આવનારા તહેવારોમાં સંતરાની છાલમાંથી બનતાં ફેસપેકનો ઉપયોગ કરી તમારા ચહેરાના તેજથી લોકોને આકર્ષો
સંતરા એટલે કે નારંગી એટલે કે ઓરેન્જ જેને આપણે વિટામીન સીની ખાણ સમજીએ છીએ. તે માત્ર શરીરના આંતરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ બાહ્ય સૌંદર્ય માટે પણ ગુણોની ખાણ સમાન છે. આજે અમે તમને જણાવીશું સંતરાની છાલના સૌંદર્ય વધારતા ગુણો વિષે. માત્ર એક જ વારના ઉપયોગથી ત્વચા બની જશે ચમકીલી.
સંતરાની છાલના પ્રયોગથી તમે તમારા ચહેરાની ત્વચા ને લગતી દરેક સમસ્યાથી છુટકારો મેળવી શકો છો પછી તે ખીલના નિશાન હોય, ધબ્બા હોય, ચહેરાની ઓઈલીનેસ હોય કે પછી ચેહરા પરની કાળાશ હોય કે પછી ચહેરાની જાંખપ હોય બધી જ સમસ્યા દૂર કરી શકશો.
તેના માટે તમારે પાર્લરમાં જઈને ઢગલો રૂપિયા આપીને મોંઘા મેંઘા ફેશિયલ કે પછી ટ્રીટમેન્ટો કરાવવાની કોઈ જરૂર નથી. સંતરાનો આ એક ઉપયોગ કરીને તમે સાવ જ મફતમાં તમારી આ દરેક ફરિયાદ દૂર કરી શકશો. વિટામિન સી તમારી ત્વચા માટે ઉત્તમ છે. તે તમારી સ્કીનને સ્વસ્થ રાખે છે.
સંતરાની છાલને સુકવીને બનાવવામાં આવતા પાઉડરમાંથી બનાવવામાં આવતા ફેસપેકમાં પુષ્કળ પ્રમાણમાં એંટીઓક્સીડેંટ સમાયેલા હોય છે, તે તમારી ત્વજાની બધી જ સમસ્યા દૂર કરીને તેને એક નવો જ ગ્લો આપે છે. આ ઉપરાંત તેમાં રહેલા એઁટી બેક્ટેરિયલ અને એંટી-માઇક્રોબિયલ ગુણ હોય છે જે ખીલ તેમજ ઓઈલી સ્કીનની સમસ્યાને દૂર કરે છે.
સંતરાની છાલનો પાઉડર કેવી રીતે તૈયાર કરવો
સંતારની છાલના પાઉડરને વિવિધ કુદરતી વસ્તુઓ સાથે મિક્સ કરીને તેનાથી ત્વચાની લગભગ બધી જ તકલીફ દૂર કરી શકો છો. તેના સમાટે તમે જે સંતરા તમારા ખાવા માટે ખરીદો છો. તેને ઉપયોગમાં લીધા બાદ તેની છાલને ફેંકી ન દેવી પણ તેને ભેગી કરીને તેને સુકવી દેવી. પણ સુકવતા પહેલાં એટલું ધ્યાન રાખવું કે તેને આકરા તડકામાં ન સુકવવી પણ સવારના કુમળા તડકામાં અથવા જ્યાં આછો તડકો પડતો હોય ત્યાં સુકવવી. અને જ્યારે છાલ સુકાઈને કડક થઈ જાય ત્યાર બાદ તેને ગ્રાઇન્ડ કરીને તેનો બારીક પાઉડર બનાવી લેવો.
સંતરાની છાલનો પાઉડર અને ચંદન પાઉડરનો ફેસપેક
ચંદન આપણે બધા જાણીએ છીએ તેમ ઠંડક આપનારો પદાર્થ છે. આ સિવાય તે ત્વચાની મૃત પરતને પણ ત્વચાને નુકસાન કર્યા વગર હટાવી શકે છે. તેના માટે તમારે એક ચમચી સંતરાની છાલનો પાઉડર અને સામે એક મોટી ચમચી ચંદનનો પાઉડર લેવો. હવે તેની પેસ્ટ બનાવવા માટે તમારે તેમાં બે ચમચી ગુલાબજળ અને લીંબુના બે-ત્રણ ટીપાં ઉમેરી શકો છો સંતરાનો જ્યુસ પણ ઉમેરી શકો છો. અથવા જો કંઈ ન હોય તો તેમાં દૂધ ઉમેરીને પણ તેનો ફેસપેક તૈયાર કરી શકો છો.
આ બધી જ સામગ્રી બરાબર મિક્સ કર્યા બાદ તેને સમાન પ્રમાણમાં તમારા ચહેરા તમારી ડોક તેમજ ડોકની પાછળના ભાગ બધે જ લગાવી લેવું. હવે તેને પાંચથી સાત મીનીટ સુધી તેમજ રાખી મુકવું અને ત્યાર બાદ તેને નોર્મલ પાણી વડે ધોઈ લેવું. આગળ જણાવ્યું તે પ્રમાણે આ પ્રયોગ તમારા ચહેરા તેમજ ડોક પરની મૃત ત્વચાને ખુબ જ સરળતાથી દૂર કરી દેશે.
સંતરાની છાલનો પાઉડર અને દહીંનો ઉપયોગ
જો તમે તમારા ચહેરાની ત્વચા સ્વચ્છ અને ચમકીલી બનાવવા માંગતા હોવ તો તેના માટે તમારે સંતરાની છાલના પાઉડરનો ઉપયોગ દહીં સાથે કરવો જોઈએ. તેના માટે તમારે એક ચમચી સંતરાની છાલ અને સામે બે મોટી ચમચી દહીં લેવું તેને બરાબર મિક્સ કરી દેવું. અને તે મિશ્રણથી 10 મિનિટ સુધી ચહેરા તેમજ ડોક પર મસાજ કરવું આ પેકને તમે તમારા હાથ અને પગ પર પણ લગાવી શકો છો.
મસાજ કર્યા બાદ તેને તેમજ 20 મિનિટ સુધી રાખી મુકવું. અને ત્યાર બાદ તેને ધોઈ લેવું. જો તમે દહીંની ચિકાસ દૂર કરવા માગતા હોવ તો તેને તમે હુંફાળા પાણીથી ધોઈ શકો છો. આ ફેસપેક તમને ખુબ જ ઓછા સમયમાં ગ્લોઈંગ સ્કીન આપે છે. આ પ્રયોગને તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
સંતરાની છાલ –મુલતાની માટી-ગુલાબજળનો ફેસપેક
આ ફેસપેક જે બહેનોને સતત તૈલી ત્વચાની સમસ્યા રહેતી હોય તેમના માટે ઉત્તમ છે. તેના માટે તમારે એક મોટી ચમચી સંતરાની છાલનો પાઉડર, એક મોટી ચમચી મુલતાની માટી અને તેની સ્મુધ પેસ્ટ તૈયાર કરવા માટે તેમાં જરૂર પુરતું ગુલાબજળ ઉમેરવું.
હવે બધી જ સામગ્રી વ્યવસ્થિત મિક્સ કરી લેવી. હવે તેને તમારા ચહેરા તેમજ ડોક ફરતે સપ્રમાણ લગાવી લેવું. હવે તે બરાબર સુકાઈ જાય ત્યાં સુધી તેને તેમજ લગાવી રાખવું ત્યાર બાદ તેને નોર્મલ પાણી વડે ધોઈ લેવું. આ પ્રયોગ કરવાથી તમારી ત્વચા સ્વચ્છ થઈ જશે તેમજ ત્વચા પરના બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ પણ દૂર થઈ જશે. ત્વચાને એક નવજીવન મળશે.
સંતરાની છાલ અને ચુનાનો ફેસપેક
જો તમારો ચહેરો તડકાના કારણે કાળો પડી ગયો હોય તો તેને તમે આ ફેસપેકની મદદથી દૂર કરીશકો છો. તેના માટે તમારે બે ચમચી સંતરાની છાલનો પાઉડર અને તેમાં 3-4 ટીપાં ચૂનો અને એક નાની ચમચી ચંદન પાઉડર ઉમેરી તેને બરાબર મિક્સ કરીન તેની પેસ્ટ તૈયાર કરી લેવી.
હવે તૈયાર થયેલી પેસ્ટને તમારા ચહેરા તેમજ ડોકની આગળ પાછળ સમાન પ્રમાણમાં લગાવી લેવી. તેને તેમજ વીસથી ત્રીસ મીનીટ લગાવી રાખવી ત્યાર બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ લેવું. આ ફેસપેક માત્ર સનટેન જ દૂર નથી કરતો પણ તેનાથી ચહેરા પરના ખીલ પણ દૂર થઈ જાય છે અને ત્વચા ચમકીલી બને છે.
સાવચેતી
તમને ઉપર જણાવેલા ફેસપેકમાં વાપરવામાં આવેલી કોઈપણ સામગ્રીથી એલર્જી હોય અથવા તમને તેનો ખ્યાલ ન હોય તો જ્યારે ક્યારેય તમે આ ફેસપેકનો પ્રયોગ કરો ત્યારે તમારા હાથના નાનકડા ભાગ પર તેનો પ્રયોગ કરી જુઓ. જો ત્યાં તમારી ત્વચાને કોઈ નુકસાન ન પહોંચતું હોય તો ત્યાર બાદ તમે તેનો ઉપયોગ તમારા ચહેરા પર કરી શકો છો.
તો હવે વધારે વિચાર્યા વગર જ્યારે ક્યારેય પણ સંતરા ખાઓ ત્યારે તેની છાલને કચરામાં નાખ્યા વગર તેને ભેગી કરીને તેની સુકવણી ચાલુ કરી દો. તે તમારી ત્વચાને અઢળક ફાયદા કરાવશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ