સુરતમાં ત્રીજા પોઝિટિવ દર્દીએ સાજા થતા કહ્યું, 60 સેકન્ડમાં લાગ્યો હતો ચેપ, હું જીતી ગયો કોરોના હારી ગયો.
“કોન કહેતા હૈ આસમાન મેં સુરાખ હો નહીં શકતા,
તુમ એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો.”
દિવસે ને દિવસે કોરોના મહામારી સાથે જોડાયેલાં ભયંકર સમાચાર દુનિયાભરમાંથી આવી રહ્યાં છે ત્યારે ભારતનાં ડાયમંડ કેપિટલ એવાં સુરતમાંથી ખૂબ જ સારાં સમાચાર આવી રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસારકોરોનાના કારણે મોતને ભેટનાર વૃદ્ધના 1 મિનિટના સંપર્કમાં આવેલા ડાયમંડ વર્કરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સારવાર આપી સાજો કરી રજા આપવામાં આવી હતી. ડાયમંડ વર્કરે જણાવ્યું હતું કે, સરકાર અને નિયમોને ફોલો કરો. સિવિલ હોસ્પિટલના તબીબોની સારવારથી હું સ્વસ્થ થયો છું. હું જીતી ગયો અને કોરોના હારી ગયો.
મૃતકના એક મિનિટના સંપર્કમાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો:-
ગુજરાત અને સુરતમાં કોરોનાના કારણે મહાવીર હોસ્પિટલમાં એક વૃદ્ધનું પહેલું મોત થયું હતું. આ વૃદ્ધના 14 દિવસ પહેલા એક મિનિટના સંપર્કમાં મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં રહેતો 45 વર્ષીય ડાયમંડ વર્કર કુમારપાલ શાહ આવ્યો હતો. આ વાતની જાણ જ્યારે એને પોતાનાં મિત્ર કલ્પેશ મહેતાને કરી ત્યારે કલ્પેશ મહેતાએ સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ માટે હિંમત આપી કુમારપાલને મોકલ્યો હતો.
કુમારપાલ પણ સ્થિતિની ગંભીરતાને સમજતો હતો એટલે એ પત્ની અને બે સંતાનોને મળવા પણ ન ગયો કેમકે આમ કરવામાં એમને પણ કોરોનાનું સંક્રમણ થવાનો ભય હતો. સુરત સિવિલ હોસ્પિટલમાં કુમાલપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા છેલ્લા 14 દિવસથી એ સારવાર હેઠળ હતો. આ દરમિયાન તેમની પત્ની અને બે સંતાનોને પણ ક્વોરન્ટીનમાં ખસેડવામાં આવ્યા હતા. કુમારપાલના છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતા આજે રજા આપવામાં આવી છે.
માનસિક શક્તિ પણ મજબૂત થઈ:-
કુમારપાલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોએ 14 દિવસ સારવાર કરી છે. એ લોકોએ દિલ દઈને કરેલી સારવારથી જ હું આજે ફરી ઉભો થઈ શક્યો છું. મારી માનસિક શક્તિ પણ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. લોકોને સંદેશો આપવા માગું છે કે, આપણી સરકારને ફોલો કરે, નિયમને ફોલો કરે. અટલે જ હું સમજુ છું કે, હું જીતી ગયો કોરોના હારી ગયો. કુમાલપાલનો આ આદેશ દરેકે માનવા જેવો છે.
ખુદ કોરોનાનો રિપોર્ટ કરાવવા પહોંચ્યા હતા:-
કુમારપાલે પોતાનાં મિત્રનો અંતઃકરણથી આભાર માનતા કહ્યું કે મારા મિત્ર કલ્પેશભાઈના કારણે જ હું સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. મેં કલ્પેશને કહ્યું કે હું મહાવીર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ અને મૃતક વૃદ્ધના માત્ર એક મિનિટના સંપર્કમાં આવ્યો હતો. કોરોનાની ગંભીરતા મારાં મિત્ર કલ્પેશભાઈએ હિંમત આપી હતી એટલે જ હું ખુદ સિવિલ હોસ્પિટલ પહોંચી રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. કલ્પેશ રોજ મને ફોન કરી હિંમત આપતા હતા.
પત્ની બે સંતાનોને પણ રજા આપવાની શક્યતા:-
કુમારપાલે વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્ની અને બે સંતાનો પણ નવી સિવિલ હોસ્પિટલના ક્વોરન્ટીન છે. તેમને પણ હાલ કોઈ તકલીફ નથી. મને રજા મળી ગઈ છે સાંજ સુધીમાં તેમને પણ રજા મળી જાય તેવી શક્યતા રહેલી છે. સિવિલ હોસ્પિટલમાંથી મારી રજા અંગે સગા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. સગા સંબંધીઓએ આ દરમિયાન ખૂબ જ મદદ કરી હતી. માનસિક સાથ આપ્યો. તેમણે ગરમ પાણી માટે ઈલેક્ટ્રીક સગડી પણ આપી હતી.
હસતા મુખે ઘરે રવાના:-
પોતાની મહેનત અને ખંતનાં જોરે કોરોનાને હરાવવામાં સિવિલ હોસ્પિટલના તબીબો ફરી એકવાર સફળ થયા છે. 45 વર્ષીય કુમારપાલ સાજા થઈને હસતા મુખે સિવિલ હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા. કુમારપાલે સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર પણ માન્યો હતો અને તેમના કારણે તે સાજા થયા હોવાનું જણાવ્યું હતું.
રિકવર થનાર પહેલો દર્દી
લંડનથી આવેલી સુરતની 21 વર્ષની યુવતી સ્વસ્થ થઈ ગત રવિવારે રાત્રે પાર્લેપોઇન્ટ સ્થિત પોતાના ઘરે આવી હતી. 10 દિવસ સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. દરમિયાન બે રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી.
રિકવર થનાર બીજો દર્દી:-
ઘોડદોડ રોડના કરીમાબાદ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક શ્રીલંકાથી દુબઇ થઈ 15મીએ સુરત આવ્યો હતો. 19મીએ સિવિલમાં દાખલ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર બાદ રિકવરી આવતા 24 કલાકમાં બે વખત સેમ્પલ લઈ તપાસ કરાતા બંને રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જેથી ગત રોજ રજા અપાઈ હતી.
આમ સુરત સિવિલ હોસ્પિટલનાં તબીબ સ્ટાફ, મિત્ર અને સગાઓની મદદ અને પોતાની આત્મશક્તિનાં જોરે કુમારપાલ આખરે કોરોનાનાં જીવલેણ સંક્રમણને પણ માત આપવામાં સફળ રહ્યો.
કુમારપાલની માફક કોરોના પીડિતનાં સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિએ કોઈ જાતની બીક વગર તુરંત હોસ્પિટલ પહોંચી જવું જોઈએ. જો તમે માનસિક રીતે પણ મજબૂત હશો તો કોરોના હોય કે બીજી કોઈ તકલીફ હોય દરેકને સરળતાથી માત કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ