1 કરોડ શિવલિંગ ધરાવતું મંદિર, જાણો ક્યાં આવેલ છે આ જગ્યા જ્યાં થશે શિવલિંગના અનોખા દર્શન…

ભગવાન શિવને આપણે મહાદેવ પણ કહીએ છીએ. તેમને દેવોના દેવ કહેવામાં આવે છે. આપણા દેશમાં શિવના લાખો કરોડો ભક્તો છે. લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે અનેક શિવાલયો પણ બંધાવતા હોય છે. લોકો સોમવાર, શ્રાવણ માસ તેમજ શિવરાત્રી જેવા અવસરો પર ભગવાન શિવની શ્રાદ્ધાપૂર્વક પુજા કરે છે. આપણા દેશમાં લાખો શિવાલયો હશે. પણ અમે આજે જે શિવાલયની વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિષે તમે ભાગ્યે જ ક્યાંક કંઈ સાંભળ્યું હશે. આ શિવાલયમાં માત્ર એક શિવલિંગ નથી અને 101 શિવલિંગ પણ નથી, આ શિવાલયમાં 1 કરોડ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ શિવાલયનો આકાર પણ શિવલિંગ જેવો છે. જ્યારે તમે આ શિવ મંદિરના પ્રાંગણમાં પગ મુકો છો ત્યારે અચાનક એક સાથે આટલા બધા શિવલિંગો જોઈ તમે ભાવવિભોર થઈ જશો. એક કરોડ શિવલિંગ તો આ મંદિરમાં છે જ પણ દુનિયાનું સૌથી મોટું શિવલિંગ પણ આ મંદિરમાં સ્થાપિત છે. આ શ્રદ્ધાથી તરબોળ કરી નાખતું દૃશ્ય છે.આ મંદિરનું નામ છે કોટિલિંગેશ્વર મંદિર. કર્ણાટકમાં કોલાર જિલ્લામાં કામ્માસાંદરા ગામમાં કોટિલિંગેશ્વર મંદિર આવ્યું છે. પવિત્ર, સુંદર, શાંત જગ્યાએ આવેલું આ મંદિર દુનિયાનું સૌથી ઉંચુ શિવલિંગ ધરાવે છે અને સાથેસાથે તેમાં 1 કરોડ શિવલિંગોની સ્થાપના પણ કરવામાં આવી છે.આ ઉપરાંત મંદિરનો આકાર પણ શિવલિંગ જેવો છે. આ મંદિરના સૌથી મોટા શિવલિંગની ઉંચાઈ 108 ફૂટ છે. જેના દર્શન કરી ભક્તો શિવનું સાનિધ્ય અનુભવે છે. અન્ય શિવાલયોની જેમ અહીં પણ નંદિ બીરાજમાન છે પણ આ નંદિની ખાસિયત એ છે કે તે 35 ફૂટની ઉંચાઈ ધરાવે છે. શિવલિંગની પાસે માતાજી તેમજ ગણેશજી અને શ્રી કુમારસ્વામિની મૂર્તિઓ મુકવામાં આવી છે.આ મંદિરનો 360 અંશનો એક પણ એવો અંશ નહીં હોય જ્યાં તમને શિવના દર્શન ન થતાં હોય.આ મંદિર પાછળ પણ એક કથા છે. કહેવાય છે કે ગૌતમ ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો હતો, આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ઇન્દ્રએ આ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરી અને તેના પર 10 લાખ નદીઓના પાણીનો અભિષેક કર્યો ત્યારથી આ શિવલિંગ અહીં અસ્તિત્ત્વ ધરાવે છે.

આ જ કારણથી ભક્તો પોતાની માનતા પુરી કરવા માટે 1 ફૂટથી લઈને 3 ફૂટના શિવલિંગની સ્થાપના કરે છે. માટે અહીં સ્થાપિત શિવલિંગની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.