જાણો દેશના આ પ્રખ્યાત ૧૦ ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવજીના આશીર્વાદની કૃપા વરસે છે… આજે તેમની ૫૫૦મી જન્મજયંતિ છે…
૧૨મી નવેમ્બર, ૨૦૧૯ના દિને શીખ ધર્મના પહેલા ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. જે હિન્દુ પંચાંગ મુજબ કાર્તિક માસની પૂનમની તિથિએ આવે છે. તેઓને શીખ ધર્મના સંસ્થાપક પણ માનવામાં આવે છે. તેથી તેમના જન્મ જયંતિ મહોત્સવને દેશભરમાં માત્ર શીખ ધર્મ સાથે જોડાયેલા લોકો જ નહીં પણ દરેક ધર્મના સૌ કોઈ ઉજવે છે, તેમના જન્મ દિવસને પ્રકાશ પર્વ કહેવાય છે.
પ્રકાશ પર્વના દિવસે દુનિયાના તમામ ગુરુદ્વારાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રકાશ પર્વના આ પ્રસંગે, અમે આજે તમને ભારતના એવા ૧૦ ખાસ ગુરુદ્વારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં શીખ ધર્મના અનુયાયીઓની ઊંડી આસ્થા છે.
શીખ ધર્મ ગુરુનાનકની ૫૫૦મી જન્મ ભારતભરના પ્રખ્યાત ૧૦ ગુરુદ્વારા કયા કયા છે એ પણ જાણીએ…
સુવર્ણ મંદિર, પંજાબ
પંજાબ પ્રાંતના અમૃતસરમાં સુવર્ણ મંદિર આવેલ છે. આ જગવિખ્યાત ગુરુદ્વારાને હરમિંદર સાહિબ સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુરુદ્વારા તેની સુંદરતાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ગુરુદ્વારાની દિવાલો સોનાની બનેલી છે. આ ગુરુદ્વારાની સ્થાપના મહારાજા રણજીતસિંહે કરી હતી.
શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા, ઉત્તરાખંડ
દસમા શીખ ગુરુ, ગોવિંદસિંહે આ ગુરુદ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ગુરુદ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે અને બર્ફિલા પર્વતો અને તળાવના કાંઠે નૈર્ષગિક વાતાવરણ વચ્ચે બનાવવામાં આવેલ છે.
શીશગંજ ગુરુદ્વારા, દિલ્હી
દેશની રાજધાની દિલ્હીના પ્રખ્યાત ચાંદની ચોકમાં સ્થિત આ ગુરુદ્વારાનું નામ શીશગંજ ગુરુદ્વારા છે, તેને શીખ ધર્મના નવમા શીખ ગુરુ તેગ બહાદુરની શહાદતની યાદમાં બાગેલસિંહે બંધાવ્યો હતો. ઇતિહાસ પ્રમાણે અહીં રાજા ઔરંગઝેબે ઇસ્લામ ન સ્વીકારવા બદલ શીખના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરની હત્યા કરી હતી.
ફતેહગઢ સાહિબ ગુરુદ્વારા, પંજાબ
પંજાબ રાજ્ય, મુખ્યત્વે શીખ અનુયાયીઓનો પ્રદેશ છે, તેથી અહીં અનેક મહત્વના ધર્મ સ્થાનો બનેલા છે. જેમાંનું વધુ એક છે, ફતેહગઢ સાહિબ ગુરુદ્વારા. જે સાહિબઝાદા ફતેહસિંહ અને જોરાવરસિંહની શહાદતની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ ગુરુદ્વારા વાસ્તુકળા અને સ્થાપત્યનો એક અનોખો અને ઉત્તમ નમૂમો માનવામાં છે. અહીં અનેક લોકો દર્શન કરવા આવે છે અને સ્થળની મુલાકાત લે છે.
બંગલા સાહિબ ગુરુદ્વારા, દિલ્હી
આ ગુરુદ્વારા નવી દિલ્હીમાં બાબા ખડગસિંહ માર્ગ પર સ્થિત છે. આ ગુરુદ્વારાનું નિર્માણ રાજા જયસિંહે કરાવ્યું હતું. આ ગુરુદ્વારા આઠમા શીખ ગુરુ હરકિશન સિંહે કરેલા ચમત્કારોની યાદ તરીકે બહુ પ્રખ્યાત છે. તે શીખ અને હિન્દુઓ બંને માટે એક પવિત્ર સ્થળ માનવામાં છે.
હઝુર સાહિબ ગુરુદ્વારા, મહારાષ્ટ્ર
હઝુર સાહિબ ગુરુદ્વારા, મહારાષ્ટ્રના નાંદેડ નગરમાં ગોદાવરી નદીના કાંઠે સ્થિત છે. આ સ્થળનું મહત્વ એટલા માટે પણ છે કે અહીં જ સન ૧૭૦૮ દરમિયાનમાં ગુરુ ગોવિંદ સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાદમાં મહારાજા રણજીતસિંહે આ સ્થળે ગુરુદ્વારા બનાવડાવ્યું હતું.
પાંટવા સાહિબ ગુરુદ્વારા, હિમાચલ પ્રદેશ
આ સ્થાનનું પણ શીખ ધર્મમાં ખાસ મહત્વ છે. કહેવાય છે કે અહીં જ, ગુરુ ગોવિંદસિંહજીએ તેમના જીવનના ચાર વર્ષો ગાળ્યા હતા અને અહીં જ રહીને એમણે પવિત્ર દસમા ગ્રંથની રચના કરી હતી.
તખ્ત શ્રી દમદમા સાહેબ, પંજાબ
આ ગુરુદ્વારા પંજાબના બાટિંડાની દક્ષિણ-પૂર્વમાં તલવંડી સાબો નામના ગામે સ્થિત છે. ગુરુ ગોવિંદસિંહજી અહીં પણ રહ્યા હતા અને ઇતિહાસ મુજબ તેઓ અહીં આવ્યા ત્યારે એમણે મુઘલોનો સામનો કરવો પડ્યો હતો.
શ્રી પટના સાહિબ ગુરુદ્વારા, બિહાર
જી હા, બિહારમાં પણ ખૂબ જ સુંદર અને પ્રખ્યાત ગુરુદ્વારા છે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. પટના સાહિબ ગુરુદ્વારા એ શીખના દસમા ગુરુ ગોવિંદસિંહનું જન્મસ્થળ છે. આ ગુરુદરા મહારાજા રણજીતસિંહે બંધાવ્યું હતું. આ ગુરુદ્વારા પણ શીલ્પ સ્થાપત્યનું આ એક સુંદર ઉદાહરણ રૂપે બનાવડાવવામાં આવ્યું છે.
ગુરુદ્વારા મણિકરણ સાહેબ, હિમાચલ પ્રદેશ
મણિકરણ ગુરુદ્વારા વિશે એક માન્યતા છે કે તેને પ્રથમ શીખ, ગુરુ નાનક દેવે આ સ્થાન પર આવીને તપ – ધ્યાન કર્યું હતું. તે એક ખૂબ જ સુંદર ગુરુદ્વારા છે જે ટેકરીઓ વચ્ચે બાંધવામાં આવેલ છે.
ગુરુદ્વારામાં થાય છે સતત ગુરુવાણી…
ગુરુદ્વારામાં પ્રવેશવા પહેલાં હાથ પગ ધોઈને અને માથા પર રુમાલ કે દુપટ્ટો ઓઢીને પ્રવેશવાની પ્રથા છે. અહીં સતત ગુરુવાણી અને ભજન – કિર્તન થતાં હોય છે. શીખ ધર્મમાં ગ્રંથને પણ ગુરુ માનવામાં આવે છે. જેથી ગ્રંથ સાહેબનો પાઠ કરાવવો અહીં ખૂબ શુભ માનવામાં આવે છે. શીખ ધર્મમાં લગ્ન પ્રસંગ પણ અહીં જ થતા હોય છે. જે ધર્મ ગ્રંથની હાજરીમાં થાય છે. અહીં પ્રસાદ રૂપે ભોજન પીરસાય છે અને ગુરુદ્વારાઓમાં થતાં લંગરો અને તેની રસોઈમાં થતી સેવા ખૂબ જ પ્રખ્યાત છે.
એક ઓમકારનો મંત્ર આપનાર અને માનવ ધર્મને પ્રેમ, સેવા અને સદાચારનો સતત સંદેશ આપનાર એવા પ્રથમ ગુરુ નાનક દેવજીના ૫૫૦ વર્ષ પ્રકાશ પર્વ નિમિત્તે તેમણે આપેલા ઉપદેશો અને આજ્ઞાને યાદ કરીએ…
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ