આ કુઆદતો તમારા ખીલની સમસ્યાને વધારી શકે છે
જો તમે ચહેરાને ખીલ તેમજ ફોલ્લી મુક્ત રાખવા માગતા હોવ તો આ ભૂલ ક્યારેય ન કરો.
ઘણીવાર એવું બનતું હોય છે કે ચહેરા પરની એક ફોલ્લી કે પછી એક ખીલ કે પછી તેના રહી ગયેલા એક ડાઘના કારણે ચહેરાની સુંદરતામાં ગ્રહણ લાગી જાય છે. આજે લગભગ આખી યુવાપેઢીને આ સમસ્યા નડે છે. ત્વચા નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે તમારી ત્વચા પરના ખીલ કે પછી ફોલ્લીઓ તમે તમારી સ્કીનકેર વખતે જે ભૂલો કરો છે તના કારણે ઉદ્ભવે છે.
ત્વચા નિષ્ણાતે તમારી એવી કેટલીક આદતોનો ઉલ્લેખ કર્યો છે જે તમને ખીલ તેમજ ફોલ્લીઓની સમસ્યા તરફ દોરી જાય છે. જેમ કે ત્વચાની સંભાળ માટે ખોટા પ્રસાધનની પસંદગી, કે પછી ચહેરાને વારંવાર ધોવા વિગેરે. આજે અમે તમને તેવી જ કેટલીક ભૂલો વિષે જણાવીશું જે તમારે ન કરવી જોઈએ.
ચહેરા પર સાબુનો ઉપયોગઃ
ત્વચા નિષ્ણાતો હંમેશથી કહેતા આવ્યા છે કે સાબુમાં તમારી ત્વચાને નુકસાનકારક રસાયણોનો ઉપયોગ કરવામા આવ્યો હોય છે જેનો તમારે કમસે કમ તમારા ચહેરા પર તો ઉપયોગ ન જ કરવો જોઈએ. તમારી ત્વચામાં રહેલું પીએચનું સ્તર તમારી ત્વચાને લગતી સમસ્યામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
બજારમાં મળતા સામાન્ય સાબુમાં પીએચનું સ્તર 9થી 11 વચ્ચેનું હોય છે જે તમારી ત્વચાના પીએચના સ્તરને વધારે છે જે તમને ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ તરફ દોરી જાય છે.
માટે તમારે ક્યારેય તમારા ચહેરાને સાબુથી સાફ ન કરવો પણ તેના માટે બજારમાં ઉપલબ્ધ માઇલ્ડ ફેસવોશનો ઉપયોગ કરવો અથવા તો તમે ઘરે બનાવેલા ચણાના લોટના ઉબટનથી પણ તમારો ચહેરો ધોઈ શકો છો.
વારંવાર ચહેરો સ્પર્શ કરવો
ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ વારંવાર પોતાના ચહેરાને સ્પર્શ કરતા હોય છે. આમ તો તેના સ્પર્શમાં કંઈ જ ખોટું નથી પણ તમારા હાથની આંગળીઓ દરેક વખતે સ્વચ્છ હોય તેવું જરૂરી નથી.
આમ કરવાથી તમે તમારી ત્વચામાં વધારાનું તેલ ઉમેરો છો, વધારાની ગંદકી ઉમેરો છો અને સાથે સાથે જંતુઓ પણ ઉમેરો છો. માથામાં લગાવામાં આવેલું તેલ કે શેમ્પુ પણ તમારા ચહેરા પર આવી શકે છે અને તે તમારા ચહેરા પરના રોમછિદ્રોને બ્લોક કરી શકે છે.
ત્વચા માટે અયોગ્ય પ્રસાધનનો ઉપયોગઃ
ઘણા લોકો પોતાની ત્વચા માટે વર્ષોથી એકની એક જ પ્રોડક્ટ યુઝ કરતાં આવે છે. પણ ડોક્ટરોનું એવું કહેવું છે કે તમારે તમારી ત્વચાની સંભાળ માટે જે પ્રસાધન વાપરો છો તેનો ઉપયોગ તમારી ઉંમરને અનુરુપ કરવો જોઈએ અને તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ.
અને એવી પ્રોડક્ટનો તો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ જે તમે કશા કોઈ વિચાર કર્યા વગર દુકાનમાંથી ખરીદી લીધી હોય અથવા તો તમને ભેટ કરવામા આવી હોય. તમારે તમારી ત્વચા માટે ત્વચા નિષ્ણાતે જણાવેલી પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો જોઈએ.
તમારો વહાલો સ્માર્ટફોનઃ
હા, તમારો સ્માર્ટ ફોન હવે તમારા શરીરનું જ એક અંગ થઈ ગયો હોય તેટલો મહત્ત્વનો બની ગયો છે. પણ આ સ્માર્ટ ફોનના સ્ક્રીન પર તેમજ તેની પાછળ સેંકડો બેક્ટેરિયા ભેગા થાય છે જે તમારા ચહેરાની ત્વચાના સંપર્કમાં આવતા તમારી ત્વચાને નુકસાન કરે છે જેમાં ખીલ તેમજ ફોલ્લીઓનો પણ સમાવેશ થાય છે. માટે બને ત્યાં સુધી તમારા ફોનને સ્વચ્છ રાખો.
જો તમે તમારા ચહેરા પર વારંવાર ઉપસી આવતા ખીલ તેમજ ફોલ્લીઓથી દૂર રેહવા માગતા હોવ તો ઉપર જણાવેલી આદતોથી પણ દૂર રહો અને બને ત્યાં સુધી તમારા ચહેરાની ત્વચાને સ્વચ્છ રાખો તે જ તમને ત્વચાલક્ષી સમસ્યાઓથી દૂર રાખશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ