પાકિસ્તાનમાં હિંગળાજ માતાનું અદભુત મંદિર 51 શક્તિપીઠમાની એક શક્તિપીઠ.
ભરતદેશની અતિ પવિત્ર અને મહત્વની ગણાતી શક્તિપીઠ પાકિસ્તાનમા ?નવાઈ લાગે એવી વાત છે ,પણ એ સત્ય હકીકત છે.ભારતની એકાવન શક્તિપીઠમાની હિંગળાજ્દેવીની શક્તિપીઠ પાકિસ્તાનમાં આવેલી છે. આ ભૂમિ માતાજીનાં મસ્તકે પાવન કરી હતી.
આવો થોડો એનો ઇતિહાસ પણ જાણીએ કે શું છે આ શક્તિપીઠ ?અને એ પાકિસ્તાનમાં કઈ રીતે ?
પૌરાણિક કથા અનુસાર દક્ષ રાજાએ યોજેલા મહાયજ્ઞમાં પોતાના પતિ શિવનું સ્થાન ન જોતા દક્ષ પુત્રી સતીએ પોતાની જાતને યજ્ઞની ચમકતી આગમાં હોમી દીધી. આ સમાચારની જાણ શિવજીને થતા જ તેમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સતીના નિર્જીવ દેહ ને હાથમાં લઇ તાંડવ નૃત્યનો પ્રારંભ કર્યો.
શિવજીના પ્રચંડ ક્રોધથી બ્રહ્માંડને બચાવવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર નો ઉપયોગ કરીને સતીના નિર્જીવ શરીરને એકાવન ટુકડાઓમાં વિભાજીત કર્યું. આ એકાવન ટુકડા પૃથ્વી પર વિવિધ સ્થળે પડ્યા અને શક્તિપીઠ તરીકે સ્થાપિત થયાં. આ બધા જ એકાવન સ્થાનને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે.
હિંદુઓ માટે આ તમામ શક્તિપીઠ યાત્રાધામ છે. હિન્દુ ધર્મમાં આ શક્તિપીઠની પૂજા અર્ચના દ્વારા નારીશક્તિની પણ ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીનું પવિત્ર પર્વ પણ આપણે નારી શક્તિની ઉપાસના માટે જ કરીએ છીએ.
આધ્યાશક્તિ જગદંબાની ઉપાસનાના આ પવિત્ર દિવસોમાં માતાજીની એક ઝલક મેળવવા લોકો લાંબો સમય રાહ જોતા હોય છે. અને એમાં પણ જો કોઈ શક્તિપીઠના દર્શનનો લાભ મળી જાય તો લોકોની માતાજી પરત્વેની આસ્થા વધુ બળવત્તર બને છે. ભારતની ભૂમિ ધર્મ ,શ્રદ્ધા અને સહિષ્ણુતા માટે પ્રખ્યાત છે. ભારતની ભૂમિ પર 50 શક્તિપીઠ આવેલી છે.
પણ વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રનો ભોગ બનનાર સતીના નિર્જીવ શરીરનુ મસ્તક જે હિંગળા નદીને કિનારે પડ્યું એ .હિંગળા નદીને કિનારે સ્થાપિત હિંગળાજ દેવી શક્તિપીઠ પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં આવેલી છે.
પાકિસ્તાન પહેલા તો અખંડ ભારતનું ભાગ હતું, ત્યારે હિંગળાજ દેવી શક્તિપીઠની યાત્રા કોઈપણ જાતની રોક-ટોક વગરની સરળ યાત્રા હતી. પરંતુ ભારત પાકિસ્તાનના ભાગલા બાદ હિંગળાજ દેવીનું મંદિર પાકિસ્તાનમાં ચાલ્યું ગયું. પાકિસ્તાનમાં પણ દેવી હિંગળાજના મંદિર ને “નાની કા મંદિર “ અથવા “નાની કા હજ “પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ સ્થાન ઉપર આવીને હિંદુ મુસલમાન એક થઈ જાય છે. અહીં કોઈપણ પ્રકારનો ધર્મ ભેદ નથી .અને બંને પોતપોતાની શ્રધ્ધા મુજબ ભાવ ભક્તિથી હિંગળાજ માતાની ઉપાસના કરે છે.
બ્રહ્મવૈવર્ત પુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ માનવામાં આવે છે કે જે મનુષ્ય એકવાર હિંગળાજ માતાના દર્શન કરી લે તે પૂર્વ જન્મોના કર્મોના હિસાબમાંથી મુક્તિ મેળવી લેછે.
પૌરાણિક માન્યતા અનુસાર પરશુરામે અતિ ક્રોધવશ થઈને 21 વાર પૃથ્વીને નક્ષત્રિય કરી હતી ત્યારે બચેલા ક્ષત્રિય હિંગળાજ માતાને શરણે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમુદાયે હિંગળાજ માતા પાસે તેમના પ્રાણની રક્ષા માગી હતી. હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બ્રહ્મક્ષત્રિય બનાવ્યા અને એ રીતે પરશુરામના ક્રોધમાંથી ક્ષત્રિયોને અભયદાન આપ્યું.
એક માન્યતા એવી પણ છે કે ભગવાન રામે રાવણનો વધ કર્યા બાદ બ્રહ્મહત્યાના પાપથી બચવા માટે હિંગળાજ દેવીની યાત્રા ઉપાસના કરી હતી .હિંગળાજ દેવી શક્તિપીઠ પર ભગવાન રામે યજ્ઞ પણ કર્યો હતો. વૈષ્ણોદેવી માતાની માફક હિંગળાજ માતા પણ ગુફામાં આરૂઢ છે માટીની વેદી પર શીલા સ્વરૂપે માતાજીની છબી ઊભરી આવી છે.માનવામાં આવે છે કે હિંગળાજ દેવી ખત્રિ સમાજના કુળદેવી છે.ભારતમાં ખત્રિ સમુદાયની જનસંખ્યા અંદાજે દોઢથી બે લાખની આંકવામાં આવે છે.
.હિંગળાજ માતાના મંદિરે પહોંચતા વૈષ્ણોદેવી પહોંચ્યાનો જ આભાસ થાય છે. હિંગળાજ દેવી શક્તિપીઠની આસપાસનું વાતાવરણ યાત્રીને ભારતના વૈષ્ણોદેવી તીર્થધામમાં જ હોવાનો અહેસાસ કરાવે છે.હિંગળાજ ગુફા ક્ષેત્ર જ્વાળામુખી પ્રભાવિત વિસ્તાર છે.અહી ત્રણ જ્વાળામુખી છે જેને ગણેશ ,શિવજી અને પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે.બલિચિસ્તાન અને સિંધ પ્રાંતના સ્થાનિક રહેવાસીઓ પણ હિંગળાજ્માતામાં અખૂટ આસ્થા ધરાવે છે.
તમામ વાતોની વચ્ચે સચ્ચાઈ તો એ જ છે કે ભારતના નાગરિકોએ પાકિસ્તાન સ્થિત હિંગળાજ દેવી યાત્રાધામની મુલાકાતે જવા માટે પાકિસ્તાન પાસે પરવાનગી મેળવવી પડે છે.ઉલ્લેખનીય છે કે ભારત સરકારે જમ્મુકાશ્મીર અંગેની કલમ 370 રદ કર્યા બાદ પાકિસ્તાનના વલણમાં બદલાવ આવ્યો છે.પાકિસ્તાને હિંગળાજમાતાના સ્થાનક સુધી જતી ભારત –પાકિસ્તાન વચ્ચેની થાર એક્સ્પ્રેસ રદ કરતાં આ વર્ષે નવરાત્રીમાં હજારો શ્રધ્ધાળુઓ માતાજીનાં દર્શનથી વંચિત રહ્યા હતા.
આશા રાખીએ કે જે રીતે શીખ સમુદાયની નાનક સાહેબ ની યાત્રા સરળ બને એ માટે ભારત પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર યોજનાની શરૂઆત થઈ એ જ રીતે ભારતની અતિમૂલ્યવાન અને પવિત્ર એવી હિંગળાજ દેવી શક્તિપીઠ ની યાત્રા માટે પણ આગામી ભવિષ્યમાં હકારાત્મક આયોજન થાય.
છતાં પણ એટલું ચોકકસ છે કે મોટે ભાગે પાકિસ્તાનમાં મંદિર તોડવાની ઘટનાના સમાચાર વધુ સાંભળવા મળે છે ,ત્યારે પાકિસ્તાનમાં હિંગળાજ દેવીના મંદિરની થતી રક્ષા અને પૂજા અર્ચનાના સમાચાર હિન્દુ સંસ્કૃતિના ઊંડા મૂળનું પ્રતિબિંબ છે.
જય અંબે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ