ડાયાબિટીસને નિયંત્રિત રાખવાના આયુર્વેદિક ઉપાયો.
ડાયાબિટીસ એક એવી બીમારી છે જેની ખૂબ માવજત પૂર્વક સાર સંભાળ કરવી પડે. ડાયાબિટીસ અંદરથી શરીરને ખોખલું કરી નાખે અને વ્યક્તિને એની ખબર પણ પડવા ન દે. ડાયાબિટીસને સાઇલેન્ટ કિલર માનવામાં આવે છે.શરીરમાં લોહીમાં સુગરની વધતી કે ઘટતી માત્રા એટલે ડાયાબિટીસ.
ડાયાબિટીસના રોગ પર નિયંત્રણ અત્યંત જરૂરી છે. નહીં તો ડાયાબિટીસ વ્યક્તિ માટે જીવલેણ તો સાબિત થાય છે પણ એ પહેલા વ્યક્તિને જીવતેજીવ જ મૃતપાય કરી દેવાની તાકાત આ મહા બિમારી ગણાતા ડાયાબિટીસમાં છે. ડાયાબિટીસને ગુજરાતીમાં મધુપ્રમેહ કહેવામા આવે છે. ડાયાબિટીસ વૈશ્વિક સ્તરે ફેલાયેલો રોગ છે.
2017માં કરાયેલા સર્વેના આધારે આશરે 72 મિલિયનથી વધારે લોકો ડાયાબિટીસનો ભોગ બની ચૂક્યા છે. એકલા ભારતમાં જ ભારતની વસ્તીના લગભગ 8.7 ટકા લોકો ડાયાબિટીસથી પીડિત છે. આજની આરામપ્રિય જીવનશૈલી અને અનિયમિત આહારની ટેવ તથા મેદસ્વીપણું ડાયાબિટીસની બીમારીને આમંત્રણ આપે છે.
ડાયાબિટીસ ધીરે ધીરે શરીરના અન્ય અંગો પર પણ કબજો જમાવે છે જેને કારણે ડાયાબિટીસવાળા પેશન્ટને તકલીફોમાં વધારો થતો જાય છે. ડાયાબીટીસના દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાને કારણે અન્ય બીમારીઓ પણ તેને જલદી લાગુ પડવાની શક્યતા રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવાની દવાઓ ઉપલબ્ધ છે જ પરંતુ દૈનિક આહારમાં બદલાવ ઉપરાંત નિયમિત કસરત પણ ડાયાબિટિસને કંટ્રોલમાં રાખી શકે છે.આહાર નિયંત્રણ સાથે મધુપ્રમેહના દર્દીએ નિયમિત ત્રણ થી પાંચ કિલોમીટર ચાલવું પણ જોઇએ
ડાયાબિટીસના દર્દીએ સતત ડાયાબિટીસ મેનેજમેન્ટ નિષ્ણાતની દેખરેખ નીચે યોગ્ય સારવાર કરવી હિતાવહ હોય છે. પ્રતિવર્ષ દુનિયામાં લાખો લોકો ડાયાબિટીઝના રોગને કારણે મૃત્યુ પામે છે. વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનનું અપૂરતા પ્રમાણમાં ઉત્પાદન અથવા તો તેની કાર્યક્ષમતામાં ઘટાડો ડાયાબિટીસની બીમારી માટેનું મુખ્ય જવાબદાર પરિબળ છે.
મોટાભાગે આહાર વિષયક પરેજી પાળવાથી ડાયાબિટિસને કંટ્રોલમાં રાખી શકે છે. ડાયાબિટીસના દર્દીએ તેના ભોજનમાં ફાઈબરની માત્રા નું પ્રમાણ વધારવું જરૂરી હોય છે કારણ કે ફાઇબર લોહીમા શર્કરાનું નિયમન કરે છે.
થોડા એવા ખાદ્ય પદાર્થોની મહત્તા ચકાસીએ જે ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં મદદ રૂપ છે.
મૂળા
મૂળામાં ભરપૂર ફાઈબર તત્વ રહેલું છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. મુળામાંથી બનેલા રાંધેલા પદાર્થો ઉપરાંત કાચા મૂળા પણ લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
કારેલા
કારેલામાં રહેલો કડવાશનો ગુણ ડાયાબિટીસ નાથવામાં ઉપયોગી છે. આમ પણ કહેવાય છે કે દવા જેટલી કડવી હોય એટલી જલ્દી અસરકારક સાબિત થાય છે. કારેલા વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે અને બ્લડ શુગરને નિયંત્રિત પણ કરે છે. કારેલા માં રહેલું polypeptide p એટલે કે પી ઇન્સ્યુલિન નામનું ઘટક તત્વ ડાયાબિટીસના દર્દી માટે મદદરૂપ છે. કારેલાને સુકવીને તેનો પાવડર બનાવીને તેનો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.
રાગી
ડાયાબિટીસના દર્દી માટે ખોરાકમાં વધુ પડતો કાર્બોહાઈડ્રેટ નુકસાનકારક છે। માટે ઘઉની જગ્યાએ રાગી ડાયાબિટીસના દર્દી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. રાગી માં ફાઇબર, કેલ્શિયમ ઉપરાંત આવશ્યક એમિનો ઍસિડ હોવાને કારણે તે એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે રાગીમાંથી ઢોસા તેમજ અન્ય સ્વાદિષ્ટ વ્યંજનો પણ બની શકે છે. રાગી પચવામાં હળવું અનાજ ગણાય છે.
રાજગરો
સામાન્ય રીતે ઉપવાસ સમયે વપરાશમાં લેવાતો રાજગરો પણ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે .તેનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીને રાહત રહે છે. એમાં રહેલા ગ્લાયસેમિક તત્વ ઉપરાંત હાઈ ફાઈબર ,પ્રોટીન ,કેલ્શિયમ ,એન્ટીઓક્સીડેન્ટ તત્વ તથા સાઇટોસ્ટિરોલ ડાયાબિટીસના દર્દી માટે ફાયદા કારક માનવામાં આવે છે. રાજગરો હાડકાને મજબૂત બનાવે છે, સુપાચ્ય છે તેમજ બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરે છે.
મેથી
સાંધાના કળતરમાં ઉત્તમ ઔષધ માનવામાં આવતી મેથી ડાયાબીટિઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કારેલા ની જેમ મેથીમાં પણ કડવાશ નો ગુણ રહેલો છે. મેથી લોહીમાં શર્કરા ની માત્રા નું નિયંત્રણ કરે છે. રાત્રે મેથીને પલાળીને એ પાણી સવારે પીવાથી તેમજ પલાળેલી મેથી ખૂબ ચાવી ચાવીને ખાઈ જવાથી ડાયાબિટીસમાં તો રાહત મળે જ છે પરંતુ સાંધાના દુખાવામાં પણ તે ઉપયોગી છે અને વજન ઉતારવામાં પણ મેથી ફાયદાકારક માનવામાં આવે છે.મેથીમાં કેલ્શિયમની વિપુલ માત્રા હાડકાને મજબૂત બનાવે છે
ધાણા
ખોરાકમાં નિયમિત વાપરવામાં આવતા ધાણા ડાયાબિટીસની બીમારીમાં અક્સિર માનવામાં આવે છે. ધાણા તથા કોથમીરના પાંદડા બંનેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ભરપૂર હોવાને કારણે ડાયાબિટીસવાળા દર્દી માટે આશીર્વાદ જનક છે. ધાણામાં રહેલું ઇથેનોલ સિરમ glucose બ્લડ શુગરને ઓછું કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ધાણા પણ મેથી ની જેમ પાણીમાં પલાળીને ઉપયોગમાં લેવાના હોય છે. ધાણા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ પણ કરે છે.
ખાસ નોંધનીય છે કે ધાણાના બીજ ઉપયોગમાં લેતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે કારણ ડાયાબિટીસની દવા અને ધાણાનું સાથે કરેલું સેવન બ્લડ શુગરની માત્રા માં ઘણો ઘટાડો કરી શકે છે.
ડાયાબિટીસના દર્દી માટે આંબળા, હળદર તેમજ જાંબુમાં પણ અકસીર ઔષધીય ગુણો રહેલા છે. આ ત્રણેય પદાર્થો તાજા પણ ઉપયોગમાં લઇ શકાય છે અને સિઝનમાં તેની સૂકવણી કરી તેનો પાવડર કરીને પણ આખું વર્ષ ઉપયોગમાં લઈ શકાય છે.
જે પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય તેમણે નિયમિત પણે ડાયાબિટીસની તપાસ કરાવતા રહેવું જોઈએ.ડાયાબિટીસની હિસ્ટ્રી ધરાવતા પરિવારમાં જન્મેલા બાળકનું વજન પણ નવ પાઉન્ડથી વધારે હોય તો એવા બાળકને પણ એકવાર ડાયાબિટીસ સંદર્ભે તપાસ કરાવી લેવી જરૂરી બને છે.
વારંવાર તરસ લાગતી હોય અને બાથરૂમ જવાની frequency માં વધારો થતો હોય તો પણ ડાયાબિટીસની તપાસ કરાવવી હિતાવહ છે. અપૂરતી ઊંઘ, વારંવાર પહોંચતી નિદ્રામાં ખલેલ હોર્મોન્સનું અસંતુલન બતાવે છે આવા સંજોગોમાં પણ ડાયાબિટીસની તપાસ કરાવવી જોઇએ.
મેદસ્વિતા અને ડાયાબિટીસને પણ સીધો સંબંધ છે. જો વ્યક્તિનો બી.એમ.આઈ 25થી વધારે આવે તો એ પ્રિડાયાબિટીસનાં લક્ષણો બતાવે છે. હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ ડાયાબિટીસની સમસ્યા સાથે જોડાયેલી છે.
પ્રિ ડાયાબિટીસના લક્ષણો ધરાવતા વ્યક્તિને ચામડી પર કાળા રંગના મોટા ચકામાં પણ ક્યારેક ઉપસી આવે છે. આવા સંજોગોમાં પણ તાત્કાલિક ડાયાબિટીસનું નિદાન કરાવવું જરૂરી છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા ઉપર જણાવેલા તમામ ઉપાયોની સાથે નિયમિત ડાયાબિટીસની દાક્તરી તપાસ કરાવવી અને ડોક્ટરની સલાહને અનુસરવું પણ આવશ્યક બને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ