કોરોના વાયરસનું સંક્રમણ હજુ પણ વિશ્વભરના દેશો માટે ચિંતાનું કારણ છે. દુનિયાના ઘણા દેશોમાં કોરોનાનો નવા નવા વેરિયંટ વધુને વધુ તબાહી મચાવી રહ્યા છે. આ દરમિયાન બ્રિટિશ વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં દાવો કર્યો છે તે નિશ્ચિતરૂપે ચિંતાજનક છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસનું હવે પછીનું વેરિયંટ કે સ્વરૂપ વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાંતોના મતે આ વેરિયંટ એટલો ઘાતક હશે કે તેના કારણે દર ત્રણમાંથી એક વ્યક્તિનું મોત થઈ શકે છે. આ સંભવિત સંકટ માટે વૈજ્ઞાનિકોના એક ગૃપે સંશોધન સંબંધિત એક અહેવાલ પણ પ્રકાશિત કર્યો છે.
આ અહેવાલમાં વિશ્વભરના દેશોને ચેતવવામાં આવ્યા છે કે આવનાર સમયમાં કોરોના વાયરસનું જે સ્વરૂપ સામે આવશે તે મર્સ વેરિયંટ કરતાં વધુ ઘાતક હશે. આ વેરિયંટમાં મૃત્યુદર હાલ 35 ટકા જણાય છે.
આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ સુચવ્યું છે કે જે પ્રાણીઓ દ્વારા કોરોના વાયરસના નવા પ્રકારની ફેલાવાની સંભાવના છે તેઓને તુરંત મારવા જોઈએ અથવા તેમને રસી આપવી જોઈએ. આમ કરવાથી જ આ પ્રાણીઓમાંથી વાયરસના નવા પ્રકારને રોકતો અટકાવી શકાશે.
વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં એવી ચેતવણી પણ આપી છે કે જો કોરોના વાયરસનું આ વેરિયંટ હાલના બીટા, આલ્ફા અથવા ડેલ્ટા વેરિયંટનું સંયોજન છે તો કોવિડ -19 માટેની હાલની રસી પણ બિનઅસરકારક થઈ શકે છે. જે મૃત્યુ દરમાં વધારા તરફ દુનિયાને દોરી શકે છે. જો કે આ રિપોર્ટમાં આ આગામી સંભવિત ભયંકર વેરિયંટનું નામ જણાવવામાં આવ્યું નથી. પરંતુ તેને સુપર મ્યુટન્ટ વેરિયંટ કહેવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે વર્તમાન સમયમાં કોરોના વાયરસની જેટલી રસી અપાય રહી છે તે ત્યાં સુધી જ અસરકારક રહેશે જ્યાં સુધી કોરોનાનું વધારે શક્તિશાળી વેરિયંટ સામે ન આવે. આવું થશે તો આ રસી કોરોના વાયરસથી થતા રોગને સંપૂર્ણપણે રોકવામાં નિષ્ફળ જઈ શકે છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ વધુ જીવલેણ બની શકે છે.
આ રિપોર્ટ બાદ બ્રિટનમાં કોરોના વાયરસની સ્થિતિ પર નેતાઓનું કહેવું છે કે સરકારને અત્યારની સ્થિતિ પર સંતોષ માની લેવો જોઈએ નહીં. કારણ કે બ્રિટનમાં હાલ પણ કોરોનાની ગત લહેરના મારમાંથી બહાર આવી રહ્યું છે.