આયુર્વેદમાં હંમેશા દૂધ કરતાં દહીંને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. દહીં તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે પણ દહીંના એ ઉપરાંત પણ ઘણા બધા ઉપયોગ છે ખાસ કરીને સૌંદર્ય વધારતા ઉપયોગો. તો આજે અમે તમારા માટે દહીંના સૌંદર્ય નિખારતા ઉપયોગો વિષેની જાણકારી લાવ્યા છે.
દહીં ત્વચાને ઘણી બધી રીતે લાભ પહોંચાડે છે
- દહીં ત્વચાને મોશ્ચરાઇઝ કરે છે. જો તમારો ચહેરો રુક્ષ થઈ ગયો હોય ડ્રાય થઈ ગયો હોય તો તમારે દહીંમાં કશું જ ઉમેર્યા વગર તેનો લેપ ચહેરા પર લગાવી લેવો.
- આ સિવાય દહીંને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કરચલીઓ તેમજ ઉંમર વધતાં દેખાતી જીણી રેખાઓ દૂર થાય છે.
- દહીંના ઉપયોગથી ખીલની સમસ્યા દૂર થાય છે અને સાથે સાથે આંખ આસપાસના કાળા કુંડાળા પણ દૂર થાય છે.
- આ સિવાય જો તમારી ત્વચાને કોઈ ઇન્ફેક્શન થયું હોય તેમજ તડકાના કારણે ત્વચા કાળી પડી ગઈ હોય તો તે પણ દૂર થાય છે.
માત્ર દહીં- લીંબુનો ફેસપેક
આ ફેસપેક માટે તમારે માત્ર બે મોટા ચમચા દહીં અને એક નાની ચમચી લીંબુનો રસ લેવાનો છે. આ બન્ને સામગ્રીને એકબીજા સાથે બરાબર મિક્સ કરી દેવી. હવે ચહેરો ધોઈને સાફ કર્યા બાદ સૌ પ્રથમ તો આ જ ફેસપેકથી તમારે ચહેરા તેમજ ડોક પર પાંચ મિનિટ મસાજ કરવું અને ત્યાર બાદ બાકીનો જે ફેસપેક વધ્યો છે તેને સપ્રમાણ ચહેરા તેમજ ડોકની આગળ પાછળ લગાવી લેવો. તેને તેમજ 15-20 મિનિટ રાખી મુકવું અને ત્યાર બાદ નોર્મલ પાણી વડે ધોઈ લેવું. જો તમને દહીંની ચિકાસ લાગતી હોય તો તમે ગરમ પાણીમાં નેપ્કિન પલાળીને તેનાથી ચહેરો હળવા હાથે લુછી શકો છો.
આ ફેસપેકનો તમે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર ઉપયોગ કરી શકો છો તેનાથી ત્વચાને કોઈ જ નુકસાન પહોંચતું નથી. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ સ્વચ્છ થશે અને તેના નિયમિત ઉપયોગથી માત્ર બે અઠવાડિયામાં જ ચહેરો ચમકવા લાગશે અને તમારે દર મહિને પાર્લરમાં ફેશિયલ કરાવવાની પણ જરૂર નહીં પડે.
દહી-મુલાતની માટી- મધનો ફેસપેક
આ ફેસ પેક બનાવવા માટે તમારે દહીં, મુલતાની માટી, મધ અને સંતરાની છાલનો પાઉડર જોઈશે. આ પ્રયોગ કરતાં પહેલાં તમારે તમારા ચહેરાને પાણી વડે જ વ્યવસ્થિત સાફ કરી લેવો. ત્યાર બાદ તેને એક ચમચી દહીં અને તેમાં ત્રણથી ચાર ટીપા મધ નાખીને તેને બરાબર મિક્સ કરીને તેનું પાંચ મિનિટ સુધી મસાજ કરવું.
મસાજ કરી લીધા બાદ ચહેરાને રૂ અથવા તો હુંફાળા પાણીમાં નેપ્કીનને પલાળીને હળવા હાથે સાફ કરી લેવો. હવે એક નાની વાટકી લેવી તેમાં એક ચમચી દહીં, એક ચમચી મુલતાની માટી અને અરધી ચમચી સંતરાની છાલનો પાઉડર ઉમેરવો. આ ત્રણે સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરી લેવી. હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમારા ચહેરા તેમજ ડોકના ભાગ પર સરખા પ્રમાણમાં લગાવી લેવી.
આ ફેસપેકને તેમજ 15-20 મિનિટ સુધી લગાવી રાખવો. ત્યાર બાદ ચહેરાને વ્યવસ્થિત સાફ કરી લેવો, તેના માટે તમે ભીનું કપડું કે નોર્મલ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફેસપેકનો તમે દર પંદર દિવસે નિયમિત પણે પ્રયોગ કરી શકો છો. તેનાથી તમારા ચહેરા પરના ડાઘ, ચહેરાની કાળાશ તેમજ ખીલ અને જીણીજીણી ફોલ્લીઓ થતી હોય તે દૂર થશે.
દહીં અને હળદરનો ફેસપેક
હળદર આપણે બધા જાણીએ છીએ કે તે કેટલી સૌંદર્ય વર્ધક છે. તે તમારા ચહેરાને ગોરો બનાવવામાં મદદ કરે છે. અને દહીં તમારા ચહેરા પર યોગ્ય ભેજ એટલે કે મોઇશ્ચર રાખવામાં મદદ કરે છે.
આ ફેસપેક બનાવવા માટે તમારે બે ચમચી દહીં અને અરધી નાની ચમચી હળદર અને અરધી નાની ચમચી લીંબુનો રસ લેવાનો રહેશે. હવે બધી જ સામગ્રીને એકબીજામાં વ્યવસ્થિત કરી લેવી તે એકબીજામાં એકરસ થઈ ગઈ હોવી જોઈએ. ફેસપેક લગાવતા પહેલાં તમારે તમારા ચહેરાને પાણી વળે સાફ કરી લેવો અને હળવા હાથે લુછી લેવો.
હવે તૈયાર કરેલા ફેસપેકને તમારા ચહેરા તેમજ ડોક પર વ્યવસ્થિત લગાવી લેવો. તેને તેમ જ 15-20 મિનિટ સુધી રહેવા દેવું. અને ત્યાર બાદ હુંફાળા પાણી કે પછી ભીના ટુવાલ વડે સ્વચ્છ કરી લેવો. ચહેરો સ્વચ્છ થઈ ગયા બાદ ચહેરા પર માઇલ્ડ મોઇશ્ચરાઇઝર લગાવી લેવું.
આ ફેસપેકનો તમે અઠવાડિયામાં બે વાર પ્રયોગ કરી શકો છો. તે તમારા ચહેરાને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરે પણ દીવસેને દીવસે તમારી ત્વચા કાંતિવાન બની જશે. તેનાથી ચહેરા પરના કાળા ધબ્બા, ચહેરાની ઝાંખપ તેમજ તડકાના કારણે ચહેરા પર આવેલી કાળાશ પણ દૂર થાય છે.
આ ફેસપેકનો ઉપયોગ તમે માત્ર ચહેરા પર જ નહી પણ હાથ અને પગના પંજા પર પણ કરી શકો છો. તેના ઉપયોગથી તમારા હાથની ત્વચા પણ લીસ્સી બનશે.
દહીંના અન્ય સૌંદર્ય વધારતા ઉપયોગો વિષે જાણો
- શિયાળા દરમિયાન રુક્ષ ત્વચાની ફરિયાદ રહેતી હોય છે તો તે સિઝનમાં બે ચમચી ચણાનો લોટ અને તેમાં એક ચમચી દહીં, અરધી નાની ચમચી હળદરહ અને એક નાની ચમચી લીંબુનો રસ ઉમેરીને તેનું ઉબટન બનાવીને નાહવાથી તમારા શરીરને સ્વચ્છ પણ રાખી શકો છો અને સાથે સાથે તમારા શરીરને યોગ્ય મોઇશ્ચર પણ પુરુ પાડી શખશો. આ પ્રયોગ શિયાળા દરમિયાન અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવાથી તમારી શિયાળા દરમિયાન ત્વચાને લગતી જે પણ ફરિયાદ હશે તે દૂર થશે અને સાથે સાથે ત્વચા કાંતિવાન પણ બનતી જશે.
- આ સિવાય અઠવાડિયામાં એકવાર માથું ધોતાં પહેલાં વાળ પર માત્ર દહીંનું મસાજ કરીને તેનો પેક લગાવીને તેને અરધો કલાક રાખીને ધોવામાં આવશે તો તમારા વાળ કાળા અને ચમકદાર બનશે અને દહીંનું પોષણ મૂળિયા સુધી ઉતરવાથી વાળનું સ્વાસ્થ્ય પણ સુધરશે. તેના ઉપયોગથી વાળને મોઇશ્ચર મળશે. વાળ ખરતા પણ બંધ થશે અને ખોડો પણ બંધ થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ