ભાર વગરનું ભણતર સાચું પણ શિસ્તના ભોગે નહીં
સતત વિકસતી જતી દુનિયાના સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા માટે અને સારી રીતે જીવનનિર્વાહ ચલાવવા માટે પણ સારું ભણતર અચૂક આવશ્યક છે.પણ સાથે સાથે એ પણ એટલું જ સત્ય છે કે બાળકોને તેમનું બાળપણ જીવવાનો મોકો પણ મળવો જોઈએ. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે મા-બાપની મહત્વકાંક્ષાને કારણે બાળકો પર ભણતરનો વધુ પડતો બોજ લાગે છે.
ત્યારએ માતાપિતાએ પરિક્ષાલક્ષી ભણતરની સ્પર્ધાને પોતાના પર હાવી થવા દીધા વગર બાળકને સર્વાંગી રીતે વિકાસવાની તક આપવી જોઈએ, ભાર વગરના ભણતરની વાત આપણને સૌને સારી લાગે છે અને બાળકોને ભણતર સાથે સાથે અન્ય ક્ષેત્રમાં વિકસવાની તક પણ મળી રહે એટલા જ માટે અભ્યાસ અંગેનું ટાઈમ મેનેજમેન્ટ બાળકો માટે ખૂબ જરૂરી છે.
શાળામાંથી મળતું હોમ વર્ક પૂરું કરવું અને રમત ગમત તથા અન્ય ક્ષેત્રોમાં પણ જોડાવું બંને બાળકના વિકાસ માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે આવશ્યક છે.
એ માટે રોજેરોજનું હોમવર્ક પૂરું કરવાની ટેવ બાળકમાં વિકસાવવી જરૂરી છે .હોમવર્ક પૂરું કરવાની ટેવ બાળકને નિયમિતતા પણ શીખવે છે.
પણ માતા-પિતા પણ પોતાની વ્યસ્તતાની વચ્ચે બાળકને હોમ વર્ક પૂરું કરાવવું એ માત્ર અને માત્ર પોતાની ફરજ સમજે છે અને ગમે તે રીતે બાળકને હોમવર્ક પૂર્ણ કરાવવા મથે છે ત્યારે તેઓ અજાણતા જ બાળકનો ભણતર માંથી રસ ઉડાડતા જાય છે.
બાળક નું હોમવર્ક પૂર્ણ કરાવવા માટે સૌથી પહેલા માતા-પિતા એ સજ્જ થવાની જરુર હોય છે અને એક રૂટિન ટાઈમ ટેબલ સેટ કરવાની પણ જરૂર હોય છે.
સૌ પ્રથમા તો બાળકને તેના હોમવર્ક અને અભ્યાસ પ્રત્યે સજાગ કરવા માટે માતા-પિતાએ બાળકો નું ટાઈમ ટેબલ સેટ કરવાને બદલે બાળકને પોતાને જ તેનો ટાઈમ ટેબલ સેટ કરવા કહેવું જોઈએ.
શાળાએથી પરત આવ્યા બાદ બાળક માટે રમવાનો ,જમવાનો ,આરામ કરવાનો અને અભ્યાસ કરવાનો સમય રહે એવી રીતે બાળકને તેના દિવસના રૂટીન સેટ કરવા માતા-પિતાએ પ્રોત્સાહિત કરવા જોઈએ.
બાળક પોતે પોતાનું ટાઈમ ટેબલ સેટ કરશે તો પોતાની પસંદગીનો સમય અભ્યાસ માટે નિશ્ચિત કરી શકશે એટલું જ નહીં સાથે-સાથે નિયમિતતા અને શિસ્ત તેના જીવનનો ભાગ બનતા જશે.પોતે બનાવેલા ટાઈમ ટેબલને વળગી રહેવા માટે બાળક નૈતિક રીતે પણ તૈયાર થશે.
બાળક જ્યારે હોમ વર્ક કરતું હોય ત્યારે માતા-પિતાએ એટલું જરૂર કરવાનું છે કે બાળકની આસપાસ રહેવું અને બાળકનું અભ્યાસમાંથી ધ્યાન ચલિત ના થાય તે અંગે સજાગ રહેવું .બાળક તો બાળક છે અને એ અભ્યાસ સમયે ઘણી વખત વચ્ચેથી રમતમાં લાગી જાય છે તો તેની એકાગ્રતા ભંગ થાય છે.
શક્ય હોય તો બાળક જ્યારે હોમવર્ક કરી રહ્યું હોય ત્યારે તેની આસપાસ પોતાની પસંદગીનું કોઈ પુસ્તક લઈને વાંચવા બેસવું .જેનાથી બાળક પણ ગંભીર રીતે તેનું કામ કરશે એટલું જ નહીં નાનપણથી જ માતા-પિતાને પણ પુસ્તક વાંચતા જોઈને બાળકની વાંચવા પરત્વેની રુચિ પણ વિકસશે.
શાબ્દિક રીતે બાળકને સમજાવવા કરતા માબાપ પોતાના વર્તન દ્વારા જ બાળકને ઘણું બધું શીખવી શકે છે..
માતા-પિતાનું શિક્ષક સાથે તેનું જોડાણ પણ બાળ વિકાસ માટે આવશ્યક છે.નિયમિત રીતે શિક્ષકના સંપર્કમાં રહી પોતાના બાળકના અભ્યાસ વિશે સતત માહિતી મેળવતા રહેવી જોઈએ.
માતા-પિતાએ બાળકની શાળાની ડાયરી નિયમિત ચેક કરવી જોઈએ. માતાપિતાની સતર્કતાથી બાળકને પણ અહેસાસ થશે કે તેના માતા-પિતા તેના અભ્યાસને લઈને સતત સક્રિય રહે છે અને સતર્ક છે.
ખાસ માતા પિતાએ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે બાળક જ્યારે તેનું હોમવર્ક પૂરું કરે છે ત્યારે તે માત્ર શાળામાં બતાવવા માટે કે શાળાએ આપેલું કાર્ય છે માટે કરવાનું છે અથવા તો માતા પિતા કહી રહ્યા છે માટે કરવાનું છે એવું વિચારીને એને પૂર્ણ ન કરે, પરંતુ બાળકમાં એક પ્રકારની સમજણ વિકસવી જોઈએ કે ભણતર એ માત્ર પરીક્ષાલક્ષી નથી પરંતુ જીવન વિકાસ માટે જરૂરી છે.
ભણતરથી જીવન ઘડતર પણ થતું હોય છે.ભણતર એ વ્યક્તિત્વનો પાયો છે.
ઉપરાંત માતા-પિતાએ રસ લઈને બાળકને અભ્યાસલક્ષી વાતો તર્કબદ્ધ રીતે યાદ રાખતા પણ શીખવાડવું જોઈએ જેથી બાળક નાની-નાની વાતોની જાણકારી મેળવી ,વાતોને સમજી ને યાદ રાખી શકે.
અભ્યાસ સમયે બાળકોનું ધ્યાન ભંગ કરે એવી વસ્તુઓથી ,એવી વાતોથી ઘરના અન્ય સભ્યો એ પણ દૂર રહેવું જરૂરી છે.
ટીવી, કોમ્પ્યુટર ,મોબાઈલ, મ્યુઝિક, મિત્રોની મહેફિલો આ તમામ વાતો અભ્યાસ સમયે બાળકને ખલેલ પહોંચાડે છે,માટે શક્ય હોય તો બાળકના અભ્યાસની જગ્યા આ તમામ વાતોથી દૂર રહે તેવી વ્યવસ્થા કરવી .
જો અભ્યાસ માટે અલાયદી વ્યવસ્થા શક્ય ના હોય તો બાળકના અભ્યાસ સમયે ઘરના અન્ય સભ્યો એ વ્યક્તિગત મનોરંજનનો ભોગ આપવો જરૂરી બને છે.બાળકને અભ્યાસ સમયે એકાગ્રતા કેળવાયેલી રહે તે માટે એકાંત અને શાંત વાતાવરણ પૂરૂ પાડવું માતા-પિતાની પણ ફરજ બને છે.
ઘણી વખત એવું પણ જોવા મળે છે કે બાળકને વધુ પડતું હોમવર્ક મળતું હોય તો માતાપિતા તે હોમવર્કમાં મદદ કરવા બેસી જાય છે અથવા પોતે પણ કરી આપે છે. દાખલા તરીકે કોઈ અસાઈનમેન્ટ પૂરું કરવાનું હોય કે કોઈ પ્રોજેક્ટ બનાવવાનો હોય ત્યારે ઘણીવાર બાળક ને બદલે એ કામ માતા-પિતા કરતાં હોય છે.
યાદ રાખો શાળામાંથી આપવામાં આવતું હોમ વર્ક બાળકો એ પોતે જ કરવાનું હોય છે.હા બાળકોને રસ્તો જરૂર બતાવી શકાય છે તેને મદદ પણ કરી શકાય છે. પણ તેનું કામ કરવું એ મદદ નથી.
તેને માર્ગદર્શન આપવું જોઈએ.બાળકને એનું કામ એની જાતે કરવા દેવાથી તેનામાં આત્મનિર્ભરતાના ગુણોનું આરોપણ થાય છે તે પણ માતા-પિતા એ ભૂલવું ન જોઈએ.
બાળકને તેનું હોમવર્ક પૂરું કરતાં વાર લાગે તો ધીરજપૂર્વક તેના હોમવર્ક પૂરું થવાની રાહ જોવી ,તેને પ્રોત્સાહિત કરવું પણ તેને હોમવર્ક કરી આપવાથી મા બાપ અજાણતા જ બાળકમાં પરવશતાનો દુર્ગુણ રોપી રહ્યા છે.
બાળક ના ઉજ્જવળ ભવિષ્ય માટે શિસ્ત, નિયમિતતા અને સ્વાવલંબન જરૂરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ