અંબાજી, ચોટીલા, પાવાગઢ – જાણી લો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનના ટાઇમ
વર્ષના સૌથી મોટા તહેવાર એવા નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે કોરોના મહામારીના કારણે આ વખતે દર વર્ષ જેવી રોનક શેરીઓ, સોસાયટીઓ કે પાર્ટી પ્લોટમાં જોવા મળશે નહીં. કારણ કે રાજ્ય સરકાર દ્વારા ગરબા રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જો કે માતાજીનું સ્થાપન અને આરતીની છૂટ આપવામા આવી છે.
આ મહા પર્વમાં માઈ ભક્તો માતાજીની શક્તિપીઠના દર્શન કરવાનો લાહવો લેવાનું ચુકતા નથી. માઈ ભક્તો અંબાજી ધામ, પાવાગઢ ધામ, બહુચરાજી ધામ, ચોટિલા ધામ વિગેરે મહત્ત્વના માતાજીના મંદીરોએ દર્શન કરવા જતા હોય છે. તો તેવા જ માતાજીના પરંમ ભક્તો માટે અમે આ મંદિરોના દર્શનના ટાઇમની માહિતી લઈને આવ્યા છીએ.
અંબાજી ધામમાં નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શનના તેમજ આરતીના સમયમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે જો તમે માતાજીના દર્શન કરવા જવા માગતા હોવ તો આ સમય જરૂર નોંધી લો.
અંબાજી ધામમાં સવારનો આરતીનો સમય 7.30 થી 8 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ દર્શનનો સમય સવારના 8 વાગ્યાથી 11.30 સુધીનો રહેશે. ત્યાર બાદ 11.30થી 12.30 સુધી માતાજીના દર્શન બંધ રહેશે. 12.30 રાજભોગ ધર્યા બાદ માતાજીના દર્શન માઈભક્તો સાંજના 16.15 સુધી કરી શકશે.
સાંજનો આરતીનો સમય 18.30થી 19 સુધીનો રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ 19થી 21 એટલે કે સાંજના 7થી રાત્રિના 9 વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. શનિવારે પ્રથમ નોરતાના દિવસે સવારે 8થી 9 વાગ્યા દરમિયાન ઘટ સ્થાપન કરવામા આવશે. આ વર્ષે આઠમ 24મી ઓક્ટોબર 2020ના રોજ છે.
આઠમના દિવસે આરતી થોડી વહેલી એટલે કે વહેલી સવારે 6 વાગે કરવામાં આવશે. અને દશેરાના દિવસની એટલે કે રવિવાર 25મી ઓક્ટોબર 2020ના રોજ સાંજના 6.15વાગે ઉજવણી કરવામાં આવશે. શરહદ પૂનમના દિવસે સવારે 6 વાગે આરતી કરવામાં આવશે. શરદપૂનમ 31મી ઓક્ટોબર શનિવારના રોજ કરવામાં આવશે અને તે રાત્રે 12 વાગ્યે દૂધપૌંઆનો કાર્યક્રમ રાખવામા આવશે અને સાથે જ કપૂર આરતી પણ કરવામા આવશે.
બહુચરાજી માતાના દર્શન માટેનો સમય નોંધી લો
માતાજીના બહુચરાજી ધામમાં નવરાત્રિના સમયમાં નવે નવ દિવસ વિવિધ કાર્યક્રમો આયોજિત કરીને નવરાત્રિની ઉજવણી કવરામા આવનાર છે, પણ અહીં માઈ ભક્તો ગરબા નહીં રમી શકે. અને સરકારી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ઇતિહાસમાં એવું પ્રથમ વાર બનશે કે બહુચરાજીમાં આઠમ અને દશેરાના દિવસે માતાજીની શાહી સવારી નહીં યોજવામાં આવે. અહીંના પ્રસિદ્ધ ચોકમાં ભક્તો દર નવરાત્રીએ ગરબા રમતા હોય છે પણ તે આનંદ આ વર્ષે ભક્તો નહીં ઉઠાવ શકે. માત્ર આરતીનું જ આયોજન કરવામા આવશે.
શું રહેશે બહુચરાજીમાં નવરાત્રિનું આયોજન
શુક્રવાર એટલે કે 16મી ઓક્ટોબર 2020ના રોજ બપોરે 12 વાગ્યે માતાજીના મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.
શનિવાર એટલે કે પ્રથમ નોરતાએ એટલે કે 17મી ઓક્ટોબર 2020ના રોજ સવારે 7.30 કલાકે માતાજીના ગર્ભ ગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઘટ સ્થાપના કરવામાં આવશે.
સત ચંડી યજ્ઞનો પ્રારંભ 22મી ઓક્ટોબર 2020ના ગુરુવારના રોજ કરવામાં આવશે.
જ્યારે 24મી ઓક્ટોબર શનિવારના રોજ સાંજે 4.30 કલાકે સતચંડી યજ્ઞની પૂર્ણાહુતી થશે. આ જ દિવસે રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી ભરવાનું પણ આયોજન થશે.
25મી ઓક્ટોબરની સવારે 7.45 કલાકે જવારાનું ઉથાપન કરવામાં આવશે અને આ જ દિવસે સવારે 10.30 કલાકે દશેરા નિમિતે ધજા નિશાન પણ ચડાવવામાં આવશે. પણ દર વર્ષની જેમ આ વર્ષે માતાજીની સાહી સવારી નહીં ફેરવવામાં આવે. તમને જણાવી દઈએ કે આ સવારીમાં માતાજીને અમૂલ્ય નવલખો હાર પહેરાવવામાં આવતો હતો અને સમી વૃક્ષ પાસે પોહંચીને શસ્ત્ર પૂજા પણ કરવામા આવતી હતી જે આ વર્ષે નહીં થાય.
જાણી લો પાવાગઢના મહાકાળી માતાના દર્શનની માહિતી
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી પાવાગઢના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામા આવ્યા હતા. અને ગત રવિવારે તો અહીં ભક્તોની ભારે ભીડ જોવામાં આવી હતી. પણ 16મી તારીખથી મંદિરના દરવાજા ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. અને મહાકાળી માતાના ભક્તો હવે માતાજીના માત્ર વર્ચ્યુઅલ દર્શન જ કરી શકશે. ભક્તો પાવાગઢની વેબસાઇટ પરથી માતાજીના દર્શન કરી શકશે.
નવરાત્રિ દરમિયાન પાવાગઢના મંદિરના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે ઘણાબધા મહાકાળી માતાના ભક્તોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. પણ હાલ કોરોનાની જે મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં ઓર વધારે ભક્તો ન ઉમટી પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. જો કે પાવાગઢની તળેટીમાં ભક્તો એલઈડી સ્ક્રીન પર માતાજીના દર્શન કરી શકશે.
તમને જણાવી દઈએ કે પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિરના કપાટ બંધ રાખવાનું નક્કી કર્યું છે. કારણ કે દર વર્ષે નવરાત્રી દરમિયાન પાવાગઢ પર આવેલા મહાકાળી માતાજીના મંદિરના દર્શને 8થી 10 લાખ ભક્તો ઉમટી આવે છે અને આટલી મોટી સંખ્યા ભેગી થવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ પણ વધી જાય છે માટે આ નિર્ણય લેવામા આવ્યો છે.
ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાના દર્શનનો સમય જાણી લો
17મી ઓક્ટોબર 2020ના રોજ એટલે કે પ્રથમ નોરતા પર સવારે 8.30 વાગે મંદિરનો નીચેનો મુખ્ય દ્વાર ખોલવામાં આવશે જ્યારે ઉપરનું ગર્ભગૃહ સવારે 9 વાગ્યે ખોલવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમ પ્રમણે મંદિરમાં 9 વર્ષથી નાના બાળકો તેમજ મોટી ઉંમરના વડિલો દર્શન કરવા પ્રવેશી શકશે નહીં. તેમજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પણ દરેક ભક્તોએ પાલન કરવાનું રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ