીચેની છાજલીઓ વધારે ઠંડી હોય છે અને માટે તમારે તમારું દૂધ ઉપરની તરફ નહીં પણ નીચેની તરફ રાખવું જોઈએ. આમ તેને વધારે ઠંડક મળવાથી તે વધારે સમય સુધી સારું રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ