આ જાપાનીઝ સૈનિકે વિશ્વયુદ્ધ પત્યાના ત્રણ દાયકા બાદ પણ સરન્ડર નહોતું કર્યું…
જાપાનના આ સૈનિકે વિશ્વ યુદ્ધ 2ની સમાપ્તી બાદ પણ પોતાની જાતને સરન્ડર ન કરી અને તેણે 29 વર્ષ એ ભ્રમમાં કાઢ્યા કે વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અને તેણે પોતાના ઉપરી દ્વારા જે પોસ્ટ સંભાળવા માટે આપી છે તેને તેણે મૃત્યુ સુધી સંભાળવાની છે. અને તે પોતાના દેશને વફાદાર રહેવા ફિલિપાઇન્સના જંગલોમાં 29 વર્ષ સુધી જાપાનીઝ સૈનિક તરીકેની ફરજ બજાવતા રહ્યા.
હિરો ઓનોડાનો જન્મ 19 માર્ચ 1922ના રોજ થયો હતો. તે ઇમ્પિરિયલ જાપાનીઝ આર્મી ઇન્ટેલિજન્સ ઓફિસર હતા. 1945ના ઓગસ્ટમાં જ્યારે બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું. હજારો જાપાનીઝ સૈનિકો જ્યારે પ્રત્યાર્પણ કરી રહ્યા હતા ત્યારે હીરો ઓનોડા ફિલિપાઈન્સના જંગલોમાં પોતાની જાપાનીઝ સૈનિક તરીકેની ફરજ પુરી નિષ્ઠાથી બજાવી રહ્યા હતા.
તેમને જાત જાતના ચોપાનિયાઓ વિગેરે પહોંચાડીને સ્થાનિક ફીલીપાઇન્સ વાસીઓએ યુદ્ધ પુરુ થયું હોવાની વારંવાર ખબર આપી તેમ છતાં તેઓ તેવું માનતા રહ્યા કે તે બધી ફીલીપાઇન્સની ચાલ છે અને તેમને મારી નાખવાનું શડયંત્ર છે માટે તેમણે ક્યારેય તેમના પ્રયાસો પર વિશ્વાસ ન કર્યો. અને છેવટે જ્યારે વિશ્વયુદ્ધમાં તેમના ભૂતપુર્વ કમાન્ડર જાપાનથી ફિલિપાઇન્સ આવીને તેમને તેમની ફરજમાંથી મુક્ત કરવાના હાથોહાથ ઓર્ડર ન આપ્યાં ત્યાં સુધી તેઓ પોતાની ફરજ પરથી ટસથી મસ ન થયા.
જાણો તેમની સમગ્ર કહાની
ઓનોડાની ટ્રેનીંગ એક ઇન્ટેલીજન્સ ઓફિસર તરીકે કમાન્ડો ક્લાસમાં કરવામાં આવી હતી. 26 ડીસેમ્બર 1944ના રોજ તેમનું ફિલિપાઇન્સના લુબાંગ આઇલેન્ડ પર પોસ્ટીંગ કરવામા આવ્યું. તેમને ઓર્ડર આપવામાં આવ્યા હતા કે તેમણે આઇલેન્ડ પર દુશ્મનના આક્રમણને રોકવા માટે સમગ્ર બધા જ પ્રયાસ કરવા. અને કોઈ પણ સંજોગોમાં તેમણે સરન્ડર નહીં કરવું. અને જો તેવા કોઈ સંજોગો ઉભા થાય તો પોતાનો જીવ આપી દેવો.
ઓનોડા ફિલિપાઇન્સના તે આઇલેન્ડ પર જ્યારે ઉતર્યા બાદ તેઓ પોતાના અન્ય જાપાનીસ સૈનિકો સાથે જોડાયા. ઓનાડાના આઇલેન્ડ પર આવ્યાના થોડા જ મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 1945 સુધીમાં તેમના ત્રણ સાથીઓ સિવાયના બધા જ જાપાનીસ સૈનિકો કાંતો માર્યા ગયા હતા અથવા તો તેમણે સરન્ડર કરી લીધું હતું. ઓનોડા તરત જ લેફ્ટેનન્ટ બની ગયા અને પોતાના સાથીઓને આઇલેન્ડ પર આવેલા પહાડ પર જવાનું સુચન આપ્યું. બહારની પરિસ્થિતિથી અજાણ ઓનોડા અને તેના ત્રણ સાથીઓએ જંગલમાં પોતાની ગોરીલા પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી અને સ્થાનીકો તેમજ પેલીસ સામે કંઈ કેટલીએ વાર ગોળીબાર કર્યા.
વિશ્વ યુદ્ધ 2 ની સમાપ્તીના સમાચાર આપવામાં આવ્યા
1945ના ઓક્ટોબરમાં તેમને પ્રથમવાર એક ચેપાનિયુ મળ્યું જેમાં લખ્યું હતું કે જાપાને સરન્ડર કરી લીધું છે. ત્યાર બાદ બીજું પણ એક ચોપાનિયુ તેમને મળી આવ્યું જેમાં લખ્યું હતું, “યુદ્ધ 15મી ઓગસ્ટે સમાપ્ત થઈ ગયું છે. પહાડો પરથી નીચે આવી જાઓ !” આ ચોપાનિયાઓ વાંચીને તેમને સતત એમ જ લાગ્યા કરતું હતું કે તેમને છેતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે જો ખરેખર યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોત તો તેમણે તેમની સામે ગોળીબાર ન કર્યો હોત.
1945ના અંતમાં પ્લેન દ્વારા પહાડો પર ઢગલા બંધ ચોપાનિયા ફેંકવામાં આવ્યા જેમાં તેમના તે સમયના જનરલ ટેમોયુકી યામાશીટા દ્વારા સરન્ડરનો ઓર્ડર પણ કરવામાં આવ્યો હતો. તેઓ એક વર્ષથી જંગલમાં છુપાઈ રહ્યા હતા. અને આ એક જ ચોપાનિયુ એવું હતું કે જેના પર તેઓ વિશ્વાસ કરી શકે તેમ હતા. પણ તેમને હજુ પણ શંકા હતી કે તે સાચું હતું કે ખોટું. છેવટે તેમણે તે લખાણ પર પણ વિશ્વાસ ન કર્યો.
ચાર માથી એક સૈનિકે સરન્ડર કરી લીધું
ઓનોડા સાથેના ત્રણ સૈનિકોમાંનો એક 1949ના સપ્ટેમ્બરમાં તેમને છોડીને જતો રહ્યો તે છ મહિના જંગલમાં રઝળતો રહ્યો અને છેવટે 1950માં તેણે ફિલિપિનો સૈન્ય સમક્ષ સમર્પણ કર્યું.
પ્લેનમાંથી જંગલની ટેકરીઓ પર કુટુંબની તસ્વીરો ફેંકવામાં આવી
1952માં ફરી તેમને બહાર લાવવાના પ્રવાસ હેતુ પ્લેન દ્વારા જંગલમાં કુટુંબમાંથી આવેલા પત્રો તેમજ તસ્વીરો ફેંકવામાં આવ્યા. જેમા તેમને સમર્પણ કરવા માટે અરજ કરવામાં આવી હતી, પણ આ ત્રણ સૈનિકોને તો જરા પણ વિશ્વાસ નહોતો થતો. તેમને તેમાં કોઈ શડયંત્ર જ લાગતુ હતું.
ગોળીબારમાં ઓનોડાના બે સાથી માર્યા ગયા
ત્રણ વર્ષ બાદ તેમને શોધવા નિકળેલી ફિલિપિન્સની સૈન્ય ટુકડી દ્વારા ઓનાડાનો સાથી ગોળીબારમાં માર્યો ગયો. હવે માત્ર બે જ જણ રહ્યા હતા. તેમણે છુપાતા રહીને આમને આમ બીજા અઢાર વર્ષ પસાર કરી નાખ્યા. છેવટે 19 ઓક્ટોબર 1972માં તેનો આખરી સાથી પણ એક ગોરીલા એક્ટીવીટી દરમિયાન માર્યો ગયો. હવે ઓનોડા એકલા રહી ગયા.
આટલા વર્ષો જંગમાં કેવી રીતે બચી શક્યા.
વર્ષો સુધી ઓનોડા અને તેના સાથીઓ જંગલમાં કોઈપણ રીતે પોતાની જાતને સ્વસ્થ રાખી શક્યા. ખાસ તો ત્યાં રહેલા કેળાના ઢગલા બંધ વૃક્ષો, નાળિયેર અને જંગલી પ્રાણીઓના કારણે તેઓ આટલો લાંબો સમય પોતાની જાતને જંગલમાં ટકાવી શક્યા. આ દરમિયાન તેઓ ખોરાક મેળવવા માટે જંગલમાં વસતા લોકોના ઘરમાંથી જાનવરો પણ મારીને ઉઠાવી લાવતા.
છેવટે એક જાપાનીઝ વિદ્યાર્થીએ ઓનોડાને શોધી કાઢ્યા
20 ફેબ્રુઆરી 1974ના રોજ જાપાનનો એક વિદ્યાર્થી નોરિઓ સુઝુકી ઓનોડાને શોધતાં શોધતાં તેમના સુધી પહોંચી ગયો. તે વિદ્યાર્થીના ત્રણ લક્ષ હતા, “પહેલું તો લેફ્ટેનન્ટ ઓનોડા ને શોધવા, બીજું, એક પાન્ડા જોવો, અને ત્રીજુ એક યેતી જોવો.” સુઝુકીએ ઓનોડાને ચાર દિવસ સુધી જંગલમાં શોધ્યા છેવટે તેઓ મળી ગયા.
સુઝુકીએ ઓનોડાને ખુબ સમજાવ્યા કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે દુનિયા ઘણી આગળ વધી ગઈ છે. બધું જ ખુબ સામાન્ય થઈ ગયું છે તેમ છતાં તેઓ કોઈ પણ સંજોગોમા સરન્ડર કરવા નહોતા માગતા. તેમણે બસ એક જ હટ પકડી રાખી હતી અને તે એ હતી કે તેઓ પોતાના ઉપરી અધિકારી તરફથી તેમના સરન્ડર માટેના ઓર્ડર મેળવે ત્યાર બાદ જ તેઓ સરન્ડર કરશે.
છેવટે સુઝુકીના પ્રયાસથી જાપાનીઝ સરકારે ઓનોડાના તે વખતના કમાંડીંગ અધિકારી મેજર યોશીમી તાનીગુચીને શોધી કાઢ્યા. તે વખતે તેઓ તો એક સુંદર મજાની સિવિલિયન લાઈફ જીવી રહ્યા હતા. તેઓ પુસ્તકોની દુકાન ચલાવતા હતા. તાનીગુચી તરત જ લુબાંગ આઇલેન્ડ ઉડી ગયા અને 9 માર્ચ 1974ના રોજ આખરે તેઓ ઓનોડાને મળ્યા અને તેમણે 1944માં જે વચન “કંઈ પણ થાય, અમે તારી માટે પાછા આવીશું” પુરુ કરવા આવી પહોંચ્યા. અને ત્યાં તેમણે ઓનોડાને હાથોહાથ ફરજમાંથી મુક્ત થવાના ઓર્ડર આપ્યા.
તેમણે જ્યારે સમર્પણ કર્યું ત્યારે તેમની પાસે એક તલવાર, એક રાઈફલ કે જે ફુલ્લી ફંક્શન હતી અને તેના 500 રાઉડ તેમજ કેટલીક હેન્ડ ગ્રેનેડ હતા. અને સાથે સાથે તેમની માતાએ આપેલું ખંજર પણ હતું જે તેણીએ 1944માં જ્યારે ઓનોડા પોતાની ફરજ પર જવા રવાના થયા તે વખતે જો પકડાઈ જાય તો આ ખંજર વડે પોતાની જાતને ખતમ કરવા માટે આપ્યું હતું.
ફિલિપિનો સરકારે ઓનોડોને માફ કર્યા
આઈલેન્ડ પરના પોતાના 29 વર્ષની ફરજ દરમિયાન ઓનોડોએ ફિલિપિન્સના ઘણા નાગરીકો તેમજ પોલીસને મારી નાખ્યા હતા. પણ કારણ કે તેઓ એવું માનીને આ બધું કરી રહ્યા હતા કે વિશ્વયુદ્ધ હજુ ચાલુ છે, તેને ધ્યાનમાં રાખીને ઓનોડાને તે વખતના ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડીનાન્ડ માર્કોસ દ્વારા માફ કરવામાં આવ્યા.
ત્યાર પછીનું જીવન
ઓનોડો જાપાન પરત ફર્યા બાદ દેશના હીરો બની ગયા હતા. તેમણે પોતાની આત્મકથા : “નો સરન્ડરઃ માય થર્ટી-યર વોર” પણ પ્રકાશિત કરી. જેમાં એક ગોરિલા તરીકે દુશ્મન દેશમાં વિતાવેલા 30 વર્ષોનું વર્ણન કરવામાં આયું છે.
જાપાનની સરકારે ઓનોડોએ દેશને આપેલી સેવા બદલ કેટલાક રૂપિયા પણ આપવા પ્રયાસ કર્યો, પણ તે લેવાની તેમણે ના પાડી દીધી. અને છેવટે જ્યારે તેમના હિતેચ્છુ દ્વારા રૂપિયા આપવામાં આવ્યા ત્યારે તેમણે તે રૂપિયા જાપાનિઝ મઠમાં દાન કરી દીધા.
નવુ જાપાન જોઈને આઘાત લાગ્યો
ઓનોડા ત્રીસ વર્ષથી વાસ્તવિક દુનિયાથી અજાણ હતા. દુનિયામાં શું ચાલી રહ્યું હતું, દુનિયાએ કેટલી પ્રગતિ કરી હતી તે વિષે અજાણ હતા. તેઓ જ્યારે જાપાન આવ્યા ત્યારે જાપાનમાં આવેલું પરિવર્તન જોઈ હતપ્રભ થઈ ગયા. છેવટે તેઓ પોતાના મોટા ભાઈની જેમ જાપાન છોડી બ્રાઝીલ જતા રહ્યા જ્યાં તેમણે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો. અને ત્યાં જ તેમણે એક જાપાનીઝ મહિલા સાથે 1976માં તેમણે લગ્ન કર્યા.
એક ઘટનાએ ફરી તેમને જાપાન પાછા આવવા પ્રેર્યા
1980માં એક સમાચાર પત્રમાં જાપાનના એક કીશોરે પોતાના માતાપિતાની હત્યા કરી હતી તેવા સમાચાર વાંચીને તેમને આઘાત લાગ્યો. 1984માં તેઓ જાપાન પાછા ફર્યા અને તેમણે યુવાન લોકો માટે એક એજ્યુકેશનલ કેમ્પની સ્થાપના કરી જેનું નામ હતું ‘ઓનોડો નેચર સ્કુલ’.
ફીલીપિન્સના લુબાંગ આઈલેન્ડની ફરી મુલાકાત
1996માં ઓનોડોએ ફરી એકવાર લુબાંગ આઇલેન્ડની મુલાકાત લીધી. આ વખતે તેમણે લુબાંગની સ્થાનીક શાળામાં 10000 યુ.એસ ડોલરનું દાન કર્યું. જો કે તેઓ બ્રાઝિલને તો સાવ છોડી ન શક્યા. તેઓ વર્ષના ત્રણ મહિના બ્રાઝિલમાં જ રહેતા. 16 જાન્યુઆરી 2014માં ટોકિયોની એક હોસ્પિટલમાં 91 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું.
કેવું કહેવાય જીવનના મહત્ત્વના વર્ષો દુનિયાથી વિખુટા રહ્યા છતાં દુનિયા માટે યાદગાર બની ગયા, હીરો ઓનાડો, એક સમર્પિત જાપાનિઝ સૈનિક.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ