ઋષી કપૂરના મૃત્યુના સમાચારે સમગ્ર દેશમાં શોકનું એક મોટુ મોજું ફેરવી દીધું છે. આજે થોડા દિવસ વિતિ જવા છતાં વાતાવરણ ગમગીન છે. સોશિયલ મિડિયા પણ હજુ હેબતાયેલું છે. બીગબી પણ અવારનવાર પોતાના પ્રિય સાથીકલાકારનો શોક મનાવી રહ્યા છે. જે તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા સમજી શકાય છે.
ઋષિ કપૂર પહેલાં અત્યંત પ્રતિભાવાન અભિનેતા ઇરફાન ખાનના મૃત્યુએ પણ લોકોને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. આ બન્ને કલાકારોના ફેન્સ માત્ર ભારત પુરતા જ સિમિત નહોતા વિદેશમાં પણ તેમના લાખો ચાહકો રહે છે જેમને તેમના નિધનથી દુઃખ પહોંચ્યું છે. અને શોક વ્યક્ત કરવામાં પાકિસ્તાન પણ પાછળ નથી રહ્યું. પાકિસ્તાન સાથે તો ઋષિ કપૂરનો ખૂબ જુનો સંબંધ રહ્યો છે. તેમના બાપદાદાની ખાનદાની હવેલી પાકિસ્તાનના પેશાવરમાં આવેલી છે.
પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં ‘કપૂર હવેલી’ આવેલી છે જ્યાં ઋષી કપૂરના દાદા અને મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂરનો જન્મ થયો હતો. દિગ્ગજ અભિનેતા અને ભારતીય સિનેમાના પ્રથમ શોમેન રાજ કપૂરનો જન્મ પણ આજ હવેલીમાં થયો હતો. જેને આજે પેશાવરમાં કપૂર હવેલી તરીકે જ ઓળખવામાં આવે છે. જો કે 2018માં આ હવેલીને મ્યુઝિયમમાં તબદીલ કરવામાં આવ્યું છે.
આ ભવ્ય હવેલીનું નિર્માણ તે સમયે થયું હતું જ્યારે ભારત પાકિસ્તાન એક હતું. સમય હતો 1918થી 1922નો. પૃથ્વીરાજ કદપૂરના પિતા બશેશ્વરનાથે તેનું નિર્માણ કરાવ્યું હતું. બશેશ્વરનાથ વ્યવસાયે એક સબ ઇન્સ્પેક્ટર હતા. જ્યારે તેમના દીકરા પૃથ્વીરાજ કપૂર કુટુંબમાં પ્રથમ અભિનેતા હતા. તમને જણાવી દઈએ કે આ કપૂર હવેલીમાં 40-50 ઓરડા છે. તે સમયે આ હવેલીની જાહોજલાલી હતી. જોકે હાલ તમે તસ્વીરોમાં જોઈ શકો છો કે તે ખખડધજ સ્થીતીમાં છે. તમને એ પણ જણાવી દઈએ કે આજ ગલીમાં અભિનેતા દિલીપ કુમાર પણ રહેતા હતા અને તેમનું વારસાઈ ઘર પણ આવેલું છે. અને માટે જ રાજ કપૂર અને દિલીપ કુમાર ગાઢ મિત્રો રહ્યા છે.
1918-22ના જમાનામાં આ હવેલી પાંચ માળની બનાવવામાં આવી હતી પણ ભુકંપના કારણે હવેલી ઝરઝરીત થઈ ગઈ હતી અને તેના ઉપરના ત્રણ માળ ઉતારી લેવામાં આવ્યા હતા. જો કે તેમ છતાં હવેલીની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો નહોતો આવ્યો. 1990માં ઋષિ કપૂર તેને જોવા માટે પેશાવર ગયા હતા અને ત્યાંથી તેઓ ત્યાંની માટી પોતાની સાથે લઈને આવ્યા હતા.
ઋષિ કપૂરે તેનો ઉલ્લેખ પોતાના એક ટ્વીટર પર પણ કર્યો હતો. 2016માં ટ્વીટર પર ઋષિ કપૂરે એક જૂની તસ્વીર શેર કરી હતી જેમાં તેઓ પેશાવરની તે હવેલી પાસે પોતાના મોટા ભાઈ રણધીર કપૂર સાથે ઉભા જોઈ શકાય છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે તે વખતે તેમનું ખુબ જ હુંફાળુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઋષી કપૂરે 2017માં ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ હાલ 65 વર્ષના છે અને મરતાં પહેલાં ફરી એકવાર પોતાના પાકિસ્તાનમાં આવેલા ઘરને જોવા ઇચ્છે છે. અને તેમણે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના બાળકો પણ તે ઘર જુએ અને પોતાના ખાનદાનના મૂળિયા જુવે. જોકે હવે તેમની ઇચ્છા ઇચ્છા જ રહી ગઈ છે. પણ તેઓ લાખો કરોડો લોકોના હૃદયમાં એક આગવી જગ્યા બનાવીને ગયા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ