રાજસ્થાનના આ ઉત્સવો વિષે જાણીને તમે આજે જ બિસ્ત્રા-પોટલા બાંધીને રાજસ્થાન રવાના થવા લલચાશો
ભારતમાં રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરનો એક આગવું સંગમ થાય છે. અને આ બધાનો લાહવો તમે સામાન્ય દિવસો કરતાં આ રાજ્યમાં ઉજવાતા વિવિધ ઉત્સવોની ઉજવણી વખતે વધારે સારી રીતે મેળવી શકો છો.
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના આ ઉત્સવોમાં માત્ર દેશના વિવિધ રાજ્યોમાંથી જ નહીં પણ સમગ્ર વિશ્વમાંથી લોકો તેને માણવા આવે છે. અને કેમ ન હોય આ રાજ્યની સદીયો જુની સંસ્કૃતિને આ ઉત્સવો દ્વારા સદીઓથી પ્રતિબિંબિત કરવામાં આવે છે.
અહીંનું લોક નૃત્ય, લોક સંગીત, અહીંના ભાતિંગળ પહેરવેશ અને બીજું ઘણું બધું રાજસ્થાનના આ જાણીતા સાંસ્કૃતિક ઉત્સવોના સાક્ષી છે જેનો અનુભવ તમને આખું જીવન વાગોળ્યા કરવાનું મન થાય તેવો છે.
શિયાળાની ઋતુમાં રાજસ્થાનમાં ફરવાની એક અનેરી જ મજા છે અને આ સિઝનમાં રાજસ્થાનમાં ઘણા બધા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે તો ચાલો અમે તમને જણાવીએ રાજસ્થાનના વિવિધ ઉત્સવો વિષે.
બુંદી ઉત્સવ
રાજસ્થાનના અત્યંત રંગીન નગર એવા બુંદી શહેર પરથી આ ઉત્સવનું નામ બુંદી ઉત્સવ પાડવામાં આવ્યું છે. આ એક વાર્ષિક ઉત્સવ છે. પ્રવાસીઓ માટે આ ઉત્સવનું સૌથી મોટું આકર્ષણ આર્ટ એન્ડ ક્રાફ્ટ મેળો, શોભા યાત્રા, લોક નૃત્ય, લોકસંગીત, પાઘડી વાળવાની સ્પર્ધા, સાંસ્કૃતિ પ્રદર્શનો અને પારંપરિક રાજસ્થાની રમતો છે.
આ ઉત્સવ સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆતમાં ઉજવવીમાં આવે છે. બુંદી જયપુરથી 210 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં પહોંચવા માટે તમને રાજસ્થાન પરિવહન બસથી માંડીને પ્રાઇવેટ ટેક્સિની સગવડ પણ સરળતાથી મળી રહે છે.
કોલાયટ ઉત્સવ
કોલાયટ ઉત્સવને અહીં બીજા એક નામ કપીલ મુનીના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સ્થાનીક ધાર્મિક ઉત્સવ છે. અને અહીંના લોકો દર વર્ષે આતુરતાથી તેની રાહ જોતા હોય છે.
અહીંના કોલાયટ તળાવમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે અને માટે જ આ ઉત્વને કોલાયટ ઉત્સવ નામ આપવામાં આવ્યું છે. આ સુંદર તળાવના 52 કિનારાને સેંકડો દીવાઓથી પ્રજ્વલિત કરવામાં આવે છે અને તળાવમાં પણ સેંકડો દિવા તરતા મુકવામાં આવે છે. આ તળાવનું દ્રશ્ટ રાત્રિ દરમિયાન અત્યંત સુંદર હોય છે.
આ ઉત્સવ સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતમાં ઉજવવામાં આવે છે. આ સ્થળ બિકાનેરમાં આવેલું છે, બિકાનેરને તેનું પોતાનું એરપોર્ટ પણ છે અને તે દિલ્લી તેમજ દેશના અન્ય મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
મત્સ્ય ઉત્સવ
રાજસ્થાનમાં વાર્ષિક રીતે ઉજવાતા મત્સ્ય ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ રાજ્યની પરંપરાગત મૂલ્યોની ઉજવણીનો તેમજ રાજ્યના રંગબેરંગી રિવાજોનો છે જેને વિવિધ રીતે વ્યક્ત કરવામાં આવે છે. આ ઉત્સવ અલ્વરમાં દર વર્ષે ઉજવામાં આવે છે.
રાજસ્થાનનું લોકનૃત્ય અને લોક સંગીતના કાર્યક્રમો આ ઉત્સવને ઓર વધારે સુંદર બનાવે છે. આ ઉપરાંત અહીં આર્ટ એન્ડ ક્રાફ્ટનો મેળો પણ લાગે છે, તેમજે સાંસ્કૃતિક પ્રદર્શનો તેમજ પરંપરાગત રમતો પણ પ્રવાસીઓ તેમજ ફોટોગ્રાફરોને પોતાના તરફ આકર્ષે છે.
આ ઉત્સવ નવેમ્બરના અંતમાં ઉજવવામાં આવે છે. અલ્વર જયપુરથી 162 કીમીના અંતરે આવેલું છે. જયપુર તમે ટ્રેન કે પછી ફ્લાઇટ દ્વારા પહોંચી શકો છો ત્યાર બાદ તમે અલ્વરની પ્રાઇવેટ ટેક્સી કે રાજ્ય માર્ગ પરિવહનનો પણ ઉપયોગ કરી શકો છો.
પુષ્કરનો કેમેલ ફેસ્ટિવલ
ઉંટ ઉત્સવ રાજસ્થાનના સૌથી વધારે લોકપ્રિય ઉત્સવમાં ગણવામાં આવે છે, વર્ષોથી પુષ્કર કેમલ ફેસ્ટિવલ પ્રવાસીઓ તેમજ તસ્વીરકારોને આકર્ષતો આવ્યો છે.
આ ઉંટ ઉત્સવમાં ઓછામાં ઓછા 30000 ઉંટોને સુંદર રીતે શણગારવામાં આવે છે અને તેમની એક સૌંદર્ય સ્પર્ધા પણ યોજવામાં આવે છે. અહીં આંતરરાષ્ટ્રિય તેમજ રાષ્ટ્રિય પ્રવાસીઓને આકર્ષવા માટે હોટ એર બલૂનીંગ ફેસ્ટિવલ પણ સેલિબ્રેટ કરવામાં આવે છે.
આ ઉત્સવમાં તમે ઓક્ટોબરના એન્ડથી નવેમ્બરની શરૂઆત દરમિયાન ભાગ લઈ શકો છો આ ઉત્સવ લગભગ એક અઠવાડિયાનો હોય છે. પુષ્કર જયપૂરના એરપોર્ટથી માત્ર 146 કીમી દૂર આવેલું છે.
કબીર યાત્રા
કબીર યાત્રામાં રાજસ્થાનના લોક સંગીતને ઉત્તમોત્તમ રીતે રજૂ કરવામાં આવે છે. જે પ્રવાસીઓ રાજસ્થાનના લોકસંગીતને માણવા માગતા હોવ તેમના માટે તો આ ઉત્સવ કોઈ સ્વર્ગથી ઓછો નથી.
કબીર યાત્રાને તેની એક બાબત સૌથી અલગ પાડે છે અને તે એ છે કે તે એક પ્રવાસી સંગીત ઉત્સવ છે જે બિકાનેરની અંદર અને બિકાનેર આસપાસ છ દિવસ સુધી પ્રવાસ કરે છે અને આ યાત્રામાં સ્થાનીક સંગીતકારો તેમજ ગાયકોને પોતાના હૂનરને વ્યક્ત કરવાનો અવસર આપવામાં આવે છે.
આ ઉત્સવ સામાન્ય રીતે નવેમ્બરના મધ્યમાં ઉજવવામાં આવે છે. બિકાનેર નગરનું પોતાનું એરપોર્ટ છે અને તે દિલ્લી તેમજ દેશના બીજા મોટા શહરો સાથે સારી રીતે જોડાયેલું છે.
ચંદ્રભાગાનો મેળો
રાજસ્થાનના નાનકડા નગર ઝલવારાના લોકો આ તહેવાની આતુરતાથી રાહ જોતા હોય છે, આ મેળામાં મુલાકાતીઓ તેમજ તેમાં ભાગ લેનારાઓ પણ જોવા મળે છે.
આ મેળામાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો આવે છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ ચંદ્રભાગા નદીના કાંઠે આવતા હજારો શ્રદ્ધાળુ છે. આ નદીના કાંઠે શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે છે, અને સાથે સાથે પશુઓનો મેળો પણ યોજવામાં આવે છે જેને શોભા યાત્રા કહેવાય છે.
આ ઉત્સવ સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆતમાં ઉજવાય છે. રાજસ્થાનના મોટા શહેર કોટાથી ઝલવારા માત્ર 85 કીલોમીટના અંતરે આવેલું છે.
તો હવેની વાર તમે પ્રવાસનું આયોજન કરો અને જો તમે ઓક્ટોબર-નવેમ્બરમાં પ્રવાસ કરવા માગતા હોવ તો નિઃશંક પણે તમારે રાજસ્થાનની જ પસંદગી કરવી જોઈએ.
રાજસ્થાનમાં તમે વાસ્તુકલાના સૌંદર્યથી ભરપૂર ઐતિહાસિક ઇમારતો તો જોશો જ પણ તેના જીવ સમાન લોકનૃત્ય તેમજ લોકગીતોનો લાહવો પણ તમને આ સમય દરમિયાન આ ઉત્સવો દ્વારા ખૂબ મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ