સરળતાપૂર્વક ચામડીના મસા દૂર કરો અને સુંદરતા પ્રાપ્ત કરો.
અદભુત સૌંદર્ય ધરાવતા ચંદ્રમાં દેખાતા ડાઘની જેમ જ શરીર પર ગમે ત્યાં ફૂટી નીકળતા મસા પણ એક પ્રકારનો અણગમો પેદા કરે છે. મસા એક પ્રકારનો ત્વચાનો રોગ છે.શરીરના કોઇપણ ભાગ ઉપર એક નાની ગાંઠ કે દાણા જેવું ઉપસી આવે છે જેને આપણે સામાન્ય રીતે મસા તરીકે ઓળખીએ છીએ.
મસાને અડવાથી કોઈ જાતનો દુખાવો થતો નથી ,ઉપરાંત મસા અન્ય કોઈ જાતની અડચણ ઊભી કરતા નથી. પરંતુ શરીર પર વધુ માત્રામાં એકાએક ફુટી નીકળતા મસા અંગે ઉપેક્ષા દાખવવી પણ યોગ્ય નથી કારણ ક્યારેક મસા ચામડીના કેન્સરનો નિર્દેશ પણ કરે છે. મોટે ભાગે મસા ચહેરો, ગરદન, હાથ અને શરીરના અંદરના ભાગે વિશેષ જોવા મળે છે.
આપણે અણગમતા મસાને દૂર કરવાના થોડાક આયુર્વેદિક ઉપાયો જોઈએ પણ એ પહેલા મસા થવાનું કારણ પણ જાણી લઈએ. મસા થવા માટે હયુમન પેપીલોમા વાયરસ જવાબદાર હોય છે. સામાન્ય રીતે જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેને હ્યુમન પેપીલોમા વાઈરસ વધુ અસર કરે છે.
મસાનું કદ રાઇના દાણાથી માંડી ને ઘણીવાર બોર્ જેવડું મોટુ પણ હોઈ શકે છે.સામાન્ય રીતે મસા એની જાતે ખરી પણ જતાં હોય છે અને ક્યારેક વધુ પડતા મોટા થઇ જતાં મસાને નિષ્ણાત ડોક્ટર પાસે કઢાવવા પણ પડતા હોય છે.
મસાને ખેરવી નાંખતી કેટલીક કેમિકલયુક્ત દવાઓ પણ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ તે ચામડી માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જ્યારે આયુર્વેદમાં મસાને ખેરવી નાખવાના કેટલાક ઘરગથ્થુ અને બિનહાનિકારક ઉપાયો હાથવગા છે જેનો છૂટથી ઉપયોગ કરી શકાય છે. આવો, અણગમતા મસાને દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ.
ગ્રીન એપલ
ગ્રીન એપલ પ્રમાણમાં ખાટા હોય છે . તેમાં રહેલું એસિડીક તત્વ ધીરે-ધીરે મસાને ઓગાળી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. ખાટા સફરજનના ટુકડાને દિવસમાં બેથી ત્રણ વખત મસા ઉપર રગડવામાં આવે તો થોડા સમયમાં આસાનીથી મસા એની જાતે નીકળી જાય છે.
લીંબુનો રસ
લીંબુ પણ એસિડીક તત્વ જ ધરાવતું હોવાથી મસા પર નિયમિતરૂપે તેનો રસ લગાડવામાં આવે તો પણ ધીરે-ધીરે મસા સુકાઈને ખરી જઈ શકે છે.
ડુંગળીનો રસ
ડુંગળીમાં પણ કેટલાક એન્ટિઓક્સિડન્ટ તત્વો હોવાને કારણે ડુંગળીનો રસ પણ મસા પર અસરકારક છે.ડુંગળીની સ્લાઈસ પર મીઠું નાખીને તેને થોડા કલાકો એમની એમ રહેવા દેવી અને તેમાથી નીકળેલાં રસને મસા પર લગાડવાથી લગભગ એક અઠવાડિયામાં મસા દૂર થઈ શકે છે.
લસણ
દમ તથા હૃદયના રોગોમાં અસરકારક લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે મસામાં પણ એટલું જ ગુણકારી સાબિત થાય છે. લસણને વાટી તેના પલ્પને મસા પર લગાડવાથી અમુક દિવસોમાં મસા ખરી જતાં હોય છે.
બટાકાનો રસ
રસોઈમાં રોજના વપરાશમાં આવતા બટાકા પણ મસા દૂર કરવામાં મદદરૂપ છે. બટાકાનો રસ કે ટુકડાને મસા પર દિવસમાં બેથી ત્રણ વખત 5થી 7 મિનિટ સુધી ઘસવાથી મસા ધીરેધીરે થોડા પોચા થઇ ખરી પડે છે. એટલું જ નહીં બટાકા ત્વચા પરના ડાઘ દૂર કરી ત્વચાનો રંગ પણ નિખારે છે.
બેકિંગ સોડા
મસાને જડમૂળથી દૂર કરવામાં અને ત્વચામાં નિખાર લાવવા માટે બેકિંગ સોડા પણ ખુબ ઉપયોગી છે. એક ચમચી દિવેલ માં પા ચમચી બેકિંગ સોડા નાખી તેની પેસ્ટ તૈયાર કરવી.આ પેસ્ટને મસા પર લગાડી તેના પર પટ્ટી મારી મસાને ઢાંકી દેવો. ચાર પાંચ દિવસ સુધી બેકિંગ સોડા અને દીવેલ ની પેસ્ટ મસા પર લગાડવાથી મસો ખરી પડશે. દિવેલની જગ્યાએ લીમડાનું તેલ કે કપૂરનું તેલ પણ વાપરી શકાય છે.
કેળાની છાલ
કેળાની છાલના અંદરના ભાગને મસા પર ઘસવાથી થોડા દિવસોમાં મસા એની જાતે જ ખરી જશે.
નેઈલ પોલીશ
નખને સુંદર બનાવતી નેઇલ પોલીશ મસાને પણ બાળી શકે છે.દિવસમાં બે-ત્રણવાર નેઇલ પોલીશ મસા પર લગાડી તે સુકાવા દેવી .નેલા પૉલિશ સુકાયા બાદ સાફ કરી લેવાથી થોડા દિવસોમાં મસા પણ સુકાઈને ખરી પડે છે.
એસ્પિરિન
એસ્પિરિનની ગોળીને એક ચમચી પાણીમાં ઓગાળી તેની પેસ્ટ બનાવી તેને મસા પર લગાડવાથી પણ અણગમતા મસાથી છુટકારો મેળવી શકાય છે.
ઘોડાનો વાળ
ઘોડાના વાળને કે દોરાને મસા ની આજુબાજુ બાંધી દેવાથી મસા પરત્વેનું બ્લડ સર્ક્યુલેશન અટકી જવાથી પણ થોડા સમયમાં મસો ખરી પડે છે.
અણગમતા મસાને દૂર કરવાના આ તમામ ઘરેલુ ઉપાયો છે જેનો સાતત્યપૂર્ણ ઉપયોગ કરવાથી મસા દૂર થઈ શકે છે.પણ જો આ ઉપાય બાદ પણ મસા ખરી ન પડે અને મસામાં કોઈ જાતની તકલીફ થાય કે મસામાંથી લોહી નીકળતું કે કોઈ જાતનું પ્રવાહી નિકળતું પણ ધ્યાનમાં આવે તો તુરંત ચામડીના રોગના નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
આપણે જાણ્યું કે ઓછી રોગ પ્રતિકારક શક્તિને કારણે પણ શરીર પર મસા ફૂટી આવે છે. તેથી જરૂરી છે કે આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે આપણી જીવનશૈલીમાં થોડો બદલાવ પણ લાવવો જોઈએ. નિયમિત કસરત અને સમતોલ આહારથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને માત્ર અણગમતા મસાથી જ નહીં પણ અન્ય રોગોથી પણ દૂર રહી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ