દશેરા પર થશે દેશના સૌથી મોટા રાવણનું દહન ! 30 લાખમાં બન્યો 221 ફૂટ ઉંચો રાવણ
8 ઓક્ટોબરે સમગ્ર દેસમાં દશેરાનો મહોત્સવ ઉજવાશે. નવરાત્રીની નવ રાત્રીઓ બાદ દસમા દીવસે સમગ્ર દેશમાં રાવણ દહન કરવામાં આવે છે જે સત્ય પર અસત્યના જીતનું પ્રતિક છે.દશેરાને વિજયા દસમી પણ કેહવામાં આવે છે.
ધાર્મિક ગ્રંથો પ્રમાણે ભગવાન રામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો તેમજ દેવી દુર્ગાએ નવ રાત્રી તેમજ દસ દિવસના યુદ્ધ બાદ આ જ દિવસે મહિષાસુર નામના રાક્ષસ પર વિજય મેળવ્યો હતો.
એક માન્યતા પ્રમાણે દશેરા વર્ષ દરમિયાન આવતી ત્રણ શુભ તિથિઓમાંની એક છે. આ દીવસે શસ્ત્ર-પૂજા અને નવા કામનો પ્રારંભ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જો કાર્યની શરૂઆત કરવામાં આવે તો તેમાં ચોક્કસ સફળતા મળે છે.
પુરાતન સમયમાં રાજાઓ આ જ દિવસે વિજયની પ્રાર્થના કરી યુદ્ધભુમિ તરફ પ્રસ્થાન કરતા હતા. આ દિવસે દેશમાં જગ્યાએ જગ્યાએ મેળા ભરાય છે અને રાવણ દહન કરવામાં આવે છે.
દેશનો સૌથી મોટો રાવણ ચંડીગઢ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ 12 કલાકની જહેમત બાદ 221 ફુટ ઉંચો રાવણ ગુરુવારે ચંડીગઢ ખાતે ઉભો કરવામાં આવ્યો છે. આ કામ બુધવારે સાંજે છ વાગે શરૂ કરવામા આવ્યું હતું અને ગુરુવારે પુર્ણ થયું હતું. આ ભવ્ય રાવણને ઉભો કરવા માટે બે ક્રેન, બે જેસીબી અને 150 લોકોની જરૂર પડી હતી.
આ અતિ ભવ્ય રાવણ બનાવનાર તજિંદર સિંહ ચૌહાન જણાવે છે કે તેમનો આ રાવણ વોટરપ્રુફ છે. આપણે બધા જાણીએ છીએ કે આસો મહિનો બેસી જવા છતાં પણ હજુ સમગ્ર દેશમાં ક્યાંકને ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઘણી જગ્યાએ તો પુરના સંજોગો પણ ઉભા થયા છે. ત્યારે તેવા વાતાવરણમાં આ ભવ્ય રાવણ વરસાદમાં પલળશે નહીં અને જો પલળે તો પણ તેનુ દહન તો થઈ જ શકશે.
આ ભવ્ય રાવણ બનાવવામાં ત્રણ હજાર મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે અઢી હજાર મીટર જૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની બનાવટ એ રીતે કરવામાં આવી છે કે વરસાદ આવવા છતાં પણ તેમાં એક પણ ટીપું પાણી નહીં પડી શકે. અને દશેરાના દિવસે સરળતાથી આ ભવ્ય રાવણનું દહન કરી શકાશે.
દેશના અતિ ભવ્ય રાવણની ખાસિયત
– આગળ જણાવ્યું તે પ્રમાણે આ રાવણ 221 ફુટ ઉંચો છે. અને તેની ઉંચાઈ પ્રમાણે તેના બાકીના અંગો પણ તેટલા જ ભવ્ય હોવા જોઈએ. માટે તેની મૂછ પણ તેટલી જ ભવ્ય બનાવવામાં આવી છે. તેની મૂછ 25 ફૂટ લાંબી બનાવવામાં આવી છે.
– આ રાવણનું બધું જ ભવ્ય છે. તેના પગ પણ અત્યંત મોટા છે માટે તેને પહેરાવવામાં આવેલા જૂતા પણ મોટા જ હોય તે સ્વાભાવીક છે તેના પગના જૂતા 40 ફુટ લાંબા છે.
– આ રાવણ 221 ફુટ ઉંચો છે અને તેનું માથુ પણ અત્યંત વિશાળ છે માટે તેના માથાને શોભાવે તેવો મુગટ પણ 60 ફુટ જેટલો વિશાળ છે.
– આ ઉપરાંત આ રાવણને 55 ફૂટ લાંબી તલવાર તેમજ 12 ફુટની વિશાળ ઢાલ પણ પકડાવવામાં આવી છે.
– આ રાવણને બનાવવામાં કુલ છ મહિનાનો સમય લાગ્યો છે. તેની પાછળ 40 લોકોની ટીમે કામ કર્યું છે.
– આ રાવણને બનાવવાનો કુલ ખર્ચો 30 લાખ રૂપિયા થયો છે.
– આ રાવણમાં કોઈ તીર કામઠા દ્વારા નહીં પણ રીમોટ દ્વારા ધમાકો કરવામા આવશે. જેના માટે 20 ફંક્શન્સ બનાવવામાં આવ્યા છે. સૌ પ્રથમ રાવણના છત્રમાં બ્લાસ્ટ કરવામા આવશે ત્યાર બાદ તેના માથાના મુગટ પર, ત્યાર બાદ તલવાર, ઢાલ અને પછી છેલ્લે જુતામાં બ્લાસ્ટ કરવામાં આવશે.
– આ રાવણ દહનની ખાસીયત એ છે કે તેમાં ઇકો ફ્રેન્ડલી ફટાકડા લગાવવામાં આવ્યા છે. આ ફટાકડા ઇકોફ્રેન્ડલી એટલા માટે કહેવાય છે કારણ કે તેના ફુટવાથી સામાન્ય ફટાકડા કરતાં 80 ટકા ઓછું પ્રદુષણ થાય છે.
રાવણના નિર્માણ માટે વેચી જમીન
રાવણને બનાવનાર તજિંદર જણાવે છે કે તેમણે 1987માં પ્રથમવાર રાવણ બનાવ્યો હતો ત્યાર બાદ તે દર વર્ષે રાવણ બનાવે છે અને તેનું દહન કરે છે.
અત્યાર સુધીમાં રાવણને બનાવવા પાછળ તજિંદર લાખો રૂપિયા ખર્ચી ચુક્યા છે અને તેમણે આ બધો જ ખર્ચો પોતાની જમીન વેચી-વેચીને કર્યો છે.
અત્યાર સુધીમાં તેમણે રાવણ બનાવવા પાછળ પોતાની 12 એકર જમીન વેચી દીધી છે. આ વખતે જો કે તેમને શિવ પાર્વતી સેવા ગૃપ તરફથી નાણાકીય મદદ મળી છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ