આપણી આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષ દરમિયાન કુલ ત્રણ મુખ્ય ઋતુઓ આવે છે. જેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાનો સમાવેશ થાય છે. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે શિયાળો. શિયાળાને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ અનુસાર કારતક, માગશર, પોષ અને મહા એમ વર્ષના ચાર મહિના દરમિયાન શિયાળાની ઋતુ રહે છે. શિયાળામાં પણ પાનખર અને વસંત હોય છે. આ સમય દરમિયાન દિવસ ટુંકા હોય છે અને રાત લાંબી હોય છે.
આમ તો શિયાળા દરમિયાન ઉત્તર ભારતના રાજ્યો અને વિસ્તારોમાં ભારે ઠંડી પડે છે. અહીં બરફ વર્ષાના કારણે તાપમાન માઈનસ ડીગ્રીથી પણ નીચું જતું રહે છે. પરંતુ વાત કરીએ ગુજરાતની તો અહીં શિયાળા દરમિયાન ઠંડી પ્રમાણસર રહે છે. ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં જોવા મળે છે.
નલિયા એકમાત્ર એવું શહેર છે ગુજરાતનું જ્યાં ઠંડીનો પારો સૌથી વધુ નીચો સમગ્ર શિયાળા દરમિયાન જોવા મળે છે. અન્ય તમામ શહેરો અને જિલ્લા કરતાં કચ્છના નલિયાનું તાપમાન સૌથી નીચું હોય છે. તેવામાં ચોક્કસથી એક પ્રશ્ન તો થાય જ કે નલિયામાં જ શા માટે સૌથી વધુ ઠંડી પડે છે ? તો ચાલો આજે તમને જણાવીએ કચ્છમાં સૌથી વધુ ઠંડી પડવાનું શું છે કારણ.
ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર કચ્છ ધરાવે છે. દેશના 7 રાજ્યો કરતાં પણ મોટું કચ્છ છે. અહીં નાનું અને મોટું એમ બે રણ આવેલા છે. આ ઉપરાંત કચ્છમાં બન્નીનું મેદાન પણ આવેલું છે જેના કારણે કચ્છનો વિસ્તાર 30 હજાર સ્કેવર કિલોમીટર થઈ જાય છે. વિશાળ વિસ્તારમાં પથરાયેલો કચ્છનો વિસ્તાર ખુલ્લો છે અને ઉત્તર દિશામાં છે.
આ જ કારણ છે કે જમ્મુ-કાશ્મીરમાં અને હિમાલીયન વિસ્તારમાં હિમવર્ષા થાય તેની સીધી અસર ઠંડી સ્વરુપે કચ્છમાં જોવા મળે. કચ્છમાં રણના ખુલ્લા વિસ્તારના કારણે ઠંડી ઝડપથી અસર કરે છે અને કચ્છમાં પણ નલિયા અન્ય શહેરોની સરખામણીમાં વધારે ખુલ્લો વિસ્તાર છે. આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ પણ કચ્છથી થોડો અલગ છે તેથી નલિયા રાજ્યનું ઠંડુ શહેર હોય છે. અન્ય એક કારણ એવું પણ છે કે જ્યારે અતિશય ઠંડા અને સૂકા પવન ફુંકાય છે ત્યારે કચ્છમાં કોઈ પર્વતમાળા કે જંગલ ન હોવાથી તે સીધા જ કચ્છના પ્રદેશોને અથડાય છે જે રણમાં ઠંડી વધારી દેતા હોય છે.
જો કે કચ્છમાં માત્ર ઠંડી જ વધારે હોય છે એવું નથી. અહીં ગરમી પણ વધારે પડે છે. કચ્છમાં રણ વિસ્તાર હોવાથી ઉનાળામાં અહીં ગરમી પણ વધારે અનુભવાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ