પીરિયડ્સ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં, તે સ્ત્રીઓ માટે જાણવું બહુ જ મહત્વનું છે… સ્ત્રીઓ માટેના સૌથી અઘરા દિવસો એટલે માસિક સ્ત્રાવનો સમય.
આ સમય દરમિયાન સ્ત્રીના શરીરમાંથી લોહીનો વ્યય થાય છે અને તે અશક્તિ અનુભવે છે. સાથે સ્ત્રીઓને ઓછા કે વધુ પ્રમાણમાં પેટમાં દુખાવો પણ રહે છે. આ સમયમાં દરેકને તેમની તાસીર પ્રમાણે બીજી પણ તકલીફો થતી હોય છે.
જેમાં મોળ ચડવી, ઉલ્ટી થવી કે ગેસ અને ચક્કર આવવા જેવી ફરિયાદો પણ રહેતી હોય છે. આવા સમયે સંતુલિત આહાર લેવાય તે ખૂબ જ જરૂરી રહે છે. આમેય આપણાં ભારત દેશમાં સ્ત્રીઓને પોષણની બાબતમાં કાળજી રાખવાની ખૂબ જ જરૂર હોય છે, તેમનામાં આયર્ન અને અન્ય જરૂરી પોષકતત્વોની ઊણપ રહેતી હોય છે.
જેથી કરીને આવા સમયમાં તેમને પૂરતા પ્રમાણમાં પોષણ અને શક્તિ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી બની જતું હોય છે. અમે આજે જણાવીએ કે પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓએ શું ધ્યાન રાખવું જોઈએ.
આવો જાણીએ, સ્ત્રીઓએ પીરિયડ્સ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં તેની વિસ્તારથી માહિતી મેળવીએ…
ચોકલેટ્સ…
કહેવાય છે કે ચોકલેટ્સમાં એક એવું ખાસ પ્રકારનું તત્વ છે કે જે મૂડને વધારે છે. પિરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને કંટાળો આવવો, મૂંઝારો થવો અને ચક્કર આવવા જેવી તકલીફ થતી હોય છે.
આવા સમયે ડાર્ક ચોકલેટ કે પછી મિલ્ક ચોકલેટ અથવા તો કેરેમલ ચોકલેટ ખાવાથી મોંનો સ્વાદ તો જરૂર મીઠો થાય છે પરંતુ તે મૂડને સુધારવામાં પણ મદદરૂપ થાય છે.
આયર્નવાળો ખોરાક…
જે આહારમાં આયર્નનું પ્રમાણ વધારે હોય તેનું સેવન જરૂર કરવું જોઈએ, તેનાથી શરીરને શક્તિ મળે છે અને રક્ત સ્ત્રાવને કારણે એનિમિયા જેવી તકલીફથી બચી શકાય છે.
તેમાં રીંગણ, ડ્રાયફ્રુટ્સ અને લીલાં શાકભાજી તેમજ તાજાં ફળો પણ લેવાં જોઈએ. કહેવાય છે કે આયર્ન સાથે ફળો લેવાથી તેની અસર વધુ ઝડપથી થતી હોય છે.
વિટામિન સીથી ભરપૂર ફળો…
તમારા આહારમાં આયર્નની સાથે વિટામિન સીનો સમાવેશ પણ કરવો જોઈએ. તેથી નારંગી, લીંબુ, કીવી, દ્રાક્ષ અને ટામેટાં વગેરે તમારા દરરોજના ભોજનમાં કે નાસ્તામાં જરૂર લેવું જોઈએ.
તાજાં ફળોનો રસ પણ બ્રેકફાસ્ટમાં લેવો જોઈએ. જે મૂડ સુધારવામાં અને તાજગી મેળવવામાં પણ મદદરૂપ થશે.
ગરમ પાણી…
પીરિયડ્સ દરમિયાન ઠંડા પીણાંને બદલે ગરમ પાણી પીવું જોઈએ. ગરમ પાણી પીવાથી શરીરને હૂફ પણ મળશે અને ગેસ કે કબજિયાત હશે તો તે પણ દૂર થશે. જેથી પેટના દુખાવામાં રાહત મળશે.
વધુમાં, દિવસ દરમિયાન ઓછામાં ઓછા એક કે બે કપ ગરમ ઉકાળો, ચા અથવા દૂધ પણ પીવું ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. આ સમય દરમિયાન, સ્ત્રીઓએ મહત્તમ ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
લોટનો શીરો…
લોટનો શીરો બનાવીને તેમાં ગોળ ઉમેરીને ખાવાથી શક્તિ વધે છે. આવી રીતે ગરમ ગરમ શીરો ખાવાથી પેટ સાફ પણ આવે છે અને કમરના દુખાવામાં પણ રાહત રહે છે.
આ પ્રકારે લોટના શીરામાં સૂંઠ પણ ઉમેરી શકાય છે. જેને કારણે રક્ત સ્ત્રાવના પ્રમાણમાં પણ ફરક પડી શકે છે.
ગરમ પાણીથી સ્નાન
નહાવા માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જો માસિક સ્ત્રાવ દરમિયાન જો સ્ત્રીઓને ખૂબ દુખાવો થતો હોય તો તો સ્નાન કરતી વખતે, ગરમ પાણીથી નહાવું જોઈએ.
આમ કરવાથી જકડાયેલ શરીરને આરામ મળે છે અને સ્નાયુઓમાં પણ ખેંચ અનુભવાતી હોય તો બોડી એકદમ રીલેક્સ થઈ જાય છે.
મગનું પાણી…
મગ એ હળવો અને પૌષ્ટિક આહાર છે. મગ એવું કઠોળ છે જે શક્તિ વર્ધક પણ છે અને અન્ય કઠોળ કરતાં તેમાંથી પ્રોટીનની માત્રા પણ વધુ મળે છે. જેને નિયમિત ખાવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે.
તેમાં ભરપૂર ફાઈબર્સ પણ મળી રહે છે. જેથી પેટને માટે પણ સારું છે, વળી, મગને લીધે ગેસ નથી થતો. મગનું ગરમ પાણી પીવાથી પણ પીરિયડ્સ દરમિયાન ફાયદાકારક રહે છે.
આવો, જાણીએ શું ન કરવું જોઈએ…
દવાઓ ન લેવી જોઈએ…
ઘણીવાર સ્ત્રીઓ પીડા દૂર કરવા માટે પીડા નાશક દવાનો ઉપયોગ કરે છે, જે ખોટું છે. તેનાથી શરીરમાં અન્ય નુક્સાન થઈ શકે છે. શરીરમાં આડઅસર થઈ શકે છે.
તેના બદલે તમે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો. જેમ કે બોટલનો શેક કરવો અને જો દુખાવો વધારે રહે તો પૂરતા પ્રમાણમાં આરામ કરવો જોઈએ. આવો જોઈએ કે અન્ય કેવા ઉપચારથી દર્દ ઓછા થઈ શકે.
એલોવેરાનો રસ
જો પીરિયડ્સમાં વધુ દુખાવો થાય છે, તો એક ચમચી મધ અને કુંવાર પાઠું એટલે કે એલોવીરાના રસમાં પાણી મેળવીને પીવું જોઈઍ. આ પીડા, હતાશા, કંટાળો અને વધુ રક્તસ્રાવથી આવતી અશક્તિમાં રાહત આપશે.
તુલસીનો ઉકાળો…
પીરિયડ્સમાં પણ તુલસી ખૂબ ફાયદાકારક છે. તુલસીના ૭થી ૮ પાન પાણીમાં ઉકાળો, તેમાં એક ચમચી મધ નાખો અને દરરોજ પીવો. આ નવસેકા ઉકાળો પીવાથી માસિક સ્ત્રાવ દરમિયાનની બધી સમસ્યાઓ દૂર કરી શકશો.
ગરમ પાણીથી શેક કરવો…
જો તમને પેટમાં દુખાવો થાય છે, તો પેટની નીચેના ભાગ અથવા દુ:ખદાયક સ્થળે ગરમ પાણી અથવા થેલીની બોટલ રાખો. આ ગંદકી અને અટકેલું લોહી બહાર લાવે છે અને પીડાથી ત્વરિત રાહત આપે છે.
તળેલો ખોરાક ટાળો…
પીરિયડ્સ દરમિયાન તળેલા અને બેક કરેલ ખોરાક ખાવાથી એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ખરાબ થાય છે. તેનાથી પેટ અને પીઠનો દુખાવો થઈ શકે છે. ઉપરાંત, ઠંડી, વાસી વસ્તુઓ, વધુ મીઠી, માંસાહાર, અથાણાં અથવા ખાટી ચીજો ખાવાનું પણ ટાળવું જોઈએ.
કેફી પદાર્થ ઓછા કરવા જોઈએ…
લોહ તત્વથી ભરપૂર ખોરાક લેતાં હોઈએ ત્યારે સાથે ચા કે કૌફીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે ચા કે કોફી આયર્નના શરીરમાં શોષણ દરને ૫૦થી ૯૦ ટકા ઘટાડી દે છે. ચામાં હાજર ટેનીન અને કોફીમાં હાજર કેફીન લોહ તત્વના શોષણને અટકાવે છે.
આ દિવસોમાં મહિલાઓએ પોતાના ખોરાકમાં રાખવું જોઈએ ખાસ ધ્યાન…
મહિલાઓને મહિનામાં ૬થી ૭ દિવસની અવધિમાં આ ખાસ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડે છે. મોટાભાગની સ્ત્રીઓ પીરિયડ દરમિયાન પીડા અનુભવે છે, તેમના સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે અને શારીરિક રીતે નબળાઇ પણ અનુભવે છે.
તે જ સમયે, સ્ત્રીઓ ઘણીવાર પીરિયડ્સ શરૂ થતાં પહેલા પણ તેમની પીઠ, કમરમાં અથવા છાતીમાં દુખાવાનો પણ અનુભવ કરે છે, જે ખરેખર તો સ્વાભાવિક છે. પરંતુ તે સમયે જો સ્ત્રીઓ તેમના આહારમાં થોડી પણ કાળજી લેશે તો તેમને પીરિયડ્સ દરમિયાન થતી પરેશાનીઓથી છૂટકારો મેળવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ