તમારા જીવન સાથી બાબતે ભગવાન તમને આપે છે આ સંકેત
જાણો એક સાચા જીવન સાથીના લક્ષણો વિષે
લગ્ન એ વ્યક્તિના જન્મ બાદની સૌથી મહત્ત્વની ઘટના છે. લગ્ન એક સામાજિક સંસ્થા છે જે સમાજને વ્યવસ્થિત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. લગ્ન માત્ર બે વ્યક્તિનું મિલન નથી પણ બે વ્યક્તિનો એકબીજામાંનો વિશ્વાસ, એકબીજમાંનો પ્રેમ એકબીજામાંની આસ્થાની બાબત છે.
તમે છોકરો હોવ કે છોકરી તમે કીશોરાવસ્થાથી તમારા જીવન સાથી માટેના કેટલાક દીવાસ્વપ્નો જોયા હશે કે તમારો જીવન સાથી આવો હશે, તેવો હશે, સુંદર હશે, પ્રેમાળ હશે વિગેરે.
ત્યારે તમે તમારા જીવન સાથીને કોઈ રાજકુમારી કે પછી રાજકુમાર જેવા પણ કલ્પ્યા હશે.
પણ આ બધા જ દિવા સ્વપ્ન હોય છે જેમાં તમે ઇચ્છો એ ધારી શકો છો પણ વાસ્તવિક લગ્ન એક અલગ જ બાબત છે. જે થોડી પડકાર જનક છે અને થોડી છેતરામણી પણ છે.
લગ્નનું નક્કી થાય ત્યાર બાદ સાથે હરો ફરો ત્યાર બાદ લગ્ન થાય અને હનીમૂન પર જાઓ અને હનીમૂન પરથી પાછા આવો ત્યારે જ ખરું લગ્નજીવન શરૂ થાય છે.
અને ત્યારે જ તમને લગ્નના સારા-નરસા પાસા જોવા મળે છે. ત્યાર બાદ તમે કેટલીક અસહજ પરિસ્થિતિમાં મુકાવો છો.
અને ત્યારે તમે ગંભીર રીતે વિચારવા મજબૂર થાઓ છો કે તમે જેની સાથે લગ્ન કર્યા તે તમારા માટે યોગ્ય છે કે નહીં?
પણ લગ્ન થઈ ગયા બાદ તમારા હાથમાં કશું જ નથી રહેતું. પણ જો લગ્ન પહેલાં જ તમે જાણી શકો કે તમે પસંદ કરેલી વ્યક્તિ તમારા માટે યોગ્ય છે કે નહીં તો ? તો જાણી લો તમારા માટે યોગ્ય જીવન સાથીના સંકેતો કે પછી લક્ષણો.
તમે એકબીજાને પુરતી સ્વતંત્રતા આપતા હોવા જોઈએ
દુનિયા હવે દર પાંચ વર્ષે બદલાઈ રહી છે. પુરુષોની સાથે સાથે સ્ત્રીઓ પણ તેમના ખભાથી ખભા મિલાવીને આગળ વધી રહી છે. અને સાથે સાથે પુરુષોએ પણ પોતાના કામમાં ટકી રહેવા માટે પોતાની કેરિયરને પણ પુરતો સમય આપવો પડે છે તો બીજી બાજુ માનસિક પ્રસન્નતા માટે પણ વ્યક્તિને એક અલાયદો સમય મળવો જોઈએ.
ચોક્કસ તમે પતિ-પત્ની છો અથવા તો થવાના છો તમારે પણ એકેબીજા સાથે પુરતો સમય પસાર કરવાનો હોય તમારે એકબીજાને જાણવાના છે પણ સાથે સાથે તમારે તમારા મનને પણ મોકળુ રાખવાનું છે અને તમારો સાથી તેમના મિત્રવર્તુળમાં પણ સમય આપે તો તેમાં તમને કોઈ જ વાંધો ન હોવો જોઈએ.
માત્ર મિત્ર વર્તુળ જ નહીં પણ તેમના ઓફિસના કામમાં કે પછી પ્રસંગમાં ગમે ત્યાં તમારાથી અલગ તેને સમયની જરૂર પડશે.
એક સ્વસ્થ મજબુત સંબંધમાં તમારે એ સમજવુ પડશે કે તમારે તમારા સાથીને તમારા સિવાય પણ બીજાઓ સાથે સમય પસાર કરવા માટે સમય આપવો જોઈએ. જો એક વ્યક્તિ સતત ડગલને પગલે બીજી વ્યક્તિ પર નભેલી રહે તો તે યોગ્ય નથી.
તમારે એકબીજાની સાથે રહીને એકબીજાને પુરતી મોકળાશ આપવાની છે જેથી કરીને તમારો સંબંધ ગુંગળાઈ નહીં પણ તંદુરસ્ત શ્વાસ લઈ શકે અને તે દ્વારા ઓર વધારે મજબુત બની શકે.
તમારા બન્નેના મૂલ્યો સરખા હોય
જ્યારે સામેવાળી વ્યક્તિની પસંદગી નાપસંદગી સદંતર નહીં પણ લગભગ તમને મળતી જ આવતી હોય ત્યારે એકબીજા સાથેનું જીવન સરળ બની જતું હોય છે. જેમ કે બન્નેને પ્રવાસ-પર્યટન ગમતા હોય બન્નેને ફિલ્મો જોવી ગમતી હોય તો તમારા માટે સંબંધ સાંચવવો ઘણો સરળ રહે છે.
ટુંકમાં લગ્નમાં તમે બન્ને વ્યક્તિ એક જ પ્રકારના મૂલ્યો ધરાવો તો તમારો સંબંધ ગાઢ બને છે. તમારા બન્નેનો સામાજિક રસ સરખો હોય કે પછી તમારી માન્યતાઓ સરખી હોય વીગેરે.
ટુંકમાં તમે બન્ને જીવન પાસેથી સરખી જ વસ્તુ ઇચ્છતા હોવ તો જાણી લો કે તમે એકબીજા માટે જ બનેલા છો.
બની શકે કે સંબંધમાં આગળ વધતાં તમારા રસ બદલાઈ શકે પણ તમારા મૂલ્યો તો સરખા જ રહેશે જેના કારણે તમે એકેબીજા સાથે જોડાયેલા રહેશો. પણ જો તમારા મૂલ્યો જ એકબીજા સાથે મેળ નહીં ખાતા હોય તો તમારી વચ્ચે ડગલેને પગલે અસહમતી થશે અને સંબંધ આગળ વધશે નહીં પણ મજબૂરીથી ખેંચવો પડશે.
તમારો એક બીજા પરનો વિશ્વાસ
આપણે અવારનવાર વાંચ્યું હશે કે કોઈ પણ સંબંધનો પાયો વિશ્વાસ પર જ ટકેલો રહે છે. જ્યારે તમે તમારા સાથી પર વિશ્વાસ મુકો છો ત્યારે તમારે તમારી જાતને બદલવી નથી પડતી, કારણ કે તમને ખબર છે કે તમે તેમની સાથે જે કંઈ પણ શેર કરશો તેને પુરતું માન આપવામાં આવશે અને તેને સમજવામાં આવશે.
તમારે તમારા સાથી સાથે સંપુર્ણ પ્રામાણિક રહેવાનું છે. તેમનાથી કશું જ છુપાવવાનું નથી કે પછી તેમની ખોટી પ્રસંશા પણ નથી કરવાની. જો તમારો સાથી આવો હશે તો તમારો સંબંધ આગળ જતાં ઓર વધારે મજબુત બનશે.
જો તમારા બન્ને વચ્ચે વિશ્વાસ નહીં હોય અને ભય હશે તો સંબંધ લાંબો નહીં ટકે અથવા તો ગુંગળાઈ મરશે. માટે તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો તે વિશ્વાસુ છે કે નહીં.
તમારા સાથીનો સાથ તમારા માટે કમ્ફર્ટીંગ હોય ભર્યો ભર્યો હોય
હવે પહેલાં જેવું રહ્યું નથી કે માત્ર એકબીજાને પસંદ કર્યા અને લગ્ન થઈ ગયા પણ હવે પસંદ કર્યા બાદ પણ બન્ને પાત્રને એકબીજાને સમજવા માટે પુરતે સમય મળે છે અને આ સમય દરમિયાન જો તમને એકબીજાનો સાથ ગમવા લાગે.
તમે એકબીજા સાથે ઓકવોર્ડ ન અનુભવો પણ તમે એકબીજાને પૂર્ણ કરતા હોવ તેવી લાગણી થાય તો તમારે સમજવું કે તમે તમારા માટે યોગ્ય સાથી પસંદ કરી લીધો છે.
તમે જ્યારે આવી વ્યક્તિને મળો છો ત્યારે તમને એવું લાગશે કે તમે તેને ઘણા લાંબા સમયથી જાણો છો. તમારા હૃદયની આ ફિલિંગ તમને દર્શાવે છે કે તે તમારા માટે યોગ્ય જીવનસાથી છે.
પણ જો તે વ્યક્તિ સાથે તમે ક્યાંક ફસાઈ ગયા હોવ તેવું લાગે અથવા ખુલીને વાત ન કરી શકતા હોવ અને તમને અંદરથી કોઈ હુંફવાળી ફિલિંગ ન આવતી હોય તો તમારે આ સંબંધ વિષે બીજીવાર વિચાર કરી લેવો જોઈએ.
તમે એકબીજા સાથે સ્વસ્થ વિવાદ કરતા હોવ
કોઈ પણ સંબંધમાં વિવાદ તો થવાના જ. પછી તે ભાઈ-બહેન હોય, માતા-પિતા હોય, પતિ-પત્ની હોય પિતા-પુત્ર હોય આ બધા જ સંબંધમાં સ્વસ્થ ઝઘડા તો થતાં જ રહેવાના. જે સંબંધમાં સ્વસ્થ વિવાદ હોય તે જણાવે છે કે તમે એકબીજાને કેટલી સ્વતંત્રતા આપો છો.
એવું ક્યારેય ન થાય કે તમે હંમેશા જ એક મત ધરાવતા હોવ. ઘણી બધી વાર તમારા મતો અલગ હોઈ શકે છે. પણ અહીં કોણ સાચું છે તે પ્રશ્ન ન હોવો જોઈએ પણ શું સાચું છે તે વિષય હોવો જોઈએ.
આ સંકેત દર્શાવે છે કે તમે એકબીજા સાથે પરિપક્વ સંબંધ ધરાવો છો અને એકબીજાના ડીસએગ્રીમેન્ટ્સને પચાવી જાણો છો અને સમજો છો.
એકબીજાની દલીલો અને અસહમતી તમને મદદ કરે છે એ માનવા માટે કે સામેવાળી વ્યક્તિના અમુક ભાગને તમે કંટ્રોલ ન કરી શકો.
પણ એકની એક બાબત પર વારંવાર દલીલો થવી તે જરા પણ યોગ્ય ન કહી શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ