12 વર્ષની બાળા મરતાં મરતાં 5 લોકોની આપતી ગઈ જીવનદાન
જ્યારે આપણા જ ઘરની કોઈ વ્યક્તિ આપણને કાયમને માટે છોડીને ભગવાન પાસે જતી રહે છે ત્યારે તેનું દુઃખ અસહનીય હોય છે અને જ્યારે ઘરનું કોઈ બાળક મૃત્યુ પામે ત્યારે તે પિડા માતાપિતા માટે અસહ્ય બની જાય છે. પણ ભગવાન આગળ કોઈનું કશું જ ચાલતું નથી. અને આજનું આધુનિક વિજ્ઞાન અને મિડકલ સાયન્સ તમને અનંતની સફરે ચાલ્યા ગયેલા તમારા પ્રિયજનનું મૃત્યુ લેખે લાગે તે માટેની સગવડા આપી છે. મૃત્યુ બાદ તેમના અંગોને દાન કરીને તમે ઘણા લોકોને જીવનદાન આપી શકો છો.
સુરતના વરછા વિસ્તારમા રહેતી 12 વર્ષીય યેશા માંગુકિયા પણ જતાં જતાં એક નહીં પણ પાંચ પાંચ લોકોને જીવનદાન આપતી ગઈ છે. યેશા 7માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. 9 માર્ચના રોજ તેણી શાળાએથી આવીને પોતાની બેહનપણી સાથે રમવા ગઈ હતી ત્યાં અચાનક તેણી ચોથા માળેથી નીચે પડી ગઈ હતી. જેના કારણે તેણીને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.
માથામાં થયેલી ગંભીર ઇજાના કારણે તેણી બ્રેન ડેડ થઈ ગઈ હતી. વિનસ હોસ્પિટલના ચીફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટીવ ડો. નિરજપટેલે જણાવ્યું હતું કે તેણી માથામાં ગંભીર ઇજા થવાથી બેભાન થઈ ગઈ હતી. હોસ્પિટલમાં હાજર ન્યુરોસર્જનની ટીમે યેશાની તપાસ કર્યા બાદ તેણીને બ્રેનડેડ જાહેર કરી હતી. અને આ સમાચાર આખાએ કુટુંબ માટે વજ્રાઘાત સમાન હતો. પણ ત્યાર બાદ પિતા ભરતભાઈ અને સંગીતાબેને તેમના પરિવાજનો સાથે મળીને યેશાના અંગદાનનો પરોપકારી નિર્ણય લીધો.
તમને જણાવી દઈએ કે જ્યારે વ્યક્તિને બ્રેનડેડ જાહેર કરવામાં આવે ત્યારે તે વ્યક્તિનું થોડા જ સમયમાં મૃત્યુ થઈ જ જતું હોય છે પણ તેના અંગોને જો પરિવારજનો દાન કરવા માગતા હોય તો તેને લાઇફ સપોર્ટ દ્વારા જીવીત રાખીને તે અંગોનું દાન જરૂરિયાતમંદ દર્દીને થઈ શકે છે.
તે બાબતે સુરત ખાતેની ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાને તેમના આ નિર્ણયની જાણ કરવામાં આવી. તેમણે યેશાના પરિવારજનોને આખીએ અંગદાનની પ્રક્રિયા વિષે અને તેના મહત્ત્વ વિષે સમજાવ્યું. અને તેમની આ સમજાવટના કારણે પરિવારજનો આ મહત્ત્વનો નિર્ણય લઈ શક્યા.
યેશાના પરિવારજનો આ અંગદાન વિષે જણાવે છે કે તેમણે અવારનવાર અંગદાન વિષે ઘણા બધા માધ્યમો દ્વારા સાંભળ્યું વાંચ્યું છે. પણ જ્યારે આજે તેમની જ લાડકી દીકરી બ્રેનડેડ જાહેર કરવામાં આવી ત્યારે તેમને ખ્યાલ હતો કે તેણીનું મૃત્યુ નિશ્ચિત જ હતું. ત્યારે તેણીના અંગોનું દાન કરીને અમે બીજા કોઈકના કાળજાના કટકાને નવજીવ આપી શકતાં હોઈએ તો તેનાથી વધારે પુણ્યનું કામ બીજું શું હોઈ શકે અને અમે બીજાઓને પણ કહીએ છે કે તેઓ પણ આગળ આવે.
કુટુંબીજનો પાસેથી યેશાના અંગદાનની પરવાનગી મળતાં ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાલાએ ડો. પ્રાંજલ મોદી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી યેશાના કીડની તેમજ લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું.
સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) દ્વારા યેશાની કીડની અને લિવરનું દાન લેવામાં આવ્યું હતું. જેને સુરતથી અમદાવાદ વચ્ચે ગ્રીન કોરીડોર બનાવીને અમદાવાદ સ્થિત IKDRC હોસ્પિટલમાં જરૂરિયાતવાળા દર્દીને યેશાની બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે કરવામાં આવ્યુ હતું. યેશાની આંખોને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકમાં દાન કરવામાં આવી હતી. આમ 12 વર્ષની કુમળી કિશોરી યેશા દુનિયામાંથી વિદાય લેતાં લેતાં પાંચ લોકોને જીવન દાન આપતી ગઈ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ