કોરોના મહામારી વચ્ચે 15 ઓક્ટોબરથી શાળાઓ ખુલશે – જાણો વિવિધ રાજ્યોએ શાળાઓ ખોલવા બાબતે શું નિર્ણય લીધો
અનલોક 5ની કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામા આવેલી માર્ગદર્શીકા પ્રમાણે રાજ્યોને 15મી ઓક્ટોબરથી શાળાઓ ખોલવાની છૂટ આપવામા આવી છે. જો કે તે બાબતેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારે જ લેવાનો રહેશે. અને માટે જ દેશના ઘણાબધા રાજ્યોએ શાળાઓ નહીં ખોલવાનો જ નિર્ણય લીધો છે. જેમાં દિલ્લી, છત્તીસગઢ, કર્ણાટક વિગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. અને ગુજરાત સરકારે પણ થોડા સમય પહેલા જ જણાવી દીધું હતું કે શાળા ખોલવા બાબતેનો નિર્ણય દિવાળી બાદ જ લેવામાં આવશે.
તો દેશના અન્ય રાજ્યો જેમ કે હરિયાણા તેમજ મેઘાલયમાં હજુ આ બાબતે કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 4ની જે માર્ગદર્શિકા બહાર પાડવામા આવી હતી તેમાં શાળાઓને આંશિક રીતે ખોલવાની મંજૂરી આપવામા આવી હતી. પણ તેમાં ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે જ શાળાને આંશિક રીતે અને કેટલીક શરતો હેઠળ શાળા ખોલવાની મંજૂરી મળી હતી. આ માર્ગદર્શિકા પ્રમાણે ઉપર જણાવેલા ધોરણના વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસને લગતી કોઈ સમસ્યા હોય તો તેના માટે તેઓ શાળાએ જઈને શિક્ષકો પાસેથી માર્ગદર્શન લઈ શકે તેવી છૂટ આપવામા આવી હતી પણ તેના માટે તેમણે વાલીની લેખીત મંજૂરી લેવી પડશે તેવી શરત પણ મુકવામા આવી હતી તો બીજી બાજુ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી.
અનલોક-5ને 1લી ઓક્ટોબરથી લાગુ પાડવામા આવ્યું છે અને શાળાઓ 15 ઓક્ટોબરથી ખોલવામાં આવશે. જેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારોએ લેવાનો રહેશે. તો ચાલો જાણી લો કે કયા રાજ્યએ શું નિર્ણય લીધો.
દિલ્લી સરકારે હાલ જે નિર્ણય લીધો છે તે પ્રમાણે 31મી ઓક્ટોબર સુધી તેઓ શાળાઓ બંધ જ રાખવાના છે. ત્યાર બાદ જે સ્થિતિ હશે તેને ધ્યાનમાં લઈને આગળનો નિર્ણય લેશે.
ગુજરાત સરકારે શાળાઓ ખોલવા બાબતેનો નિર્ણય દિવાળી પછી શું સ્થિતિ સર્જાય છે તેના પર છોડ્યો છે. અને ત્યાર બાદ જ આ બબાતે કોઈ વિચારણા કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશની સરકારે શાળાઓ ખોલવા બાબતે નિર્ણય લેતા જણાવ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોન બહારની શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ 19મી ઓક્ટોબરથી શાળાએ જઈ શકશે. જો કે તેના માટે વિદ્યાર્થીઓની વાલીઓ તરફથી લેખિત મંજૂરી હોવી જોઇશે તો જ તેઓ શાળામાં પ્રવેશી શકશે. અને શાળાઓએ પણ કેટલીક શરતોને અનુસરવાની રહેશે. મહારાષ્ટ્ર સરકારે પણ આ બાબતે દિવાળી બાદ જ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. દિવાળી બાદ કોરોના વાયરસની સ્થિતિનિ સમીક્ષા કર્યા બાદ જ તેઓ શાળાઓ બંધ રાખવી કે ખુલ્લી તે અંગે નિર્ણય લેશે.
પુડુચેરી સરકારે 8મી ઓક્ટોબરથી જ ધોરણ 9થી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટેના વર્ગો શરૂ કરી દીધા છે. પુડુચેરી શિક્ષણ વિભાગના રુદ્ર ગૌડના જણાવ્યા પ્રમાણે હાલ શાળાઓ અઠવાડિયાના છ દિવસ જ ચાલશે અને વર્ગનો સમય પણ સામાન્ય દિવસો કરતા અરધો જ રાખવામા આવ્યો છે.
છત્તીસગઢ સરકારે હાલ શાળાઓ બંધ રાખવાનો જ નિર્ણય લીધો છે. ભવિષ્યમાં શું સ્થિતિ સર્જાશે તે પ્રમાણે તેઓ આગળનો નિર્ણય લેશે.
હરિયાણા સરકાર હજુ પણ આ બાબતે વિચારણા કરી રહી છે. હજુ સુધી આ બાબતે કોઈ જ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મેઘાલય -મેઘાલય સરકારે શાળાઓ ખોલવા બાબતે વાલીઓ તેમજ તે સાથે જોડાયેલા અન્ય લોકોને આ નિર્ણય લેવા બાબતે અભિપ્રાય માગ્યો છે.
આંદ્ર પ્રદેશ સરકારે નિર્ણય લીધો છે કે 2જી નવેમ્બર સુધી તેઓ વર્ગો શરૂ નહીં કરે. તે જ રીતે પશ્ચિમ બંગાળ સરકારે પણ શાળાઓ ખોલવા બાબતેનો નિર્ણય નવેમ્બર મહિના પર ઠેલ્યો છે.
કર્ણાટક સરકારે શાળાઓ ખોલવા બાબતે કોઈ જ ઉતાવળ દર્શાવી નથી. તેઓ બધી જ સ્થિતિનો અભ્યાસ કરીને તેની સમીક્ષા કર્યા બાદ જ આ નિર્ણય લેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ