આ હેલ્થ આર્ટિકલ લખાઈ રહ્યો છે ત્યારે ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને અમદાવાદ સહિત ગુજરાતભરમાં શિયાળો પોતાનું અસલી સ્વરૂપ દેખાડી રહ્યો છે. એકબાજુ શિયાળો શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટેની સીઝન ગણાય છે જ્યારે બીજી બાજુ જે લોકોના શરીર નબળા છે અને શરીરની આંતરિક રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેમના માટે શિયાળો બીમારીની સીઝન છે.
મોટાભાગનાં લોકો શિયાળાની ઠંડીથી બચવા શરીરને ગરમ કપડાઓથી ઢાંકી તો લે છે પણ શિયાળાના સિઝનેબલ રોગચાળાથી બચવા શરીરને બાહરથી જ રક્ષણ આપવું પૂરતું નથી. શરીરને આંતરિક રીતે પણ શિયાળાથી બચાવવા યોગ્ય આહારનું સેવન પણ એટલું જ જરૂરી છે.
શિયાળામાં મોટેભાગે જે સામાન્ય બીમારીઓ વાયરલ થાય તેમાં શરદી, ઉધરસ અને તાવ હોય છે. જે લોકોને શિયાળાની દર સીઝનમાં ઉપરોક્ત બીમારીથી માંદા પડવાની સમસ્યા હોય તેઓ જો યોગ્ય તકેદારી અને આહાર બદલાવ કરે તો માંદા પડવાનું જોખમ ઘટી જાય છે.
હેલ્થ એક્સપર્ટનું માનીએ તો શિયાળાની સીઝનમાં લોકોએ પોતાના આહારમાં ઘરમાં જ ઉપલબ્ધ લવિંગ, તીખા, મધ, તુલસી અને આદુ જેવી સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ જે શરદી, ઉઘરસનો કારગર અને સરળ ઘરેલુ ઉપચાર છે.
મધ
મધ અનેક પ્રકારની નાની-મોટી બીમારીઓથી શરીરની રક્ષા કરે છે. શિયાળામાં ખાસ કરીને નાના બાળકો અને હોતી ઉંમરના લોકોને થતી સામાન્ય શરદી-ઉધરસમાં મધ બહુ ઉપયોગી છે. રાત્રે સૂતા પહેલા નવશેકા ગરમ કરેલા દૂધમાં એક ચમચી મધ મેળવી તે દૂધનું સેવન કરવાથી શરદી-ઉધરસમાં ફાયદો થાય છે.
બાજરાનો રોટલો
બાજરો એ ગરમ પ્રકૃતિનો આહાર છે. ગુજરાતી લોકોના બપોરના ભોજનમાં ખાસ પસંદ એવો બાજરાનો રોટલો પણ શિયાળાની વાયરલ બીમારીઓ સામે બચાવ કરે છે. બાજરામાં પ્રોટીન, વિટામિન બી, કૅલ્શિયમ, ફાઇબર અને એન્ટી ઓક્સીડેન્ટ તત્વો હોય છે જે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદરૂપ છે. શિયાળામાં ખાસ કરીને નાના બાળકોને બાજરાની રોટી-રોટલો ખવડાવવાની આદત પાડવી જોઈએ.
આમળા
શિયાળો એટલે આમળા અને આમળા એટલે શિયાળો. આ ઠંડી ઋતુ દરમિયાન બજારમાં સરળતાથી ઉપલબ્ધ અને કિંમતમાં પણ સસ્તા આમળા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ કિંમતી ફળ છે. આમળા શરીરમાં એન્ટી ઓક્સીડેન્ટ એનર્જી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. તેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. એ સિવાય તેમાં વિટામિન એ, વિટામિન બી, પોટેશિયમ, કૅલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર જેવા ઉપયોગી તત્વો પણ ઉપલબ્ધ હોય છે.
આદુ
શરદી અને ઉધરસની સમસ્યામાં આદુનો ઉપયોગ અકસીર છે. ઘરે ચા બનાવતી વખતે તેમાં ખાંડ નહિવત પ્રમાણમાં અને આદુનો યોગ્ય ઉપયોગ કરવો હિતાવહ છે. આદુના સેવનથી ગળા સંબંધી સામાન્ય સમસ્યાનું પણ નિરાકરણ થાય છે.
ખજૂર
શિયાળાની સવારે નવશેકા ગરમ દૂધ સાથે ખજૂરનું સેવન કરવું ખૂબ લાભપ્રદ છે.
તલનું તેલ
શિયાળાની ઠંડીથી બચવા અને મસ્તિષ્ક શાંત સ્થિતિમાં રાખવા રાત્રે સૂતા પહેલા પગના તળિયે તલના તેલથી માલિશ કરવાથી પણ ફાયદો થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ