રામાયણ સિરિયલનો તે ભયંકર રાવણ આજે વિતાવી રહ્યો છે આવું જીવન
કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા લોકડાઉન દરમિયાન ફરી એકવાર દૂરદર્શન દ્વારા રામાનંદ સાગરની રામાયણ સિરિયલનુ પુનઃપ્રસારણ થઈ રહ્યું છે. અને લોકો માટે જાણે તેમનું બાળપણ કે પછી તેમની યુવાની પાછી આવી હોય તેવો માહોલ ઉભો થયો છે. રામાયણની આ સિરિયલમાં દરેકે દરેક પાત્રોને એવા સુયોગ્ય રીતે વર્ણવવામાં આવ્યા હતા અને કલાકારો દ્વારા અભિનય પણ અફલાતૂન કરવામાં આવ્યો હતો અને તેના કારણે આ સિરિયલને જોનારા ઘણા બધા લોકો આ કલાકારોને વાસ્તવમાં સાચા માનવા લાગ્યા હતા. રામ-સીતા અને હનુમાનનું પાત્ર ભજવતા કલાકારોની તો રીતસરની પૂજા કરવામાં આવતી. તો વળી રાવણનું પાત્ર ભજવનાર કલાકારને રીતસરની નફરત પણ કરતા હતા કારણ કે તેમના મનમાં તો તે જ વાસ્તવિક રાવણ બની ગયો હતો.
રામાયણમાં રાવણનું પાત્ર જાણીતા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદી દ્વારા ભજવવામાં આવ્યું હતું. રામાયણ જોયા બાદ જ્યારે જ્યારે પણ રાવણનો ઉલ્લેખ થતો ત્યારે ત્યારે બધાની આંખો સમક્ષ અરવિંદ ત્રિવેદનો ચહેરો જ ઉભરી આવતો. મનોરંજન જગતના ઘણા લોકોનું એવું માનવું છે કે રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદી જેવું કોઈ જ ન ભજવી શકે.
પણ હાલ આ સિરિયલ ફરી રજૂ કરવામાં આવી રહી હોવાથી ફેન્સમાં તે કલાકારો વિષે જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે અને માટે જ અમે તમારા માટે રામાનંદ સાગરના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી હાલ શું કરી રહ્યા છે તે વિષેની માહિતી લઈને આવ્યા છે.
તમને કદાચ એ નહીં ખબર હોય કે અરવિંદ ત્રિવેદી રાવણનું પાત્ર નહોતા ભજવા માગતા. ઘણા સમય પહેલા કરવામાં આવેલા એક ઇન્ટર્વ્યૂમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જ્યારે તેમને રામાયણના નિર્માણની ખબર પડી ત્યારે તેઓ રામાનંદ સાગર પાસે કેવટનું પાત્ર માંગવા પહોંચી ગયા હતા. પણ તેમને જોતાં જ રામાનંદ સાગરે તેમને સ્ક્રીપ્ટના પાના પકડાવી દીધા. જેને વાંચ્યા બાદ અરવિંદ ત્રિવેદી કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી જવા લાગ્યા.
તેમને જતાં જોઈ રામાનંદ સાગર તેમને રોકીને બોલી ઉઠ્યા કે તેમને તેમનો રાવણ મળી ગયો. આ સાંભળી તેઓ ચકિત થઈ ગયા. અને તેમણે રામાનંદ સાગરને કહ્યું કે હું તો હજું કંઈ નથી બોલ્યો. ત્યારે તેમણે અરવિંદજીને કહ્યું કે તમારી ચાલ જોઈને હું સમજી ગયો કે તમે જ રાવણ બની શકશો. અને તેઓ રામાનંદ સાગરને ના ન પાડી શક્યા અને છેવટે રાવણના પાત્રમાં રંગાઈ ગયા.
તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં અરવિંદ ત્રિવેદી રામના પરમભક્ત છે. અરવિંદ ત્રિવેદી મૂળે તો મધ્યપ્રદેશના છે અને તેમણે ફીલ્મોથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેમણે હિંદી તેમજ ઘણીબધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાની ફિલ્મી કારકીર્દી દરમિયાન 300 કરતાં પણ વધારે ફિલ્મોમાં અભિનય આપ્યો છે. તેમ છતાં આજે પણ લોકો તેમને રાવણ તરીકે જ ઓળખે છે.
તેમનું ગુજરાતી ફિલ્મોમાં આગવું યોગદાન રહ્યું છે અને તેમને તેમના અભિનય માટે ગુજરાતી મનોરંજન જગત તરફથી ઘણા બધા અવોર્ડ્સ મળી ચૂક્યા છે અને ગુજરાત સરકાર દ્વારા તેમને સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.
તમને એ પણ જણાવી દઈ કે તેઓ ભાજપના નેતા પણ રહી ચૂક્યા છે. તેમણે સાબરકાંઠાની સીટ પરથી ભાજપાના ઉમેદવાર તરીકે ચૂટણી લડી હતી અને જીત્યા હતા. જો કે હાલ તેઓ 81 વર્ષની ઉંમરે પહોંચ્યા છે અને ઉમરના કારણે તેમની તબિયત પણ ઠીક નથી રહેતી માટે હાલ તેઓ આરામ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ