એડીઓમાં પડી ગયેલા વાઢિયાને દૂર કરવા આ ઘરેલૂ નૂસખા તમારી ચોક્કસ મદદ કરશે
જો આ નૂસખા અજમાવી લીધા તો તમારી પગની એડીઓ હંમેશા રહેશે કોમળ
પગની પાનીના વાઢિયા લગભગ બધી જ સ્ત્રીઓની સામાન્ય સમસ્યા છે જેનાથી તેઓ કાયમી છૂટકારો મેળવી નથી શકતી અને આ સમસ્યા શિયાળામાં તો પીડાદાયક સાબિત થાય છે. અને પુરુષો કરતાં આ સમસ્યા સ્ત્રીઓને વધારે સતાવે છે. ઘણી સ્ત્રીઓ પોતાના પગના વાઢિયા દેખાય નહીં તે માટે 24×7 પગમાં મોજા પહેરતી હોય છે.
પણ આ સમસ્યા માત્ર તમારા પગના દેખાવને જ નથી બગાડતી, પણ જ્યારે આ સમસ્યા વધારે વણસે છે ત્યારે તેનાથી અત્યંત પિડા થાય છે, તેમાંથી લોહી વહે છે અને ઘણીવાર તો ચાલી પણ ન શકાય અથવા કહો કે જમીન પર પગ પણ ન મૂકી શકાય તેવી સમસ્યા ઉભી થાય છે.ફાટેલી એડીઓ માટે તમારા પગરખા, શુષ્ક હવા તેમજ પગની અસ્વચ્છતા અથવા તો તમારો અસ્વસ્થ ખોરાક જવાબદાર હોઈ શકે છે.
જો તમને ફાટેલી એડિયોની સામાન્ય સમસ્યા રહેતી હોય અને તમે તે સ્થિતિને ખરાબ થવા દેવા ન માગતા હોવ તો તમારે તમારા પગની યોગ્ય સંભાળ રાખવી જોઈએ તેના માટે તમારે તમારા પગની મૃત ચામડીને રોજ ઘસીને કાઢી નાખવી જોઈએ અને પગને હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ જ રાખવા જોઈએ.
બજારમાં તમારી આ સમસ્યાને દૂર કરવા માટે ઘણા બધા ઉત્પાદનો હાજર છે પણ તેવા કેમિકલયુક્ત ઉત્પાદનો વાપરવા કરતાં તમે ઘરની જ કેટલીક સામગ્રીઓ દ્વારા આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરગથ્થુ નૂસખાઓ વિષે.
લીંબુનો રસ
લીંબુમાં સમાયેલા એસિડમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણધર્મો સમાયેલા હોય છે. જે તમારા પગની એડીઓને સુંવાળી બનાવે છે. તેના માટે તમારે એક લીંબુનો રસ કાઢી લેવો અને તેને એક લીટર હુંફાળા પાણીમાં ઉમેરી દેવો. હવે તે જ પાણીમાં તમારે તમારા પગ પલાળી રાખવા.
તેને તે જ પાણીમાં 10-15 મિનિટ રાખવા. ત્યાર બાદ એક પ્યુમિક સ્ટોનથી તમારા પગના તળિયા ઘસી લેવા, તેને નેપ્કીનથી ઘસીને નહીં પણ દબાવીને લૂછી લેવા ત્યાર બાદ તેને કોઈ કૂદરતી તેલ જેમ કે કોપરેલ તેલ કે ઓલીવ ઓઇલથી મોઇશ્ચરાઇઝ કરી લેવા.
કેળા અને એવોકાડો ફૂટ માસ્ક
એવોકાડોમાં સમાયેલું ઓલેઇક એસિડ અને કેળામાં સમાયેલું પોટેશિયમ આ બન્નેનું મિશ્રણ તમારી શુષ્ક ત્વચા માટે એક અત્યંત ઉત્તમ કુદરતી ઉપચાર સાબિત થાય છે. તેના માટે તમારે એક કેળાને મેશ કરી લેવું અને તેની સાથે એવોકાડોના ગરની પેસ્ટ ઉમેરી દેવી. હવે આ તૈયાર મિશ્રણને તમારે તમારા પગ પર લગાવી લેવું. તેને તેમજ 20-30 મિનિટ રાખ્યા બાદ તેને હુંફાળા ગરમ પાણી વડે ધોઈ લેવું. આ ફૂટ માસ્કનો ઉપયોગ તમે નિયમિત રીતે કરશો તો તમારા પગ તમારા ચહેરા જેવા સુંવાળા બની જશે.
કોપરેલ તેલ
કોપરેલ તેલનો ઉપયોગ હંમેશા શુષ્ક ત્વચા, એક્ઝિમા, તેમજ સોરાયસીસની સમસ્યા દૂર કરવા માટે થતો હોય છે. પાણીમાં પગ પલાળવાની ટ્રીટમેન્ટ કર્યા બાદ તમારે તમારા પગનું મોઇશ્ચર સાંચવી રાખવા માટે કોપરેલ તેલનો ઉપયોગ કરવો જોઈએ. કોપરેલ તેલમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એન્ટિ માઇક્રોબિયલ ગુણધર્મો રહેલા છે જે તમારી ફાટેલી એડિયોને ઇન્ફેક્શનથી દૂર રાખે છે.
ઓલિવ ઓઇલ
તમારી એડી પર જો તમે નિયમિત રીતે ઓલીવ ઓઇલનું મસાજ કરશો તો ધીમે ધીમે તમને ખબર પણ નહીં પડે તેમ તમારી ફાટેલી એડીઓ મુલાયમ બની જશે. આ મસાજ તમારે સૂતા પહેલા કરવું પણ તે પહેલાં તમારે હુંફાળા પાણીમાં પગ પલાળી પ્યુમીક સ્ટોનથી પાની ઘસી લીધા બાદ પગને કોરા કરીને કરવું અને તેને આખી રાત તેમ જ રહેવા દેવું. તેલનું મસાજ કર્યા બાદ તમે મોજા પણ પહેરી શકો છો જેથી કરીને તમારા પગ પરનું ઓલીવ ઓઇલ ઉડી ન જાય અને તેને તમારા પગના રોમછીદ્રોમાં પ્રવેશવાનો મોકો મળે.
મધ
મધમાં એન્ટિ માઇક્રોબિયલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણધર્મો સમાયેલા છે. મધનો ઉપયોગ જો તમે ફૂટ સોક ટ્રીટમેન્ટ બાદ ફૂટ સ્ક્રબ તરીકે કરશો અને ત્યાર બાદ તેના પર કોઈ ફૂટ માસ્ક લગાવશો તો તમારી ફાટેલી એડીઓને ખૂબ રાહત મળશે અને તેને મોઇશ્ચર મળવાથી ખૂબ જ ઝડપથી તમારી એડીઓ સુંવાળી બની જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ