ગુલાબી શહેર હોય કે પૂર્વનું વેનીસ, ઘણાખરા શહેર તેની રંગત, ઇતિહાસ અને ખાસિયતના કારણે એક અલગ ઉપનામ ધરાવે છે. ભારતમાં પણ એવા અનેક શહેરો છે જેની ઓળખ ફક્ત તેનું નામ નહીં પણ તેનું કામ અને ઇતિહાસ પણ છે. દાખલા તરીકે રાજસ્થાનનું ગુલાબી શહેર જયપુર. એ સિવાય પણ અમુક શહેરો સંબંધિત ઉપનામો ધરાવે છે. ચાલો જાણીએ આવા જ અમુક શહેરો વિશે.
ગુલાબી શહેર – જયપુર
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા રાજ્યો પૈકી રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. આ રાજ્યની રાજધાની છે જયપુર. મહારાજા સવાઈ જયસિંહ (બીજા) એ 1727 માં આ શહેરનો પાયો નાખ્યો હતો અને તેના નામ પરથી જ આ શહેરનું નામ જયપુર રખાયું. 1876 માં વેલ્સના પ્રિન્સ અલબર્ટ એડવર્ડ જયપુર આવ્યા હતા અને તેના સ્વાગત માટે રાજા રામસિંહે આખા શહેરને ગુલાબી રંગે રંગાવ્યું હતું. ત્યારથી આ શહેરનું એક ઉપનામ ગુલાબી શહેર છે. આજના સમયમાં પણ અમુક પ્રાચીન ઇમારતો હજુ પણ ગુલાબી રંગની જોવા મળે છે.
સ્વર્ણિમ શહેર – જેસલમેર
રાજસ્થાનના થાર રણપ્રદેશમાં સ્થિત જેસલમેર શહેર પોતાની ડેઝર્ટ સફારી અને ભવ્ય કિલ્લા માટે પ્રખ્યાત છે. આ કિલ્લો પીળા બલુઆ પથ્થરથી બનાવાયેલો છે અને સાંજનો પ્રકાશ જ્યારે આ કિલ્લા પર પડે છે ત્યારે આ કિલ્લો સ્વર્ણ રંગ ધારણ કર્યો હોય તેવો દેખાય છે. આ કારણે આ કિલ્લાને સોનાર કિલ્લો પણ કહેવાય છે. સાથે જ અહીં અન્ય પ્રાચીન ઇમારતો પણ બલુઆ પથ્થરથી બનેલી છે. આ કારણે આ શહેરને સ્વર્ણિમ શહેર એટલે કે ગોલ્ડન સીટી પણ કહેવામાં આવે છે.
સફેદ શહેર – ઉદયપુર
ઉદયપુરની સ્થાપના મહારાણા પ્રતાપના પિતા મહારાણા ઉદયસિંહે 1559 માં કરી હતી. અનેક રમણીય તળાવોને લીધે આ શહેરને પૂર્વનું વેનીસ શહેર પણ કહેવામાં આવે છે. અહીં દર વર્ષે દેશ વિદેશના હજ્જારો પર્યટકો આવે છે. ખાસ કરીને અહીંની સફેદ સંગેમરમર દ્વારા નિર્મિત અપ્રિતમ રચનાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. અને આ કારણે જ આ શહેરને સફેદ શહેરનું ઉપનામ આપવામાં આવ્યું છે.
સિલ્વર શહેર – કટક
ઓડિશામાં આવેલુ આ પ્રાચીન શહેર મહાનદી અને તેની સહાયક કાઠજુલી નદીના સંગમ સ્થાને સ્થિત છે. મધ્યયુગમાં આ શહેર ઓડિશા રાજ્યની રાજધાની હતું. મુગલકાલીન ફિલિગ્રી કળાથી નિર્મિત ચાંદી, હાથી દાંત અને પિત્તળના આભૂષણો આ શહેરની ખાસ ઓળખ છે. આ આભૂષણો પોતાની અદભુત ડિઝાઇન માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને આ માટે જ આ શહેરને સિલ્વર શહેર કહેવાય છે.
સદાબહાર શહેર – તિરુવનંતપુરમ
સુદૂર દક્ષિણી રાજ્ય કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ. જેને પૂર્વમાં ત્રિવેન્દમના નામથી ઓળખવામાં આવે છે. કેરળ શહેરનું સૌથી મોટું શહેર છે અને તેનો ઇતિહાસ 1000 ઈસા પૂર્વથી શરૂ થાય છે. જ્યારે રાષ્ટ્રપિતા ગાંધીજી અહીં યાત્રા માટે આવ્યા હતા ત્યારે તેઓએ ખુશ થઈને આ શહેરને એવરગ્રીન સીટી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું સદાબહાર શહેર ગણાવ્યું હતું અને ત્યારથી આ શહેર આ ઉપનામથી એટલે કે સદાબહાર શહેરના નામથી પ્રસિદ્ધ છે.