આપણા ભારત દેશમાં અનેક કિલ્લાઓ આવેલા છે જે પૈકી મોટાભાગના કિલ્લાઓ પાછળ કોઈને કોઈ પૌરાણીક કથા કે કિસ્સાઓ જોડાયેલા છે.
દેશના આવા જ કિલ્લાઓ પૈકી એક કિલ્લો છે ગઢકુંડારનો કિલ્લો. ઉત્તરપ્રદેશ રાજ્યના પ્રસિદ્ધ શહેર ઝાંસીથી લગભગ 70 કિલોમીટર દૂર સ્થિત આ કિલ્લો પોતાની અંદર પણ એક આશ્ચર્યજનક કિસ્સો સમાવીને બેઠો છે.
પાંચ માળનો આ વિશાળ ગઢકુંડારનો કિલ્લો ક્યારે અને કોણે બંધાવ્યો હતો તે અંગે કોઈ સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ નથી પરંતુ એક અંદાજ મુજબ કિલ્લો 11મી સદીમાં નિર્મિત થયો હોવાનું મનાય છે. તો વળી અમુક લોકોનું એમ પણ કહેવું છે કે ગઢકુંડારનો આ કિલ્લો 1500 થી 2000 વર્ષ જૂનો છે.
જુના જમાનામાં કિલ્લા બંધાવવા પાછળનો મુખ્ય આશય રાજ્યને દુશ્મન દેશના હુમલાખોરોથી બચાવ થાય એ માટેનો જ રહેતો. પણ આ ગઢકુંડારનો કિલ્લો સુરક્ષાની દ્રષ્ટિ ઉપરાંત જોનારને પણ ભ્રમિત કરી દે તેવો છે.
કારણકે દૂરથી જોવામાં આવે તો રસ્તા પરથી આ કિલ્લો સ્પષ્ટ દિશામાં દેખાય છે અને એ જ રસ્તા પરથી કિલ્લા તરફ આવતા જશો તો અંતે તમે કિલ્લા પાસે પહોંચવાને બદલે અન્ય સ્થળે પહોંચી જશો. જો કે કિલ્લા તરફ જવાનો રસ્તો જ અલગ છે.
ગઢકુંડારનો કિલ્લો પાંચ માળનો તો છે પણ તેના બે માળ નીચે ભોંયરામાં આવેલા છે. એકદમ ભૂલભુલૈયા જેવા આ કિલ્લામાં આવનાર પર્યટકો પણ અંદર પ્રવેશ કર્યા બાદ ગોટે ચડી જાય છે.
આ કિલ્લા વિશે સ્થાનિક લોકોમાં પ્રચલિત વાયકા મુજબ ઘણા સમય પહેલા આ ગામમાં લગ્નપ્રસંગે વરરાજાને લઈને એક આખી જાન આવી હતી. અને તે લોકો આ કિલ્લામાં ફરવા પણ ગયા હતા અને ફરતા ફરતા તેઓએ કિલ્લાના ભોંયરામાં પણ પ્રવેશ કર્યો.
પરંતુ ત્યારબાદ તેઓ પરત ફર્યા જ નહીં અને તે 50 થી 60 જાનૈયાઓ રહસ્યમયી રીતે ગાયબ થઈ ગયા. ત્યારબાદ પણ આવી જ થોડી ઘટનાઓ ઘટતા લોકોએ આ કિલ્લાના ભોંયરામાં જવાના દરવાજાઓ બંધ કરી દીધા હતા.
અન્ય એક વાયકા મુજબ આ કિલ્લામાં કોઈ ખજાનાનું રહસ્ય છુપાયેલું છે જેને મેળવવા લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે. જો કે કોઈને આ ખજાનો મળ્યો હોય કે તેના વિશે કોઈ પગેરું મળ્યું હોય તેવું હજુ સુધી બહાર આવ્યું નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ