આયુર્વેદની મદદથી 213માંથી 203 કોરોના પોઝિટિવ દર્દીને નેગેટિવ કર્યા, મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદની મદદથી કરી આ કમાલ

આયુર્વેદની મદદથી કઈ રીતે કોરોનાને દૂર રાખી શકાય કે હરાવી શકાય ? કોરોના પોઝિટિવના 213માંથી 203 કેસને માત્ર સાત દિવસમાં નેગેટિવ કરનારા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા આપે છે અમૂલ્ય ટીપ્સ.

લોકડાઉન ચારનો પ્રારંભ થઈ ગયો છે અને કોરોના વાયરસ વિદાય લેવાનું નામ લેતો નથી. આપણે હવે કોરોના સાથે જીવવાની ટેવ પાડવાની છે ત્યારે કોરોનાનો સામનો આયુર્વેદની મદદથી કઈ રીતે કરી શકાય તે જાણવાની જરૂર છે. તેના માટેની ટીપ્સ વૈદ્ય મહેન્દ્રસિંહ વનરાજસિંહ સરવૈયા આપી રહ્યા છે. તેઓ તળાજાના દિહોરમાં આયુર્વેદ મેડિકલ ઓફિસર છે. તેમની વિશેષતા એ છે કે તેમણે કોરોના સામે આયુર્વેદનો જયજયકાર કરાવ્યો છે. અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રખાયેલા 213 કોરોના પોઝિટિવ દર્દીઓને નેગેટિવ કરવામાં તેઓ સફળ રહ્યા છે.

કોરોના સાથે જેમણે પરિચય કેળવી લીધો છે એવા યુવા વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયા કહે છે કે અત્યારે ત્રણ પ્રકારના કોરોનાગ્રસ્ત લોકો સમાજમાં છે. 1. જેમને કોરોના થયો નથી. 2. જેઓ શંકાસ્પદ છે. 3. જેઓ કોરોના પોઝિટિવ છે. આ ત્રણેય પ્રકારના લોકોને ઉપયોગી થાય તેવી ટીપ્સ તેઓ આપે છે.

તેઓ કહે છે કે કોરોનામાં મૃત્યુ થવાનું કારણ ન્યુમોનીયા તાવ હોય છે. ફેફસાંમાં કફ જમા થઈ જતો હોય છે. કોરોનાગ્રસ્ત વાતાવરણમાં આપણા બધાએ કફથી ચેતવાનું છે. શરીરમાં કફ ના થાય તેની બધાએ ખાસ તકેદારી રાખવાની છે.

બચાવ માટેનાં ત્રણ પગલાં સરવૈયા સાહેબ સૂચવે છે. તેઓ કહે છે હવા, પાણી અને ખોરાકની બાબતમાં આપણે કાળજી લેવાની છે.

સાૈ પ્રથમ વાત કરીએ હવાની. હવા એટલે વાયુ. દરેક વ્યક્તિએ આગામી ત્રણ-ચાર મહિના ભૂલ્યા વિના સવાર અને સાંજ એક-એક કલાક પ્રાણાયામ કરવા જોઈએ. તેમાં ખાસ કરીને અનુલોમ-વિલોમ કરવા જોઈએ. આ એક ઊંડા શ્વાસના યોગ છે. નાકની એક બાજુથી ઊંડો શ્વાસ લેવાનો (એ વખતે બાજુનો ભાગ બંધ રાખવાનો) અને બીજી બાજુથી શ્વાસ છોડવાનો. આ કવાયત ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.

બીજી બાબત છે નાસ સેવાની. ગરમ પાણીમાં અજમા-સૂંઠનો પાવડર નાખીને 10-15 મિનિટ સુધી નાસ લેવાનો. નાસ લેવાનો છે, તેની વિધિ ટુવાલ કે દુપટ્ટો એવું કોઈ કપડું માથા પર ઢાંકીને નાસ લેવો જોઈએ. દરરોજ સવાર-સાંજ 10-15 મિનિટ નાસ લેવાનો છે. ના, કંટાળવાનું નથી કારણ કે ભવિષ્યમાં પણ જો કંટાળવું હશે તો જીવતા રહેવું પડશે. કોરોના આપણી શ્વાસનળીમાં ગયો હોય તો તેને ફેફસામાં જતાં અટકાવવાનો છે. જો એ હોજરીમાં જતો રહે તો ગંગા નહાયા. માટે નાસ લેવાનો.

હવે વાત કરીએ ધૂપની. ઘરમાં ગૂગળ-લીમડો અને કપૂર,દેશી ગાય ના ઘી સાથે જે મળે તેનું આ ત્રણેયનું ધૂપ સવાર-સાંજ કરવું. (ચરકસંહિતા જ્વર ચિકિત્સા પ્રમાણે પલંકષાદિ ધૂપ પણ વાપરી શકાય.)

હવા-વાયુની વાત પૂરી.

હવે વાત કરીએ પાણીની. કેરાલા રાજ્યની સફળતાનું રહસ્ય છે ગરમ પાણી. એ લોકોએ કોરોના પોઝિટિવને સતત ગરમ પાણી પીવડાવ્યું છે. આયુર્વેદ-ચરકસંહિતામાં વિમાનસ્થાન અધ્યાય ત્રણમાં મહામારીની મુખ્ય ચિકિત્સા ગરમ પાણી જ બતાવી છે. જે લોકોને શરદી-ઉધરસ હોય તેમણે 500 મી.લી પાણી માં 1થી 2 ગ્રામ નાખી સૂંઠવાળું ગરમ પાણી આખો દિવસ પીવું. આ સિવાયના લોકોએ ઉનાળો હોવાથી દિવસમાં ત્રણ-ચાર વખત સૂંઠવાળું ગરમ પાણી પીવું.

હવે વાત કરીએ ખાણી-પીણીની. કાચું દૂધ, કોઈ પણ પ્રકારનું દહીં, ઠંડાં પીણાં, મીઠાઈ, પચવામાં ભારે કોઈ પણ વાનગી, બેકરીની આઈટમો, મેંદામાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓ.. આ બધુ સદંતર બંધ કરવાનું છે. સંયમ રાખવો જ પડશે. ભલે ઉનાળો હોય ફ્રીઝનું પાણી ના જ પીવાય. એક વર્ષ ફ્રીઝનું પાણી નહીં પીવો તો મરી નહીં જાવ, પણ કોરોના થશે તો… ? માટે સાવધાન. એકવાર કોરોના ભાગી જાય પછી જે ખાવું હોય તે ખાજો, હમણાં તો સંયમ. નિયંત્રણ. પ્રતિબંધ.

ચા પીવાય કે નહીં ? ના પીવાય તો સારું. વિકલ્પ છે હર્બલ ટી. હવે તો બજારમાં હર્બલ ટી પણ સરસ મળે જ છે. (એનો સ્વતંત્ર લેખ કરવાના છીએ.) જોકે સવારે ચાના વિકલ્પે નીચેનો ઉકાળો પીવો જોઈએ તેવું સરવૈયા સાહેબ કહે છે.

એક વ્યક્તિ માટે ઉકાળો બનાવવાની રીતઃ એક કપ પાણી, ચાર ચપટી ગળો (લીમડા ની ઉત્તમ -અમૃતા)નો પાવડર, ચાર ચપટી હળદરનો પાવડર, તુલસીનાં ચાર પાન, એકથી બે ચપટી સૂંઠ.. આ બધાને મિશ્ર કરીને તેને ઉકાળો. 25 ટકા પાણી બાળી નાખો. બસ આ ઉકાળો દરરોજ સવારે ખાલી પેટે પીવાનો. રોગપ્રતિકાર શક્તિને વધારવામાં તે ખૂબ જ મદદ કરશે.

સરવૈયા સાહેબ કહે છે કે જે લોકોને શરદી-કફ વગેરેની તકલીફ હોય તેણે મગ-મઠ-સરગવો અને કળથીના સૂપ પીવા જોઈએ.

રોજ સવારે બાળકોએ ગળો, યુવાનોએ આમળાં અને વૃદ્ધોએ રસાયણચૂર્ણ (ગળો-ગોખરું-આમળાં) લેવાં જોઈએ. જેને કોઈ લક્ષણો નથી તેમણે સાંજે દેશી ગાયના દૂધ – હ‌‌ળદર અને સૂંઠ , એલચીસાથે લેવું જોઈએ. અને કોરોનાં માંથી મુક્ત થયી 3 મહિના આ ઉપાય વય પ્રમાણે અવશ્ય કરવા.

આ ઉપરાંત દેશી ગોળ અને આદુની ચટણી બનાવી લેવી જોઈએ. બપોરે તે લેવી. (ચરકસંહિતામાં શોથ ચિકિત્સા શરદી-ઉધરસ-કફ-શ્વાસ વગેરેને મટાડવા તેનો ઉલ્લેખ કરેલો છે.ગુડ -આદ્રક)

આ વાયરસનો ચેપ નાક દ્વારા ફેલાતો હોવાથી દિવસમાં બે-ત્રણ વખત ગાયના ઘી અથવા એરંડિયું-દિવેલનાં બે-ત્રણ ટીપાં નાખવાં જોઈએ.

સરવૈયા સાહેબ કહે છે કે રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે ખોરાક-પાણીનું અમૃતીકરણ કરવું જોઈએ. એટલે કે પાણીને ખાવાનું અને ખોરાકને પીવાનો. પાણીને લાળ સાથે મિશ્ર કરીને, અમૃત પીતા હોઈએ એ રીતે ઘૂંટડે-ઘૂંટડે પીવાનું. અને એક કોળિયો ઓછામાં ઓછો 32 વખત ચાવવાનો.

વૈદ્યરાજ કહે છે કે આપણા પ્રાણને મજબૂત કરવા અને બચાવવા, પ્રાણશક્તિને સંવર્ધિત કરવા ત્રણ પ એટલે કે પીનું ધ્યાન રાખવું જોઈએ.

  • 1. પ્રાર્થના. રોજ સવાર-સાંજ સપરિવાર સર્વ ભવન્તુ સુખીનાં.. એ પ્રાર્થના કરો.
  • 2. પ્રાણાયામ કરો.
  • 3. પેય.. અમૃત પેય પીઓ (ઉકાળો પીઓ.)

ટીવી-9 ગુજરાતીના પત્રકાર-એન્કર જયેશ પારકરને પણ કોરોના પોઝટિવ થયો હતો. તેઓ આયુર્વેદની મદદથી બચી ગયા. તેમણે સાજા થયા પછી આપેલા ઈન્ટર્વ્યુમાં ખાસ મહેન્દ્રસિંહ સરવૈયાનો આભાર માન્યો હતો. સેંકડો દર્દીઓ સરવૈયા સાહેબનો આભાર માનીને કહે છે કે તેમણે અમને બચાવ્યા છે.

સરવૈયા સાહેબ ભગવાન અશ્વિનીકુમાર, ધન્વંતરિ ભગવાન અને તેમના ગુરુજી, પરિવાર, આયુર્વેદના વૈદ્યો, ગુજરાત સરકાર આયુર્વેદની ટીમ અને દર્દી નારાયણના હૃદયથી આશીર્વાદ અને હૃદયની પ્રાર્થના આ સફળતા માટે પ્રેરક માને છે.

મિત્રો.. ઉપર જે વાતો લખી છે, સરવૈયા સાહેબે જે ટીપ્સ આપી છે તેનો અમલ કરવા જેવો છે. આપણે એક વાત ધ્યાનમાં રાખીએ કે અત્યારનો સમયકાળ ખૂબ-ખૂબ-ખૂબ જ જોખમી છે. કોરોના પોઝિટિવથી હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ઈલાજ કરતાં કરતાં ડોકટરો અને નર્સો અને પેરા-મેડિકલનો સ્ટાફ માંદો પડ્યો છે અને થાકી ગયો છે. ખાનગી હોસ્પિટલોમાં તો આઠ-નવ લાખ રૂપિયાનો ચાર્જ લે છે. એલોપથીમાં દવા તો પાછી છે જ નહીં. એમાં પ્રયોગો જ થાય છે. જેની રોગપ્રતિકાર શક્તિ વધારે હોય છે તે જ જંગ જીતે છે. માટે કંટાળો આવે, ના ગમે, ના ફાવે તો પણ અહીં લખેલું કરવું જ પડશે. એનું એક જ કારણ છેઃ જીવવાનું છે. જો જાન હશે તો જ્હાન રહેશે. પાણી પહેલાં પાળ બાંધવાની છે. માંદા પડવાનું જ નથી. કોરોના વાયરસને શરીરમાં ઘૂસવા જ દેવાનો નથી. સંકલ્પ કરવાનો છે અને સંયમ કરીને સંકલ્પને પાળવાનો છે.

બળબળતો ઉનાળો છે. આપણા શરીરને આપણે ઠંડા પાણીની, સોફ્ટ પીણાંની, આઈસ્ક્રીમની, બરફગોળાની કુટેવ પાડીને બગાડી દીધું છે એટલે એ ઝટ નહીં માને, પણ એ જ શરીર કોરોનાગ્રસ્ત થશે તો ચીસાચીસ પણ કરશે. માટે સમયસર ચોકક્સ ચેતી જવાનું છે.

આપણે નસીબદાર છીએ કે આપણી પાસે આયુર્વેદ છે. આજે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની ઘડી છે. તેનો ઉપયોગ કરીને કોરોનાથી બચી જઈએ અને આપણા તન-મનને સ્વસ્થ કરીએ. જરૂર લાગે ત્યાં આપણા નજીકના આયુર્વેદ નિષ્ણાત વૈદ્યરાજોની સલાહ લઈએ.

આ અંગે આપ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ,તળાજા, ભાવનગર નો 9824871648 (સમય સાંજે 8 થી 8:30) પર સંપર્ક કરી શકશો.

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, (હરતો-ફરતો) 9824034475, ગાતું ઘર, સી-3, સૂરસાગર ટાવર, કલાસાગર મોલની સામે, સત્તાધાર, સોલા રોડ, અમદાવાદ 380061 ફોન (જમીન સાથે જોડાયેલોઃ 079-27493724)

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ