મુલ્તાની માટીના ફાયદાઓ તો જાણો છો પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો છો?
જાણી લો મુલ્તાની માટીનો ઉપયોગ ત્વચા અને વાળ માટે કેવી રીતે કરવો
મુલતાની માટીનો ઉપયોગ પુરાણ કાળથી સૌંદર્યને વધારવા માટે કરાતો આવ્યો છે. માત્ર ભારતમાં જ નહીં પણ ગ્રીસમાં પણ તેનો ઉપયોગ સદીઓથી કરવામા આવે છે.
આજે ઘણા બધા સૌંદર્ય પ્રસાધનોમાં મુલ્તાની માટીનો ઉપયોગ કરવાં આવે છે. તેનો ત્વચા તેમજ વાળના સૌંદર્યમાં વધારો કરવા માટે ઉપયોગ કરવામા આવે છે.
મુલતાની માટી એક સંપુર્ણ કુદરતી સૌંદર્ય પ્રસાધન છે જે એક પ્રકારની કુદરતી માટી હોય છે જેમાં અનેક પ્રકારના ખનીજ તત્ત્વો હોય છે જેમ કે એલ્યુમિનિયમ સિલિકેટ કમ્પોઝિશન.
તે ત્વચા તેમજ વાળને વિવિધ રીતે લાભ પહોંચાડે છે. મુલતાની માટીના ત્વચા તેમજ વાળ પર પ્રયોગથી તેમાં રહેલી ગંદકી, ચીકાશ વિગેરે દૂર થાય છે. માટે જ જૂના જમાનામાં ઉનને ધોવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
મુલતાની માટી ત્વચામાંથી વધારાનું તેલ તેમજ ગંદકી દૂર કરતી હોવાથી તે તમારા ચહેરા પર ખીલ તેમજ વધારે પડતાં તેલના કારણે ઉત્પન્ન થતી ફોડલી વીગેરેને દૂર રાખવામાં તમારી મદદ કરે છે.
આ ઉપરાંત તે ચીકાશ દૂર કરવામાં કારગર હોવાથી તે વાળને પણ સારી રીતે સાફ કરે છે અને તેનાથી માત્ર વાળ સ્વચ્છ જ નથી થતાં પણ સુંવાળા પણ બને છે.
મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરવો તે પહેલાં તેના ફાયદાઓ વિષે જાણી લો
– તેને ત્વચા પર લગાવવીથી ત્વચામાં લોહીનો સંચાર ગતિમા આવે છે અને તેના કરાણે પણ ત્વચા સુંદર બને છે.
– મુલતાની માટીનો ઉપયોગ કરવાથી તે એક સ્ક્રબર તરીકે પણ કામ કરે છે અને તેનાથી ત્વચા પરની નિર્જીવ ચામડી દૂર થાય છે અને સાથે સાથે જ બ્લેક હેડ્સ તેમજ વ્હાઇટ હેડ્સ પણ દૂર કરી ત્વચાને ચમકીલી અને સુંવાળી બનાવે છે.
– ત્વચા પર જો તમને વારંવાર ફોડલી થતી હોય રેશીઝ થતા હોય તો તે પણ મુલતાની માટીના ઉપયોગથી દૂર થાય છે.
– તેમાં તેલ શોષવાની ખાસિયત હોવાથી તે તમારી ત્વચાને ખીલથી પણ બચાવી રાખે છે. તેમજ વધતી ઉંમરની નીશાની એવી ચહેરા પરની કરચલીઓથી પણ ત્વચાને દૂર રાખે છે.
– મુલાતાની માટીના નિયમિત યોગ્ય ઉપયોગથી તે ત્વચાને એકસરખો રંગ આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે સૂર્યના પારજાંબલી કીરણોના કારણે કાળી થઈ ગયેલી ત્વચાને પણ તેનો મૂળ રંગ પાછો આપે છે અને ત્વચા પરથી પિગ્મેન્ટેશન પણ દૂર કરે છે.
– ઉપર જણાવ્યું તે પ્રમાણે તે ત્વચામાંના તેલને બેલેન્સ કરીને તેમાંથી ગંદકી દુર કરે છે.
– મુલતાની માટી જેટલી જ ત્વચા માટે લાભપ્રદ છે તેટલી જ વાળ માટે પણ લાભપ્રદ છે. જે રીતે તે ત્વચાની સફાઈ કરે છે તે રીતે તે વાળની પણ સફાઈ કરે છે.
– મુલતાની માટી વાળ માટે એક ઉત્તમ કન્ડીશનર પણ સાબિત થઈ શકે છે. અને તે તમારા વાળના ગ્રોથ તેમજ તેની લંબાઈ વધારવામાં પણ તમારી મદદ કરે છે.
– તે વાળમાંથી કૂદરતી રીતે જ ચીકાસ દૂર કરે છે, તેમજ તેની સાથે સાથે તે વાળમાં થયેલો ખોડો તેમજ વાળ ઉતરવાની સમસ્યામાં પણ તમને મદદ કરે છે.
મુલતાની માટીના ફાયદા જાણ્યા બાદ હવે એ જાણો કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો
ડ્રાઈ સ્કીનની સમસ્યા રહેતી હોય તો મુલતાની માટીનો ઉપયોગ આ રીતે કરો
મુલતાની માટીમાં, પાકેલા પપૈયાનો પલ્પ તેમજ મધ ભેળવીને તમે તમારી ત્વચાની શુષ્કતાને દૂર કરી શકો છો.
ડ્રાઇ સ્કીનની સમસ્યાને દૂર કરવા માટો તમારે મુલતાની માટીમાં, દહીં, લીંબુનો રસ અને મધનો પ્રયોગ કરવો જોઈએ. આ સાથે તમે મુલતાની માટીમાં દૂધ અને કાકડીના રસનો પ્રયોગ પણ કરી શકો છો.
સનબર્ન દૂર કરવા માટે મુલતાની માટીનો ઉપયોગ આ રીતે કરો
જો તમારી ત્વચા તડકાના કારણે ઝાંખી તેમજ કાળી પડી ગઈ હોય તો તે ઝાંખપ તેમજ કાળાશને દૂર કરવા માટે તમારે મુલતાની માટીમાં નાળિયેરનું પાણી ઉમેરવું અને તેની પેસ્ટ તૈયાર કરી તેનું માલિશ તમારે તમારા ચહેરા પર હળવા હાથે માલિશ કરવું.
માલિશ બાદ તેને તેમ જ 10 મિનિટ માટે છોડી દેવુ અને ત્યાર બાદ હુંફાળા પાણી વડે મોઢું ધોઈ લેવું. આવું મહિનામાં ચાર-પાંચ વાર કરવાથી સનબર્ન દૂર થઈ જશે. અને ત્વચા મુલાયમ અને કાંતિવાન બનશે.
આ સિવાય તમે મુલતાની માટીમાં દૂધ, મધ , લીંબુનો રસ તેમજ ટામેટાનો પલ્પ ભેળવીને પણ તમારા ચહેરા પરથી સનબર્નને ટાટા બાયબાય કહી શકો છો.
ચહેરા પરના ખીલથી કાયમી છૂટકારો લાવવા માટે મુલતાની માટીનો ઉપયોગ આ રીતે કરો
તેના માટે તમારે એક મોટી ચમચી મુલતાની માટી લેવી, તેમાં એક અરધી ચમચી મધ, પા ચમચી હળદર ભેળવી તેની પેસ્ટ તૈયાર કરવી જો પેસ્ટ વધારે પડતી જાડી હોય તો તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી તેને પાતળી બનાવી લેવી.
હવે આ તૈયાર થયેલી પેસ્ટને ચહેરા તેમજ ડોક પર લગાવી લેવી. તેને તેમ જ 10-15 મિનિટ રાખવી અને ત્યાર બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ લેવું. આ પ્રયોગ અઠવાડિયે બે-ત્રણ વાર કરવાથી ચોક્કસ લાભ થશે.
આ ઉપરાંત તમે મધની જગ્યાએ મુલતાની માટીમાં એલોવેરા જેલ પણ ઉમેરી શકો છો. તેનો પણ તમારે ઉપર જણાવ્યું તે રીતે જ પ્રયોગ કરવો.
ચહેરા પરથી ખીલને કાયમ માટે દૂર કરવા માટે તમે મુલતાની માટીની સાથે સંતરાની છાલનો પાઉડર ઉમેરી તેમાં ગુલાબજળ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી તેનો પણ પ્રયોગ કરી શકો છો. આ પ્રયોગ અઠવાડિયે એકથી બે વાર કરવાથી તમને લાભ થશે.
સ્ક્રબર તરીકે મુલતાની માટીનો ઉપયોગ આ રીતે કરો
સ્ક્રબર તરીકે મુલતાની માટીનો ઉપયોગ કરવાથી ત્વચા પરની બધી જ નિર્જીવ ત્વચા દૂર થઈ જશે અને તેની નીચેની તાજી ત્વચાને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે અને ત્વચા સુંદર બનશે તેના માટે તમારે મુલતાની માટીમાં, સંતરાની છાલનો પાઉડર, ચંદનનો પાઉડર ભેળવી દેવો.
તેમાં તમે ચાણાનો લોટ તેમજ તુલસીના પાન પણ વાટીને ઉમેરી શકો છો. અને તેને તમારે ત્વચા પર સ્ક્રબરની જેમ હળવા હાથે ઘસવાનું છે આમ કરવાથી નિર્જીવ ત્વચા દૂર થઈ નવી ત્વચા બહાર આવશે.
ત્વચા પરથી ડાઘ તેમજ પિગ્મેન્ટેશન દૂર કરવા માટે મુલતાની માટીનો ઉપયોગ આ રીતે કરો
ત્વચા પરથી ડાઘ દૂર કરવા માટે તમારે મુલતાની માટીમાં, બે બદામની પેસ્ટ અને તેની સાથે ગ્લીસરીન મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી તેનો પ્રયોગ ચેહરા પર કરવો.
આ સિવયા તમે મુલતાની માટીમાં માત્ર દૂધ ભેળવી ને પણ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
બટાટાનો રસ પણ ત્વચા પરના ડાઘા દૂર કરવા માટે ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના માટે તમારે મુલતાની માટીમાં, ક્રશ કરેલું અથવા છીણેલુ બટાટુ રસ સાથે જ ઉમેરી દેવું તેની સાથ સાથે જ દૂધની તાજી ક્રીમ અને લીંબુનો રસ પણ ઉમેરવો.
આ મિશ્રણને ત્વચા પર લગાવ્યા બાદ તેને તેમજ 15-20 મિનિટ રહેવા દેવું તેનાથી તમારી ત્વચા પરના દરેક પ્રકારના ડાઘ આછા થઈ જશે અને ધીમે ધીમે દૂર થઈ જશે.
ત્વચાને ચમકીલી બનાવવા માટે મુલતાની માટીનો ઉપયોગ આ રીતે કરો
તેના માટે તમારે એક મોટી ચમચી મુલતાની માટી લેવી અને તેમાં બે ચમચી ગુલાબ જળ ઉમેરી તેને બરાબર મિક્સ કરી તેની એક સ્મુધ પેસ્ટ તૈયાર કરી લેવી.
હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે તમારા ચહેરા તેમજ ડોક પર સપ્રમાણ લગાવી લેવું.
પેસ્ટ ચહેરા પર લગાવી લીધા બાદ તેને તેમજ 10-15 મિનિટ રહેવા દેવું. અને ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો.
આ સિવાય તમે મુલતાની માટીમાં ટામેટાના રસનો ઉપયોગ પણ કરી શકો છો અને તેની સાથે સાથે તમે તેમાં લીંબુના કેટલાક ટીપાં ઉમેરશો અને તેની પેસ્ટને ચહેરા પર લગાવશો તો તે પણ તમારા ચહેરા પર એક અલગ જ રોનક લાવશે.
વાળને સુંદર બનાવવા મુલતાની માટીનો ઉપયોગ આ રીતે કરો
– મુલતાની માટીમાં એલોવેરા જેલ તેમજ લીંબુનો રસ મિક્સ કરીને તેનો હેર પેક વાળમા લગાવવામાં આવે તો તેનાથી વાળનો ગ્રોથ અને લેંથ વધે છે.
– મુલાતાની માટીમા દહીં મિક્સ કરીને તેનો હેર પેક બનાવીને વાળ પર લગાવવામાં આવે તો તેનાથી બે મોઢાવાળા વાળની સમસ્યા દૂર થાય છે.
– મુલતાની માટીમાં એક ચમચી મેથીનો પાઉડર ઉમેરી તેને આખી રાત પલાળી રાખીને બીજા દિવસે તેમાં લીંબુનો રસ ઉમેરી તેને તેનો ઉપયોગ વાળ પર કરવામાં આવશે તો તમને સતત રહેતી ખોડાની સમસ્યા દૂર થઈ જશે.
– મુલતાની માટીમાં અરીઠાનો પાઉડર ઉમેરી તેમાં પાણી ઉમેરી તેનો પેક તૈયાર કરી તેને વાળમાં લગાવવાથી તમારી તૈલી વાળની સમસ્યા દૂર થશે.
– મુલતાની માટીમાં દહીં તેમજ મધ ઉમેરી તેનો હેર પેક વાળ પર લગાવવામા આવે તો તેનાથી વાળની શુષ્કતા દૂર થાય છે.
મુલતાની માટીનો ઉપયોગ કરતી વખતે આ બાબતનું ખાસ રાખો ધ્યાન
– મુલાતની માટી તમારી ત્વચામાંથી તેલ દૂર કરે છે માટે તે બની શકે કે ત્વચા માટે જરૂરી ઓઇલ પણ શોષી લે. તો બની શકે તમારી ત્વચા રુશ્ર બની જાય. માટે તેનો ઉપયોગ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો.
અથવા તો તેના ઉપયોગ બાદ સારી ગુણવત્તાનું મોઇશ્ચરાઇઝર ત્વચા પર લગાવવાનું રાખો, અથવા તો તેનો પ્રયોગ કરતી વખતે તેમાં દૂધ, મધ કે એલોવેરા જેલનો ઉપયોગ ચોક્કસ કરો.
– મુલતાની માટીનો ઉપયોગ કરતી વખતે તે તમારા મોઢા, આંખો કે પેટમાં ન જતી રહે તેનુ ખાસ ધ્યાન રાખવું. આ સિવાય તે તમારા માટે જરા પણ નુકસાનકારક નથી.
– આ ઉપરાંત મુલતાની માટી ત્વચામાંથી ઓઈલ શોષી લેતી હોવાથી તેને 20 મિનિટથી વધારે ચહેરા પર ન લગાવી રાખવી.
– આ સિવાય તમે મુલતાની માટીનો પ્રયોગ રોજ નથી કરી શકતાં તેનાથી તમારી ત્વચા ડીહાઇડ્રેટ થઈ શકે છે. અને તેનાથી ત્વચા પરનું બધું જ ઓઇલ શોષાઈ જશે તો ત્વચામાં રહેલી ઓઇલ ગ્લેન્ડ ત્વચાની તેલની જરૂરીયાતને પૂરી કરવા માટે ઓર વધારે પ્રમાણમાં ઓઇલ ઉત્પન્ન કરવા લાગશે.
માટે અઠવાડિયામાં બેથી ત્રણ વાર જ મુલતાની માટીનો પ્રયોગ કરવો જોઈએ. અને જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો માત્ર એક જ વાર તેનો ઉપયોગ કરવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ