હિંસક ટોળાની પરવા કર્યા વગર હાઝી કાદિરે પોલીસકર્મીનો જીવ બચાવ્યો
હજું માનવતા મરીપરવારી નથી ! હિંસક ટોળામાંથી આ વ્યક્તિ પેલીસકર્મીને બચાવી લાવ્યો
આજે દેશના ખૂણે ખૂણે સીટીઝન એમેન્ડમેન્ડ એક્ટ તેમજ એનઆરસીનો વિરોધ ચાલી રહ્યો છે. ક્યાંક શાંતિપૂર્ણ વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે તો ક્યાંક વિરોધોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.
થોડા સમય પહેલાં અમદાવાદના જ એક વિસ્તારની વિડિયો વાયરલ થઈ હતી જેમાં એક હિંસક ટોળુ મોટા મોટા પથ્થરોથી પોલિસ પર પ્રહાર કરી રહ્યું હતું. જે અમદાવાદ માટે એક શરમજનક ઘટના હતી.
માત્ર અમદાવાદમાં જ નહીં પણ ઉત્તર પ્રદેશમાં પણ ઘણી જગ્યાએ દેખાવકારો દ્વારા હિંસા કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આ પ્રકારની પોલિસ અને દેખાવકારો વચ્ચેની હિંસામાં 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે 300 જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે.
જેમાંથી 57 પોલીસકર્મીઓને તો ગોળી પણ વાગી છે. માત્ર પોલીસ જ નહીં પણ સામાન્ય લોકો પણ ઘવાયા છે.
પણ આ બધામાં યુપીના ફિરોઝાબાદમાં એક ખુબ જ સુંદર ઘટના ઘટી ગઈ. અને તે ઘટનાએ હિંસાથી ત્રસ્ત થઈ ગયેલા લોકોમાં સાબિત કર્યું કે માનવતા હજુ મરી પરવારી નથી.
પણ હજુ જીવંત છે. અને આવી જ ઘટનાઓ માનવતામાં વિશ્વાસ ધરાવતા લોકોની આશાના દિવાને ઓલવાવા દેતી નથી.
હકીકત કંઈક આમ હતી ફિરોઝાબાદમાં દેખાવકર્તાઓનું એક ટોળુ પોલીસના જવાનો સામે હિંસક દેખાવ કરી રહ્યું હતું. અને તે પોલીસના જવાનોમાંનો એક જવાન એ ટોળાની હડફેટે ચડી ગયો. આ ઘટના 20મી ડિસેમ્બરની છે. પોલીસકર્મીની સ્થિતિ એટલી ભયભીત કરે તેવી હતી કે ભલભલાના કાળજા કાંપી ઉઠે.
શરૂઆતમાં તો આ પ્રદર્શન શાંતિથી આગળ વધી રહ્યું હતું પણ અચાનક તે હિંસક બની ગયું હતું. અને પોલીસ અને દેખાવકારો આમને સામને આવી ગયા હતા.
અને પોલીસે ટોળા પર કાબુ લાવવા માટે લાઠી ચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો. અને આ ઝપાઝપી દરમિયાન પોલીસકર્મી અજય કુમાર ટોળાની હડફેટે ચડી ગયા.
આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે ટોળાને બુદ્ધિ નથી હોતી તે પછી અમાનવતાની બધી જ હદો વટાવી દે છે. અજય કુમાર હાથે લાગતાં જ ટોળુ તેમના પર ટૂટી પડ્યું.
અને જાણે તેમને ત્યાંને ત્યાં જ મારી નાખવા પર ઉતારુ થઈ ગયું હતું. અજય કુમારને હવે એમ જ થઈ ગયું હતું કે તેમનો અહીંથી મૃત્યુ બાદ જ છૂટકારો થશે કારણ કે ભીડ તેમને કોઈ વાતે છોડે તેમ નહોતી.
પણ ત્યાં જ કોઈ દૂતની જેમ હાજી કાદિર તેમની વહારે આવી ગયા. વાસ્તવમાં તેઓ નમાજ પઢી રહ્યા હતા અને તે વખતે તેમને સમાચાર મળ્યા કે એક ટોળુ એક પોલીસકર્મી પર ટૂટી પડ્યું છે અને તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા.
તેમણે મહા પ્રયત્ને તે હિંસક ટોળામાંથી અજય કુમારને બચાવી લીધા અને સીધા જ તેમને પોતાના ઘરે લઈ ગયા.
અજય કુમારને કોઈ વાતે વિશ્વાસ નહોતો થતો કે તેઓ બચી ગયા છે, કારણ કે જે રીતે હિંસક ટોળુ તેમના પર ટૂટી પડ્યું હતું તે જોતાં તો તેમના ત્યાં જ રામ રમી જાય તેવું તેમને લાગી રહ્યું હતું.
તેઓ એક વાર્તાલાપમાં જણાવે છે, ‘ટોળાએ મને ચારે બાજુથી ઘેરી લીધું હતું અને મને ક્રૂર રીતે માર મારી રહ્યું હતું. પણ ત્યાં હાજી સાહેબ આવ્યા અને તે ટોળાથી બચાવીને મને પોતાના ઘરે લઈ ગયા. મને ઘણું બધું વાગ્યું હતું, મારી આંગળીઓ મારા માથા પર બધે જ ઇજાઓ થઈ હતી.
તેમણે મને સૌ પ્રથમ તો પાણી પીવડાવ્યું અને પછી મારા ફાટી ગયેલા વસ્ત્રોના બદલે મને તેમના વસ્ત્રો પહેરવા આપ્યા. અને મને ધરપત આપી કે હું તેમની સાથે સુરક્ષિત છું. અને ત્યાર બાદ તેઓ મને પોલીસ સ્ટેશન લઈ ગયા.’
તેમણે હાજી કાદિરનો ખૂબ ખૂબ આભાર માન્યો, ‘તેઓ મારા માટે કોઈ દૂતની જેમ આવ્યા હતા. જો તેઓ ના આવત તો ટોળાએ મને મારી જ નાખ્યો હોત.’
તો બીજી બાજુ હાજી કાદરે પોતે જે કર્યું તેમાં કોઈ જ મોટી મહાનતા ન લાગી, ‘મેં જે કંઈ પણ કર્યું તે માત્ર માનવતા ખાતર જ કર્યું છે. હું તેમને ઓળખતો પણ નહોતો પણ એક માણસ તરીકે મારી ફરજ હતી કે મારે તેમને બચાવવા જોઈએ.’
અજય કુમારની હાલ સારવાર ચાલી રહી છે અને ધીમે ધીમે તેમના ઘાવ ભરાઈ જશે પણ મન પર જે અસર થઈ છે તેને ભૂંસાતા હજુ વાર લાગશે પણ કાજી સાહેબ જેવી માનવતાથી તરબતર વ્યક્તિ તેમને ક્યારેય એ પણ ભૂલવા નહીં દે કે માનવતા હજુ જીવીત છે જે તમને કોઈને કોઈ સ્વરૂપે પરચો આપતી જ રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ