નિસર્ગ વાવાઝોડું – દક્ષીણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રી કીનારાઓ પર ફુંકાશે 110 કીમીની ઝડપે પવન – બપોરના 12થી 3 વચ્ચે જમીન સાથે ટકરાઈ શકે છે વાવાઝોડું
હજુ તો કોરોનાની મહામારી યથાવત છે, તે દરમિયાન અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે તારાજી સર્જી છે ત્યાં આટલું ઓછું ન હોય તેમ અરબ સમુદ્રમાં પણ નિસર્ગ વાવાઝોડાએ માથું ઉંચક્યું છે. અત્યાર સુધી ગુજરાતના સમુદ્રકાંઠાઓ પર તેનું જોખમ હતું પણ હવે દિશા બદલાતા દક્ષીણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્ર તરફ આ તોફાન વળ્યું છે.
અરબ સમુદ્રમાં નિસર્ગ વાવાઝોડું ધીમે ધીમે ગંભીર રૂપ ધારણ કરે તેવી શક્યતા જોવા મળી છે. જોકે થોડા સમય પહેલાં વાવાઝોડું ગુજરાતના સમુદ્રકાંઠાને ટકરાય તેવી આશંકા હતી પણ હવે હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે વાવાઝોડુ ગુજરાતના સમુદ્ર વિસ્તારોમાં નહીં પણ દમણ તેમજ ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્ર કીનારાઓ પર ટકરાશે. નિસર્ગ વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 110 કી.મીની રહેશે.
જોકે નિસર્ગ વાવાઝોડું દક્ષીણ ગુજરાતને ટકરાશે નહીં પણ તેની અસર ચોક્કસ ત્યાંના વિસ્તારોમાં જોવા મળશે અને તેના કારણે સમુદ્ર કીનારે એલર્ટ પણ મુકી દેવામા આવી છે. આ વાવાઝોડાની અસરથી દક્ષીણ ગુજરામાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે તેમ છે. અરબી સમુદ્રમાંનું ડીપ ડિપ્રેશન થોડા જ સમયમાં વાવાઝોડામાં ફેરવાશે.
આ ડીપ ડીપ્રેશનની ગતિ હાલ 6 કલાકે 11 કિ.મી માપવામા આવી છે. હાલ આ વાવાઝોડું સૂરતથી હાલ લગભ 670 કીલોમીટર દૂર છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે વાવાઝોડુ વધારે આક્રમક બની શકે છે. જમીન સાથે વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 100 કી.મી પ્રતિ કલાકથી 120 સુધી પહોંચી શકે છે.
હાલ સાવચેતીના ભાગ રૂપે ગુજરાતના ભાવનગર તેમજ અમરેલીના સમુદ્રકાંઠાનાં વિસ્તારોમાં આવેલા લગભગ 50 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે દ. ગુજરાતના 159 ગામને એલર્ટ કરાયા છે. દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારાઓ પર યેલો એલર્ટ મુકવામાં આવ્યું છે. અને માછીમારોને પણ આ સંજોગોમાં સમુદ્ર પર નહીં જવાના સૂચન આપવામાં આવ્યા છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે નિસર્ગ વાવાઝોડાની અસર રૂપે દક્ષિણ ગુજરામાં 70થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈને ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને તંત્રને તેનો સામનો કરવા માટે સજ્જ કરવામાં આવ્યું છે.
હવામાન માટેની વેબસાઈટ વિન્ટી પ્રમાણે નિસર્ગનું લાઇવ સ્ટેટસ આ પ્રમાણે છે
નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત પર કંઈક આમ રહેશે.
નિસર્ગ વાવાઝોડાના કારણે ત્રીજી જુને દક્ષિણ ગુજરાતની ઘણી બધી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સુરત જિલ્લામાં ત્રીજી જૂને સાંજ દરમિયાન 70 કિમી પ્રતિ કલાકથી 90 કિમી પ્રતિકલાકની ઝડપે પૂવન ફૂંકાશે. તંત્ર દ્વારા માછીમારોને 4થી જૂન સુધી દરિયો નહીં ખેડવા માટે સૂચિત કરવામાં આવ્યા છે. સાવચેતી રૂપે સુરતમાં એક NDRF અને SDRF ટીમને સજ્જ કરવામાં આવી છે.
4થી જૂને સુરત જિલ્લાના બીચ બંધ રાખવામાં આવશે
નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે સમુદ્ર ખેડવા ગયેલા માછીમારોને પાછા બોલાવી લીધા છે અને સમુદ્ર પર રહી ગયેલા માછીમારો ને પાછા બોલાવવા માટે સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સૂરત જિલ્લાના વિવિધ બીચ જેમ કે ડુમસ, ડભારી, સુવાલી વિગેરે પર જવા માટે પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આ બીચ 4થી જૂન સુધી બંધ રહેશે.
32 ગામોને રાખવામાં આવ્યા છે એલર્ટ પર
વાવાઝોડા સામેની સાવચેતી રૂપે જિલ્લા કલેક્ટર દ્વારા સમુદ્ર કિનારાના વિસ્તારના આશરે 32 ગામોને એલર્ટ પર રાખ્યા છે. આ ગામોમાં ચર્યાસીના 7 ગામ, ઓલપાડના 21 ગામ અને મજુરાના 4 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાવચેતી રૂપે શેલ્ટર હોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
લોકોને આપવામાં આવ્યા છે ખાસ સૂચન
તંત્ર દ્વારા લોકોને ખાસ સૂચન કરવામા આવ્યું છે કે આ સમય દરમિયાન ઘરની બહાર નીકળવું નહીં. તેમજ લોકોએ વીજળીના થાંભલા, હોર્ડિંગ, વૃક્ષો તેમજ જર્જરિત મકાનોથી દૂર રહેવું, તેમજ હવામાં ઉડી જાય તેવા મોટા કન્ટેરને મજબૂત રીતે બાંધી રાખવા સૂચન આપવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારો તેમજ કાચા ઘરોમાં રહેતા લોકોને એ પણ સૂચના આપવામાં આવી છે કે તંત્ર જણાવે ત્યારે તેમણે શેલ્ટર હોમમાં આવવાનું રહેશે. મુંબઈમાં સેક્શન 144 લાગુ પાડવામાં આવી
હાલ આ વાવાઝોડું મુંબઈથી 165 કીમી દૂર અલિબાગના દક્ષિણ પશ્ચિમ બાજુ સ્થીત છે. જે વિષે IMD (Indian meteorological Department) દ્વારા માહિતી આપવામા આવી હતી. એવું પણ કહેવામા આવ્યું છે કે તેના કારણે કર્ણાટક, ગોઆ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્રકિનારાના વિસ્તારો પર આવનારા થોડાંક જ કલાકોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
IMD દ્વારા આપવામા આવેલી માહિતી પ્રમાણે આ વાવાઝોડુ જમીન સાથે બપોરના 12થી 3 વચ્ચે ટકરાશે. આ વાવાઝોડાનું ડાયામિટર 65 કિલેમીટર રહેશે. મુંબઈ આ વાવાઝોડાના રસ્તામાં આવે છે અને આગાહી પ્રમાણે અહીં 164mm જેટલો ભારે વરસાદ પડી શકે છે. અને સાવચેતીના પગલા રૂપે મુંબઈમાં 144ની કલમ લાગુ પાડવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ