પુત્રના મૃત્યુ બાદ પુત્રવધુના માનભેર કરાવ્યા બીજા લગ્ન
આજે સાંસારીક ઝઘડાઓ દિવસે અને દિવસે વધી રહ્યા છે.
ભાઈ-ભાઈ સાથે ઝઘડી રહ્યો છે, માતા-પિતા અને દીકરા વચ્ચે પણ સારા સંબંધ નથી રહેતાં અને આવા સંજોગોમાં તમે ક્યારેય એવી અપેક્ષા ન રાખી શકો કે સાસુ-વહુના સંબંધ પણ સારા હોઈ શકે.
કારણ કે સાસુ-વહુના સંબંધો તો સદીઓથી જેમ ચાલતા આવ્યા તેવા જ છે. તે બન્ને વચ્ચે હંમેશ એક અંતર રહે છે તે રહે જ છે. પણ ભગવાન ક્યારેક આ મામલે લોકોને મોટું હૃદય આપી દેતો હોય છે અને આવા લોકો પોતાના સંબંધ સારી રીતે નિભાવી જાણે છે.
વાત થઈ રહી છે ગોંડલના મોવિયા ગામના સાસુ-વહુના મીઠા સંબંધની અરે માત્ર સાસુ વહુના જ નહીં પણ સમગ્ર ઘરના સભ્યો વચ્ચે જે પ્રેમ જોવા મળી રહ્યો છે તેવું હવે ભાગ્યે જ તમને ક્યાંય જોવા મળે.
વાત એમ બની હતી કે આ ગામમા રહેતાં પટેલ પરિવારના નાના પુત્રનું મૃત્યુ થયું અને પુત્રવધુ વિધવા થઈ ગઈ.
પણ આપણે બધાં જ જાણીએ છીએ અને સમજીએ છે કે આખું જીવન એકલા વિતાવવું તે કંઈ સહેલું કામ નથી અને આજ સમજથી પુત્રવધુના સાસુ-સસરાએ તેણીના માતા-પિતા બનીને તેના બીજા લગ્ન કરાવવાનું વિચાર્યું
માત્ર લગ્ન કરવાનું વિચાર્યું જ નહીં પણ પુત્રવધુને દીકરીને જેમ વિદાય આપે તેવી જ રીતે ધામધૂમથી લગ્ન કરાવીને વિદાય આપી હતી.
પુત્રવધુની સાથે સાથે તેણીના બે બાળકો તેમજ કરિયાવર આપીને તેણીને વિદાઈ આપી હતી.
વિદાઈ વખતની વેળાનું દ્રશ્ય જોઈને ભલભલાની આંખોમાં પાણી આવી ગયા હતા પણ આ પાણી ખુશીના અને ગર્વના હતાં કે આજના સ્વાર્થી યુગમાં પણ આવા દીલદાર લોકો હોઈ શકે ?
મોવિયા ગામના ચંદુભાઈ કાલરિયા અને તેમના ધર્મપત્ની રસિલાબેન ગામના ખેડૂત છે. તેમણે પુત્રવધુના લગ્ન કરાવીને સમાજમાં એક ઉત્તમ અને પ્રેરણારૂપ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
તેમના નાના પુત્ર 29 વર્ષિય અમિત જે ગામમાં જ મોબાઈલ રીપેરીંગનું કામ કરતાં હતા તેનું ત્રણ મહિના પહેલાં હાર્ટ એટેક આવવાથી કવેળાએ મૃત્યુ થયું હતું તેની પાછલ તે જુવાન પત્ની અને બે નાનકડા ફુલ જેવા બાળકોને મૂકીને આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા.
પુત્રના અકાળે મૃત્યુથી આખાએ પરિવાર પર આભ ટૂટી પડ્યું હતું. એક તો આટલું લાંબુ જીવન એકલા પસાર કરવું અને ઉપરથી બે બાળકોનો ઉછેર આ બધું જ તેમની પુત્રવધુ આરતીબેનના માથે આવી ગયું હતું.
આપણા સામાજીક નિયમો પ્રમાણે પતિના મૃત્યુ બાદ પત્ની સંતાનો સાથે સાસરીમાં જ એકલવાયું જીવન પસાર કરે છે અથવા તો પોતાને પિયર સંતાનોને લઈને ચાલી જાય છે અને ત્યાં કદાચ તેના માતાપિતા તેના બીજા લગ્ન કરાવે છે.
પણ અહીં માતાપિતાની જવાબાદરી આરતીબેનના સાસુ-સસરાએ નિભાવી અને તેણી માટે યોગ્ય જીવનસાથી શોધવાની શરૂઆત કરી અને છેવટે તેમણે અમરેલી જિલ્લાના સૂર્ય પ્રતાપગઢ ગામમાંથી મૂરતિયો શોધી કાઢ્યો અને મહેશ સોળિયા સાથે તેણીના લગ્ન નક્કી કર્યા અને ત્યાર બાદ તેણીને ધામધૂમથી સાસરે વળાવી દીધી.
તેઓ નોહતા ઇચ્છતા કે તેમના મૃત દીકરાની વહુ આખું જીવન દુઃખ અને પિડામાં વ્યતિત કરે અને માટે જ તેમણે જરા પણ મોડું કર્યા વગર તેણીના લગ્ન કરાવી દીધા.
માતા-પિતાની ફરજ ભલે સાસુ-સસરાએ નિભાવી પણ કન્યાદાનની ફરજ મોટા ભાઈ-ભાભી એટલે કે આરતીબેનના જેઠ-જેઠાણીએ પૂર્ણ કરી. સાસુ-સસરાએ આરતીબેનને એક દીકરીની જેમ જ વળાવી છે.
તેણીને સમાજ પ્રમાણે જે કરિયાવર જે સ્ત્રીધન આપવાનું હોય તે બધું જ આપ્યું છે અને એક માવતરની પેઠે તેણીની વિદાય કરવામાં આવી હતી.
આજે ચંદુભાઈ કાલરિયા અને તેમના પત્ની રસિલાબેન આખાએ ગામનું ગૌરવ બની ગયા છે. લોકો તેમના વખાણ કરતાં થાકતા નથી.
સમાજમાં થતી આવી જ શુભ ઘટનાઓ આપણામાં માનવતાની આશા જગાવી રાખે છે અને આપણને ખાતરી કરાવે છે કે માનવતા હજુ મરીપરવારી નથી માણસ આજે પણ એકબીજાનો ખ્યાલ રાખે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ