ઉનાળામાં થતી ત્વચા સંબંધીત સમસ્યાઓ જેમ કે ગરમી નીકળવી, ફોલ્લીઓ થવી, લાલ રેશીશ થઈ જવા જેવી તકલીફો માટે અમે આજે કેટલીક ઘરગથ્થુ ઉપચારો લાવ્યા છે.
ઉનાળાના આકરા તાપમાં શરીરમાંથી ખૂબ જ પરસેવો વળે છે. જો યોગ્ય કાળજી ન લેવાય તો માત્ર ચહેરાની જ નહીં બલ્કે આખા શરીરની ચામડીને નુક્સાન થઈ શકે છે.
ઉનાળાની શરૂઆત થાય ત્યારથી આ સીઝનમાં ત્વચા સંબંધિત રોગોનું જોખમ વધારે છે. આ દિવસોમાં ખાસ કરીને ત્વચાની સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ફોલ્લીઓ, યુરિન ઇન્ફેક્શન, ચામડીમાં બળતરા થવી, ગુંબડાં, ખીલ, સનબર્ન, ફંગલ ઇન્ફેક્શન, અળાઈઓ અને મેલ્સમા જેવી તકલીફોમાં પ્રારંભિક લક્ષણો દરમિયાન જ તેની સારવાર મળી જાય તો અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે, પરંતુ જો તેના ઉપચારમાં વધુ વિલંબ કરીએ તો તે શરીર માટે જોખમી બની શકે છે.
અહીં આપને એવી સામાન્ય તકલીફો છતાં તેમાં પડતી મુશ્કેલીઓનો સામનો કરવાના સરળ અને ધરેલુ ઉપાયો જણાવશું. જેથી ઉનાળામાં પણ તમારી ત્વચા કોમળ અને સ્વસ્થ રહે.
ઉપસેલા દાણા સાથે ખંજવાળ આવવી
ઉનાળામાં, પરસેવાની ગ્રંથીઓ વધારે સક્રિય હોય છે તે આપણી દૈનિક ક્રિયાઓને અવરોધિત બની શકે છે. જ્યારે શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં પરસેવો બહાર આવે છે ત્યારે તે સૂકાઈને ચામડીને વધુ નુક્સાન કરે છે, તે તમારી ચામડીની નીચે ફંગસ રચવાનું શરૂ કરે છે, જેને લીધે ચામડી પર ખંજવાળ અને ફોલ્લીઓ થવાની શક્યતા રહે છે.
તમે તેમને ટાળવા માટે શરીરમાં વિવિધ રીતે ઠંડક કરી શકો છો. જેમ કે ચણાના લોટમાં ગુલાબ જળ અને હળદર લગાવીને તેની પેસ્ટ તૈયાર કરો અને તેને ત્વચા પર નિયમિત લગાવો. હળદર સારું એન્ટિસેપ્ટિક છે અને ગુલાબજળ તથા ચણાના લોટના ઉપયોગને લીધે ત્વચા કોમળ રહેશે.
ફોડલીઓ
ઉનાળાની ગરમીમાં આ સૌથી સામાન્ય અને લગભગ દરેક વ્યક્તિને થતી તકલીફ છે. પરસેવો થવાથી ત્વચાના છિદ્રો એકદમ ખૂલી જાય છે અને જ્યારે તેને હવા મળે ત્યારે ચામડી તણાવાથી ઝીણી ફોડલીઓ થાય છે. જે બગલમાં, સાથળની પાછળ, કમરની નીચેના ભાગમાં કે ગરદનમાં વધારે થતી જોવા મળે છે. તેનાથી શરીરમાં ખરજ તો આવે છે સાથે ચામડીમાં બળતરા પણ બહુ જ થાય છે.
આમાં ઠંડો શેક કરવો ખૂબ જ લાભદાયી નીવડે છે. બરફના ક્યુબ્સ ઘસવાથી સારો ફાયદો થાય છે. વળી સાંજે કામમાંથી ફ્રી થઈને કે રાતે સૂતાં પહેલાં ઠંડા પાણીએ નહાઈ લેવાથી પણ સારો ફેર પડે છે. તેમજ તમારી જાતને સતત હાઇડ્રેટ રાખવી. જેમ કે સતત પાણી પીવું, પાણી ન ભાવે તો લીંબુ પાણી પી શકો છો, નાળીયેર પાણી પણ પી શકો છો.
ખીલ
ગરમીમાં ખીલ પણ ખૂબ પ્રમાણમાં થતા હોય છે. ચહેરા પર થતો પરસેવો અને જો ચહેરો તૈલીય ત્વચાવાળો હોય તો તે બંને ભળી જઈને વધારે ચીકાસ ઉત્પન્ન થાય છે ચહેરા ઉપર. જેને લીધે સૌથી મોટી આડઅસર થાય છે ખીલમાં. ચહેરા ઉપર બી ધરાવતી ફોડ્લીઓ થાય છે જેમાંથી તે વધારે વકરે તો તેમાંથી પરૂ પણ નીકળી શકે છે.
તેની કાળજી માટે સૌથી પહેલાં તો એ ધ્યાનમાં રાખવું કે ખીલને નખથી ફોડવી કે ખંજવાળવી ન જોઈએ. તેને મટાડવા માટે મુલ્તાની માટી સાથે એપલ વિનેગરનું મિશ્રણ કરીને એક સ્મૂધ પેસ્ટ બનાવીને જ્યાં ખીલ થયાં હોય તેની ઉપર અને આસપાસ હળવે હાથે લગાવવું જોઈએ. સુકાઈ જાય પછી ઠંડા પાણીએ હળવા હાથે ટેરવાં ફેરવીને ધોઈ લેવું.
સનબર્ન
સનબર્ન એ ઉનાળાની સૌથી વધુ થતી તકલીફ છે. જેમાં ત્વચા પર બળતરા થવી, શુષ્ક થઈ જવી કે ત્વચા કાળી પડી જવા જેવી તકલીફ થાય છે. ઉનાળામાં બહાર નીકળતાં પહેલાં એસ.પી.એફ. ધરાવતું સારી ક્વોલિટીનું સનબર્ન પ્રોટેક્શન લોશન લગાવવું જોઈએ.
જ્યારે તડકામાં બહાર જઈને આવો તો ઘરે આવીને ઠંડુ કાચું દૂધથી ચહેરો ધોવો જોઈએ. નહાતી વખતે ચહેરા અને ગરદન પર દહીં લગાવી માલીશ કરીને તે સુકાય ત્યાં સુધી રહેવા દઈ ઠંડા પાણીએ ધોઈને નહાવું જોઈએ.
મેલાસ્મા
આ એક ત્વચાને લગતી એવી તકલીફ છે જેનું મુખ્ય કારણ જાણી નથી શકાતું. પરંતુ તેમાં ચહેરા પર કાળાશ પડતા ભૂરા રંગના ચકામા પડે છે. ખાસ કરીને સ્ત્રીઓને આ તકલીફ વધારે થાય છે. સીધા તડકામાં લાંબો સમય રહેવાથી ચામડીમાં સળ પડીને ડાઘ પડી શકે છે.
સૌથી પહેલાં તો ધ્યાન રાખવું કે જો તમને ડાયાબિટીઝ હોય તો તેને નિયંત્રિત રાખવું જોઈએ. ચહેરા પર એપલ સિરકો પાણીમાં મેળવીને થોડા પ્રમાણમાં લગાવી ચહેરો સાફ કરવાથી સમયાંતરે ડાઘ પર ફરક જણાશે.
ગુંમડાં
કહેવાય છે કે શરીરની ગરમીને કારણે તે બહાર નીકળવાનો રસ્તો ગુંમડાં વાટે શોધે છે. એવી જગ્યાએ ઉનાળામાં ગુંમડાં થાય છે જ્યાં પરસેવો જમા થાય છે અને યોગ્ય પ્રમાણમાં હવા પણ જઈ શકતી નથી. કેરી વધારે ખાવાથી ગુંમડાં થાય છે એવી માન્યતા છે પરંતુ એ ખોટી છે.
શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવાથી અને પરસેવો યોગ્ય રીતે સાફ ન થવાથી દુખાવો કરે તેવા ગુંમડાંઓ થાય છે. જેમાં પુષ્કળ પાણી પીવું જોઈએ અને નારિયેળ પાણી, તરબુચ કે લીંબુ પાણી જેવા કુદરતી જ્યુસ જરૂર પીવા જોઇએ જેથી શરીરને અંદરથી ઠંડક મળે.
ફંગસ ઇન્ફેક્શન
ઉનાળામાં પરસેવાથી થતા સૌથી મોટા નુક્સાનમાં આ બાબત સૌથી ખતરનાક છે. બૂટમોજામાં સતત રહેતા પગ જ્યારે પરસેવાથી લથપથ હોય ત્યારે પગની એડી કે ઘૂંટીમાં ફંગસ થઈ શકે છે. પાણી અડવાથી આ ઇન્ફેક્શન વધી શકે છે અને માત્ર બળતરા જ નહીં પણ દુખાવો થાય છે જેમાં રસી પણ થઈ શકે છે.
સારા ડોક્ટરને બતાવીને એન્ટિબાયોટિક લેવું જોઈએ. જેમ બને તેમ શરીરમાં પરસેવો જમા ન થાય તેનું ધ્યાન રાખવું. ખાસ કરીને પગ ચોખ્ખા અને સુકા રાખવા જોઈએ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ