આપણે રોજબરરોજની વાતોમાં દીકરા – દીકરીઓના ભેદ અને સંયુક્ત કુટુંબ અને વિભક્ત પરિવારોની વાતો સાંભળીએ છીએ. મિત્રો – મિત્રો વચ્ચે નાની નાની વાતોમાં થતા મતભેદને લીધે બગડતા સંબંધો અને ઓનલાઈન ફરતા મેસેજોમાંથી ડોકાતા લોકોના સુખ – દુખના મળી જતા સમાચારને કારણે ક્યારેક એકબીજાને રૂબરૂ મળતા પણ નથી હોતા.
હવે ગામના ચોરે ઓટલે બેઠેલા વડીલો પણ મોબાઈલ લઈને ઘરમાં જ બેસતા થઈ ગયા છે અને દોડતી જિંદગીમાં સતત પોતાના કામમાં વ્યસ્ત લોકો એકબીજા સાથે બેસીને એક ટંકનું ભોજન પણ નથી કરતા એવી સ્થિતિ આવી ગઈ છે, ત્યારે અમે આપના માટે એક અનોખું ઉદાહરણ લઈને આવ્યાં છીએ.
એક એવું ગામ પણ છે ગુજરાતમાં એક પરિવારના લોકો કે પછી આસપડોસના / સોસાયટીના લોકો જ નહીં પરંતુ આખેઆખું ગામ દિવસમાં બબ્બે વખત સાથે બેસીને જમે છે અને પોતાનું સુખ – દુખ પણ એક સાથે વહેંચે છે. અહીંની બહેનો, ડોશીઓ અને માતાઓ રસોઈ બનાવે છે સાથે મળીને અને રસોડાનું કામ પણ આટોપે છે એક સાથે. જ્યાં બહેનો માંડ પોતાના ઘરનું કામ માંડ કરી રહેતી હોય અને સૌને પોતાનું નાનું કુટુંબ સુખી કુટુંબ જેવી વાતો કરવી ગમતી હોય ત્યારે આવા ગામનો દાખલો ખરેખર પ્રેરણા લેવા જેવો છે.
આવો જાણીએ આ ગામ ક્યાં આવેલું છે અને આખા ગામનું સામટું રસોડું કરવાનો વિચાર કઈરીતે આવ્યો અને શા માટે સૌએ આવો નિર્ણય સ્વીકાર્યો તેની આખી વાત સવિસ્તાર જાણીએ. આ ગામ માત્ર સાથે જમે જ છે એવું નથી આ ગામમાં વર્ષોથી એક પણ ગુનો નથી નોંધાયો… એવું શા માટે એ પણ જાણીએ…
અહીં સૌ જમે છે એક રસોડે…
એક એવી વ્યવસ્થા જેમાં ઢળતી સાંજે કે આથમતી બપોરે કોઈને પોતાના ઘરમાં એકલાં બેસીને જમવાનું કહે તો કદાચ ક્યારેક ગમે પરંતુ રોજેરોજ ન પણ ગમે. તેમાંય વડીલોને તો પોતાના બાળકો સાંજ પડે ને ઘરમાં આવી જાય. ઘરમાં ચહલપહલ થાય. આખા દિવસની સુખ દુખની વાતો થાય એવી પારિવારીક હૂંફ દરેકને નથી પણ મળતી હોતી. પરંતુ આ ગામમાં સૌ સાથે મળીને જમે છે, એ પણ મહિને એકાદ દિવસ નહીં પરંતુ રોજેરોજ અને પણ બંને ટંક.
આ ગામના વડીલોના સંતાનો એમના વ્યવસાય અર્થે દેશ – વિદેશમાં જઈ વસ્યા છે. તેથી આ અનોખી વ્યવસ્થા ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં જ કરવામાં આવી છે. જેથી વડીલોએ પોતાની રસોઈ જાતે ન કરવી પડે અને એમને એકલું પણ ન લાગે.
મંદિરમાં બનતી સામટી રસોઈની જવાબદારી બહેનો સંભાળે છે…
આખા ગામનો વહિવટ છેલ્લા ત્રણ – ચાર વર્ષથી મહિલા શક્તિ જ સંભાળે છે. જેમાં વરસાદી પાણીના ભારાવાની સમસ્યા હોય કે પછી રસોઈની. અહીં ૫૫ વર્ષના મહિલાઓથી લઈને ૮૦ વર્ષના ડોશીમા પોતાની સહિયારી ફરજ સમજીને બધું કામ વહેંચી લે છે અને જવાબદારીથી આટોપી પણ લે છે. જ્યાં લોકો એક ઘરમાં રહીને પણ અલગ અલગ રસોડે જમે કે જુદા જુદા સમયે જમવા બેસે એવામાં આ ગામ હળીમળીને એકસાથે જમવા પણ બેસે છે અને રસોડાનું કામ પણ કરે છે.
વડીલોનું છે આ ગામ…
ચાંદણકી ગામ એટલું અનોખું છે કે જીવનમાંથી નિવૃત્ત થયેલ વડીલો જ અહીં રહે છે. અહીં ૧૨૦૦ લોકોની વસ્તી નોંધાયેલ છે પરંતુ અહીં માત્ર ૨૭૫ જેટલાં લોકો જ વસ્તી ધરાવે છે, જે ખરેખર તો વડીલ વર્ગ છે. આખા ગામની કુલ વસ્તીમાંથી ૮૦% જેટલી વસ્તી શહેરમાં કે વિદેશમાં જઈને કામ ધંધો કરવા અને કમાવવા માટે નીકળી ગઈ છે. તેથી આ એકસામટા રસોડાની પ્રથા આ ગામ માટે ખૂબ જ ઉપકારક નિર્ણય ગણવામાં આવે છે.
ગુજરાતનું આ ગામ દરેક રીતે છે વિશિષ્ઠ…
આપણે આજે મુલાકાત લઈએ છીએ મહેસાણા જિલ્લાના નાનકડા ગામ ચાંદણકીની… આ ગામ બહુચરાજી તાલુકામાં આવેલું છે. જેની અનેક ખાસિયતોને લીધે આ ગામને એક ગુજરાતનું જ નહીં પણ દેશનું એક આદર્શ ગામ કહી શકાય છે.
ઓછી વસ્તીવાળું હોવા છતાં આ ગામ તેની સમરસ પ્રથાને લીધે એક અનોખી ઓળખ બનાવી શક્યું છે. જ્યાં એક તરફ દેશ આખો મંદી અને અન્ય આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે સંઘર્ષ કરે છે ત્યાં આ ગામમાં થયેલા ફેરફારો વિશે જાણીને તમે ચોંકી જશો.
કહેવાય છે કે આ ગામમાં પહેલેથી સમરસ પ્રથા છે, એટલે કે અહીં ખૂબ જ એકારો છે. અહીં કોઈ પણ વ્યક્તિ એકલી નથી. આ ગામની સમજણ એવી છે જેથી અહીંની એકતાએ અહીંની સૌથી મોટી ઓળખ બની ગયું છે. જેને કારણે સહિયારા નિર્ણયોને કારણે આ ગામમાં ઘરેઘરે ફિલ્ટર પાણીના નળ છે, દરેક ઘરમાં વીજળી છે, દરેક ઘર શૌચાલયવાળું છે અને ઘરમાં કોઈપણ વ્યક્તિ અસ્વસ્થ નથી. એટલે કે જેટલી પણ સમસ્યાઓ અન્ય જગ્યાઓએ નડે છે, એમાંની અહીં કોઈ જ નથી.
આ ગામને ડસ્ટ ફ્રી ગામ કહેવાયું છે. કારણ કે અહીંના દરેક ઘરના દરવાજા સુધી શેરીએ શેરીએ ગુલાબી પત્થરોથી ચોખ્ખું કરાવાયું છે. આ ગામને અનેક એવોર્ડ પણ મળ્યા છે જેમાં નિર્મળ ગામ અને તિર્થધામ એવોર્ડ જેવા સામેલ છે. અન્ય સુવિધાઓ વિશે વાત કરીએ તો બાળકો અને વૃદ્ધોને બેસવા અને ફરવા માટે પંચવટી બનાવાઈ છે. પાકા રસ્તાઓ, ગટરની વ્યવસ્થા અને વરસાદી પાણીનો સંચય કરવા માટેની પણ આ ગામમાં અલગ અને કાયમી વ્યવસ્થા કરાવાઈ છે. જે ખેતીના અને રોજિંદા વપરાશ માટે સંગ્રહવામાં આવે છે.
આ ગામમાં કદી ચૂંટણી થઈ જ નથી…
આપને જાણીને નવાઈ લાગશે કે આ ગામની એકતા વિશે આટલી વાતો કેમ કરાઈ છે. તેનું અમે આપને કારણ જણાવીએ કે અહીં વર્ષોથી પંચાયતની ચૂંટણી થઈ જ નથી. હા, અહીં વડાની નિમણૂંક કરવામાં જરૂર આવે છે. પરંતુ તે માત્ર વ્યવસ્થાના એક ભાગ રૂપે થાય છે. જે ચર્ચાઓ અને મંત્રાણા કરવા બાદ ગામની વ્યવસ્થાઓને સંભાળવા માટેના વહીવટદારો પસંદ કરવામાં આવે છે.
આપને જાણીને નવાઈ લાગશે કે આ પરંપરા આજકાલથી નથી શરૂ થઈ, પરંતુ અહીં અંગ્રેજોના રાજ બાદ આઝાદી પછીથી પણ કદી ચૂંટણી થઈ જ નથી. આજ કારણે ગામની સમસારને જોઈને સરકાર પણ આ પ્રથાને પ્રોત્સાહન આપીને તેને બીરદાવી રહી છે. વધુ એક વિશેષતા આ ગામની એ પણ છે કે તે ગૂના રહિત ગામ તરીકે પણ થઈ છે નોંધણી. અહીં ૨૦ વર્ષથી પણ વધુ સમયથી એક પણ ગૂનો નથી થયો.
ગામ વિશે મળશે જાણકારી તેના પાદરે…
જે રીતે આપણે આપણાં ઘરના બિલ્ડિંગ ઉપર કે ફ્લેટના નીચેના માળે આખા ફ્લેટમાં કોણ કોણ રહે છે, તેની નેઈમ પ્લેટ મૂકીએ છીએ એ રીતે આ ગામના પાદરે પ્રવેશ કરીએ તો એક અનોખું દ્રશ્ય જોવા મળે છે. અહીંની વસ્તી કેટલી છે? કોણ કોણ રહે તેમના નામ સરનામા સહિત ગામને લગતી તમામ માહિતી પણ મળી આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ